બે શબ્દો સ્વરાજની ચાલુ લડાઈ સંદર્ભે
1942ના યુવક હૃદય સમ્રાટ જયપ્રકાશ પચીસ વર્ષે પુનઃ કેન્દ્રમાં જયપ્રકાશ આવ્યા ત્યારે દેશજનતાએ રાજશક્તિ પર લોકશક્તિની સરસાઈની સાક્ષાત્કારક શક્યતાનો સંજીવની આંચકો અનુભવ્યો હતો.
સન બયાલીસના ‘હિંદ છોડો’ માહોલની ભારેલી સ્મૃતિ સોતો કલમ ઉપાડી રહ્યો છું. ત્યારે સ્વરાજની ચાલુ લડાઈ સબબ ત્રણ બાબતો એક સાથે નજર સમક્ષ આવે છે.
સોમવાર ને સાતમીએ સપ્તાહ સોજ્જ બેઠું : રાહુલ ગાંધી લોકસભામાં પુનઃ પ્રતિષ્ઠ થયા. આગલે દહાડે છઠ્ઠીએ કડખેદ ગદ્દરે ચિરવિદાય લીધી, અને પાંચમી ઓગસ્ટે એસ.યુ.સી.આઈ.ના સ્થાપક શિવદાસ ઘોષનું શતાબ્દી પર્વ ઉજવાયું. આ ત્રિપદી જેટલી તારીખી છે, એટલી જ તવારીખી પણ.
રાહુલનો વિકાસકિસ્સો શેક્સ્પિયરના રોમિયો જેવો છે. કાલ્પનિક પ્રેમમાં એ વધતી વયે પણ વયસ્ક થયો નહોતો. જેવો ખરેખર પ્રેમમાં પડ્યો કે પરિણત પુખ્તતાના અણસાર દેખાવા લાગ્યા. પદયાત્રા ઉત્તર એણે એક આભા ને સ્વીકૃતિ પ્રાપ્ત કરી. મુદ્દો એ છે કે, આ દરમિયાન પરિવર્તનની હદે નહીં પણ પડકારની કંઈક ભોંય કેળવાતી આવે છે. આંદોલનાત્મક કોશિશ અને ચૂંટણીજંગનું પારસ્પર્ય કેવુંક ને કેટલુંક હશે તે અલબત્ત જોવું રહે છે. લોકશાહી એ કેવળ ચૂંટણીગત હારજીતનો મામલો નથી અને પાર્ટી માત્રનું ભવિતવ્ય કેવળ ને કેવળ ઇલેક્શન એન્જિનમાં ઊગીને આથમે એ બેમતલબ છે. લોક અને શાસન વચ્ચે સાર્થક સંબંધની એક સોઈ આંદોલનમાં પડેલી છે, પણ એ સંભાવનાનો સંસદીય પડઘો પડે તે ય જરૂરી છે.
અહીં ક્રાંતિકારી જોધ્ધા ગદ્દરની યાદ લાજિમ છે. એ ક્યારેક – અમદાવાદ પણ આવી ગયા છે – સરૂપ ધ્રુવ મનીષી જાની, રાજુ સોલંકી જેવાની સ્મૃતિમાં એ રીતે સજીવ પણ હશે. આમ તો એમનું માઓવાદી સંધાન (કેટલા ગુજરાતીઓને યાદ હશે ન્યાયમૂર્તિ ભગવતીનો એ ચુકાદો કે માઓવાદી પ્રચાર સાહિત્યનું પ્રકાશન તે સ્વતઃ કોઈ ગુનો બનતો નથી.)
ગદ્દર ક્યારેક સ્વતંત્ર તેલંગાણા સારુ લડ્યા હતા, કેમ કે નવા એકમમાં જૂની જમીનદારશાહીને નવી મલ્ટિનેશનલ કંપનીશાહીમાંથી આમ આદમીને છોડાવી શકાશે એવી આશા હતી …. પણ એમને હિસ્સે નવા રાજ્યમાં બંદી બનવાનું આવ્યું! હમણેના વરસોમાં એમને લાગતું હતું કે પોતે જે આંદોલનો જગવે છે એને સારું સંસદીય પ્રવેશબારી જરૂરી છે. એમણે આગવો પક્ષ સ્થાપ્યો, પણ ચૂંટણી ભાળે એ પહેલાં જ ગયા.
હવે થોડું શિવદાસ ઘોષ ને એસ.યુ.સી.આઈ. નિમિત્તે. ખરું જોતાં, સ્થાપિત સામ્યવાદી પક્ષો કરતાં એની જુદી ભાત જોતાં એ તો એક સ્વતંત્ર પ્રબંધવિષય છે, જેમ ગદ્દરને પણ થોડી લીટીમાં ખતવ્યા તે મુદ્દલ ઠીક નથી. શિવદાસ ઘોષ મૂળે અનુશીલન સમિતિનું ફરજંદ, આગળ ચાલતાં, આંતરરાષ્ટ્રીય સામ્યવાદી ચળવળમાં લેનિન સાથે બરોબરીથી ચર્ચા કરી શકતા એમ.એન. રોયથી પ્રભાવિત. પણ સામ્યવાદી પક્ષની આરંભિક અવઢવ અને રોયથી વિપરીત સન બયાલીસની લડતમાં પૂરેવય. કારાવાસની સઘન અભ્યાસ તકે એમને માર્ક્સવાદની – લેનિનવાદ વિશે ભારતના તળ સંદર્ભ સમેત સજ્જ કર્યા. રાજા રામમોહન રાય, ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર, શરદબાબુ, નઝરુલ ઇસ્લામ આદિના રેનેસાં અભિગમ અને સાંસ્કૃતિક પિછવાઈ પરની આંદોલન જમાવટ ને પક્ષબાંધણીનો એક નવો અધ્યાય તે એસ.યુ.સી.આઈ. – સોશલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા : જય પ્રકાશના આંદોલન વખતે જમણેરી સામ્યવાદી પક્ષે ઇન્દિરાજીની જોડે રહેવું પસંદ કર્યું. ડાબેરી સામ્યવાદી પક્ષ જેપી સાથે રહ્યો, પણ સલામત અંતરે. બંનેથી વિપરીત એસ.યુ.સી.આઈ.એ આંદોલનના અગ્નિદિવ્યમાં પૂરી તાકાતથી ઝુકાવ્યું.
જયપ્રકાશ પર્વમાં આપણે શું જોયું? આંદોલનની આબોહવામાં અનેરો ચૂંટણીજંગ, અને જનતા રાજ્યારોહણ : રાજશક્તિ પર લોકશક્તિની આણની આશા રૂપ લોકશાહી પુનઃ પ્રતિષ્ઠા ટૂંકજીવી પણ, સત્તા સામે જનતાના રુક્કાનો એ સાક્ષાત્મક હતો.
આ આબોહવા, રીનેસાંસનો આ સ્પંદ, સંસદીય લોકશાહીમાં પ્રજાસૂય ઊંજણ વાસ્તે જરૂરી છે. સાત ક્રાંતિ, સંપૂર્ણ ક્રાંતિ જેવા વ્યાપક દર્શન સાથે લડતા રહો અને લડતના જ એક ઉન્મેષ રૂપે ચૂંટણી સાથે કામ પાડો અને તમે જોશો કે …
ખેર, મે 2024ના ઉંબરમહિનાઓમાં આ બે શબ્દો સ્વરાજની ચાલુ લડાઈ સંદર્ભે.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 09 ઑગસ્ટ 2023