Opinion Magazine
Number of visits: 9458149
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો દીકરી લિઝર્લને પત્ર …

ગુજરાતી અનુવાદ : બ્રિજેશ પંચાલ|Opinion - Opinion|27 March 2023

પ્રિય લિઝર્લ૧,

જ્યારે મેં થિયરી ઑફ રિલેટીવિટી લોકો સમક્ષ મૂકી હતી, ત્યારે બહુ ઓછાં એને સમજી શક્યા હતા, શું હવે હું દુનિયાની સામે લોકોની ગેરસમજ અને પૂર્વગ્રહો દૂર કરવા કંઈ કહીશ ત્યારે લોકો સમજશે મને?

આપણો સમાજ વર્ષો અને દાયકાઓ સુધી ઉન્નત થતો રહેશે કદાચ ત્યાં સુધી તો હવે હું જે કંઈ નીચે લખવાનો છું એ લોકો સમજી જશે, એટલે તું આ પત્ર સચવાય ત્યાં સુધી સાચવજે.

કોઈ એક એવી શક્તિશાળી તાકત છે, જેની વિજ્ઞાન સુધ્ધા હજુ જોઈતી વ્યાખ્યા નથી આપી શક્યું. એ તાકત છે જે લોકોને ચલાવે છે અને જેનાથી બ્રહ્માંડ સુધ્ધા ચાલે છે, પરંતુ એ જે છે એને આપણે શોધી નથી શક્યા! આ સાર્વત્રિક બળનું નામ છે – પ્રેમ! 

જ્યારે વૈજ્ઞાનિકો યુનિફાઈડ થિયરી ઑફ યુનિવર્શની શોધ કરતાં હતા ત્યારે તેઓ સૌથી શક્તિશાળી અને અદૃશ્ય બળને જ ભૂલી ગયાં. જે છે – પ્રેમ! પ્રેમ પ્રકાશ જેવો છે; એ એવી જ વ્યક્તિ પાસે પહોંચે છે જે કંઈ આપી શકે અને લઈ પણ શકે! પ્રેમ એક જાતનું ગુરુત્વાકર્ષણબળ છે. કદાચ એટલે જ કેટલાક લોકો બીજા કેટલાક લોકો તરફ આકર્ષાય છે. પ્રેમ એક એવી શક્તિ છે; જે આપણી પાસે છે ફક્ત એને જ ઉપયોગમાં લે છે. પ્રેમ તેની હાજરીમાં થયેલા આંધળા વિશ્વાસને ખાતર માનવતાને મરવા નથી દેતો. પ્રેમ ઘણું બધું ઉઘાડે અને સમજાવે છે. પ્રેમ માટે જ આપણે જીવતા અને મરતા હોઈએ છીએ. પ્રેમ એ ઈશ્વર છે અને ઈશ્વર એ પ્રેમ!

આ પ્રેમ રૂપી બળમાં ય સમજણ છુપાયેલી છે અને આ બળ જ જીવનને અર્થપૂર્ણ બનાવે છે. પ્રેમ એક એવું પરિવર્તન છે જેની આપણે વર્ષોથી અવગણના કરી છે. કદાચ આપણે સૌ પ્રેમથી ડરતા હોઈશું! કારણ કે પ્રેમ જ એક એવી બ્રહ્માંડની ઉર્જાશક્તિ છે જેને માણસ પોતે ચાહે ત્યારે નથી શીખી શકતો!

પ્રેમને દૃશ્યમાન કરવા મેં મારા જાણીતા સમીકરણમાં થોડો ફેરફાર કર્યો છે. જો E=MC2માં આપણે ઘારી લઈએ કે દુનિયાને હૂંફ આપવા વપરાતી ઉર્જા પ્રેમમાંથી મળતી હોય તો એ પ્રકાશની ઝડપથી બે ગણી હોવી જ જોઈએ. તો આપણે એ નિષ્કર્ષ પર આવીશું કે પ્રેમ જ એક શક્તિશાળી બળ છે. કારણ કે એની કોઈ સીમા નથી! માનવતાની વાતમાં આપણે જ્યારે હવે હારી ગયા છે અને બીજી બધી શક્તિઓ વધી રહી છે. એવા સમયે આપણે કોઈ બીજી શક્તિ દ્વારા આપણી જાતને જ પંપાળવી રહી. જો આપણે ચાહીયે છે કે આપણી જાતિ ટકી રહે; જો આપણે શોધી રહ્યાં છે જીવનનું ગૂઢ રહસ્ય ને એ મળી જાય; જો આપણે બચાવા માગ્યે છે દુનિયાને અને જો સંવેદનાથી પોતાનામાં લેવા ચાહ્યે છે કશું તો એનો જવાબ છે ખાલી – પ્રેમ; ફક્ત પ્રેમ!

કદાચ આપણે હજુ સક્ષમ નથી પ્રેમનો બૉમ્બ બનાવા માટે, એક એવું ઉપકરણ બનાવા જે નફરતને ખતમ કરી શકે અને સ્વાર્થીપણા સાથે લોભ કે પૂર્વગ્રહનો નાશ કરી શકે. જો કે, દરેક વ્યક્તિ તેમની અંદર વહન કરી શકે  છે પ્રેમનું  એક નાનું  પણ  શક્તિશાળી જનરેટર  જે  પ્રેમરૂપી ઉર્જા છોડવા માટે રાહ જોઈ રહ્યું છે. આપણે  ક્યારે  શીખીશું  આવી  સાર્વત્રિક  ઉર્જાની  આપ-લે કરતાં! પ્રિય લિઝર્લ, આપણે કોઈ એવો પુનરુદ્ધાર કરીશું  કે  પ્રેમ  બધાં  જીતી શકે એની માટે સક્ષમ બની શકે. કારણ કે  પ્રેમ  એ  જીવનની  જિજ્ઞાસા છે.

માફ કરજે! મારા હૃદયમાં શું ચાલી રહ્યું છે એ કહેવા હું અસક્ષમ છું, જે તારી જિંદગી માટે નાસીપાસ થવા જેવી બાબત ખરી. કદાચ માફી માગવા માટે આ મોડું કહેવાય, પરંતુ સમય એ સાપેક્ષ છે; માટે મારે તને કહેવું જોઈએ કે, I LOVE YOU! આભાર તો મારે તારો માનવાનો છે; કારણ કે તે મને મારા અંતિમ જવાબ સુધી પહોંચાડી દીધો!

લિ.

તારો પિતા આલ્બર્ટ આઈન્સ્ટાઈન૨.

v

૧લિઝર્લ આઈન્સ્ટાઈન (૨૭ જાન્યુઆરી ૧૯૦૨ – સપ્ટેમ્બર ૧૯૦૩) મિલેવા મેરીક અને આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું પ્રથમ સંતાન હતું. તેના માતા-પિતા વચ્ચેના પત્રવ્યવહાર મુજબ, લિઝર્લનો જન્મ ૨૭ જાન્યુઆરી, ૧૯૦૨ના રોજ, તેના માતા-પિતાના લગ્નના એક વર્ષ પહેલા, નોવી સેડ/ઉજવિદેક, ઑસ્ટ્રિયા-હંગેરી, હાલના સર્બિયામાં થયો હતો. આઈન્સ્ટાઈને સ્વિટ્ઝર્લૅન્ડમાં કામ કર્યું તે વખતે તેની માતા દ્વારા થોડા સમય માટે તેની સંભાળ રાખવામાં આવી હતી. બાદમાં મેરિક લિઝર્લ વિના આઈન્સ્ટાઈન સાથે જોડાયા. લિઝર્લનું અસ્તિત્વ ઈ.સ.૧૯૮૬ સુધી જીવનચરિત્રકારો માટે અજાણ હતું, જ્યાં સુધી હંસ આલ્બર્ટ આઈન્સ્ટાઈનની પુત્રી એવલિન દ્વારા આલ્બર્ટ અને મિલેવા મેરિક વચ્ચેના પત્રોનો સમૂહ શોધાયો ન હતો. પોતાના પત્રોમાં દંપતી અજાત બાળકને “લિઝર્લ” કહે છે – જ્યારે છોકરીનો ઉલ્લેખ કરે છે. અથવા “હેન્સરલ” – જો છોકરાનો ઉલ્લેખ કરે છે. “લિઝર્લ” અને “હેન્સરલ” બંને સામાન્ય જર્મન નામો લિઝ અને હેન્સ એલિઝાબેથ માટે વપરાતા ટૂંકા નામ છે. (References: Albert Einstein/Mileva Maric: The Love Letters, Publisher:  Princeton University Press (October 31, 2000), p. 54, p. 63, p. 66, p. 67, p. 73, p. 78, the english translation of the german “Doxerl”, one of the names Einstein used for Marić, Lieserl Einstein’s biography,  Milan Popović: In Alberts Shadow. The life and letters of Mileva Marić, Einstein’s first wife, Johns Hopkins University Press, London 2003, p.11, ISBN 978-0-8018-7856-5, The Truth Behind Einstein’s Letter on the ‘Universal Force’ of Love, “A Universal Force”. Snopes.com. Retrieved 19 April 2020.)

૨અહીં દર્શાવેલ પત્ર આલ્બર્ટ આઈન્સ્ટાઈને પોતાની દીકરીને સાચે લખ્યો હતો કે નહીં એ વાત પર પ્રશ્નાર્થ સાથે વિશ્વના સંશોધનકારોમાં સંશોધન ચાલી રહ્યું છે.

(સૌજન્ય : “તથાપિ”. વર્ષ ૧૮ અંક ૬૧ થી ૭૦ સપ્ટેમ્બર – નવેમ્બર ૨૦૨૦ થી ડિસેમ્બર- ફેબ્રુઆરી ૨૦૨૩; પૃ. ૧૧૫ થી ૧૧૬.)
 સંપર્કઃ ઈ–મેઈલ – panchalbrijesh02@gmail.com
ફોટોગ્રાફર :  આર્થર સાસે

Loading

ખાલિસ્તાનનો પ્રશ્ન હોળીમાંથી દાવાનળ બને એ પહેલાં સરકારે અન્ય ભાગીદારો સાથે મળીને ડામવો રહ્યો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|26 March 2023

ભૂતકાળને વળગી રહેલા અમુક લોકોના આ સમૂહને ભારતની અંદરના અને બહારના અનિષ્ટ તત્ત્વોનો ટેકો મળે છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલતાઓ વધારશે

ચિરંતના ભટ્ટ

2023નું વર્ષ ભારતીય રાજકીય નેતૃત્વ માટે સાવ સહેલું નથી એ ચોક્કસ. ભલેને સંજોગો એકનાં એક હોય, પરિસ્થિતિ એકની એક હોય પણ જે રીતે ખાલિસ્તાની આંદોલને ફરી માથું ઉંચક્યું છે એ મૂંઝવણમાં વધારો જ કરે તેવી બાબત છે. વળી, એક સમયે જ માત્ર દેશમાં ખાલિસ્તાનીઓએ અફરાતફરી મચાવી હતી પણ હવે તો વિદેશમાં પણ આ આંદોલનના પડઘા પડી રહ્યા છે. વળી ઘર આંગણે અને વિદેશમાં ખાલિસ્તાનીઓ જે અરાજકતા ફેલાવી રહ્યા છે એમાં સરકારે બન્નેનો તફાવત, પ્રભાવ અને પરિણામોની ત્રિરાશી માંડીને નિર્ણય લેવાના રહે.

અત્યારે જે થઇ રહ્યું છે તેનાં મૂળિયાં 1929માં કાઁગ્રેસના લાહોર અધિવેશનમાં રોપાયા, જ્યારે મોતીલાલ નહેરુએ પૂર્ણ સ્વરાજની વાત કરી. આ સમયે મુસ્લિમ લીગ, દલિતો અને શિરોમણી અકાલી દળના સમૂહોએ પોતાના નેતાઓ અનુક્રમે જિન્નાહ, આંબેડકર અને માસ્ટર તારા સિંહ મારફતે પૂર્ણ સ્વરાજના પ્રસ્તવાનો વિરોધ કર્યો. શીખો માટે અલગ રાજ્યની માંગ તો થઇ પણ 1947માં આ માંગણી આંદોલનમાં ફેરવાઇ અને તેને નામ અપાયું પંજાબી સૂબા આંદોલન. જે પંજાબ ભારતમાં રહ્યું તેમણે શીખ સૂબાની એટલે અલગ શીખ પ્રદેશની માંગ ચાલુ રાખી અને આ આંદોલનો લગભગ બે દાયકા ચાલ્યા. ઇંદિરા ગાંધીની સરકારે અમુક બદલાવ કર્યા પણ. આ બધી માથાકૂટ બહુ લાંબી ચાલી. જરનૈલ સિંહ ભિંડરાવાલે એંશીના દાયકામાં શીખ કટ્ટરવાદના જનક તરીકે ઓળખાયા. શીખ ધર્મનું શિક્ષણ આપનારી સંસ્થા દમદમી ટકસાલના અધ્યક્ષ બન્યા પછી રાજકીય ચિત્રમાં લોહીનો રંગ પુરાવા માંડ્યો. ભિંડરાવાલે આનંદ સાહિબ રિઝોલ્યૂશનના કટ્ટર સમર્થક હતા, તે હિંદુઓની હત્યા કરવા શીખોને ઉશ્કેરતા, તેમણે શિરોમણી અકાલી દળ સાથે મળીને અસહકાર આંદલોનનને સશસ્ત્ર બળવામાં ફેરવ્યું. નિરંકારી સંત અને દમદમી ટકસાલ એકબીજાની સામે હતા. નિરંકારી સંતની તરફેણ કરનારા ‘પંજાબ કેસરી’ના તંત્રી લાલા જગત નારાયણની હત્યા કરાઇ અને ભિંડરાવાલેએ સરેન્ડર પણ કર્યું પણ પુરાવાના અભાવે તે છૂટી ગયા. સરકાર અને કટ્ટરવાદી શીખો વચ્ચે સંઘર્ષ વઘતો રહ્યો, ભિંડરાવાલે માથાભારે થતા ગયા, બેફામ હિંસા પણ ચાલુ રહી અને 1984માં ઑપરેશન બ્લૂસ્ટાર પાર પાડ્યું અને ભિંડરાવાલે અને તેમના સમર્થકોને ઠાર મરાયા. જો કે તેમાં 83 જવાનના મોત થયા અને 249 ઘાયલ થયા.  બ્લૂસ્ટાર પાર પડ્યા પછી હિંસાનો દૌર નવા સ્તરે પહોંચ્યો વડા પ્રધાન ઇંદિરા ગાંધીની ગોળી મારીને હત્યા કરાઈ, એ પછી શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા, ખાલિસ્તાનીઓએ ફ્લાઇટમાં બોમ્બ બ્લાસ્ટ કરી ભિંડરાવાલેના મોતનો બદલો લીધો. ખાલિસ્તાની આતંકવાદ ચરમ સીમાએ હતો પણ પંજાબ પોલીસ વડા કે.પી.એસ. ગિલને કારણે તે સમયે ખાલિસ્તાની ચળવળ પર પૂર્ણવિરામ મૂકાયું.

જો કે અત્યારે ભારતમાં અને વિદેશમાં જે રીતે ફરી ખાલિસ્તાની ચળવળના ભડકા થવા માંડ્યા છે તે સાબિતી છે આ કોઇપણ નક્કરતા વગરનો ઘોંઘાટ છે.  બહારનાં તત્ત્વો ખાલિસ્તાનીઓને ઉશ્કેરી રહ્યા છે અને આ બહારના તત્ત્વોમાં પાકિસ્તાન પણ સામેલ છે. વળી એમાં અમૃતપાલ સિંઘનો વારિસ પંજાબ દેનું લોકલ છોગું પણ ઉમેરાયું છે. સરહદ પરના રાજ્યમાં અમૃતપાલ સિંઘ અરાજકતા ફેલાવી રહ્યા છે તો વિદેશમાં આપણા જ ડિપ્લોમેટિક મિશન્સ પર હુમલા થઇ રહ્યા છે. ઑસ્ટ્રેલિયા અને બીજા દેશોમાં હિંદુ મંદિરો પર હુમલા કરાયા છે. ખાલિસ્તાની આંદોલનને નામે અત્યારે ભારતમાં થઇ રહેલી હિંસક પ્રવૃત્તિઓ પર કડક પગલાં લેવાય તે જરૂરી છે, તો વિદેશના સંજોગોમાં આપણે અગમચેતી ભર્યાં પગલાં લેવાં પડશે નહીંતર મામલો ધાર્યા કરતાં વધુ બિચકશે.

અમૃતપાલ સિંઘ અને તેના સાથીઓએ ગયા મહિને અજનાલા પોલીસ સ્ટેશનમાં ઘુસી જઇને પોલીસકર્મીઓને ઘાયલ કર્યા. ફ્રિન્જ – કોરે રહેલા ઉગ્ર ગણગણાટને મુખ્ય પ્રવાહમાં આવતા વાર નથી લાગતી. જો આ ઝડપથી કાબૂમાં નહીં લેવાય તો હિંદુ-શીખ વચ્ચેના સામાજિક સંબંધો પર ભારત જ નહીં પણ વિદેશમાં પણ તિરાડ પડશે. ખાલિસ્તાનીઓને એટલું જ જોઇએ છે. ખાલિસ્તાની કટ્ટરવાદ એંશીના દાયકામાં પણ દેશની એકતા માટે જોખમી પુરવાર થઇ ચૂક્યો છે. અત્યારે દિલ્હીમાં જે ચાલી રહ્યું છે તેને કાબૂમાં લાવવા માટે કેન્દ્ર, કૉંગ્રેસ, અકાલી દળ, વહીવટી તંત્રમાં છે એવી આમ આદમી પાર્ટી બધાંએ એક સાથે મળીને પોલીસ દળોને ટેકો આપવો જોઇએ. આપણે જો રાજકારણની હુંસાતુંસીમાં રહી જઇશું તો પંજાબમાં આપણે અલગાવવાદી રાક્ષસને વધુ જોરાવર થવા દેવાની ભૂલ કરીશું. મોદી સરકારે આ વાત તમામ પક્ષ સાથે મળીને એ દૃષ્ટિકોણ પર ગંભીરતાથી વિચાર કરવો જોઇએ કે જો ખાલિસ્તાની જૂથો ફરી સક્રિય થશે તો અત્યારના કોઇ પણ રાજકીય પક્ષની સુસંગતતાનું ઠેકાણું નહીં રહે. યુ.કે., યુ.એસ., કેનેડા અને ઑસ્ટ્રેલિયામાં ચાલી રહેલી ખાલિસ્તાની પ્રવૃત્તિઓને ઠારવા માટે જુદો અભિગમ જોઇશે. અત્યારે તો મુત્સદ્દીભરી રાજનીતિથી બધું સાચવી લેવાશે પણ વૈશ્વિક સ્તરે ભારતનું નીચાજોણું થાય એ માટે જે તત્ત્વો કામે લાગ્યા છે એમને ઉઘાડા પાડવા માટે આપણી પાસે એક રાષ્ટ્ર તરીકે નક્કર દલીલો જોઇએ. વિદેશમાં ખાલિસ્તાનીઓ જે કરી રહ્યા છે એ કરવા માટેની મોકળાશ તેમને શા માટે મળી રહી છે?

શીખો વિદેશમાં રહેતા હોય કે ભારતમાં – પશ્ચિમી રાષ્ટ્રો તેમને લઘુમતીમાં ગણે છે અને માટે જ તેમની સાથેનો તેમને વહેવાર બહુ કાળજીપૂર્વકનો રહ્યો છે. પશ્ચિમી સરકારો તેમની લઘુમતી સામેના ગુનાઓ સંભાળવાને મામલે વધુ પડતી ચિવટ રાખે છે. વળી ઉત્તર અમેરિકા, યુરોપ અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં ઉદારમતવાદી વલણ છે અને ખાલિસ્તાનીઓના દેખાવો અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારમાં ગણાઇ જાય છે. પશ્ચિમમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારને એટલો ગંભીરતાથી લેવાય છે કે તેનો ગેરલાભ લેનારાઓ પાછું વળીને જોતા નથી અને સામે આતંકીઓ બદલો લેવાનું છોડતા નથી. વળી યુ.કે. અને કેનેડાના સીમાંત મતવિસ્તારોમાં મુસ્લિમ અને શીખ મત અગત્યનો છે. આવામાં પાકિસ્તાનીઓ ખાલિસ્તાનીઓને ટેકો આપે તો હિંદુ વિરોધી અથવા ભારત વિરોધી પ્રવૃત્તિઓ પર સીધી અસર પડે. વિદેશમાં ખાલિસ્તાની તરફીઓ પોકળ ઘોંઘાટ કરીને માહોલ ખરાબ કરે છે, તેમને એ નથી સમજાતું કે આંતરારષ્ટ્રીય સ્તરે તેમને ત્યાંથી કોઇ ટેકો નથી મળવાનો. અમુક નવરાઓ ખાલિસ્તાનનો મુદ્દો ગુજરાન ચલાવવાને માટે ચગાવી મારે છે અને વિદેશમાં થતા ચાળાને રોકવા ભારતે પોતાના વિરોધીઓને ત્યાંના રાજકારણીઓ સામે ઉઘાડા પાડી, તેમની સામે ગંભીરતાથી પગલાં લેવાય તેવી માંગ સાથે રાજનૈતિક ચર્ચા છેડવી જોઇએ. જરૂર પડે તો કેન્દ્ર સરકારે વિદેશી સરકારની મદદ લઇને વિદેશમાં ખાલિસ્તાનના અવાજને નાથવો જોઇએ.

બાય ધી વેઃ

ખાલિસ્તાનના મુદ્દાને અગ્રિમતા આપીને ઉકેલવો જરૂરી છે નહીંતર તણખામાંથી ભડકો અને એમાંથી દાવાનળ જેવી સ્થિતિ થતા વાર નહીં લાગે. આ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ છે અને ભા.જ.પા. સરકારને અત્યારે આવી કોઈ પણ વધારાની પળોજણ પોસાય તેમ નથી. અમૃતપાલના સંગઠનને ડૃગ માફિયાઓનું ફંડિગ છે તો પાકિસ્તાની એજન્સી આઇ.એસ.આઇ. સાથે પણ તેના તાર જોડાયેલા છે. અમૃતપાલની આનંદપુર ખાલસા ફૌજ ખાલિસ્તાનના અલગ દેશ બનાવવાની માંગ માટેની લડાઈ કરવાની હતી. ભૂતકાળને વળગી રહેલા અમુક લોકોના આ સમૂહને ભારતની અંદરના અને બહારના અનિષ્ટ તત્ત્વોનો ટેકો મળે છે, હા તેને કારણે અચાનક બધું ખતમ થઇ જાય એમ નથી પણ તેનો અર્થ એવો ય નથી કે જે ત્વરિત પગલાં આપણે લેવાં જોઇએ એમાં આપણે મોડા પડીએ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 માર્ચ 2023

Loading

ભયમુક્તિમાં જે તાકાત છે એટલી તાકાત આ જગતમાં બીજી કોઈ ચીજમાં નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|26 March 2023

રમેશ ઓઝા

કેટલો ભય! ચારે બાજુએ ભયની ભૂતાવળ નજરે પડી રહી છે. વિરોધ પક્ષોનો ભય, કર્મશીલોનો ભય, સ્વતંત્ર ન્યાયતંત્રનો ભય, સ્વતંત્ર મીડિયાનો ભય, બૌદ્ધિકોનો ભય, વિદેશી રાજકીય નિરીક્ષકોનો ભય, તેજસ્વી કલાકારો અને સાહિત્યકારોનો ભય, જેને વિદાય લીધે છ દાયકા થવા આવ્યા એ જવાહરલાલ નેહરુનો ભય અને આજની તારીખે સૌથી વધુ રાહુલ ગાંધીનો ભય. પેલાને બોલતો અટકાવો, બીજાને ખરીદો, ત્રીજાને હેરાન કરો, ચોથાને જેલમાં નાખો, પાચમાંનું સ્થાન ઇતિહાસમાંથી ભૂંસી નાખો. કારણ? કારણ એ કે એ લોકો આપણને માફક ન આવે એવું બોલે છે અને કરે છે અથવા બોલીને કે કરીને ગયા છે. કારણ એ કે, કોને ખબર કાલે પ્રજા કદાચ તેમની વાત સાંભળવા લાગે! માટે અવાજોને રૂંધો.

જેને વિચારતા આવડતું હશે તેને એક વાતનું આશ્ચર્ય થતું હશે. મોહનદાસ કરમચંદ ગાંધી નામના માણસને બદનામ કરીને ભૂંસી નાખવા માટે કેટલી તાકાત અજમાવવામાં આવે છે! જગતના ઇતિહાસમાં ગાંધી પહેલાં એવો કોઈ માણસ નથી થયો જેનાં વિચારોને અને ચિંધેલા માર્ગને ભૂંસવા માટે આટલી પ્રચંડ અને એ પણ સંગઠિત તાકાત અજમાવી પડી હોય. અને છતાં ય એ માણસ મરતો નથી. આશ્ચર્ય એ વાતનું નથી કે એને મારવાના પ્રયાસ કરવામાં આવે છે, આશ્ચર્ય એ વાતનું છે કે એ માણસ મરતો નથી. શા માટે? એનાં અનેક કારણો છે જેમાં એક મહત્ત્વનું કારણ એ છે કે એણે ભારતની પ્રજાના મનમાંથી ભયની ગ્રંથિ ફેંકી દીધી હતી. પ્રજાને લઘુતાની ગ્રંથિથી મુક્ત કરી હતી. ગાંધીજી ઉપર લખાયેલાં હજારો પુસ્તકો જોઈ જાવ, એમાં સર્વત્ર ગાંધીજીનાં યોગદાનની આ વાત અચૂક કહેવાયેલી જોવા મળશે. વિન્સ્ટન ચર્ચિલ અને જનરલ સ્મટ્સ જેવા ગાંધીજીના દુ:શ્મનોએ પણ આ વાતની નોધ લીધી છે અને ભય અનુભવ્યો હતો. આ વાક્ય ફરી વાંચો. ગાંધીની પોતાની નિર્ભયતા અને પ્રજાને ભયમુક્ત કરવાની તેની ક્ષમતા જોઇને તેઓ એટલે કે ડરાવનારાઓ ડર્યા હતા. ડરાવનારાઓ જેનાથી ડરતા હોય એ ખરી તાકાત.

ગાંધીજીનાં એકાદશ વ્રતમાં એક વ્રત છે; સર્વત્ર ભયવર્જનમ્. ભયનું વર્જન અર્થાત્ ભયથી મુક્તિ અને એ પણ સાર્વત્રિક. ભયમુક્તિમાં જે તાકાત છે એટલી તાકાત આ જગતમાં બીજી કોઈ ચીજમાં નથી. પણ પ્રજા જો ભયમુક્ત થઈ જાય તો? પ્રજા જો લઘુતાગ્રંથિથી મુક્ત થઈ જાય તો? પ્રજા જો વિચારતી થઈ જાય તો? પ્રજા જો નૈતિકતાના પક્ષે ઊભી રહેતા શીખી જાય તો? તો કેટલાક લોકોનું રાજકારણ અપ્રાસંગિક થઈ જાય. ગાંધીજીના સમયમાં પણ હિન્દુત્વવાદીઓ હિંદુઓને ભયભીત કરવાનો પ્રયાસ કરતા હતા કે જુઓ, આ ગાંધીની વાત માનશો તો મુસલમાનો છાતી ઉપર ચડી બેસશે. મહમદઅલી ઝીણા મુસલમાનોને ભય બતાવતા હતા કે જો ગાંધીને રસ્તે ચાલશો તો હિંદુઓ મુસલમાનોની છાતી ઉપર ચડી બેસશે. દક્ષિણમાં દ્રવિડ રાજકારણ કરવા માગનારા ડરાવતા હતા કે જો ગાંધીની વાત માનશો તો આર્ય હિંદુઓ આપણી છાતી ઉપર ચડી બેસશે. દલિત નેતાઓ દલિતોને ડરાવતા હતા કે જો ગાંધી પર ભરોસો કરશો તો બ્રાહ્મણો દલિતોની છાતી ઉપર ચડી બેસશે. સ્થિતિ એવી હતી કે એક માણસ પ્રજાને ડરમુક્ત કરતો હતો તો બીજી બાજુ પ્રજાને ડરાવવાનું પોતપોતાનું કોરસગાન ચાલતું હતું. આમ છતાં ય એ માણસ બીજાં કરતાં લાંબી રેખા ખેચી ગયો અને આજે પણ હજાર પ્રકારના સંગઠિત પ્રયાસો પછી પણ એ મરતો નથી.

ગાંધી જેને ભયમુક્ત કરતો હતો એ ભારતીય પ્રજા હતી અને જે લોકો જે પ્રજાને ડરાવતા હતા એ ભારતીય સિવાયની બીજી પ્રજા હતી. હિંદુ હતા, મુસલમાન હતા, દ્રવિડ હતા, દલિત હતા, બ્રાહ્મણ હતા, મરાઠી કે અન્ય ભાષિક હતા, પટેલ કે મરાઠા હતા અને બીજી અનેક પ્રકારની ઓળખ ધરાવનારી પ્રજા હતી; પણ ભારતીય નહોતી. તેઓ ભારતમાં વસતા હતા એટલા સીમિત અર્થમાં જ ભારતીય હતા. તેમનો પ્રાણ ભારતીય નહોતો.

ભયમુક્ત થવું હોય તો ભારતીય બનવું પડે, ના માણસ બનવું પડે. માણસ સિવાયની કોઈ પણ ઓળખ ધરાવનારો, ફરી કહું છું કોઈ પણ ઓળખ ધરાવનારો માણસ ભયમુક્ત ન થઈ શકે. ટૂંકમાં ભારતીય પ્રજા ભારતીય ન બને અને આગળ જઇને માણસ તરીકેની વ્યાપક ઓળખ ન અપનાવે એ માટે ડરાવનારાઓ પ્રયાસરત હતા. કોઈ માણસ ખરા અર્થમાં ‘માણસ’ ત્યારે જ બની શકે જ્યારે એ માનવીય મૂલ્યોને અપનાવે. ગાંધીજી ભારતીય પ્રજાને ભયમુક્ત ‘માણસ’ બનાવવા માગતા હતા અને એ જોઇને ગભરાઈ ગયેલા સાવરકરે કહ્યું હતું કે માણસાઈ એ સદ્દગુણવિકૃતિ છે.

આજે ડરનારાઓ અને ડરાવનારાઓ સત્તામાં છે. ઉપરના વિવેચન પછી એટલું તો સમજાઈ ગયું હશે કે ડર એ તેમની સત્તાનાં રાજકારણનું ઉપાદાન કારણ છે. જેમ ઘડાનું ઉપાદાન કારણ માટી છે એમ. માટી ન હોય તો ઘડો ન બની શકે એમ જો ડર ન હોય તો ઓળખનું રાજકારણ સંભવી ન શકે. બન્યું એવું કે હિંદુઓને ડરાવનારા હિન્દુત્વવાદીઓ સત્તામાં આવ્યા એ પહેલાં મુસલમાનોને ડરવાનારા મુસ્લિમ લીગીઓ પાકિસ્તાનની સ્થાપના કરીને પહેલાં સત્તામાં આવ્યા. અને એ પછી તેમણે પાકિસ્તાની મુસલમાનોને ડરાવવાનું શરૂ કર્યું, જે આજે ભારતમાં જોવા મળી રહ્યું છે. ભારતનો ભય, અલગ દેશ મેળવ્યા પછી પણ હિંદુઓનો ભય, પશ્ચિમનો ભય, કહેવાતા ઇસ્લામવિરોધીઓનો ભય, આધુનિક મૂલ્યોમાં વિશ્વાસ ધરાવનારાઓનો ભય, વિચારનારાઓ અને પ્રશ્ન પૂછનારાઓનો ભય, વગેરે. ભય ભય ભય સાર્વત્રિક ભય. અને એ પછી ભય બતાવીને ભિન્ન અને સ્વતંત્ર અવાજોને રૂંધવાનું શરૂ થયું કે જેથી કોઈ સત્તામાં ભાગીદાર પેદા ન થાય. માત્ર પાકિસ્તાન નહીં, દુનિયાના ઘણા દેશોમાં ભયનું રાજકારણ અસ્તિત્વમાં હતું અને છે. સોવિયેત રશિયા આનું એક મોટું ઉદાહરણ છે. સામ્યવાદી રશિયામાં ભય બતાવીને જુલમ કરવામાં આવતા હતા.

પરિણામ શું આવ્યું? પાકિસ્તાન અને રશિયામાં શું બન્યું અને બની રહ્યું છે? બન્ને દેશો બરબાદ થઈ ગયા અને વિશ્વમાં કોડીની આબરૂ નથી. હિંદુઓને ડરાવનારા હિંદુત્વવાદીઓ હવે સત્તામાં આવ્યા છે અને તેઓ પણ એ જ કરી રહ્યા છે જે ઇસ્લામવાદીઓ અને સામ્યવાદીઓ કરી રહ્યા છે કે કરતા હતા. સો ટકા આપણું પણ ભવિષ્ય એ જ હશે જે પાકિસ્તાન અને રશિયાનો વર્તમાન છે. કારણ કે ભય એ ઓળખ આધારિત સત્તાના રાજકારણનું ઉપાદાન કારણ છે.

અહી એક પ્રશ્ન વિચારવા જેવો છે. ૧૯૪૭માં દેશ આઝાદ થયો અને પહેલી કાઁગ્રેસની સરકાર આવી એણે આજના શાસકોની જેમ ડરવા અને ડરાવવાનું સત્તાકીય રાજકારણ અપનાવ્યું હોત તો? પ્રજાને ડરાવવા માટેનાં કારણો જોઈએ એટલાં મળી રહે એમ હતાં. પણ તેમણે એમ કર્યું નહોતું. ગાંધીજીએ તેમને લઘુતાગ્રંથિથી મુક્ત આત્મવિશ્વાસપૂર્વક જગતમાં ભારતની જગ્યા બનાવતા શીખવ્યું હતું. વિરોધ કરનારાઓને બોલવા દીધા હતા. વિરોધીઓને પોતાની જગ્યા બનાવવાની તક રોળી નહોતી નાખી. ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પક્ષ ગાંધીએ શીખેવેલી મૂલ્યનિષ્ઠાના લાભાર્થી છે. જો જવાહરલાલ નેહરુ અને કાઁગ્રેસીઓએ રોતલું રાજકારણ કરીને એ સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘનો ટોટો પીસી નાખ્યો હોત તો? તેઓ કરી શકે એમ હતા. આજે બી.જે.પી. જેટલી તાકાત ધરાવે છે એનાથી પાંચ ગણી વધુ તાકત ત્યારે કૉંગ્રેસ ધરાવતી હતી. આજે નરેન્દ્ર મોદી જે વગ ધરાવે છે એનાથી અનેકગણી વધુ વગ નેહરુ ધરાવતા હતા અને એ પણ પોતીકી ખરીદેલી નહીં. ધારત તો જનસંઘને દૂધપીતો તેઓ કરી શક્યા હોત. પણ તેમણે તેમ કર્યું નહોતું.

આ ફરક છે ભય અને નિર્ભયતામાં. આ ફરક છે લઘુતાગ્રંથિ અને આત્મવિશ્વાસમાં. આ ફરક છે સદ્દગુણમાં અને સદ્દગુણવિકૃતિમાં.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 માર્ચ 2023

Loading

...102030...1,0601,0611,0621,063...1,0701,0801,090...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved