પુસ્તક પરિચય
‘માટીની મહેંક’ સમાજકાર્ય કરનારી સંસ્થા ‘પ્રયાસ’ના અત્યાર સુધીના પિસ્તાળીસ વર્ષની કામગીરીનો દસ્તાવેજ છે. ‘સર્વાંગિણ ગ્રામવિકાસ મંડળ પ્રયાસ’ રેવા કાંઠે રાજપીપળાની નજીક આવેલાં માંગરોળ પંથકના પાંત્રીસેક ગામોમાં ગાંધી-વિનોબા પ્રેરિત માર્ગે કામો કરતું રહ્યું છે.
વિનોબા ભાવેએ સૂચવેલું કે સમાજે ગામડાંને સાત પાયાની જરૂરિયાતો માટે પગભર કરવા જોઈએ : અન્ન, વસ્ત્ર, રહેઠાણ, આરોગ્ય, ઓજાર, જીવન કેળવણી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ.
આ સપ્તસ્વાવલંબનના પહેલાં પગલાં તરીકે ‘પ્રયાસ’ સજીવ ખેતીની દિશામાં વર્ષોથી આગળ વધી રહ્યું છે, એમ સંસ્થાના પ્રમુખ શિલ્પિન મજમુદાર પુસ્તકની શરૂઆતમાં ‘વિચારબીજ’ લેખમાં નોંધે છે.
તેમાં જણાવ્યા મુજબ સંસ્થાના ઓજાર કેન્દ્રે 75 જેટલાં ગામોના સાડા સાતસોથી વધુ સીમાંત ખેડૂતોને ઓજાર પૂરાં પાડ્યાં છે. આરોગ્યશાસ્ત્રની બહુવિધ પ્રવૃત્તિઓ અને જીવનલક્ષી કેળવણી માટે ચાળીસ ગામોની શાળાઓમાં ગુંજતું ઘર પ્રવૃત્તિ પણ ચાલે છે.
શિલ્પિન આગળ લખે છે : ‘આ બધાની ઉપર ગ્રામશાળાની પ્રવૃત્તિ છે જેમાં પરિવારધન, માટીધન, જીવનધન અને ગ્રામધનનો સમાવેશ થાય છે.’
આવી અનેકવિધ પ્રવૃત્તિઓનો વિગતવાર તપસીલ સવા છસો પાનાંના પુસ્તકના પાછળના 341 પાનાંમાંથી મળે છે. ચૌદમા વિભાગ ‘અવિરત ઝરણું’માં વર્ષ 1985-86થી ગયાં વર્ષના ડિસેમ્બર સુધીનાં કાર્યોની સાલવાર ઝલક મુદ્દાસર અને ઘણાં કોષ્ટકો સ્વરૂપે મળે છે.
તેમાં 1988-90ના વર્ષોમાં ‘પ્રયાસ’ દ્વારા ઉત્પાદિત સુધારેલાં ખેતીના અને ગૃહઉદ્યોગના સાધનો વિશે રસપ્રદ માહિતી છે. જેમ કે ‘દિવેલા થ્રેશર’ આખા દિવેલાનું કવચ તોડી અંદરના એરંડા છૂટા પાડવાનું તેમ જ મગફળી ફોલવાનું સાધન છે.
ખળામાં અનાજના દાણા છૂટા કર્યા પછી દાણામાંથી કચરાને ઉડાડવા માટે ઉણપવાના પંખા ‘પ્રયાસે’ બનાવ્યા. માટીની ઇંટો પાડવા માટે પેડલથી ચાલતું મશીન, ખેતરમાંથી નીંદામણ ઉખાડવા માટે કારબડી સેટ, મરચાં અને તુવેરદાળ હાથઘંટી, નખથી મકાઈ ફોલવાને દાણા સરળતાથી કાઢવા માટેનું મકાઈ દાંતી મશીન પણ સંસ્થાએ બનાવ્યાં.
તેણે પાસેથી બાળકો માટે સુકોમળ જાજરૂ, કુંભારને માટી પકવવા માટે સુધારેલા નીભાડા, કોતર બાંધવા તેમ જમીન નવસાધ્ય કરવા કોતર પ્લગ, માલ-માટી-દાણ વહન કરવામાં શ્રમ બચાવતી બે પૈડાંવાળી સુપડા ગાડી જેવી ભેટ પણ લોકોને ધરી.
આવાં અનેક સાધનોનું નવપ્રવર્તન (ઇનૉવેશન) ‘પ્રયાસ’ના ‘માનવીય ટેક્નોલૉજી ફોરમે’ કર્યું છે. ફોરમ સંસ્થાની અનોખી મૌલિક સિદ્ધિ છે. તેનો ઉદ્દેશ ગામડાંના લોકોના અને ખાસ કરીને ખેડૂત વર્ગના શ્રમ હળવા બને તેવાં સસ્તાં, ટકાઉ અને લોકભોગ્ય સાધનો બનાવવાનો છે.
તેના પાયામાં ‘પ્રયાસ’નો વૈજ્ઞાનિક અભિગમ અને તેના સ્થાપકો-કાર્યકર્તાઓના, કાર્યગ્રામોચિત ટેક્નોલોજી તેમ જ ખેત ઇજનેરીનું જ્ઞાન રહેલાં છે. ઇકોફ્રેન્ડલિ અભિગમ પણ તેમાં પૂરેપૂરો સમાયેલો છે.
માનવીય ટેક્નોલૉજી ફોરમ, ગ્રામોચિત ટેક્નોલૉજી, એગ્રોપોલિટન ડિસ્ટ્રિક્ટ (ખેતી આધારિત ગ્રામવસાહતો), ગ્રામ પોલિટેકનિક અને ‘પ્રયાસ’ની એકંદર તાત્ત્વિક ભૂમિકા તેરમા વિભાગ ‘અગત્યની કર્મકણિકાઓ’ના નવ પ્રકરણોમાં વાંચવા મળે છે.
તેમાંથી મોટા ભાગનાં મહેન્દ્ર ભટ્ટે સર્વોદય વિચારધારાના પાક્ષિક મુખપત્ર ‘ભૂમિપુત્ર’માં પ્રસિદ્ધ થઈ ચૂકેલા છે એવી માહિતી જાણીતા સર્વોદય કર્મશીલ રજનીભાઈ દવે આપે છે.
તેમાં ‘કેટલાંક ગ્રામોપયોગી સંશોધનો’ મથાળા હેઠળ વિવિધ સાધનોની આકૃતિઓ સાથે આપેલી માહિતી વિશેષ રસપ્રદ છે. આ સાધનો છે : ડમરૂ ચુલો, સૂરજ ચુલો, એકલિયું, કામકડાં, મકાઈ દાંતી, શીકા ચાળણો / ફીરકી ચાળણો, સુકોમળ જાજરૂ, કોતર પ્લગ, ટેબલ-કમ-કબાટ અને ખાતર સૂયો.
મહેન્દ્રભાઈ અને તેમનાં પત્ની ભારતીબહેન સંસ્થાના આધારસ્તંભ છે. આ સંવેદનસભર સમર્પિત યુગલ પુસ્તકનાં પોણા બસોથી વધુ પાનાંમાં પ્રગટે છે, જેમાં તેમનાં સ્વકથન અને દર્શન પણ આવી જાય છે.
લગ્નજીવનની અરધી સદી વીતાવી ચૂકેલાં દૃષ્ટિસંપન્ન દંપતીના ‘સંતસ્વરૂપ’નું કિર્તન પુસ્તકના અગિયારેક વિભાગોમાં પણ વ્યાપેલું છે. ‘પરિવારજનોની અમીદૃષ્ટિ’ એવાં કૌટુંબિક પ્રકરણ ઉપરાંત અનુક્રમણિકા મુજબ ‘પ્રયાસ’ના નામે આવતા સાત વિભાગોમાં સંસ્થાના સાથીદારો, મિત્રો-શુભેચ્છકો, તાલીમ સંગાથીઓ, શિબિરાર્થીઓ, સંવર્ધકો અને ટ્રસ્ટીઓ થઈને એંશી જેટલા સમાજકાર્યકરોએ કરેલાં લખાણો મુખ્યત્વે મહેન્દ્ર-ભારતીની મહત્તાને કેન્દ્રમાં રાખે છે. રમેશ સંઘવીએ નોંધ્યું છે : ‘પ્રયાસની કથા એટલે મહેન્દ્રભાઈ-ભારતીબહેનની જ કથા’.
જો કે રમેશભાઈએ સંસ્થાના ઇતિહાસ વિશે લખતાં તેની સ્થાપનામાં પહેલ કરનાર ‘નીમપાગલ’ વ્યક્તિઓનો ઉલ્લેખ કર્યો છે, જેમની વાત વત્તીઓછી વિગતે બીજા લેખોમાં પણ મળી આવે છે. રમેશભાઈ કહે છે : ‘… નાનુભાઈ મજમુદાર અને જગદીશભાઈ લાખિયા, મહેન્દ્રભાઈ અને ભારતીબહેન તેમ જ પદ્માબહેન ચોકસી, સુશીલાબહેન ડાંગરવાલા, ડૉ અશ્વિનભાઈ પટેલ અને ડૉ. અશોકભાઈ ભાર્ગવ આ અષ્ટજનોનો ‘પ્રયાસ’ યાત્રારંભે રહ્યો.’
મહેન્દ્ર-ભારતીએ પોતે ‘સંસ્થાનું જતન’ વિભાગમાં ‘મંગળેશ્વર મહાદેવની એક ઝૂંપડીથી’ શરૂ થયેલી સંસ્થાની કથા લખી છે, જે ‘જીવનગાન’નાં બાર ગીતો અને ‘જીવનમંત્રથી પૂરી થાય છે.
પુસ્તકમાંથી સંસ્થાનું જે શીલ ઉપસે છે તેમાં સકળ સૃષ્ટિ માટે સમજપૂર્વકનો આદર, સાદગી અને સૌંદર્ય, શોધન અને નવપ્રવર્તન, ધીરજ અને ઠાવકાઈ, ‘લોક’ માટેની અફર શ્રદ્ધા જેવા ગુણોનો સમાન્વય મળે છે.
‘પ્રયાસે’ સમાજોપયોગી કાર્ય નોંધપાત્ર પ્રમાણમાં કર્યું છે, એમ આ પુસ્તક બતાવે છે. પણ તેનું નામ બીજી કેટલીક સેવાસંસ્થાઓની સરખામણીમાં ઓછું જાણીતું હોવાની આ લખનારની છાપ છે. તેની પાછળ સંસ્થાની પ્રસિદ્ધિથી દૂર રહીને કામ કરવાની વૃત્તિ હોઈ શકે.
સંસ્થામાં વિવિધરૂપે ફાળો આપનાર ખેડૂતો, દાતાઓ, શ્રમજીવીઓ, ગ્રામજનો, કાર્યકર્તાઓ અને બાળકોને ગ્રંથ અર્પણ કરવામાં આવ્યો છે. પુસ્તકનાં છેલ્લાં આડત્રીસ પાનામાં પ્રવૃત્તિઓની પોણા બસો રંગીન છબિઓ ઉપરાંત પચાસેક સ્ત્રી-પુરુષ કાર્યકર્તાઓના ફોટોગ્રાફ્સ છે.
‘પ્રયાસ’ના આ મહત્ત્વના માહિતી-સંચયમાં સંપાદકની ગેરહાજરી અને સંપાદનની સતત જરૂર વર્તાય છે. ‘મહેંક’ એવી ભૂલભરેલી જોડણી (સાર્થ જોડણીકોશ મુજબ) મુખપૃષ્ઠ સહિત બધી જગ્યાએ છે.
જો કે જે પુસ્તકમાં જે વિત્ત એકઠું થયું છે તેમાંથી મૂડીવાદ, ઉદ્યોગવાદ અને ઉપભોગવાદની સામે એક વિચારણીય વૈકલ્પિક દર્શનની પ્રતીતિ જરૂર થાય છે.
* * * * * * * *
● આભાર : ભદ્રાબહેન સવાઈ, રજનીભાઈ દવે, સ્વાતિબહેન દેસાઈ
● પુસ્તકનાં પ્રાપ્તિસ્થાન અને કિંમત જણાવેલાં નથી.
● સંસ્થાનું સરનામું : ‘પ્રયાસ’, મુ.પો. માંગરોળ, તા. નાંદોદ, જિલ્લો નર્મદા 393 150, e.mail : sarvanaginprayas@gmail.com
[આજના ‘દિવ્ય ભાસ્કર’ ની પૂર્તિમાં આવેલા મારા લેખની વધુ વિગતો સાથેની વર્ઝન]
[750 શબ્દો]
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર