Opinion Magazine
Number of visits: 9458165
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઈઝરાયેલમાં નેતન્યાહૂનો લોકશાહી સામે બળવો!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|3 April 2023

રાજ ગોસ્વામી

ઈઝરાયલ આજકાલ તેના રાજકીય ઇતિહાસના સૌથી મુશ્કેલ દૌરમાંથી પસાર થઇ રહ્યું છે. તેની બેન્જામિન નેતન્યાહૂ સરકાર દેશની ન્યાયપાલિકા(જ્યુડિસિયરી)માં મોટાપાયે બદલાવ લાવવા માંગે છે અને તેનો છેલ્લા ત્રણ મહિનાથી એટલો વિરોધ થઇ રહ્યો છે કે પાછલા દિવસોમાં દેશની જનતા સડકો પર ઊતરી આવી હતી. જનતાનો એ વિરોધ એટલો આક્રમક હતો કે નેતન્યાહૂએ ઘૂંટણીએ પડીને ન્યાયિક સુધારના પ્રસ્તાવને કામ ચલાઉ પાછો ખેંચી લઈને વિરોધીઓને આ વિવાદિત યોજના પર સમજૂતી કરવાનો સમય આપ્યો છે. વિરોધીઓ જો કે સમગ્ર પ્રસ્તાવને જ ખારીજ કરવા અડી ગયા છે.

લોકોમાં ગુસ્સો વધુ તો ત્યારે ફૂટી નીકળ્યો જ્યારે નેતન્યાહૂએ આ પ્રસ્તાવનો વિરોધ કરતાં તેમના રક્ષા મંત્રીને ગયા સોમવારે બરખાસ્ત કરી દીધા હતા. હિંસક પ્રદર્શનો અને હડતાળના પગલે દેશનું જન-જીવન ખોરવાઈ ગયું, વિમાનો ઊભાં કરી દેવાં પડ્યાં, હોસ્પિટલોમાં સેવા બંધ થઇ ગઈ, મોલ અને બેંકોએ શટર પાડી દીધાં.

નેતન્યાહૂએ તત્કાળ તો દેશને ગૃહયુદ્ધમાંથી બચાવી લીધો છે, પરંતુ રાજકીય નિરીક્ષકો હજુ અવઢવમાં છે કે આવનારા દિવસોમાં શું થશે. તેઓ નવી કાનૂની સુધાર તો કરવા માટે મક્કમ જ છે કારણ કે તેનાથી તેમની પાસે અમર્યાદ સત્તા આવી જવાની છે. જાણકાર લોકોને શંકા છે કે વિરોધીઓ કેવી રીતે સમજૂતી કરશે.\

સરકારના ટીકાકારો કહે છે કે સૂચિત કાનૂન અને બદલાવથી દેશમાં લોકતંત્ર ખતમ થઇ જશે. નેતન્યાહૂની સરકાર આ સુધારાઓ મારફતે સુપ્રીમ કોર્ટની તાકાતને સીમિત કરવા માંગે છે. જજોની નિમણૂકમાં સરકારની દખલ વધવા ઉપરાંત ખાસ તો કોઈ કાનૂનને રદ્દ કરવાની કોર્ટની સત્તા ખતમ થઇ જશે. ટૂંકમાં, સંસદ કોર્ટ પર હાવી થઇ જશે.

સુધારાઓના બિલમાં એવી પણ જોગવાઈ છે કે વડા પ્રધાનને ભ્રષ્ટાચારના આરોપસર પદ પરથી હટાવી નહીં શકાય (નેતન્યાહૂ પર ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આરોપ ઘણા વખતથી છે). બિલ પ્રમાણે, વડા પ્રધાન શારીરિક કે માનસિક રીતે અક્ષમ હોય તો જ પદ પરથી હટાવી શકાય. દેશના વિપક્ષી નેતાઓ, બુદ્ધિજીવીઓ, પત્રકારો, સરકારી અને સેનાના નિવૃત્ત અફસરો કહે છે કે નેતન્યાહૂ કાનૂનના નામે પાછલા બારણેથી તાનાશાહી લાવી રહ્યા છે.

ઈઝરાયેલના જગપ્રસિદ્ધ લેખક અને પ્રોફેસર યુવલ નોઆ હરારી તો શબ્દો ચોર્યા વગર નેતન્યાહૂની હરકતને ‘કૂ’ એટલે કે તખ્તાપલટો કહે છે. તેલ અવિવના લોકપ્રિય સમાચાર ‘હારેત્ઝ’માં લખેલા એક ધારદાર લેખમાં તેઓ કહે છે કે ઈઝરાયેલી સરકાર જે કરી રહી છે તે ન્યાયિક સુધાર નથી, તે તખ્તાપલટો છે. લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલી સરકાર સંસદમાં તેની બહુમતીના જોરે એક બિલ મારફતે કાનૂનોમાં ફેરફાર કરે તેને રાજ્ય વિરોધી વિદ્રોહ કહેવો એ આત્યાંતિક કે વિચાર્યા વગરનું વિધાન ન કહેવાય?

હરારીને ખબર છે કે તો શું લખી રહ્યા છે અને તેના સમર્થનમાં તર્ક પણ આપે છે. માનવજાતિના ઇતિહાસ પર ‘સેપિયન્સ’ નામનું વિક્રમી પુસ્તક લખનાર હરારી કહે છે કે ઇતિહાસમાં બે પ્રકારના તખ્તાપલટ થયા છે. પહેલા પ્રકારના તખ્તાપલટમાં નીચેથી, એટલે કે સૈન્યના સ્તરેથી વિદ્રોહ થાય. જેમ કે કોઈ કમજોર, ગરીબ અને ભ્રષ્ટ દેશમાં લશ્કરના જનરલને એક દિવસ એવો વિચાર આવે કે દેશ બરાબર ચાલતો નથી અને તેના માટે મારે કશુંક કરવું પડશે. 

બીજા દિવસે, રાજધાનીની સડકો પર સેનાની ટેંકો ફરવા લાગે. સશસ્ત્ર દળોની એક ટુકડી સંસદને ઘેરી લે, બીજી એક ટુકડી વડા પ્રધાનના નિવાસ્થાન પર ધાવો બોલે અને તેમને હાથકડી પહેરાવી દે અને ત્રીજી ટુકડી દેશના ટી.વી. તેમ જ રેડિયો સ્ટેશન પર કબજો જમાવી દે, જ્યાંથી જનરલ દેશને નામ સંદેશમાં ઘોષણા કરે કે જનતાની ભલાઈ માટે મેં દેશની કમાન હાથમાં લીધી છે.

જેમ કે 1958, પાડોશી પાકિસ્તાનમાં 1958માં ફિરોઝ ખાન નૂનની સરકારને બરખાસ્ત કરીને આર્મી કમાન્ડર ઇન ચીફ જનરલ અયૂબ ખાને સત્તા હાથમાં લીધી હતી. વિદ્રોહની વાત આવે ત્યારે લોકો તેનો અર્થ એવો જ કરે છે કે નાકામ કે ભ્રષ્ટ સરકાર હોય તો દેશહિત માટે સેના અથવા રાજકીય દળ, સંપ્રદાય કે વિદ્રોહી જૂથ તેને ઉથલાવીને ગેરકાનૂની રીતે ખુરશીમાં બેસી જાય. દુનિયા આવા તખ્તાપલટથી પરિચિત છે.

હરારી કહે છે, બીજા પ્રકારનો તખ્તાપલટ પણ ઇતિહાસમાં એટલો જ સામાન્ય છે, પરંતુ એ ‘ઉપર’થી થાય છે એટલે લોકો તેને ઓળખી શકતા નથી. ‘ઉપરથી તખ્તાપલટ’ ત્યારે થાય જ્યારે બંધારણીય રીતે સત્તામાં આવેલી સરકાર તેને બાધ્ય કરે તેવાં કાનૂની નિયંત્રણો દૂર કરીને અમાપ સત્તાઓ હાંસલ કરી લે. ઇતિહાસમાં આ પ્રકારની યુક્તિ બહુ જૂની છે; પહેલાં કાનૂનના રસ્તે સત્તામાં આવવાનું અને પછી એ જ સત્તાનો ઉપયોગ કરીને એ કાનૂનને કમજોર કરી નાખવાના.

સ્પેનિશ ભાષામાં આના માટે એક શબ્દ પણ છે; ઓટોગોલ્પે. આપણી સુવિધા માટે તેને ‘સેલ્ફી-કૂ’ કહી શકાય; સરકાર અથવા સરકારમાં બેઠેલો માણસ જાતે જ કૂ કરે તે. આવો તખ્તાપલટ સમજમાં ના આવે. તેમાં ટેંકો સડકો પર ન ફરે, સંસદને કબજે કરવામાં ન આવે કે ટી.વી. સ્ટેશન પરથી વિધિસર ઘોષણા ન થાય. આવો તખ્તાપલટ બંધ બારણાઓ પાછળ થાય.

તેમાં એવા નિયમો અને કાનૂનો બનાવામાં આવે જેમાં સરકાર ઈચ્છા પ્રમાણે કરી શકે અને તેને પૂછવાવાળું / રોકવાવાળું કોઈ ન હોય. તેમાં કાનૂન અને પોલીસની મદદથી બંધારણીય સંસ્થાઓ અને સિવિલ સોસાઈટીનાં જૂથો પર ‘સ્ક્રૂ’ ટાઈટ કરવામાં આવે અને વિરોધીઓને દેશના દુ:શ્મન જાહેર કરવાને બદલે અલગ-અલગ ગુનાઓમાં અપરાધી ઘોષિત કરવામાં આવે અને તેમની બોલતી બંધ કરવામાં આવે અથવા જેલમાં નાખવામાં આવે. સરકાર તેને ‘કૂ’નું નામ ન આપે. સરકાર તેને ‘જનહિતમાં કાનૂની સુધાર’નું નામ આપે.

આવા ‘ઉપરથી થયેલા તખ્તાપલટ’નાં ઉદાહરણ રશિયાના પુતિનમાં, તુર્કીના રેચપ તય્યપ એર્ડોગનમાં, હંગેરીના વિકટર ઓર્બાનમાં વેનેઝુએલાના હ્યુગો ચાવેઝ / નિકોલસ માદુરોમાં છે. ઈઝરાયેલમાં જે થઇ રહ્યું છે તે, વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ લોકોને કહે છે તેમ, સાચેસાચ દેશને વધુ મજબૂત બનાવવા માટેના સુધાર છે કે અઘોષિત ‘સેલ્ફી-કૂ’ છે?

હરારી તેનો તર્ક આપતાં લખે છે કે આ પ્રશ્નનો ઉત્તર એ પ્રતિપ્રશ્નમાં છે કે નવા સુધારમાં સરકાર પર નિયંત્રણો છે? સરકારો જ્યારે કાનૂન અને નૈતિકતાની સીમામાં રહીને સુધાર કરે ત્યારે તે તેને મળેલી સત્તા પરનાં ચેક્સ એન્ડ બેલેન્સીસનું સન્માન કરે જેથી ભવિષ્યમાં આવનારી બીજી કોઈ સરકારોના ગળે ધુંસરી મુકાયેલી રહે. સરકાર જો પોતાને તમામ કાનૂનો કે નિયંત્રણોની ઉપર મૂકી દે તો પછી તેને તખ્તાપલટ જ કહેવાય.

ધારો કે સરકાર કોઈ ચોક્કસ વર્ગ(ઈઝરાયેલના કિસ્સામાં આરબો)નો મતાધિકાર છીનવી લે, તો સરકારના એ કદમને રોકવા માટેની વ્યવસ્થા છે? ઈઝરાયેલમાં માત્ર સુપ્રીમ કોર્ટને જ એ સત્તા છે કે આરબ નાગરિકોના મતાધિકાર, કામદારોનો હડતાળ કરવાનો હક્ક કે સરકારની ટીકા કરવાની મીડિયાની છૂટની રક્ષા કરી છે અને સરકાર એ જ સત્તા ખારીજ કરવા માંગે છે.

એવી દલીલ થઇ શકે કે સરકાર પર અંકૂશ મુકવા માટે સંસદ છે ને, પરંતુ ઈઝરાયેલની સરકાર તો સંસદને એવી બનાવી દેવા માગે છે કે તે સરકાર ઈચ્છે તે કાનૂન બનાવી શકે (જેને સુપ્રીમ કોર્ટ પણ ખારીજ કરી ન શકે) અને વડા પ્રધાનને જ અમાપ સત્તાઓ આપે. આવી સંસદ, ગુજરાતીમાં કહેવત છે તેમ, ‘ભૂવો ધૂણે તો ય ગામ ભણી’ જેવી હોય.

આવા નેતાઓને જ્યારે પૂછવામાં આવ્યું હોય કે નવી વ્યવસ્થામાં તમે કાનૂન અને સત્તાનો દુરપયોગ કરશો તો કોણ રોકશે, ત્યારે તેમનો એક બહુ જાણીતો જવાબ હોય છે; અમારામાં વિશ્વાસ રાખો, અમે જનહિતમાં કામ કરીએ છીએ. સેનાના જનરલોએ પણ જ્યારે ટેંકો પર સવાર થઈને રાજધાનીમાં સત્તા હાંસલ કરી છે ત્યારે તેમણે પણ એવી જ બાંયધરી આપી હતી; મારામાં વિશ્વાસ રાખજો, હું તમારી અને તમારા હિતોની રક્ષા કરીશ.

ટેંક પર સવાર જનરલ હોય કે ચૂંટણીના વિજયરથમાં નેતા હોય, જનતા જ્યારે ન્યાયતંત્ર જેવા ઇન્સ્ટિટ્યૂટશનને બદલે નેતાઓના ‘શુભ ઈરાદાઓ’ પર આધાર રાખતી થઇ જાય ત્યારે તેને તાનાશાહી જ કહેવાય એમ હરારી કહે છે. એ દૃષ્ટિએ બેન્જામિન નેતન્યાહૂએ ‘લોકતાંત્રિક તાનાશાહ’નું રૂપ અખત્યાર કર્યું છે. આગમી દિવસોમાં એ કેવી રીતે આગળ વધે છે તેના પર તેમનું અને ઈઝરાયેલનું ભવિષ્ય ટકેલું છે.

લાસ્ટ લાઈન :

“સાચા લોકતંત્રને કેન્દ્રમાં વીસ લોકો બેસીને ચલાવી ન શકે. તેણે નીચેથી કામ કરવું જોઈએ, લોકતંત્રનું સંચાલન ગામડે-ગામડે લોકો દ્વારા થવું જોઈએ.”

— મહાત્મા ગાંધી

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 02 ઍપ્રિલ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પ્રજા તરીકે આપણે આટલાં નિર્માલ્ય કેમ છીએ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 April 2023

રવીન્દ્ર પારેખ

‘સંકલ્પ’નું 25 માર્ચ, 2023નું એક બિલ અત્યારે ચર્ચામાં છે. કોઈકે ‘સંકલ્પ’, ગરુડેશ્વરમાંથી અન્ય ખાદ્યસામગ્રીની સાથે છાશ મંગાવી તો 6 ગ્લાસ છાશનું બિલ 1,200 રૂપિયા આવ્યું ને તેનાં પર 18 ટકા લેખે જી.એસ.ટી. ચોંટયો તે નફામાં ! મતલબ કે એક ગ્લાસ 236 રૂપિયાનો પડ્યો. એ પછી પણ 236 રૂપિયાના ઘણા ગ્લાસ પીવાઈ ગયા હશે ને કોઈનો કાંગરો ય નહીં ખર્યો હોય એમ બને. જતે દિવસે દૂરથી છાશ બતાવવાના 10 રૂપિયા ને સૂંઘવાના 15 રૂપિયા લેવાય તો પણ ઘણાં તે સૂંઘી આવે એ શક્ય છે. એનું જોઈને દૂધ ડેરીઓ છાશની કોથળી મોંઘી કરે એમ પણ બને, એ તો થાય ત્યારે, પણ એપ્રિલ બેસતાં જ અમૂલ ડેરીએ ગુજરાતમાં દૂધનો ભાવ લિટરે બે રૂપિયા વધારી દીધો છે. છ મહિનામાં આ બીજો વધારો છે ને આ એપ્રિલફૂલ નથી એટલે હસવા જતાં ‘ખસી જાય’ તો નવાઈ નહીં ! ટૂંકમાં, ગુજરાતની સૌથી મોટી સહકારી દૂધ ડેરીએ તમામ પ્રકારના દૂધ પર લિટરે બે રૂપિયા વધારી દીધા છે. તેની ખૂબી એ છે કે તે ભાવ વધારો રાતોરાત અમલમાં આવે એ રીતે કરે છે ને હુકમનો અમલ થાય જ એની પૂરતી કાળજી લે છે.

આમ તો ગાય-ભેંશ દૂધ, અમૂલના દૂધના પ્રકાર પ્રમાણે નથી આપતી, તે તો એક જ પ્રકારનું દૂધ આપે છે, પણ તેનું પ્રોસેસિંગ દૂધના પ્રકારો ને ભાવ, નફાને ધોરણે જુદા જુદા પાડી આપે છે. હવેથી અમૂલ ગોલ્ડ 64, અમૂલ શક્તિ 58, અમૂલ તાઝા 52ના ભાવે પ્રતિ લિટરે વેચાશે. અમૂલની ખૂબી એ છે કે તે ભાવ વધારા માટેનો આદર્શ પૂરો પાડે છે. તેનું જોઈને દૂધના ફેરિયાઓ પણ દૂધનો ભાવ વધારી દે છે. ફેબ્રુઆરી, 2023માં પણ અમૂલે ગુજરાત સિવાયનાં રાજ્યોમાં લિટરે 3 રૂપિયા ભાવ વધારેલો, તે ગુજરાતમમાં બાકી હતો એટલે તે વધારીને બધું સરભર કરાઇ રહ્યું છે. અમૂલે એટલું કર્યું છે કે પ્રતિ કિલો ફેટે 20 રૂપિયા પશુપાલકોને ચૂકવવાનો નિર્ણય કર્યો છે. ભાવ વધારવાનાં કારણોમાં એ જ જૂનાં કારણો, પશુ આહારમાં ભાવ વધારો, ઇંધણમાં ભાવ વધારો, ઉત્પાદનખર્ચમાં વધારો … વગેરે વગેરે અપાયાં છે ને એમ જ રાબેતા મુજબ ઘરનું બજેટ ખોરવાવાની વાત પણ મીડિયા દ્વારા કરાઈ છે, જેમાં જીવદયા ઓછી ને મશ્કરી વધારે છે. ગૃહિણીનું બજેટ તો ખોરવાવા જ હોય છે. તે જરા બજેટ ગોઠવવા કરે છે કે દૂધ, શાકભાજી, દવા જેવામાં ભાવ વધતાં પથારી ફરી જાય છે.

એપ્રિલથી જ જીવન જરૂરી દવાઓના ભાવ 12 ટકા વધવાની વાત પણ હતી, જેમાં આ વધારો પણ બીજા વર્ષે 10 ટકાથી વધુ થવાની શક્યતા હતી. 2022 સુધી દવામાં ભાવ વધારો બે ટકાથી વધુનો ન હતો, પણ હવે 12 ટકા સુધીનો દવામાં ભાવ વધારો ઝીંકવાની વાત હતી, પણ કેન્દ્ર સરકારે દવાઓ પરનો ભાવ વધારો પાછો ખેંચ્યો છે ને પ્રજા પર મહેરબાની કરી છે. સરકારનું આ પગલું 100 ટકા સરાહનીય છે. તેણે રાષ્ટ્રીય દુર્લભ રોગ નીતિ, 2021 અંતર્ગત આયાતી દવાઓ અને વિશેષ ખોરાક પરની મૂળભૂત કસ્ટમ ડ્યૂટી નાબૂદ કરી છે એટલે દવાના ભાવ હાલ તુરત તો વધવાથી રહ્યા છે.

દૂધ ને દવાની જરૂર નાનાંથી માંડીને મોટાં સુધીનાં સૌને હોય છે. મોટેભાગની પ્રજા એવી અબૂધ છે કે તે માને છે કે બજેટ તો ભાવ વધારવા માટે જ આવે છે. એટલે કે ભાવ તો બજેટમાં જ વધે. પણ, ભાવ વધારો બારમાસી છે તે હવે લગભગ બધાં જાણી ચૂક્યાં છે. ભાવ વધારાથી લોકો અળસિયાંની જેમ જરા તરા હાલીને રહી જાય છે ને ફરી કામે વળગે છે. આ ભાવ વધારો કોઈ બીજા માટે જ હોય તેમ તે સાવ નિર્લેપ રહે છે. એક બાજુ સરકારની જી.એસ.ટી.માં લાખો કરોડોની કમાણી થયાની જાહેરાત થતી રહે છે ને લોકો પણ પોતાનામાંથી સરકાર કેવી રીતે લાખો કરોડો કઢાવી લે છે એ વાતે પોરસાય છે ને બીજી તરફ સાધારણ લોકોની કમાણી એટલી ટાંચી પડે છે કે તે આપઘાત કે છેતરપિંડી તરફ વળે છે. મોંઘવારીમાં ન પહોંચી વળતાં લોકો પેટિયું રળવા ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળી રહ્યાં છે તે નોંધવું ઘટે. અલબત્ત ! તેનો બચાવ ન હોય, ગુનો એ ગુનો છે ને તેનો ન્યાય કાયદો કરે એ અનિવાર્ય છે.

પણ, જે રીતે થોડે થોડે વખતે દૂધ, શાકભાજી, દવા, અનાજ, કઠોળ વગેરેના ભાવ વધે છે, તે કુદરતી નથી. તે વધુને વધુ કમાણી કરવાની ગણતરીથી વધે છે. લીંબુનાં ભાવ કિલોએ 150 આસપાસ ઉનાળાની શરૂઆતમાં જ પહોંચે એ કોઈ રીતે ઇચ્છનીય નથી, પણ ભાવ વધે છે ને બસ ! વધે જ છે. કોઈ પણ સમયે માવઠું થઈ શકે છે. એને લીધે ફળો, શાકભાજીની આવક ઘટે છે ને ભાવ વધે છે. જો કે, ભાવ વધવા માટે કારણોની જરૂર પડતી નથી. લોકોની લાચારી ભાવ વધારાનું મુખ્ય કારણ છે. લોકો ચલાવી લે છે એનો વેપારીઓ, કંપનીઓ લાભ લે છે. પ્રજા તરીકે આપણે એટલાં નિર્માલ્ય છીએ કે આપણું ખૂન કરવા છરી પણ આપણે જ આપીએ છીએ. વરસાદ, ઉત્પાદન ખર્ચ, ઇંધણમાં વધારો … વગેરે પ્રજા કરતી નથી. આટલી મોંઘવારીમાં ટેક્સનો એક રૂપિયો સરકાર ઓછો કરતી નથી ને બીજી તરફ દૂધનો ભાવ વધારો ખમે છે પ્રજા. શા માટે પ્રજાએ ભાવ વધારો ખમી ખાવો જોઈએ? એને કૈં નડતું જ ન હોય એમ એ બધા પ્રકારનો ભાવ વધારો વેઠી લે છે. આ કાયરતા ભાવ વધવાનું નિમિત્ત પૂરું પાડે છે. થોડો વખત દૂધ લેવાનું બંધ થાય તો એ દૂધ ક્યાં સુધી ડેરીઓ પોતાની પાસે રાખી મૂકવાની છે? તેને પણ દૂધ વેચવાની ગરજ તો હશે ને !વધારે નહીં, એક અઠવાડિયું દૂધનો બહિષ્કાર થાય તો ભાવ વધે એમ લાગે છે? પણ, આપણે હરામની કમાણી કરતાં હોઈએ તેમ આ ભાવ વધારો આપણને કોઈ અસર કરતો જ ન હોય તેમ ચુમાઈને બેસી રહીએ છીએ ને એનો લાભ ડેરીઓ ને બીજા વેપારીઓ ઉઠાવતા હોય છે. દૂધમાં બેફામ નફો ડેરીઓ કરે જ છે. એક પણ ડેરી બંધ નથી થઈ એ જ બતાવે છે કે કોઈ પણ સહકારી કંપનીઓ કમાય છે ને ધૂમ કમાય છે.

વધારે સાચું તો એ છે કે વચેટિયાઓએ આ દેશમાં મોંઘવારી વધારવાની સાર્વજનિક મહેનત કરી છે. ખેડૂતને કોબીનો ખર્ચ ન નીકળતો હોય ને તે માર્કેટ સુધી પહોંચાડવામાં ખોટ ખાતો હોય તો તે, પોતાને લીધે? તે જવાબદાર નથી. તેને ભાવ ન આપતી માર્કેટો તેને માટે જવાબદાર છે. કાંદાનો ભાવ ખેડૂતને કિલોનો રૂપિયો મળતો હોય ને ગ્રાહકને તે બાર રૂપિયામાં વેચાતા હોય, તો અગિયાર રૂપિયા કોણ ખાય છે? જ્યાં પણ આવું થતું હોય ત્યાં સરકારે માથું મારીને નફાનો વાજબી માર્જિન નક્કી કરવો જોઈએ. ગ્રાહકને મોંઘું પડે ને ખેડૂતને પડતર કિંમત પણ ન મળે એ વચેટિયા સંસ્કૃતિનું વરવું ઉદાહરણ છે.

કેટલીક વસ્તુઓ માણસનું સ્ટેટસ મોંઘી થવા દે છે. કોઈ નેતા કે અભિનેતા લારી પર 100 રૂપિયાનાં ભજિયાં ન ખાય. એ જ ભજિયાં સારી કોઈ હોટેલમાં હજાર રૂપિયાને હિસાબે મળે તો તે તેની હોજરીને પોષાય. પણ, લારીવાળો એમ જ 100નાં ભજિયાંનાં હજાર પડાવે તો ચામડીની ચટણી થતી હોવાનું લાગે. અત્યારે એવું કશુંક ચાલી રહ્યું હોય એમ લાગે છે. દિલ્હીની ‘પુલમેન’ હોટેલમાં 750 રૂપિયાની ચાર પાણીપુરી મળે છે. આ ભાવ પાંચેક વર્ષ પહેલાંનો છે. અત્યારે એનો ભાવ કેટલો હશે તે નથી ખબર, પણ એનો પ્રચાર કરનારા એવી રીતે કહેતાં હોય છે કે ભાવ 750 રૂપિયા નહીં, પણ સાડાસાત જ હોય. ઘણાં એવા છે જે 350ની એક કપ કોફી શહેરમાં પી આવતાં હોય છે ને રાજી પણ રહેતાં હોય છે, પણ તે રોજ એમ પીવા બેસે તો વાળ ઊતરી જાય. કોઈ વાર મધ્યમવર્ગનાં લોકો એમ પણ આનંદ માણતાં હોય છે, તો ભલે. એ સિવાય રાજી રહેવા જેવું એમની પાસે બહુ હોતું નથી.

દેખાવ ખાતર, કોઈને બતાવવા આપણે ઘણું કરીએ છીએ. કેટલાંકને તો ભાવ શું ચાલે છે એની જ ચિંતા હોતી નથી. એની પાસે હરામની કમાણી એટલી છે કે દૂધ લાખ રૂપિયે લિટર થાય તો પણ તેને વાંધો ન આવે, કારણ દેશની 90 ટકા સંપત્તિ એવાં લોકો પાસે છે ને બાકીનાં 90 ટકા લોકો પાસે દેશની 10 ટકા સંપત્તિ છે ને જે સહન કરે છે તે એવાં 90 ટકા લોકો છે. એ લોકો પણ ચૂપ જ રહેવાનાં હોય તો બીજા 10 ટકા તો બોલવાના જ નથી.

100 ટકા મૂંગી પ્રજા લોકશાહીને ખતમ કરે છે ને સરમુખત્યારીને જન્મ આપે છે એ કદી ભૂલવા જેવું નથી –

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 ઍપ્રિલ 2023

Loading

મહાત્મા ગાંધીની ડિગ્રીનું અર્ધ સત્ય અને પૂર્ણ સત્ય

રાજ ગોસ્વામી|Opinion - Opinion|2 April 2023

રાજ ગોસ્વામી

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ તાજેતરમાં મહાત્મા ગાંધીની શૈક્ષણિક લાયકાત પર સવાલ ઉઠાવ્યો હતો. ગ્વાલિયરની આઈ.ટી.એમ. યુનિવર્સિટીના એક કાર્યકમમાં, ‘ડિગ્રી મેળવવી એ શિક્ષણની સાબિતી નથી’ એવા મતલબના તેમના તર્કને સાચો ઠેરવવા માટે સિંહાએ કહ્યું હતું કે, “કોણ કહે છે કે ગાંધીજી અશિક્ષિત હતા? મને નથી લાગતું કે એવું કોઈ કહી શકે, પરંતુ શું તમને ખબર છે કે તેમની પાસે એક પણ યુનિવર્સિટીની ડિગ્રી કે શિક્ષણ નહોતું? આપણામાંથી ઘણા એવું માને છે કે મહાત્મા ગાંધી પાસે કાયદાની ડિગ્રી હતી. ના, નહોતી. તેમની એક માત્ર લાયકાત હાઈસ્કૂલનો ડિપ્લોમા હતો. તેઓ કાયદાની પ્રેક્ટિસ કરવા માટે ક્વોલિફાય હતા, પણ ડિગ્રી નહોતી. તેમની પાસે ડિગ્રી નહોતી છતાં પણ કેટલા ભણેલા હતા, એ જુવો!”

મનોજ સિંહા ગ્વાલિયરના વિધાર્થીઓને ભણતર અને ગણતર વચ્ચેનો ફરક સમજાવવા માંગતા હશે તે સમજી શકાય તેવું છે, પરંતુ તેમણે ક્યા આધારે મહાત્મા ગાંધીની કાયદાની ડિગ્રીનું ઉદાહરણ ટાંક્યું હશે, તે સમજવું અઘરું છે. એટલા માટે કે ગાંધીજીની ઔપચારિક ડિગ્રીને લઈને ગાંધીજીના અભ્યાસુઓમાં જ સ્પષ્ટતા નથી. ગાંધીજીના જીવન અંગેનું સૌથી અધિકૃત લખાણ તેમની ખુદની જ આત્મકથા છે, પરંતુ તેમાં ય કોઈ જગ્યાએ લંડનની તેમની ડિગ્રીની વાત નથી.

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, લોસ એન્જેલસ(યુ.સી.એલ.એ.)માં ઇતિહાસના પ્રોફેસર વિનય લાલ એક લેખમાં લખે છે કે મહાત્માનું જીવનચરિત્ર્ય લખનારા જાણીતા લેખકો ડી.જી. તેન્ડુલકર, રોબર્ટ પયને, બી.આર. નંદા અને જ્યોફ્રી એશ પણ ગાંધીની યુનિવર્સિટી કોલેજ લંડન (યુ.સી.એલ.)નો ક્યાં ય ઉલ્લેખ કરતા નથી. એ ધ્યાન આપવા જેવું છે કે નંદાના જીવનચરિત્ર્યમાં ગાંધીનાં લંડનનાં વર્ષો અંગે એક નાનકડું પ્રકરણ છે પણ તેમાં ય ગાંધીની શાકાહારીઓ, થિયોસોફીસ્ટ લોકો અને અન્ય ભિન્ન મતધારીઓ સાથેની દોસ્તીની વાતો જ છે.

વિનય લાલના લખવા પ્રમાણે, ગાંધીના જીવનચરિત્ર્ય લેખક જ્યોફ્રી એશ નોંધે છે કે ગાંધી યુનિવર્સિટી કોલેજ લંડનના ‘ઇનર ટેમ્પલ’માં ‘દાખલ’ (એન્રોલ) થયા હતા, પણ આ ‘ઇનર ટેમ્પલ’ શું છે તેનો તેમણે ખુલાસો કર્યો નથી. ગાંધીજી તેમની આત્મકથામાં ‘વિદ્યામંદિર’ શબ્દ વાપરે છે, પરંતુ ક્યાં ય યુનિવર્સિટી કોલેજ લંડનનો ઉલ્લેખ નથી.

આત્મકથાના પહેલા ભાગના 24માં પ્રકરણમાં તેઓ પહેલીવાર બેરિસ્ટર બનવાની વાત કરે છે. તેઓ લખે છે, “બારિસ્ટર થવા સારુ બે વસ્તુની જરૂર હતી. એક તો ’ટર્મ ભરવી’ એટલે સત્ર સાચવવાં. વર્ષમાં ચાર સત્ર હોય. એવા બાર સાચવવા. બીજી વસ્તુ કાયદાની પરીક્ષા આપવી. સત્ર સાચવવા એનો અર્થ ’ખાણાં ખાવાં’, એટલે કે, દરેક સત્રમાં લગભગ ચોવીસ ખાણાં હોય તેમાંથી છ ખાવાં. ખાણાં ખાવાં એટલે ખાવું જ એવો નિયમ નહીં; પણ નીમેલે વખતે હાજર થવું ને ખાણું પૂરું થવાનો વખત થાય ત્યાં સુધી બેઠા રહેવું.”

ગાંધીજી પોરબંદરમાં સ્કૂલના સમયથી ભણવામાં નબળા ય હતા અને ઉદાસ પણ હતા. લંડનનું ભણતર પણ ઉત્સાહપ્રેરક નહોતું. આત્મકથામાં તેઓ લખે છે, “ઇંગ્લંડના કાયદાનું વાચન હું નવ માસમાં ઠીક મહેનતે પૂરું કરી શક્યો. કેમ કે બૂમના ’કૉમન લૉ’નું મોટું પણ રસિક પુસ્તક વાંચતાં જ ઠીક ઠીક વખત ગયો. સ્નેલની ’ઈક્વિટી’માં રસ આવ્યો, પણ સમજતાં દમ નીકળ્યો … પરીક્ષાઓ પસાર કરી. ૧૮૯૧ના દસમી જૂને હું બારિસ્ટર કહેવાયો, અગિયારમીએ ઇંગ્લંડની હાઈકોર્ટમાં અઢી શિંલિંગ આપી મારું નામ નોંધાવ્યું, બારમી જૂને હિંદુસ્તાન તરફ પાછો વળ્યો … પણ મારી નિરાશા અને ભીતિનો પાર નહોતો. કાયદાઓ વાંચ્યા તો ખરા, પણ હું વકીલાત કરી શકું એવું તો મને કંઈ જ નથી આવડ્યું એમ લાગ્યું. બારિસ્ટર કહેવાવું સહેલું લાગ્યું, પણ બારિસ્ટરું કરવું અધરું જણાયું. કાયદાઓ વાંચ્યા પણ વકીલાત કરવાનું ન શીખ્યો.”

જીવનચરિત્ર્ય લેખક સુઝાન વોલેસ, ગાંધીજીને સમર્પિત વેબસાઈટ એમ.કે.ગાંધી ડોટ ઓ.આર.જી. પર લખે છે કે તેમણે પોરબંદરમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું, પછી રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અને તે પછી ભાવનગરની શામળદાસ આર્ટ્સ કોલેજમાં ભરતી થયા હતા. અહીં તે છ મહિના જ ભણ્યા હતા અને પાછા પોરબંદર જતા રહ્યા હતા. તે વખતે આ એક માત્ર કોલેજ ડિગ્રી આપતી હતી.

પોરબંદરમાં થોડા સમય પસાર કર્યા પછી તેમણે ફરીથી કોલેજ કરવાનું નક્કી કર્યું હતું, પણ આ વખતે વિલાયત જઈને. પરિવાર અને નાતના વિરોધ વચ્ચે તેઓ લંડન ગયા હતા અને યુનિવર્સિટી કોલેજ લંડનમાં ભરતી થયા હતા, અને 3 વર્ષ પછી કાયદાની ડિગ્રી મેળવી હતી, એવું સુઝાન લખે છે.

આ જ વેબસાઈટ પર, ગાંધીજીના જીવન પરિચયમાં લખવામાં આવ્યું છે; “મહાત્મા ગાંધી 4 સપ્ટેમ્બર 1888ના રોજ ઇંગ્લેન્ડ ગયા હતા. તેમણે ઇનર ટેમ્પલમાં સત્ર રાખ્યાં હતાં અને નવ મહિના પછી પરીક્ષામાં પાસ થયા હતા. 10મી જૂન, 1891ના રોજ તેમને બારમાં બોલવામાં આવ્યા હતા અને બીજા દિવસે તેઓ ઇંગ્લેન્ડની હાઈ કોર્ટમાં ભરતી થયા હતા.”

વિનય લાલને યુ.સી.એલ.માં બેરિસ્ટર અને ઇનર ટેમ્પલના સદસ્ય એવા એક બેરિસ્ટરે કહ્યું હતું કે (બેરિસ્ટરનું વ્યવસાયિક સંગઠન) ઇન્સ ઓફ કોર્ટ ડિગ્રી નથી આપતું અને બ્રિટનની કોર્ટમાં ‘ભરતી’ થવા જેવું પણ કશું હોતું નથી.

વિનય લાલ લખે છે કે ગાંધીજી લંડનમાં ઇનર ટેમ્પલમાં જોડાયા હતા અને ત્યાં કાયદાનું ભણ્યા હતા એ હકીકત તો સ્પષ્ટ છે. વિકિપીડિયા પર ‘ઇનર ટેમ્પલ’ નામનું પેઈજ છે. તેમાં આપેલી માહિતી અનુસાર, બેરિસ્ટરો અને જજોના વ્યવસાયિક સંગઠન ઇન્સ ઓફ કોર્ટની ચાર ઇન છે; ગ્રે ઇન, ઇનર ટેમ્પલ, મિડલ ટેમ્પલ અને લિંકન ઇન. બારમાં જવું હોય અને ઇંગ્લેન્ડમાં પ્રેક્ટિસ કરવી હોય તો વિધાર્થીએ આ ચારમાંથી એક ઇનમાં સદસ્ય બનવું પડે. આ ઇનમાં, કાયદાની તાલીમ મળે છે અને તેનું સંચાલન માસ્ટર્સ અને બેંચની બનેલી કાઉન્સિલ કરે છે.

આ ઇન ડિગ્રી નથી આપતી એ વાત તો સાચી છે. એ અર્થમાં મહાત્મા ગાંધી પાસે કાયદાની ડિગ્રી નહોતી તે વાત ખોટી નથી. યુ.સી.એલ. તેની વેબસાઈટ પર તેના ‘ફેમસ એલુમનાઈ’માં મહાત્માનું નામ ગૌરવથી મુક્યું છે. ગાંધી સેવાશ્રમ વેબસાઈટ પર ગાંધીજીના જીવનચરિત્રમાં લેખક રાજકુમારી શંકર લખે છે કે લંડન ગયા પછી તેમણે યુનિવર્સિટી કોલેજ લંડનથી મેટ્રિકની પરીક્ષા બે પ્રયાસે પાસ કરી હતી.

એટલે એવું કહેવાય કે યુનિવર્સિટી કોલેજ લંડનમાંથી ગાંધીજીએ મેટ્રિક કર્યું હતું અને ઇનર ટેમ્પલમાંથી કાયદાનું ભણતર લીધું હતું. તે વખતે ભારતથી આવતા વિધાર્થીઓમાં ઇનર ટેમ્પલ વધુ લોકપ્રિય હતું કારણ કે તેનાથી સમાજમાં તેના સર્ટિફીકેટથી એક ઈજ્જત મળતી હતી અને તે યુ.સી.એલ.ને સહાયક પણ ગણાતું હતું.

એટલે, મનોજ સિંહા જો એમ કહેતા હોય કે ગાંધીજી એલ.એલ.એલ. બી કે એલ.એલ. એમ નહોતા તો તે અર્ધ સત્ય છે. પૂરું સત્ય એ છે કે ગાંધીજીએ ઇનર ટેમ્પલમાંથી કાયદાના અભ્યાસનું સર્ટિફિકેટ મેળવ્યું હતું, પણ એ વાત સિંહા ન બોલ્યા.

બાય ધ વે, 1930માં ‘દાંડી યાત્રા’ને રાષ્ટ્રદ્રોહ ગણીને આ ઇનર ટેમ્પલના બેન્ચરોએ મહાત્મા ગાંધીને ઇનમાંથી નિષ્કાસિત કર્યા હતા. પાછળથી, 1988માં ટેમ્પલે મહાત્માની પુન:સ્થાપના કરી હતી.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 02 ઍપ્રિલ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,0531,0541,0551,056...1,0601,0701,080...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved