Opinion Magazine
Number of visits: 9667092
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રેવાકાંઠે માંગરોળમાં સમાજકાર્યના ‘પ્રયાસ’નો માહિતી-સંગ્રહ 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|20 August 2023

પુસ્તક પરિચય

‘માટીની મહેંક’ સમાજકાર્ય કરનારી સંસ્થા ‘પ્રયાસ’ના અત્યાર સુધીના પિસ્તાળીસ વર્ષની કામગીરીનો દસ્તાવેજ છે. ‘સર્વાંગિણ ગ્રામવિકાસ મંડળ પ્રયાસ’ રેવા કાંઠે રાજપીપળાની નજીક આવેલાં માંગરોળ પંથકના પાંત્રીસેક ગામોમાં ગાંધી-વિનોબા પ્રેરિત માર્ગે કામો કરતું રહ્યું છે.

વિનોબા ભાવેએ સૂચવેલું કે સમાજે ગામડાંને સાત પાયાની જરૂરિયાતો માટે પગભર કરવા જોઈએ : અન્ન, વસ્ત્ર, રહેઠાણ, આરોગ્ય, ઓજાર, જીવન કેળવણી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ.

આ સપ્તસ્વાવલંબનના પહેલાં પગલાં તરીકે ‘પ્રયાસ’ સજીવ ખેતીની દિશામાં વર્ષોથી આગળ વધી રહ્યું છે, એમ સંસ્થાના પ્રમુખ શિલ્પિન મજમુદાર પુસ્તકની શરૂઆતમાં ‘વિચારબીજ’ લેખમાં નોંધે છે.

તેમાં જણાવ્યા મુજબ સંસ્થાના ઓજાર કેન્દ્રે 75 જેટલાં ગામોના સાડા સાતસોથી વધુ સીમાંત ખેડૂતોને ઓજાર પૂરાં પાડ્યાં છે. આરોગ્યશાસ્ત્રની બહુવિધ પ્રવૃત્તિઓ અને જીવનલક્ષી કેળવણી માટે ચાળીસ ગામોની શાળાઓમાં ગુંજતું ઘર પ્રવૃત્તિ પણ ચાલે છે.

શિલ્પિન આગળ લખે છે : ‘આ બધાની ઉપર ગ્રામશાળાની પ્રવૃત્તિ છે જેમાં પરિવારધન, માટીધન, જીવનધન અને ગ્રામધનનો સમાવેશ થાય છે.’

આવી અનેકવિધ પ્રવૃત્તિઓનો વિગતવાર તપસીલ સવા છસો પાનાંના પુસ્તકના પાછળના 341 પાનાંમાંથી મળે છે. ચૌદમા વિભાગ ‘અવિરત ઝરણું’માં વર્ષ 1985-86થી ગયાં વર્ષના ડિસેમ્બર સુધીનાં કાર્યોની સાલવાર ઝલક મુદ્દાસર અને ઘણાં કોષ્ટકો સ્વરૂપે મળે છે.

તેમાં 1988-90ના વર્ષોમાં ‘પ્રયાસ’ દ્વારા ઉત્પાદિત સુધારેલાં ખેતીના અને ગૃહઉદ્યોગના સાધનો વિશે રસપ્રદ માહિતી છે. જેમ કે ‘દિવેલા થ્રેશર’ આખા દિવેલાનું કવચ તોડી અંદરના એરંડા છૂટા પાડવાનું તેમ જ મગફળી ફોલવાનું સાધન છે.

ખળામાં અનાજના દાણા છૂટા કર્યા પછી દાણામાંથી કચરાને ઉડાડવા માટે ઉણપવાના પંખા ‘પ્રયાસે’ બનાવ્યા. માટીની ઇંટો પાડવા માટે પેડલથી ચાલતું મશીન, ખેતરમાંથી નીંદામણ ઉખાડવા માટે કારબડી સેટ, મરચાં અને તુવેરદાળ હાથઘંટી, નખથી મકાઈ ફોલવાને દાણા સરળતાથી કાઢવા માટેનું મકાઈ દાંતી મશીન પણ સંસ્થાએ બનાવ્યાં.

તેણે પાસેથી બાળકો માટે સુકોમળ જાજરૂ, કુંભારને માટી પકવવા માટે સુધારેલા નીભાડા, કોતર બાંધવા તેમ જમીન નવસાધ્ય કરવા કોતર પ્લગ, માલ-માટી-દાણ વહન કરવામાં શ્રમ બચાવતી બે પૈડાંવાળી સુપડા ગાડી જેવી ભેટ પણ લોકોને ધરી.

આવાં અનેક સાધનોનું નવપ્રવર્તન (ઇનૉવેશન) ‘પ્રયાસ’ના ‘માનવીય ટેક્નોલૉજી ફોરમે’ કર્યું છે. ફોરમ સંસ્થાની અનોખી મૌલિક સિદ્ધિ છે. તેનો ઉદ્દેશ ગામડાંના લોકોના અને ખાસ કરીને ખેડૂત વર્ગના શ્રમ હળવા બને તેવાં સસ્તાં, ટકાઉ અને લોકભોગ્ય સાધનો બનાવવાનો છે.

તેના પાયામાં ‘પ્રયાસ’નો વૈજ્ઞાનિક અભિગમ અને તેના સ્થાપકો-કાર્યકર્તાઓના, કાર્યગ્રામોચિત ટેક્નોલોજી તેમ જ ખેત ઇજનેરીનું જ્ઞાન રહેલાં છે. ઇકોફ્રેન્ડલિ અભિગમ પણ તેમાં પૂરેપૂરો સમાયેલો છે.

માનવીય ટેક્નોલૉજી ફોરમ, ગ્રામોચિત ટેક્નોલૉજી, એગ્રોપોલિટન ડિસ્ટ્રિક્ટ (ખેતી આધારિત ગ્રામવસાહતો), ગ્રામ પોલિટેકનિક અને ‘પ્રયાસ’ની એકંદર તાત્ત્વિક ભૂમિકા તેરમા વિભાગ ‘અગત્યની કર્મકણિકાઓ’ના નવ પ્રકરણોમાં વાંચવા મળે છે.

તેમાંથી મોટા ભાગનાં મહેન્દ્ર ભટ્ટે સર્વોદય વિચારધારાના પાક્ષિક મુખપત્ર ‘ભૂમિપુત્ર’માં પ્રસિદ્ધ  થઈ ચૂકેલા છે એવી માહિતી જાણીતા સર્વોદય કર્મશીલ રજનીભાઈ  દવે આપે છે.

તેમાં ‘કેટલાંક ગ્રામોપયોગી સંશોધનો’ મથાળા હેઠળ વિવિધ સાધનોની આકૃતિઓ સાથે આપેલી માહિતી વિશેષ રસપ્રદ છે. આ સાધનો છે : ડમરૂ ચુલો, સૂરજ ચુલો, એકલિયું, કામકડાં, મકાઈ દાંતી, શીકા ચાળણો / ફીરકી ચાળણો, સુકોમળ જાજરૂ, કોતર પ્લગ, ટેબલ-કમ-કબાટ અને ખાતર સૂયો. 

મહેન્દ્રભાઈ અને તેમનાં પત્ની ભારતીબહેન સંસ્થાના આધારસ્તંભ છે. આ સંવેદનસભર સમર્પિત યુગલ પુસ્તકનાં પોણા બસોથી વધુ પાનાંમાં પ્રગટે છે, જેમાં તેમનાં સ્વકથન અને દર્શન પણ આવી જાય છે.

લગ્નજીવનની અરધી સદી વીતાવી ચૂકેલાં દૃષ્ટિસંપન્ન દંપતીના ‘સંતસ્વરૂપ’નું કિર્તન પુસ્તકના અગિયારેક વિભાગોમાં પણ વ્યાપેલું છે. ‘પરિવારજનોની અમીદૃષ્ટિ’ એવાં કૌટુંબિક પ્રકરણ ઉપરાંત અનુક્રમણિકા મુજબ ‘પ્રયાસ’ના નામે આવતા સાત વિભાગોમાં સંસ્થાના સાથીદારો, મિત્રો-શુભેચ્છકો, તાલીમ સંગાથીઓ, શિબિરાર્થીઓ, સંવર્ધકો અને ટ્રસ્ટીઓ થઈને એંશી જેટલા સમાજકાર્યકરોએ કરેલાં લખાણો મુખ્યત્વે મહેન્દ્ર-ભારતીની મહત્તાને કેન્દ્રમાં રાખે છે. રમેશ સંઘવીએ નોંધ્યું છે : ‘પ્રયાસની કથા એટલે મહેન્દ્રભાઈ-ભારતીબહેનની જ કથા’.

જો કે રમેશભાઈએ સંસ્થાના ઇતિહાસ વિશે લખતાં તેની સ્થાપનામાં પહેલ કરનાર ‘નીમપાગલ’ વ્યક્તિઓનો ઉલ્લેખ કર્યો છે, જેમની વાત વત્તીઓછી વિગતે બીજા લેખોમાં પણ મળી આવે છે. રમેશભાઈ કહે છે : ‘… નાનુભાઈ મજમુદાર અને જગદીશભાઈ લાખિયા, મહેન્દ્રભાઈ અને ભારતીબહેન તેમ જ પદ્માબહેન ચોકસી, સુશીલાબહેન ડાંગરવાલા, ડૉ અશ્વિનભાઈ પટેલ અને ડૉ. અશોકભાઈ ભાર્ગવ આ અષ્ટજનોનો ‘પ્રયાસ’ યાત્રારંભે રહ્યો.’

મહેન્દ્ર-ભારતીએ પોતે ‘સંસ્થાનું જતન’ વિભાગમાં ‘મંગળેશ્વર મહાદેવની એક ઝૂંપડીથી’ શરૂ થયેલી સંસ્થાની કથા લખી છે, જે ‘જીવનગાન’નાં બાર ગીતો અને ‘જીવનમંત્રથી પૂરી થાય છે.

પુસ્તકમાંથી સંસ્થાનું જે શીલ ઉપસે છે તેમાં સકળ સૃષ્ટિ માટે સમજપૂર્વકનો આદર, સાદગી અને સૌંદર્ય, શોધન અને નવપ્રવર્તન, ધીરજ અને ઠાવકાઈ, ‘લોક’ માટેની અફર શ્રદ્ધા જેવા ગુણોનો સમાન્વય મળે છે.

‘પ્રયાસે’ સમાજોપયોગી કાર્ય નોંધપાત્ર પ્રમાણમાં કર્યું છે, એમ આ પુસ્તક બતાવે છે. પણ તેનું નામ બીજી કેટલીક સેવાસંસ્થાઓની સરખામણીમાં ઓછું જાણીતું હોવાની આ લખનારની છાપ છે. તેની પાછળ સંસ્થાની પ્રસિદ્ધિથી દૂર રહીને કામ કરવાની વૃત્તિ હોઈ શકે.

સંસ્થામાં વિવિધરૂપે ફાળો આપનાર ખેડૂતો, દાતાઓ, શ્રમજીવીઓ, ગ્રામજનો, કાર્યકર્તાઓ અને બાળકોને ગ્રંથ અર્પણ કરવામાં આવ્યો છે. પુસ્તકનાં છેલ્લાં આડત્રીસ પાનામાં પ્રવૃત્તિઓની પોણા બસો રંગીન છબિઓ ઉપરાંત પચાસેક સ્ત્રી-પુરુષ કાર્યકર્તાઓના ફોટોગ્રાફ્સ છે.

‘પ્રયાસ’ના આ મહત્ત્વના માહિતી-સંચયમાં સંપાદકની ગેરહાજરી અને સંપાદનની સતત જરૂર વર્તાય છે. ‘મહેંક’ એવી ભૂલભરેલી જોડણી (સાર્થ જોડણીકોશ મુજબ) મુખપૃષ્ઠ સહિત બધી જગ્યાએ છે.

જો કે જે પુસ્તકમાં જે વિત્ત એકઠું થયું છે તેમાંથી મૂડીવાદ, ઉદ્યોગવાદ અને ઉપભોગવાદની સામે એક વિચારણીય વૈકલ્પિક દર્શનની પ્રતીતિ જરૂર થાય છે.

*   *   *   *   *   *   *   *

● આભાર : ભદ્રાબહેન સવાઈ, રજનીભાઈ દવે, સ્વાતિબહેન દેસાઈ

● પુસ્તકનાં પ્રાપ્તિસ્થાન અને કિંમત જણાવેલાં નથી. 

● સંસ્થાનું સરનામું : ‘પ્રયાસ’, મુ.પો. માંગરોળ, તા. નાંદોદ, જિલ્લો નર્મદા 393 150, e.mail : sarvanaginprayas@gmail.com

[આજના ‘દિવ્ય ભાસ્કર’ ની પૂર્તિમાં આવેલા મારા લેખની વધુ વિગતો સાથેની વર્ઝન]
[750 શબ્દો]
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સામ્પ્રત સમ્પાદનપ્રવૃત્તિ વિશે 

સુમન શાહ|Opinion - Literature|20 August 2023

સુમન શાહ

સામ્પ્રતમાં ચાલી રહેલી સમ્પાદન-પ્રવૃત્તિના સંદર્ભમાં, મને થાય છે, થોડી મુક્તતાથી વાત કરવી જરૂરી છે.

આપણે ત્યાંનાં સમ્પાદનોના પ્રકારો અને તેમાંના કેટલાકના મને થયેલા અનુભવોને આધારે એ વાત કરું તે વાજબી ગણાશે.

મારા એક સર્વોચ્ચ અનુભવની વાત કરું. સમ્પાદકશ્રી એક જમાનામાં મારા મિત્ર તે કહે, સુમન, તારા એ પુસ્તકના એ પ્રકરણનો અંગ્રેજીમાં અનુવાદ કરી આપ. મેં એ પ્રકરણ પર નજર નાખી, મને એ સામાન્ય લાગ્યું. મેં એને જણાવ્યું, અનુવાદ કરી તો શકાય પણ એને અંગ્રેજીના વાચકો માટે મૂકવું મને યોગ્ય નથી લાગતું. તો કહે, તને ગમતા કોઈ બીજા પ્રકરણનો કર. એટલે મને પ્રશ્ન થયો કે આવી છૂટ આપે છે તો સમ્પાદનનો કેન્દ્રવર્તી હેતુ શું હશે -? એને કયા સાહિત્યપરક આશયે આવા લેખો સમ્પાદિત કરવા હશે? એટલે મેં પૂછ્યું. પણ એનો જવાબ આપવાને બદલે એ મને એમ કહેવા લાગ્યો કે – અમેરિકાના ‘રતલેજ’ પ્રકાશને મને આ સમ્પાદનનું કામ સૉંપ્યું છે. હવે, અમેરિકામાં આ નામનાં બે પ્રકાશગૃહો છે, Routledge Hill press અને Routledge Books. એને કયા રતલેજે એ કામ સૉંપ્યું હશે એ પ્રશ્ન પાસે હું થંભી ગયો. મેં કહ્યું, ભલે, મને રતલેજનું ઇન્વિટેશન માોકલી આપજો.

એ વાતને વરસો થઈ ગયાં, આજ સુધી એઓશ્રી મૂક છે. એઓશ્રીને અમુક પ્રશ્નોના જવાબો આપવાનું ભારે પડે છે એમ એઓશ્રી સાથેના એક બીજા પ્રસંગથી દૃઢ થયેલું.

મને નામોમાં રસ નથી પણ કામો પાછળની પદ્ધતિઓમાં છે, ખાસ છે.

સમ્પાદનના એ પ્રકારને હું ઉત્તમ ગણું છું. કેમ કે સમ્પાદકના બોલ પર તમારું જ પ્રકરણ તમે જ અનુવાદ કરીને આપો ને કશી પણ ચોખવટ ન પૂછો, નિમન્ત્રણ તો માગો જ નહીં, માગો તો મૂંગારો મળે ! તમારા કશા જ વાંક વિના તમારા માટે હીણપતભર્યું પણ એમના માટે કેટલું સરળ ! સરળતમ.

સાહિત્યિક સંસ્થાઓ સમ્પાદનો કરાવતી હોય છે. સાહિત્ય અકાદમી દિલ્હીએ હાથ ધરેલાં સમ્પાદનો માટે મારી બે વસ્તુઓ પસંદ થઈ છે, એક નિબન્ધ અને એક સિદ્ધાન્તલેખ. આ વાતની મને ખબર ન પડત પણ સમ્પાદકો મારા મિત્રોએ તે મને જણાવ્યું. મેં કહ્યું -આ નિબન્ધ તો બહુ પ્રાથમિક દશાનો છે, મને પૂછ્યું હોત તો. મેં કહ્યું – પૂર્વસમ્મતિ? તો કહે – એ કામ તો અકાદમીએ કરવાનું હોય છે. સિદ્ધાન્તલેખોના સમ્પાદકને મેં ક્હ્યું – તેં પસંદ કરેલા મારા એ સિદ્ધાન્તલેખનું પ્રૂફરીડિન્ગ થવું જરૂરી છે. પી.ડી.ઍફ. હશે કે કશીક ટૅક્નિકલ મુશ્કેલીને કારણે એ ન થયું. એટલે મેં કહ્યું કે અકાદમીને કહેજો કે આ બાબતનું ધ્યાન રાખવામાં આવે.

આ બન્ને સમ્પાદનોની વાતને બેએક વર્ષ થઈ ગયાં. નથી અકાદમી તરફથી મને નિમન્ત્રણ અપાયું, નથી પૂર્વસમ્મતિ માગવામાં આવી; બન્ને સમ્પાદનો પ્રકાશિત થયાં કે કેમ તે પણ હું નથી જાણતો. કેમ કે એની જાણ પણ ત્યારે જ થાય જ્યારે જેને ખબર પડી હોય એ બીજો લેખકમિત્ર તમને જણાવે ! સાહિત્ય અકાદમી, દિલ્હીનો મારો આ અનુભવ પણ શ્રેષ્ઠ કોટિનો નથી લાગતો?

અન્ય સંસ્થાઓ પણ સમ્પાદનો કરાવતી હોય છે. ત્યારે પણ લેખકોને આ જાતની તકલીફો વેઠવી પડે છે. એવા એક ઑનલાઇન સમ્પાદનના સમ્પાદકે મારો એક વિવેચનલેખ લીધેલો તેની ખબર મને ત્યારે પડી જ્યારે એ સમ્પાદન જાહેરમાં મુકાયું. મેં સંસ્થાને લખ્યું કે – આ મારો બહુ પહેલાંનો લેખ છે, એ પછી તો આ વિષયમાં મેં ઘણું લખ્યું છે, સમ્પાદકને કહો કે બીજો લેખ લે. એ તો એમણે ન કર્યું અને તેથી સમ્પાદનના એ પ્રકાશિત પુસ્તકમાં મારો લેખ નથી. મારો શો વાંક?

સમ્પાદકને સમ્પાદનના કોઈક વિશિષ્ટ આશયથી સમ્પાદન કરવાની છૂટ છે. આશય જ સમ્પાદનના સાહિત્યિક મૂલ્યનું કેન્દ્રસ્થ કારણ છે. એ આશયમાં બંધ બેસે એવી લેખસામગ્રી માટે સમુચિત ગણી શકાય તેવા જ લેખકોને નિમન્ત્રણ અપાવું જોઈએ.

સમ્પાદન માટે લેખકને અપાતા નિમન્ત્રણમાં એ આશયની સ્પષ્ટતા હોય, તેમાં તેની સમ્મતિ માગવામાં આવી હોય, જણાવાયું હોય કે લગભગ આ સમયે સમ્પાદન પુસ્તક રૂપે પ્રકાશિત થશે, પુસ્તકની નકલ મોકલવામાં આવશે, આટલો પુરસ્કાર આપીશું, અથવા પુરસ્કાર નથી આપી શકતા. તેમછતાં, કોઈક નિમન્ત્રણમાં આટલી ચોખવટો ભલે ન થઈ હોય પણ લેખક કોઈક મુદ્દા વિશે પ્રશ્ન કરે તો તેનો ઉત્તર વાળવો પડે. આવું નિમન્ત્રણ સમ્પાદક આપે કે સંસ્થા આપે, પણ કોઈપણ સમ્પાદન માટે આવું જ નિમન્ત્રણ જરૂરી છે, અનિવાર્ય છે.

લેખકની એવી સર્વસમ્મતિ પછી જ કામ હાથ ધરાય, તેને બદલે આપણે ત્યાં ઊંધું જોવા મળે છે, ઊંધું એટલે સુધી કે છેક લગી લેખકને જ બાદ રાખવામાં આવે છે. બને કે લેખકને સમ્પાદક વિષયસજ્જ ન લાગ્યો હોય અને એ સમ્મતિ ન પણ આપે. એવી અસમ્મતિને પણ વધાવી લેવી જોઈશે.

કૃતિનાં અન્યો દ્વારા રૂપાન્તરો થાય ત્યારે આ મુશ્કેલીઓ વધશે – જેમ કે વાચિકમ્ વખતે કે કૃતિ પરથી નાટક કે ફિલ્મો બનાવાય ત્યારે. ત્યારે પણ એ રજૂઆતકર્તાઓની સજજ્તાનો પ્રશ્ન થશે – કૃતિને રજૂઆતકર્તા સમ્યક રૂપે પામી શક્યો છે કે કેમ – કૃતિના કર્તાની સૃષ્ટિની જાતભાતથી વાકેફ છે કેમ. આ બધા મુદ્દાઓના સંદર્ભે મૂળ લેખકની સર્વસમ્મતિ માટે પૂર્વસંવાદ અનિવાર્ય છે. આમાં પુરસ્કાર વગેરે બાબતો પણ ઉમેરાશે, કેમ કે રજૂઆત કરનારાઓને ફી અપાતી હોય તો મૂળ લેખકને કેમ નહીં?

વ્યાપક અર્થમાં આ ‘પ્રજ્ઞાપરાધ’ છે. અંગ્રેજીમાં ‘પ્લેજ્યારિઝમ’ કહેવાય છે. પ્લેજ્યારિઝમ એટલે સાહિત્યચોરી. નાના કે મોટા લેખકની સૃષ્ટિમાંથી એ જાણે નહીં એ રીતે કંઈપણ લઈ લેવું તે ચોરી છે. પારકાની સમ્પદાને ચોર્યા પછી પોતાને નામે ચડાવી દેવી એ મહાચોરી છે. કૉપિરાઇટનો કાયદો એટલે તો છે. એ કાયદાનું સૌએ પાલન કરવું જરૂરી છે. પરભાષાના અનુવાદ વખતે તો લિખિત પૂર્વસમ્મતિ અનિવાર્ય છે. એ જ રીતે, સ્વભાષાના પુસ્તકને અન્ય ભાષામાં મૂકતી વખતે પણ મૂળ લેખકની પૂર્વસમ્મતિ અનિવાર્ય છે.

સાહિત્યના અધ્યયનમાં કે પરીક્ષામાં અધ્યેતા કે વિદ્યાર્થી કોઈપણ લેખકનું કંઈપણ અવતરણ રૂપે મૂકી શકે છે, પૂર્વસમ્મતિની જરૂર નથી. પણ ત્યારે એ અવતરણની વીગતો આપવી અનિવાર્ય છે, લેખકનું નામ, પુસ્તકનું નામ, પાનનમ્બર, આવૃત્તિસાલ. અરે ! આ બધું તો અધ્યાપકો વર્ગમાં ભણાવતા જ હશે ને?

આપણે હવે ઇન્ટરનેટ-યુગમાં ૨૧-મી સદીમાં જીવીએ છીએ જેમાં વ્યક્તિ પોતાની અંગત વીગતને ભાગ્યે જ છુપાવી શકે છે. એ સંજોગોમાં, આપણા વ્યવહારો વધુ ને વધુ પારદર્શક હોવા જોઈશે. પારદર્શકતા માટે જરૂરી છે કે વ્યવહારો તર્કપુર:સરના હોય. એ વ્યવહારોની વીગતો જેટલી લિખિત હશે, કરારબદ્ધ, તેટલા એ વ્યવહારો શ્રદ્ધેય લેખાશે. એને ફૅઅર બિઝનેસ ડીલ કહેવાય.

સમ્પાદનો કે પુસ્તકપ્રકાશનો પણ કરારબદ્ધ હોય એવો સદાગ્રહ લેખકોએ તેમ જ પ્રકાશકોએ રાખવો જોઈશે. તો જ એ ફૅઅર ડીલ બનશે. જાણી લો કે ગુજરાતી સિવાયની લગભગ બધી જ ભાષાઓમાં કરાર વિના લેખક કે પ્રકાશક ડગલું યે આગળ નથી ભરતા.

આજકાલ પ્રકાશકો તરફથી એવું જાણવા મળે છે કે સાહિત્યનાં પુસ્તકો વેચાતાં નથી, સાહિત્યનો વેપાર આર્થિક રીતે નફાકારક નથી રહ્યો. આ વાતમાં દમ છે એમ સ્વીકારીએ પછી પ્રશ્ન એ કરવો પડે કે એવાં પુસ્તકો શું કામ કરો છો, ન કરો; અને જો કરો છો તો સરસ કરાર કરો ! લખો ને કે આટલા ટકા જ અથવા ઝીરો રૉયલ્ટી આપી શકાશે. પ્લીઝ, ધ્યાનમાં લો કે આ, ઓછામાં ઓછાં ૪૦ વર્ષથી કશા જ કરાર વિના પુસ્તકો છપાવનાર સુમન શાહ કહે છે !

પણ આપણે ત્યાં કોઈ કોઈ લેખકને પ્રકાશક માટે કરુણા જાગે છે ત્યારે લેખક તરીકેના સ્વમાનને ય બાજુએ મૂકી દે છે અને સામેથી પૈસા આપીને છપાવે છે. આ સહકારી વૃત્તિપ્રવૃત્તિ સારી છે કે કેમ, એ જુદી વાત છે. પણ એ લેખકો પોતાના એ સહકારની વીગતો જાહેર કરશે ખરા? કરશે તો પ્રકાશકો ચલાવી લેશે ખરા? આર્થિક નુક્સાન કે આર્થિક સહકારનો મુદ્દો જ વેપારવિષયક છે, સાહિત્યિક નથી, એટલે વધુ ચર્ચા કરવી વ્યર્થ છે.

વાત એટલી જ છે કે પ્રકાશક કે સમ્પાદક સાહિત્યજગતમાં જરૂરી છે તેમછતાં માત્ર એ જ કારણે લેખકની પુસ્તક વગેરે સામગ્રી એની સમ્મતિ વિના બજારમાં લઈ જવાનો પરવાનો નથી મળી જતો.

હું આશા રાખું કે ગુજરાતી સાહિત્યસમ્પાદનોની તેમ જ પ્રકાશનોની આ દુ:ખદ સ્થિતિનો નાશ થાય અને ગિવ ઍન્ડ ટેકના સ્વસ્થ ડીલની કમર્સિયલ પૅટર્ન પર બધું સરસ ચાલે અને એ રીતે આ વ્યવસાય આધુનાતન ઢબે વિકસ્યો હોય.

યાદ રાખો કે લેખન જ જ્યોતિ છે, પ્રકાશક કે સમ્પાદક એના પ્રકાશને માત્ર પ્રસરાવે છે.

= = =

(08/20/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

જૂના કાયદા નાબૂદ કરવાની માંગઃ ફેરફારથી કોને પડશે ફેર? શું ન્યાયતંત્રનો બોજ વધશે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|20 August 2023

આ નવા બિલ્સ ભારતમાં ખાસ કરીને અપરાધી કાયદાને મામલે ભવિષ્ય ઘડનારા સાબિત થઇ શકે છે અને માટે જ તે ટકી શકે તેવા છે કે કેમ, તેનો પ્રભાવ, તેનું અનુસરણ અને અમલીકરણ ઉપરાંત ન્યાય આપવાની તેની ક્ષમતા ચકાસવી એ ન્યાયતંત્ર સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા તમામની જવાબદારી બને છે

ચિરંતના ભટ્ટ

ગયા અઠવાડિયે કેન્દ્ર સરકારે સંસદમાં ત્રણ નવા ધારા મૂક્યા અને એ સાથે દાવો કર્યો કે દેશમાં ગુનાને લઇને જે ન્યાય અપાય છે તેમાં આ પરિવર્તનથી મોટો ફેરફાર આવશે. ઇન્ડિયન પિનલ કૉડને બદલે ભારતીય ન્યાય સંહિતા, કૉડ ઑફ ક્રિમિનલ પ્રોસિજરને બદલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ઇન્ડિયન એવિડન્સ ઍક્ટને બદલે ભારતીય સાક્ષ્ય બિલ પસાર કરવાના સૂચન કરાયા છે. ઇન્‍ડિયન પિનલ કૉડ, કૉડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર અને ઇન્ડિયન એવિડન્સ ઍક્ટ – આ ત્રણેય કાયદા અંગ્રેજોના સમયથી દેશમાં લાગુ છે અને ગૃહ મંત્રી અમિત શાહનો દાવો છે સરકાર બદલાયેલા સમયને ગણતરીમાં લઇને આ પરિવર્તનો કરે છે જેનો ઉદ્દેશ સજા નહીં પણ નાગરિકોના અધિકારોનું રક્ષણ છે. ગુનાને લગતા કાયદાઓમાં જાહેર કરાયેલા પરિવર્તનોને લઇને અનેક ચર્ચાઓ છેડાઈ છે. કાયદાકીય બારીકીમાં વધુ ન પડતાં જરા સમજવાનો પ્રયાસ કરીએ કે આ પરિવર્તનો જ્યારે પણ ખરેખર લાગુ પડશે ત્યારે તેનો કેવો પ્રભાવ પડી શકે છે.

વિશેષજ્ઞોના મતે આતંકવાદ, ભ્રષ્ટાચાર, મૉબ લિન્ચિંગ, લગ્નનું વચન આપીને કરાયેલા બળાત્કારથી માંડીને પાકીટ ચોરીના ગુનાથી માંડીને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ જેવા ગુનાને પણ પિનલ લૉઝ હેઠળ લાવવામાં આવ્યા છે. આ એવા ફેરફાર છે જેનાથી પોલીસ પાસે કોઈની પણ ધરપકડ કરવાની અણધારી અને બેફામ સત્તા આવશે. MCOCA – મકોકાના કાયદામાં જે ફેરફારો કરવાની વાત થઈ છે તે જોતાં જે કાયદો એક સમયે અમુક જ પ્રકારના ગુનામાં વપરાતો તેનો ઉપયોગ હવે કોઈપણ અધિકારી, કોઇપણ ગુના માટે કરી શકશે. જ્યારે આખા IPCને જ બદલવામાં આવે છે અને મકોકાના કાયદાની જોગવાઈઓ હતી તેનું ફિલ્ટર ન હોવાથી ગમે તે વ્યક્તિ ટાડા, કે પોટામાં જેલભેગી થઇ શકે છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર ડી શિવનંદને, જાણીતા પત્રકાર અને લેખક મનીષ પચૌલીના ‘ક્રાઇમએનાલિટીકલ’ બ્લૉગમાં આ અંગે એક દૃષ્ટાંત આપતા કહ્યું છે કે, “પહેલાં જો ૧૦ ગુના નોંધાતા હતા તો હવે ૨૦૦ ગુના નોંધાશે અને કોર્ટમાં તેની ટ્રાયલ થઇને પરિણામ આવતા વાર લાગશે. નાના ગુના કરનારા અને ઘણીવાર નિર્દોષ સપડાઈ જનારા લોકોને લાંબા સમય સુધી એટલે કે કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી જેલમાં રહેવું પડે એવી શક્યતાઓ વધી જશે.”

વળી સરકારનો દાવો છે કે રાજદ્રોહને લગતા કાયદાને સરકારે દૂર કર્યો છે-નો દાવો પણ કરાયો છે. પરંતુ ખરેખર તો આ કાયદો નવા ખરડામાં રાજદ્રોહના કાયદાને નવું રૂપ અપાયું છે. જેમ કે ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકતાં કૃત્યો માટે સજા ફટકારાશે. આ રાજદ્રોહના ગુનાની વિસ્તૃત વ્યાખ્યા છે – રાજદ્રોહનો ગુનો રદ્દ થવો જોઈતો હતો પણ તેને જાળવવામાં આવ્યો છે અને તે પહેલાં કરતાં વધારે મજબૂત કરાયો છે. કોઈપણ વ્યક્તિ કંઇ જાણીજોઈને બોલે અથવા લખે કે સંકેતો બનાવે, કંઇક દેખાડે અથવા ઇ-મેસેજ કરીને દેશમાં અલગાવ, સશસ્ત્ર બળવો, વિધ્વંસક પ્રવૃત્તિઓને બળ આપે તો તેને સાત વર્ષની સજા થઇ શકે છે. પહેલાં આ સજા ૩ વર્ષની હતી. રાજદ્રોહ કરતાં પણ કડક એવો આ કાયદો એવી સ્થિતિ ખડી કરે છે કે તમારે છાસ નહીં પણ આઇસ્ક્રીમ પણ ફૂંકી ફૂંકીને ખાવો પડશે.

વળી આ ખરડામાં મહિલાઓ સામેની જાતીય હિંસાઓ રોકવા માટે કાયદા કડક કરાયા હોવાનો દાવો છે પણ મેરાઇટલ રેઇપ – વૈવાહિક બળાત્કારને ગુનો નથી ઠેરવાયો. સુપ્રીમ કોર્ટમાં મેરાઇટલ રેપનું ક્રિમનલાઇઝેશન – અપરાધીકરણ કરાય એ માટેની પિટિશન્સ પર કામ થઇ રહ્યું છે. વળી સ્પીચ (આપણા બંધારણમાં વાણી સ્વતંત્ર્ય એક અગત્યનું પાસું છે ત્યારે આ નવી રજૂઆત અગત્યની બને છે) એટલે કે વાણીને ગુનો ઠેરવતા ફેરફારો કરાયા છે એમાં રાજદ્રોહ અને અશ્લીલતા સમાવાયા છે. આ સંજોગોમાં કાલે ઊઠીને તમારું બોલાયેલું ક્યારે તમને ગુનેગાર ઠેરવી દેશે તેની કોઈ ગેરંટી નથી રહેતી. અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય, અખબારી સ્વતંત્રતા વગેરે પર તવાઈ આવે એવું પણ બને. વળી ધર્મ અને નિંદાને લગતા કાયદાઓનું વિશ્લેષણ ઝીણવટથી થાય તે જરૂરી છે કારણ કે અત્યારે જે જાહેરાત થઇ છે તેમાં ઘણી બધી ચોખવટો હજી દેખાતી નથી. સ્પષ્ટતા ન હોય ત્યારે કાયદાનો બેફામ ઉપયોગ થવાની શક્યતાઓ વધી જાય છે. જાતિ કે વંશને આધારે હત્યા થાય અને તેમાં પાંચ કે તેનાથી વધારે લોકોનું ટોળું હોય તો તે ટોળાંનો ભાગ હોય તેવા દરેકને સાત વર્ષની અથવા આજીવન કેદ અથવા મૃત્યુ દંડની જોગવાઈ છે, હવે ધારો કે પચાસ લોકોનું ટોળું હોય તો શું પચાસ જણને આ સજા ફટકારાશે? વળી ફોરેન્સિક અને ડિજિટલ પદ્ધતિઓ અપનાવવાની જે વાત છે તે સાંભળવામાં સારી લાગે છે પણ શું ભારતની ફોરેન્સિક લેબ્ઝ અધધધ કેસિઝ સંભાળી શકે એવી સ્થિતિમાં છે ખરી? નિષ્ણાતો અને સંસાધનો બન્ને સ્તરે ફોરેન્સિક્સને મામલે હજી આપણી સજ્જતા ઓછી છે. આવી ઘણી સ્પષ્ટતાઓ જરૂરી છે ખાસ કરીને એવા સમયમાં જ્યારે કોઇપણ ગુનાને રાજકીય રંગ આપતાં વાર નથી લાગતી. વળી આપણા દેશમાં સામાજિક પરિબળો પણ ગુનાના સ્વરૂપ અને તેની ગંભીરતા પર અસર કરે છે ત્યારે કાયદા ઘડાય અને અમલમાં મુકાય તે માટે તેનું વિહંગાવલોકન નહીં સૂક્ષ્મ નિરીક્ષણ જરૂરી છે.

અત્યારે તો એમ કહેવું બહુ વહેલું છે કે આ પરિવર્તનો ભારતીય ન્યાય તંત્રની સુરત અને સીરત ધરમૂળથી બદલી નાખશે કે કેમ? કેન્દ્ર સરકારનો દાવો એ છે કે તેઓ દેશમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને મજબૂત અને સરળ બનાવવા માટે આ પરિવર્તન કરવા ઇચ્છે છે. જો કે આવા કોઇપણ બદલાવનો પ્રભાવ ત્યારે જ નાણી શકાય જ્યારે તેની શરૂઆત, ઘડતર અને આગળ જતાં તેના પ્રત્યે કેવો અભિગમ રહે છે તેનું યોગ્ય વિશ્લેષણ થાય. આપણા ન્યાયંત્રના પડકારો આ ફેરફારોને પગલે ઉકેલાઇ જશે એવું અત્યારે કહેવું યોગ્ય નહીં રહે. આમ તો આ ત્રણેય બિલ્સ ત્રણ અલગ અલગ ફોજદારી કાયદા એટલે કે ક્રિમિનલ લૉઝને બદલવાના આશયથી બનાવાયા છે.

આપણો સમાજ બહુસ્તરીય છે અને આર્થિક ભેદ પણ દેખીતા છે. આવી સ્થિતિમાં શેનું અપરાધીકરણ – ક્રિમિનલાઇઝેશન થાય છે તે અંગે સાવચેતી અનિવાર્ય છે. નવા ફોજદારી કાયદાઓમાં જે સુધારાની વાત છે તેમાં સમાનતાનો સિદ્ધાંત અનુસરાય તે જરૂરી છે કારણ કે આપણે ત્યાં અત્યાર સુધી તો ફોજદારી કાયદાઓને કારણે વર્ગ વિભાજન થતું આવ્યું છે. સાધનસંપન્ન લોકો માટે ન્યાય મેળવવું સહેલું રહ્યું છે જ્યારે વંચિતો ન્યાયને મામલે હાંસિયામાં ધકેલાતા આવ્યા છે. નાગરિકો પર લાગુ કરાતા કાયદાઓ પર નાગરિકોને પણ વિશ્વાસ બેસે એ જરૂરી છે. કાયદા અચાનક જ હળવા કે કઠોર બને એટલે લોકોને ન્યાયતંત્ર પર વિશ્વાસ આવશે એવું માનવાનું કોઈ કારણ નથી. કાગળ પર લખાયેલો કાયદો અને તેના અમલીકરણની વાસ્તવિકતા વચ્ચેનું અંતર દૂર થાય એ પણ જરૂરી છે. આપણે ત્યાં તંત્રમાં ઘણીવાર એટલા ગાબડાં હોય છે કે તેનું અમલીકરણ પ્રભાવી રીતે કરવું અશક્ય બની જાય છે.

આ પરિવર્તનો અંગે સવાલો થવા માંડ્યા છે, આ જ સમય છે જ્યારે ન્યાયતંત્ર સાથે જોડાયેલા લોકો જરૂરી પ્રશ્નો કરે. ભારતીય સંદર્ભમાં યોગ્ય સમયે થયેલી દલીલો યોગ્ય સ્રોત સુધી પહોંચશે તો જ કદાચ જે ફેરફારો નવા સૂચનોમાં જરૂરી છે તે થઇ શકશે. આ નવા બિલ્સ ભારતમાં ખાસ કરીને અપરાધી કાયદાને મામલે ભવિષ્ય ઘડનારા સાબિત થઇ શકે છે અને માટે જ તે ટકી શકે તેવા છે કે કેમ, તેનો પ્રભાવ, તેનું અનુસરણ અને અમલીકરણ ઉપરાંત ન્યાય આપવાની તેની ક્ષમતા ચકાસવી એ ન્યાયતંત્ર સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા તમામની જવાબદારી બને છે.

બાય ધી વેઃ

મોટા ભાગના નિષ્ણાતોના મતે મકૉલેએ તૈયાર કરેલ 160 વર્ષ જૂની ભારતીય દંડ સંહિતાની 80 ટકા જેટલી બાબતો નવા સુધારાઓમાં સચવાયેલી છે. ક્યાંક તો માત્ર નવાં નામો છે જ્યારે જોગવાઈઓ જૂની છે. એવો પણ મત છે કે બધું ધરમૂળથી બદલવા કરવા તો જે છે એ સ્થિતિ સુધારી શકાઈ હોત. વળી ખાટલે મોટી ખોડ એ છે કે આ નવા કાયદા જો શિયાળુ સત્રમાં પસાર નહીં થાય તો ભૂલી જવાનું કારણ કે પછી માથે ચૂંટણી હશે અને આ બિલ્સ લૅપ્સ થશે. જો રાજ્યોને ગણતરીમાં લીધા વગર કાયદા પસાર કરવાની વાત આવશે તો વિવાદ થશે જ અને સરકારની દાનત પર પણ સવાલો ઉઠશે. વળી હજી તો બિલની રજૂઆત થઇ છે, તેને સંમતિ મળવી, તેનો કાયદો બનવો વળી દરેક રાજ્યનું તેને પોતાની રીતે બદલવું આ બધી જ કાર્યવાહી કરતાં મહિનાઓ નહીં પણ વર્ષો નીકળી જતાં હોય છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 ઑગસ્ટ 2023

Loading

...102030...1,0201,0211,0221,023...1,0301,0401,050...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved