Opinion Magazine
Number of visits: 9458096
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૩)

સુમન શાહ|Opinion - Literature|2 May 2023

સુમન શાહ

આપણે ભાગ્યે જ વિચારીએ છીએ કે કાલિદાસ શેક્સપીયર રવીન્દ્રનાથ ગોવર્ધનરામ કે સુરેશ જોષીનાં સર્જન આપણને ગ્રેટ કેમ લાગે છે; શા માટે અમુકોનાં સર્જન ગ્રેટ નહીં પણ ઍવરેજ અને સામાન્ય કે નિ:સામાન્ય લાગે છે.

એ ગ્રેટનેસ અથવા કલાપરક મહાનતાનું એક કારણ સર્જક વ્યક્તિની બુદ્ધિમત્તા છે એમ માનવું જોઈશે. એમ પણ માનવું જોઈશે કે એ મહાનતામાં બુદ્ધિની કશીક નિર્ણાયક ભૂમિકા છે. કાવ્યશાસ્ત્રીઓ તો કોઈ કોઈ કવિને ‘મન્દબુદ્ધિ’ કહેતાં ખચકાતા નથી બલકે સાચું કહ્યાનો સંતોષ મેળવે છે.

કાવ્યશાસ્ત્રમાં, ‘પ્રતિભા’, ‘વ્યુત્પત્તિ’ અને ‘અભ્યાસ’-ને ‘કાવ્યહેતુ’ કહ્યા છે. કાવ્યહેતુ એટલે, સર્જનનાં પરિબળો, કારણો. પરન્તુ, રાજશેખર એ ત્રણ ઉપરાન્ત ‘કવિત્વશક્તિ’ નામના કારણનો ઉમેરો કરે છે. સ્પષ્ટ કહે છે કે એ જ છે, કાવ્યનિર્માણનું મુખ્ય કારણ.

રાજશેખર બુદ્ધિના ત્રણ પ્રકાર દર્શાવે છે : સ્મૃતિ, મતિ, પ્રજ્ઞા.

સ્મૃતિ, ભૂતકાળમાં અનુભવાયેલા વિષયોનું સ્મરણ રાખે છે. મતિ, વર્તમાનમાં જિવાતા વિષયોનું મનન કરે છે. અને, ભવિષ્ય દર્શાવનારી તેમ જ દીર્ઘ દર્શનો કરાવનારી બુદ્ધિ પ્રજ્ઞા છે.

કહે છે, આ ત્રણેય પ્રકારની બુદ્ધિ કવિ માટે, એટલે કે, સર્જક માટે, આવશ્યક છે, કેમ કે ઉપકારક છે. ત્રણેય બુદ્ધિપ્રકારોનો ‘કાવ્યહેતુ’ સાથે સીધો કે આડકતરો સમ્બન્ધ છે.

જેને આપણે ‘કાવ્યસર્જન’ કે સર્વસામાન્યપણે ‘સર્જન’ કહીએ છીએ એને રાજશેખર ‘કાવ્યનિર્માણ’ કહે છે. કાવ્યનિર્માણને તેઓ ‘સરસ્વતીનું રહસ્ય’ ગણે છે, મહા ગમ્ભીર અને અવર્ણનીય લેખે છે. રાજશેખર જણાવે છે કે સમાધિ અને અભ્યાસ બન્ને મળીને કાવ્યનિર્માણશક્તિનું નિર્માણ કરે છે. કહે છે, એ અત્યન્ત નિપુણ વિદ્વાનોના જ્ઞાનનો વિષય છે. એની પ્રાપ્તિનો એક માત્ર ઉપાય છે, સમાધિ. શ્યામદેવ કાવ્યનિર્માણમાં સમાધિની આવશ્યકતા પર ભાર મૂકે છે. સમાધિ એટલે, મનની એકાગ્રતા. એકાગ્રચિત્તવ્યક્તિ અનેક સૂક્ષ્મ વિષયોનું ચિન્તન કરી શકે છે. મંગલ નામના વિદ્વાન કાવ્યનિર્માણમાં અભ્યાસને જ મોટું કારણ ગણે છે. અભ્યાસ એટલે, નિરન્તરનું અનુશીલન.

જોઈ શકાશે કે સ્મૃતિ મતિ અને પ્રજ્ઞા સાથે સમાધિ કહેતાં મનની એકાગ્રતા અને નિરન્તરનું અનુશીલન, એટલાં તત્ત્વો આ વિષયની ચર્ચામાં ઉમેરાયાં.

Pic Courtesy : Spotify

પ્રતિભાને ઈશ્વરદત્ત ગણનારા શાસ્ત્રીઓ પણ હતા ને તેઓ એટલે લગી કહેતા કે ‘પ્રતિભા વિના કાવ્ય ન જનમી શકે, જનમે તો હસનીય પુરવાર થાય.’ સવાલ એ છે કે સર્જક પ્રતિભાશાળી છે કે કેમ તે જાણવું શી રીતે. ઇરાદાપૂર્વક વધારેલાં દાઢી અને વાળ કે સ્વયં સરજાયેલી ટાલથી માણસ દેખાય પ્રતિભાવન્ત, – ઋષિઓનાં આપણે એવાં નિર્માલ્ય ચિત્ર જોયેલાં એટલે – પણ હોય, સામાન્ય ! સાતમા દાયકામાં, ખભે બગલથૅલો ને પગમાં સોલાપુરી ચમ્પલથી આપણા કેટલાક મિત્રો કવિ દેખાવાની ગમતીલી ચેષ્ટા કરતા’તા.

એટલે, રાજશેખરની વાત મને વિચારણીય લાગી છે. કેમ કે પ્રતિભા, વ્યુત્પત્તિ અને અભ્યાસ હોય કે ન હોય પણ જો વ્યક્તિમાં કવિત્વ કહેતાં, કવિપણું – પોએટિક ડિસ્પોઝિશન – નહીં હોય, તો એને કાવ્યત્વ અને અ-કાવ્યત્વ વચ્ચેનો ભેદ પણ નહીં પરખાય. એને હમેશાં લાગશે કે પોતે લખ્યું તે કાવ્ય જ છે ! ઇનામ-ઍવૉર્ડ મેળવી ચૂકેલાને તો વળી એમ લાગશે કે પોતે કેટલું તો મહાન સરજ્યું છે ને પોતે કેવો તો મહા કવિ છે ! જાતને અને એ ભેદને પરખનારી શક્તિને જ રાજશેખર, મને લાગે છે કે કવિત્વશક્તિ કહે છે.

રાજશેખર સમાધિ અથવા એકાગ્રતાને ‘આન્તરિક પ્રયત્ન’ ગણે છે, તે મને સમુચિત લાગે છે, કેમ કે દેખીતું છે કે એ તો સર્જકના ચિત્તમાં ઘટનારી ઘટના છે. તેઓ અભ્યાસને ‘બાહ્ય પ્રયત્ન’ ગણે છે, તે પણ સમજાય એવું છે, કેમ કે સાહિત્યકાર પોતાની કલમનો મહાવરો રાખે છે, હરિપ્રસાદ ચૉરસિયા રોજ સવારે બાંસુરીવાદનનો અભ્યાસ કરે છે, પોતાની કલાનું નિરન્તરનું અનુશીલન કરે છે. તે સાધના છે, પણ બાહ્ય વસ્તુ છે.

રાજશેખર કહે છે, કવિત્વશક્તિ, પ્રતિભા અને વ્યુત્પત્તિથી પૃથક, ભિન્ન, જુદી છે. કવિત્વશક્તિ કર્તારૂપ છે અને પ્રતિભા તથા અભ્યાસ કર્મરૂપ છે. કવિત્વશક્તિ હશે તો પ્રતિભા ઉત્પન્ન થશે, અને શક્તિસમ્પન્ન હશે એ જ વ્યુત્પન્ન હશે.

પ્રતિભા જેવા કંઈક રહસ્યમય ભાસતા કાવ્યહેતુને રાજશેખર આમ વાસ્તવની ધરા પર લાવ્યા, આત્મપરીક્ષણ સૂચવતી કવિત્વશક્તિનો નિર્દેશ કર્યો તેની નૉંધ લેવી જોઈએ.

કોઈને ઉતાવળથી પ્રતિભાશાળી કે પ્રતિભાનિકટનો – જીનિયસ કે બૉર્ડર લાઇન જીનિયસ – કહેવા કરતાં, તેની કવિત્વશક્તિના તોલમોલ કરવા તે વધારે ઉચિત દીસે છે.

= = =

(May 2, 23 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

 ભાવિ કેવું હશે …?

'દીપક', ચૈતન્ય જોષી|Opinion - Opinion|2 May 2023

ચરણની ગતિ  કહેશે તમારું ભાવિ કેવું હશે?

તમારી જ મતિ કહેશે તમારું ભાવિ કેવું હશે ?

નથી જરૂરત કુંડળી કે હસ્તરેખા સમજવાની,

એ તમારા વતી કહેશે તમારું ભાવિ કેવું હશે ?

નથી જરૂરત ગ્રહદોષ નિવારણ કરવાની વળી,

વિષયોમાં જ રતિ કહેશે તમારું ભાવિ કેવું હશે ?

નથી જરૂરત પાણી પીવડાવવાની વૃક્ષમૂળમાં,

તમારી નિજી નીતિ કહેશે તમારું ભાવિ કેવું હશે?

નથી જરૂરત વ્રત – જપ – તપ કરીને દેહદમનની,

ધર્મમાં થતી પ્રગતિ કહેશે તમારું ભાવિ કેવું હશે.

નથી જરૂરત કોઈના પદ પખાડી ચરણરજ તણી,

તમારી વાણી વદતી કહેશે તમારું ભાવિ કેવું હશે ?

પોરબંદર.
e.mail : joshichaitanya568@gmail.com

Loading

દેશમાં રખડતાં કૂતરાંની વકરતી સમસ્યા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|2 May 2023

રાજ ગોસ્વામી

તાજેતરમાં અખબારો-ટી.વી.માં એક સમાચાર આવ્યા હતા કે ભારતની વસ્તી ચીન કરતાં વધી ગઈ છે. તેની સાથે બીજા પણ એક સમાચાર આવ્યા હતા, જે બહુ પ્રકાશિત થયા નથી; ભારતમાં રખડતાં કૂતરાંની વસ્તી વધી ગઈ છે. 9 જેટલા દેશોમાં સક્રિય એવા ધ સ્ટેટ ઓફ પેટ હોમલેસનેસ ઇન્ડેક્ષ નામના એક સેવાભાવી સંગઠન અનુસાર, ભારતમાં 6.2 કરોડ રખડતાં કૂતરાં છે અને દેશના 77 ટકા લોકો કહે છે કે તેમને અઠવાડિયામાં એકવાર રખડતાં કૂતરાંનો ભેટો થાય છે.

એટલું જ નહીં, વિશ્વ આરોગ્ય સંગઠનના આંકડા કહે છે કે વિશ્વમાં કૂતરાં કરડવાથી જેટલાં મોત થાય છે તેમાં ભારતનો હિસ્સો 36 ટકા છે. દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં કુલ જેટલાં મોત થાય છે તેમાં ભારતનું ‘યોગદાન’ 65 ટકા છે. લાન્સેટ નામના પ્રતિષ્ઠિત વિજ્ઞાન મેડિકલ સામયિક અનુસાર, 2022માં જાન્યુઆરી-ઓક્ટોબર વચ્ચે કેરળ અને પંજાબમાં 10,000થી વધુ અને ગુજરાત, મહારાષ્ટ્ર અને કાશ્મીરમાં 1,000થી 10,000 વચ્ચે કૂતરાં કરડવાના કિસ્સા નોંધાયા હતા. દિલ્હીની સફદરજંગ અને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં છેલ્લા છ મહિનામાં કૂતરાં કરડવાના અનુક્રમે 29,698 અને 18,183 કેસ આવ્યા હતા.

“શ્વાન માણસનો વફાદાર મિત્ર છે” – એ ઉક્તિ કિસ્સા-કહાનીઓ અને પાલતું પ્રાણીમાં સાચી હશે, પરંતુ રખડતાં કૂતરાંની વાત આવે ત્યારે તેમનો ‘સંગાથ’ દુશ્મનીથી કમ નથી. તાજેતરમાં તમે સોશિયલ મીડિયા પર એવા અનેક વાઈરલ વીડિયો જોયા હશે જેમાં રખડતાં કૂતરાં બાળકો અને સિનિયર સિટિઝન્સને ફરી વળ્યાં હોય. આ સમસ્યા એટલી ગંભીર બની ગઈ છે કે અદાલતોને પણ એમાં દરમિયાનગીરી કરવી પડી છે.

નવેમ્બર 2022માં, નાગપુરની ત્રણ મહિલાઓએ બોમ્બે હાઈકોર્ટના એક ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટની નાગપુર બેન્ચે રખડતાં કૂતરાઓના ત્રાસ સામે હુકમ આપ્યો હતો કે કોઈએ રખડતાં કૂતરાંને ખાવાનું નાખવું નહીં. કોર્ટે સુધરાઈઓ અને પોલીસને પણ તેની સામે સખ્ત કરાવાઈ કરવા આદેશ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે જે લોકોને રખડતાં કૂતરાંની ભૂખ ભાંગવી હોય તેમણે સૌ પહેલાં તેને પાલતું બનાવાનું અથવા તેના માટે રહેવાની વ્યવસ્થા કરવાની.

ટૂંકમાં, કોર્ટનું કહેવાનું એવું હતું કે રસ્તે રખડતાં કૂતરાંને તાજાં-માજાં કરીને લોકોને કરડવા માટે છોડી નહીં મુકવાનાં. અલબત, સુપ્રીમ કોર્ટે આ આદેશ પર કામચલાઉ મનાઈ હુકમ આપ્યો છે અને સુધરાઈઓને કહ્યું છે કે રખડતાં કૂતરાં માટે વિશેષ જગ્યા ઊભી કરવામાં આવે, જ્યાં નાગરિકો તેમને ખવડાવી શકે.

ભારતમાં રખડતાં કૂતરાંઓ પ્રત્યે લોકોમાં સહાનુભૂતિ અને કરુણાનો ભાવ હોય છે એ વાત જાણીતી છે. ભારતનું બંધારણ પણ કહે છે કે જીવિત જીવો પ્રત્યે કરુણા બતાવવી એ પ્રત્યેક નાગરિકની મૂળભૂત ફરજ છે. 1960નો પશુ અત્યાચાર નિવારણ કાનૂન પશુઓ પર અત્યાચારને અપરાધ ગણે છે. આ જ કાનૂન હેઠળ દેશમાં એનિમલ વેલ્ફેર બોર્ડ પણ ગઠિત કરવામાં આવ્યું છે જે રખડતાં જીવોની રખેવાળી કરે છે. બોમ્બે હાઈકોર્ટનો ફેંસલો એ અર્થમાં સારો હતો કે તમે કૂતરાંને ખવડાવો પણ તેની સાર-સંભાળની જવાબદારી પણ ઉઠાવો. સમસ્યા એ છે કે લોકો કૂતરાંને ખવડાવીને પુણ્ય કર્યાનો સંતોષ લઈને છૂટી જાય છે, પણ એ જ કૂતરાં જ્યારે બીજા લોકો માટે ખતરો બની જાય છે ત્યારે તે મ્યુનિસિપાલિટી વાળાનો પ્રોબ્લેમ છે કહીને ઊંઘી જાય છે. 

કાનૂની અને સરકારી જોગવાઈઓ તો છે પણ તેનાથી નાગરિકોના જાનને જોખમ છે તેની સામે કોઈ વ્યવસ્થા છે? નથી. નિયમો અને ઈચ્છાઓ કાગળ પર છે અને એટલે જ દેશમાં રખડતાં કૂતરાંઓનો ત્રાસ હદ વટાવી રહ્યો છે. ભારતમાં છેલ્લાં પાંચ વર્ષમાં 300 લોકોનાં મોત કૂતરાં કરડવાથી થયાં છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા અનુસાર માત્ર 2019માં જ 4,146 લોકોને રખડતાં કૂતરાં કરડી ગયાં હતાં. આ આંકડો બહુ મોટો કહેવાય.

સમસ્યા રખડતાં કૂતરાંની નથી, તેમના વ્યવહારની છે. મોટાભાગના કિસ્સાઓમાં એકથી વધુ કૂતરાં ભેગાં થઇ જાય છે અને એકલ દોકલ નાગરિક પર હુમલો કરે છે. કૂતરાંમાં પણ એટલી બુદ્ધિ તો હોય છે કે તે હટ્ટીકટ્ટી વ્યક્તિ તરફ ફરકતાં નથી, પણ બાળક હોય, અશકત મહિલા હોય કે સિનિયર સિટિઝન હોય તો જંગલી શિયાળની જેમ ઘેરી લે છે.

દેશમાં રખડતાં કૂતરાંનો ત્રાસ વધવાનાં ત્રણ કારણો છે; એક, ભારતનાં તમામ નાના-મોટાં શહેરોમાંથી નીકળતા તોતિંગ કચરાનો યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થા નથી. ઇન ફેક્ટ, જે વ્યવસ્થા છે તેની ક્ષમતા કરતાં વધુ કચરો પેદા થાય છે અને તે આમ તેમ ગલી-ગુંચીઓમાં પડેલો હોય છે. કૂતરાં માટે આ ‘સ્વર્ગ’ સમાન છે. બીજું, બહુ બધા લોકો અલગ-અલગ કારણોસર પાલતું કૂતરાંને રસ્તા પર છોડી દે છે અને ત્રીજું, દેશમાં કૂતરાંઓનું વ્યંધીકરણ અને રસીકરણની વ્યવસ્થા અપૂરતી છે. ભારતમાં રખડતાં પશુઓના જન્મદરને અને હડકવાના રોગને નિયંત્રિત કરવાની જોગવાઈ તો છે પણ તેનો અસરકારક અમલ થતો નથી. ધારો કે કૂતરાંને રસી મુકેલી હોય તો પણ તે લોકોને પજવતાં કે કરડતાં કેવી રીતે અટકશે?

એ પણ સમજી શકાય તેમ છે કે ભારત જેવા માણસોથી ફાટ-ફાટ થતા દેશમાં 6થી 8 કરોડની વસ્તી ધરાવતાં રખડતાં કૂતરાંનું ‘મેનેજમેન્ટ’ કરવું કેટલું અઘરું હશે. આમે ય જે દેશમાં પબ્લિક હેલ્થ સિસ્ટમમાં જ અનેક બાકોરાં હોય ત્યાં રખડતાં કૂતરાં પર કોણ ધ્યાન આપે? દાખલા તરીકે, અમેરિકા, કેનેડા, ફ્રાંસ અને જર્મની જેવા દેશોમાં કૂતરાંઓની વસ્તીને કાબૂમાં રાખવાની સખ્ત વ્યવસ્થા છે. ત્યાં સરકારી વિભાગો અને સામાજિક સંસ્થાઓ હળીમળીને રસ્તાઓને કૂતરાંથી મુક્ત રાખવા પ્રયાસો કરે છે.

આનો એક માત્ર સચોટ ઈલાજ એ છે કે સરકારે અને જનતાએ મળીને કૂતરાંઓની માલિકીને લગતા કડક કાનૂનો બનાવવા જોઈએ. અત્યારે જે પશુ અત્યાચાર નિવારણ કાનૂન છે તેમાં પશુઓ પર થતા અત્યાચાર રોકવા પર ફોકસ છે. એમાં લોકોની કઈ જવાબદારી અને ફરજ આવે છે તેની કડક જોગવાઈ નથી.  મુંબઈ હાઈ કોર્ટે કહ્યું તે પ્રમાણે, કૂતરાંઓને છુટ્ટા મૂકી દેવાં અને  તેમને રસ્તા પર ખવડાવવું એ સમસ્યામાં વધારો કરે છે.

આજથી 100 વર્ષ પહેલાં, મહાત્મા ગાંધીએ રખડતાં કૂતરાંઓની સાર્વજનિક દરકાર લેવાનું સૂચન કર્યું હતું. 1920ના દાયકામાં, તેમના સામયિક ‘યંગ ઇન્ડિયા’માં ગાંધીજીએ લખ્યું હતું કે, “માલિક વગરનાં રખડતાં કૂતરાં સમાજ માટે જોખમી છે. આપણે જો ગામ કે શહેરમાં કૂતરાંને સારી રીતે રાખવાં હોય તો તે રખડતાં ન હોવાં જોઈએ. આપણે આની જવાબદારી ન લઇ શકીએ? કૂતરાં માટે પાંજરાપોળ ન હોય? હું એવું દૃઢપણે માનું છું કે કૂતરાંનાં માલિકોને એવી ફરજ પાડવી જોઈએ કે તેઓ કૂતરાંને કાબૂમાં રાખે અને રખડતાં ન મૂકી દે.”

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 01 મે 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,0201,0211,0221,023...1,0301,0401,050...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved