ભારતનું બંધારણ પરિવર્તનશીલ છે. સમય અને સંજોગો પ્રમાણે તેમાં ફેરફાર કે સુધારા કરી શકાય છે. બંધારણના ઘડવૈયાઓએ બંધારણમાં જ સુધારાની સત્તા અને પ્રક્રિયાની જોગવાઈ કરી છે. ૨૬મી નવેમ્બર ૧૯૪૯ના રોજ બંધારણ સભાએ પસાર કરેલ અને ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ અમલમાં આવેલ બંધારણમાં ૩૯૫ અનુચ્છેદ, ૨૨ ભાગ અને ૮ અનુસૂચિ હતા. આજે તેમાં ૪૪૮ અનુચ્છેદ, ૨૫ ભાગ અને ૧૨ અનુસૂચિ છે. બંધારણ અમલમાં આવ્યાના સવા સાત દાયકામાં, જાન્યુઆરી ૨૦૨૩ની સ્થિતિએ, ૧૦૫ બંધારણ સુધારા થયા છે. એટલે વરસે સરેરાશ બે બંધારણ સુધારા થાય છે.
બંધારણના ભાગ ૨૦, અનુચ્છેદ ૩૬૮માં બંધારણ સુધારા અંગેની સંસદની સત્તા અને સુધારાની પ્રક્રિયા દર્શાવી છે. સંસદના કોઈ પણ ગૃહમાં બંધારણ સુધારા વિધેયક રજૂ કરી શકાય છે. તેની મંજૂરી માટે જે તે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી, ગૃહમાં હાજર અને મતદાન કરનારા સભ્યોની બેતૃતીયાંશ બહુમતીની આવશ્યકતા છે. કેટલીક ખાસ બંધારણીય જોગવાઈ, ખાસ કરીને રાજ્યોને સંલગ્ન જોગવાઈઓમાં સુધારા માટે ૨/૩ બહુમતી ઉપરાંત દેશના કુલ રાજ્યો પૈકીના અડધા રાજ્યોની વિધાનસભાના સમર્થન પ્રસ્તાવ પછી જ બંધારણ સુધારો રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી શકાય છે.
૧૯૫૧માં, બંધારણના અમલના બીજા જ વરસે, અસ્થાયી સંસદે પહેલો બંધારણ સુધારો કર્યો હતો. ૨૦૨૧માં એકસો પાંચમો સુધારો થયો છે. કેટલાક બંધારણ સુધારા બહુ જ મહત્ત્વના છે તો કેટલાક બંધારણીય જોગવાઈઓ નિભાવવા માટે કરવા પડ્યા છે. એકસો પાંચ સુધારામાં સાત સુધારા તો દર દાયકે અનુસૂચિત જાતિ-જનજાતિની રાજકીય અનામતો વધારવા અંગેના છે ! એક આડવાત તરીકે એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે એસ.સી. એસ.ટી.ની નોકરીઓ અને શિક્ષણની અનામતની કોઈ સમયમર્યાદા નથી. માત્ર લોકસભા અને રાજ્યોના વિધાનગૃહોની રાજકીય અનામત બેઠકોની મર્યાદા મૂળ બંધારણમાં દસ જ વરસની છે. તેને કોઈ પણ રાજકીય પક્ષની કેન્દ્ર સરકાર બંધારણ સુધારા મારફતે લગભગ સર્વાનુમતિથી વધુ દસ વરસ લંબાવે છે. રાજ્યોનાં નામો બદલવા કે ભાષાઓને આઠમી અનુસૂચિમાં સામેલ કરવા અંગેના સુધારા સામાન્ય બંધારણ સુધારા ગણી શકાય.
તાનાશાહ કાઁગ્રેસી વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી દરમિયાન ૧૯૭૬માં થયેલો બેતાળીસમો બંધારણ સુધારો ખૂબ જ વિસ્તૃત અને વિવાદાસ્પદ હતો. આ બંધારણ સુધારાને અભ્યાસીઓ લધુ બંધારણ ગણાવે છે. બેતાળીસમા બંધારણ સુધારામાં આમુખમાં ત્રણ શબ્દો(સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડતા)નો ઉમેરો કરવામાં આવ્યો, મૂળભૂત ફરજોનું પ્રકરણ ઉમેરવામાં આવ્યું, લોકસભા અને વિધાનસભાઓની મુદ્દત પાંચને બદલે છ વરસની કરવામાં આવી, વડા પ્રધાનની ચૂંટણીને કોર્ટમાં પડકારી શકાશે નહીં તેવો ન્યાયતંત્રને પાંગળુ બનાવતો સુધારો કર્યો તો રાજ્યોની સત્તા ઘટાડતો શિક્ષણ, વનસંપદા અને વસ્તી નિયંત્રણના વિષયોને રાજ્યને બદલે સમવર્તી યાદીમાં સમાવવામાં આવ્યા. જો કે તે પછી સત્તામાં આવેલી જનતા પક્ષની સરકારે ૧૯૭૮ના ચુંમાળીસમાં બંધારણ સુધારા મારફતે બેતાળીસમા સુધારાની મોટાભાગની બાબતો રદ્દ કરી હતી.
કેટલાક બંધારણ સુધારા મહત્ત્વના, લાંબા ગાળાની અસરો જન્માવતા અને અસામાન્ય છે. ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવા અંગેનો ૧૯૫૬નો સાતમો સુધારો, મિલકતના અધિકારને મૂળભૂત અધિકારમાંથી રદ્દ કરતો ૧૯૭૮નો ૪૪મો સુધારો, મતદાન માટેની વય એકવીસ વરસથી ઘટાડીને અઢાર કરવા અંગેનો ૧૯૮૯નો એકસઠમો સુધારો, પંચાયતી રાજ સંબંધી ૧૯૯૨-૯૩ના ૭૩મા અને ૭૪મા સુધારા, તમિલનાડુમાં અનામતની ટકાવારી ૫૦ ટકા કરતાં વધુ (૬૯ ટકા) કરતા કાયદાને બંધારણ કે ન્યાયિક સમીક્ષાથી પર ગણવા તેને નવમી અનુસૂચિમાં સામેલ કરવા સંબંધી ૧૯૯૪નો છોંતેરમો સુધારો, છથી ચૌદ વરસનાં બાળકોને ફરજિયાત અને મફત શિક્ષણનો અધિકાર આપતો ૨૦૦૨નો ૮૬મો સુધારો, કેન્દ્ર અને રાજ્યોના મંત્રીમંડળની સંખ્યા લોકસભા કે વિધાનસભાના કુલ સભ્યોની સંખ્યાના પંદર ટકા નિર્ધારિત કરતો ૨૦૦૩નો ૯૦મો સુધારો આવા અસામાન્ય બંધારણ સુધારા છે.
નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની વર્તમાન કેન્દ્ર સરકારે તેની બે ટર્મ (૨૦૧૪-૧૯ અને ૨૦૨૦-૨૪) દરમિયાન અત્યાર સુધીમાં સાત બંધારણ સુધારા કર્યા છે. ન્યાયાધીશોની નિમણૂક અંગેની હાલની કોલેજિયમ સિસ્ટમને બદલે રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગ (૨૦૧૫નો ૯૯મો સુધારો), એક દેશ, એક કર માટેનો જી.એસ.ટી. અધિનિયમ (૨૦૧૬નો ૧૦૧મો સુધારો), સામાન્ય શ્રેણીના આર્થિક નબળા વર્ગોને શિક્ષણ અને નોકરીઓમાં ૧૦ ટકા અનામતનો કાયદો અને તેને અદાલતી સમીક્ષાથી પર ગણવા નવમી અનુસૂચિમાં સામેલ કરવો (૨૦૧૯નો ૧૦૩મો સુધારો), સામાજિક –શૈક્ષણિક પછાતવર્ગોની ઓળખ કરી તેની યાદી જાહેર કરવાની રાજ્યોને સત્તા આપતો ૨૦૨૧નો ૧૦૫મો બંધારણ સુધારો તે પૈકીના છે.
બંધારણ સુધારા વિધેયક માત્ર સંસદના બે ગૃહોમાં જ રજૂ કરી શકાય છે. રાષ્ટ્રપતિ પાસે તેની કોઈ આગોતરી મંજૂરી લેવાની હોતી નથી. વળી રાષ્ટ્રપતિ તેને અન્ય વિધેયકની જેમ પુનર્વિચાર માટે પરત કરી શકતા નથી. બંધારણ સુધારા વિધેયકને મંજૂર કરવા તેઓ બાધ્યકારી છે. જો કે બંધારણ સુધારાની પ્રક્રિયા પ્રમાણે કેન્દ્ર સરકાર પાસે બંને ગૃહોમાં ઠરાવેલી બહુમતી હોવી અનિવાર્ય છે. જો બહુમતી ના હોય તો બંધારણ સુધારા ખરડા માટે સંસદનું સંયુક્ત સત્ર બોલાવી શકાતું નથી. જ્યાં રાજ્યોની અનુમતી જરૂરી છે તેવા બંધારણ સુધારા માટે રાજ્યો માટે કોઈ સમય સીમા નિર્ધારિત નથી તેથી બંધારણ સુધારા માટે રાજ્યસભામાં બહુમતીનો અભાવ જેમ બાધક છે તેમ દેશના અડધા રાજ્યોની સંમતિ અને અચોક્કસ સમય પણ બાધક બની શકે છે.
સંસદને બંધારણ સુધારાની સત્તા જરૂર છે પણ તેની આ સત્તા પર લગામ પણ મૂકાયેલી છે. કોઈપણ બંધારણ સુધારા ન્યાયિક સમીક્ષાથી પર નથી. એકસો પાંચ બંધારણ સુધારામાંથી સર્વોચ્ચ અદાલતે નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટ કમિશન અંગેના એક જ બંધારણ સુધારાને ગેરબંધારણીય ઠેરવી રદ્દ કર્યો છે પરંતુ અદાલત સમીક્ષા કરી શકે છે. કેશવાનંદ ભારતી કેસના જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે સંસદ બંધારણના મૂળભૂત માળખામાં કે તેના હાર્દને અસર થાય તેવા કોઈ સુધારા કરી શકશે નહીં.
ભારતનું બંધારણ સ્થિતિસ્થાપક છે. તેમાં સુધારાની પ્રક્રિયા અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને સ્વિત્ઝરલેન્ડના બંધારણ જેવી અતિ કઠિન નથી તો બ્રિટનના જેવી સાવ સરળ પણ નથી. આયરિશ બંધારણમાં સરળતાથી સુધારા તો થઈ શકે છે, પરંતુ તે માટે બહુમતી જનતાનું સમર્થન અનિવાર્ય છે. બંધારણના ઘડવૈયા ડો. આંબેડકર સુધારા માટે સંસદમાં ૨/૩ બહુમતીની જરૂરિયાતને બહુ સરળ માનતા હતા. ભારતની ચૂંટણી વ્યવસ્થામાં સત્તા પક્ષને કુલ મતદાનના ૫૦ ટકા કરતાં ઘણા ઓછા મત મળે છે પરંતુ બેઠકો વધુ મળે છે. વોટશેર અને બેઠકો વચ્ચેનું આ અસંતુલન કેન્દ્રમાં ૨/૩ બેઠકોની બહુમતી ધરાવતા સત્તાપક્ષને અનૂકૂળ હોય તેવા બંધારણ સુધારા માટે અવકાશ પૂરો પાડે છે. ઇન્દિરાઈ કટોકટી વખતના બેતાળીસમા સુધારાના અનુભવ પછી પણ આ દિશામાં ગંભીરતાથી વિચારાતું નથી.
e.mail : maheriyachandu@gmail.com