Opinion Magazine
Number of visits: 9663470
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક બુકસ્ટોર બંધ થાય ત્યારે મારા ચિત્તનો એક ભાગ બુઠ્ઠો થઈ જાય છે !

Opinion - Opinion|26 October 2025

હું યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં ભણતો/ભણાવતો હતો ત્યારે રોજ બે બુકસ્ટોર્સની મુલાકાત લેતો. એક તે યુનિવર્સિટીનો પોતાનો બુકસ્ટોર અને બીજો તે ખાનગી, એક કુટુંબ દ્વારા ચલાવવામાં આવતો Penn Book Center. 

આમાંનો પહેલો બુકસ્ટોર શરૂઆતમાં યુનિવર્સિટી પોતે ચલાવતી હતી. પછી એ લોકોએ સ્ટોર Barnes & Nobel નામની એક કંપનીને સોંપ્યો. ત્યાર બાદ એની ગુણવત્તા પણ ઘણી બદલાઈ ગઈ.

જો કે આમાંનો બીજો બુકસ્ટોર મને વધારે ગમતો હતો. એ પ્રમાણમાં ઘણો નાનો હતો પણ ત્યાં લેટેસ્ટ પુસ્તકો મળી રહેતાં. પેલા યુનિવર્સિટી બુકસ્ટોરમાં લોકપ્રિય પુસ્તકો વધારે મળતાં.

ત્યાર બાદ મારી નોકરી ગઈ અને હું સાતેક વરસ કેલિફોર્નિયા રહેવા ચાલ્યો ગયો. ત્યાં હું આરોગ્યના ક્ષેત્રમાં કામ કરતો હતો તો પણ અઠવાડિયે એક વાર તો મારા ગમતા બેત્રણ બુકસ્ટોર્સની મુલાકાતે જતો. 

પછી ત્યાંથી હું ફિલાડેલ્ફિયા પાછો આવ્યો. આવીને તપાસ કરી તો Penn Book Center બંધ થઈ ગયો હતો. એકબે જણને પૂછ્યું પણ ખરું કે આ બુકસ્ટોર ક્યાં move થયો છે? પણ કોઈએ સાચો જવાબ ન’તો આપ્યો. 

પછી ખબર પડી કે સાઈઠ વરસનું આયુષ્ય ભોગવીને આ બુકસ્ટોર 2020માં બંધ થઈ ગયો છે. એક બાજુ amazon. com જેવાનું એકચક્રી શાસન, બીજી બાજુ ભૌતિક સ્વરૂપમાંથી ડિજિટલ સ્વરૂપ તરફ જઈ રહેલાં પુસ્તકો, ત્રીજી બાજુ લોકોની બદલાતી જતી reading habits. આ અને આવાં બીજાં અનેક કારણોસર ઘણા નાના બુકસ્ટોર્સ બંધ થઈ ગયા છે. એટલું જ નહીં, Borders જેવી કંપનીઓ પણ બંધ થઈ ગઈ છે. 

UKની એક કંપની આખા વિશ્વમાં પોસ્ટેજ ખર્ચ લીધા વિના પુસ્તકો મોકલતી હતી. amazon. com માટે એ કંપની એક મોટો પડકાર હતી. આખરે amazonએ એ બુકસ્ટોર ખરીદી લીધો. એમ કરીને એણે એક હરીફની હત્યા કરી નાખી. એ પણ ધોળે દહાડે. પછી એણે એ બુકસ્ટોર બંધ કરી દીધો. બરાબર એમ જ alldirect. com નામનો એક બુકસ્ટોર હતો. એ દરેક પુસ્તકો પર 35% ડિસકાઉન્ટ આપતો હતો. ત્યારે મેં એની પાસેથી Husserlનાં તમામ પુસ્તકો ખરીદેલાં. 

2020માં જ્યારે માલિકે Penn Book Center સ્ટોર બંધ કરવાનો નિર્ણય લીધો  ત્યારે કેટલાક લોકોએ એના વિરોધમાં દેખાવો પણ કરેલા. એટલું જ નહીં, કેટલાક લોકોએ amazon.com પરથી પુસ્તકો ખરીદવાનું બંધ કરીને એ સ્ટોરમાંથી જ પુસ્તકો ખરીદવાનું શરૂ કરેલું. લગભગ દસેક હજાર ગ્રાહકોએ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના સત્તાવાળાઓને વિનંતી કરેલી કે જે મકાનમાં આ બુકસ્ટોર છે એ મકાનનું ભાડું ઓછું લેવામાં આવે. પણ યુનિવર્સિટી ખોટ સહન કરવા માગતી ન હતી. એ લોકોએ ભાડું ઓછું કરવાની ના પાડી દીધેલી.

આખરે માલિકે એ બુકસ્ટોર બંધ કરવાની જાહેરાત કરી અને કહ્યું કે જે કંઈ સામગ્રી બુકસ્ટોરમાં બચી છે એ બધી જ વેચ્યા પછી જે કંઈ પૈસા અમને મળશે એ પૈસા અમે પશ્ચિમ ફિલાડેલ્ફિયામાં વસતી આફ્રો-અમેરિકન પ્રજાનાં બાળકોના શિક્ષણ પાછળ વાપરીશું. માલિક દંપતીએ સમાજસેવા કરવાનું સ્વીકાર્યું.

હવે મને ફરી એક વાર યુનિવર્સિટીમાં ગુજરાતી ભણાવવાનું કામ મળ્યું છે. હું અઠવાડિયાના ચાર વાર (આમ તો બે વાર પણ જતાં આવતાં ચાર વાર) એ બુકસ્ટોર પાસેથી પસાર થાઉં છું અને એની ખાલીખમ બારીઓ તરફ જોઈને ઉદાસ થઈ જતો હોઉં છું. એ બારીઓની બહાર ઊભા ઊભા અનેક વાર મેં પુસ્તકો જોયાં છે. મારા જીવનના ઘડતરમાં બુકસ્ટોર્સનો ફાળો ઘણો મોટો છે. જેટલો મારા ગુરુઓનો છે એટલો જ તો.

એક બુકસ્ટોર બંધ થાય ત્યારે મારા બુકલવરના ચિત્તનો એક ભાગ બુઠ્ઠો થઈ જાય. મને પણ એવું જ થયું છે. હજી પણ મને કળ વળતી નથી અને વળશે પણ નહીં.  

[સૌજન્ય : બાબુ સુથાર, સર્જક, ભાષાવિજ્ઞાની. Philadelphia, USA,]
25 ઓક્ટોબર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

હિંદુ પંચાંગનું નવું વર્ષ તમારા આંતરિક ‘રિસેટ’ માટે આદર્શ સમય 

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|26 October 2025

ચિરંતના ભટ્ટ

આપણને દરેકને કોઈને કોઈ માપદંડની ટેવ હોય – એ માપદંડ માનસિક હોય – આપણે આપણા અનુભવોથી બનાવ્યા હોય એવા જ હોય. કોઇ એક મોટું કામ પતશે પછી આમ કરીશું અથવા તો આ ગોઠવી દઇને પછી પેલું નવું કામ શરૂ કરીશું, નવા વર્ષે જીમમાં જઇશું કે પછી દિવાળી પછી ચાર મહિના સુધી ગળ્યું નહીં ખાઈએ, વગેરે – મોટે ભાગે આવું બધું નક્કી કર્યા પછી થોડો વખત ગાડું બરાબર ચાલે પણ વાસ્તવિકતા એ છે કે તારીખ કે પંચાગ કે સ્થિતિ બદલાય તેને માપદંડ બનાવનારા આપણે જો અંદરથી ન બદલાઇએ તો પછી આ બધું નક્કી કરવાનો કોઈ અર્થ નથી રહેતો.

આપણે ગયા અઠવાડિયે નૂતનવર્ષાભિનંદના મેસેજીઝના જવાબ આપીને અને લોકોને સામે શુભેચ્છાઓ મોકલીને આપણે મોટા ભાગની રજાઓ ગાળી. આપણે મનમાં વિચાર્યું હશે કે જેમ ઘરની આખા વર્ષની સાફ-સફાઇ કરી તેમ અમુક બાબતો દિવાળી પછી બદલી નાખવી છે. આપણે જાતને રીસેટ કરવા ઇચ્છતા હોઈએ, સ્ટ્રેસને નેવે મૂકવો હોય, અમુક ઉશ્કેરી નાખતી બાબતને કાબૂમાં લઇને સંતુલિત કરવા ચાહતા હોઈએ તેમ પણ બને. પારંપરિક ચાઇનીઝ મેડિસીનના પાયામાં એક વિચાર છે જેને કહે છે – ‘ચી’ – એક પ્રકારની ઉર્જા, યુનિવર્સ કે બ્રહ્માંડનો શ્વાસ – આધ્યાત્મિક અને દુન્યવી વિશ્વ વચ્ચેની એક કડી એટલે કે ‘ચી’ – આપણે આજકાલ એવું ફ્રિકવન્સી, બ્રહ્માંડની ઉર્જા સાથે મેળ ખાઇ શકાય એવી રીતે જીવવું – વિચારવું – એવી વાઇબ રાખવી પ્રકારની વાતો સાંભળીએ છીએ – કદાચ અમુક હદે સમજીએ પણ છીએ પણ એ ઊર્જા, એ સંતુલન, – એ ચી – મેળવવાના રસ્તા આપણને ખબર હોવા છતાં ય માળું ક્યાંથી શરૂ કરવું એ નથી સમજાતું. આંતરિક શાંતિ શોધવાની વાત છે, આપણું કેન્દ્ર શોધવાની વાત છે – આમ તો આ માણસની મૂળભૂત જરૂરિયાત છે – એક એવું મન જે ક્યારે ય ન થોભતી દુનિયામાં શાંત હોય, આરામમાં હોય. આપણી પ્રાચીન પરંપરાઓ પાસે આ જવાબો હંમેશાંથી રહ્યા છે અને હવે આધુનિક ન્યુરોસાયન્સ પણ આ જવાબો શોધવા મથે છે. યુવલ નોઆ હરારી જેવા લેખકોએ યુદ્ધો અને ટેકોનોલૉજી જેવા વિષયો પર લાંબાં પુસ્તકોને અંતે વાત તો મેડિટેશન એટલે કે ધ્યાનની જ કરી છે. 

મનની શાંતિ મેળવવા મથતો માણસ, અત્યાધુનિક સવલતોમાં પણ એ જ શોધવાનો પ્રયાસ કરતો રહે છે – પણ મનની શાંતિ કોઇ મુકામ નથી, કોઇ ગંતવ્ય સ્થાન નથી જ્યાં તમે એક સરસ મજાની સવારે બધા પ્રોબ્લેમ્સ ઉકેલીને પહોંચી જશો – આ એક એવી ચીજ છે જે રોજ નાની બાબતોમાં ફેરફાર કરવાથી, નાની આદતો કેળવવાથી મળી શકે છે. મનની શાંતિ મોટેભાગે બહુ જ સામાન્ય ક્ષણોમાં મળતી હોય છે. આજે આપણે રાજકારણ કે અર્થતંત્રથી પર જઇને દસ એવી આદતોની વાત કરીએ જેનું અનુસરણ આપણને મનની શાંતિ – આપણા કેન્દ્ર – આપણા ચી સુધી લઇ જવામાં કામ લાગશે.

1.    ધીમી સવાર

સવાર શાંત હોય તેનાથી મોટું સુખ કંઇ નથી. પણ એ શાંત છે એ જોવા માટે આપણે સજાગ હોઈએ તે જરૂરી છે. ઊઠીને તરત ફોન હાથમાં લેવાને બદલે કે તરત બારણું ખોલીને છાપું કે દૂધ લેવાને બદલે આપણે પથારીમાં બેઠા થઇને પહેલા જાતને સાંઇઠ સેકંડ આપવી જોઇએ. જરા તમારા હોવાનો અનુભવ કરો, સવારથી જ આખા દિવસનો સૂર સેટ કરો. તમારા દિવસમાં ખેંચાઈ જવાને બદલે તમે તમારા રિધમમાં તમારા દિવસમાં પ્રવેશો.                                              

2.   કૃતજ્ઞતાનું એન્કર

ગ્રેટિડ્યુડ એટલે કે કૃતજ્ઞતાનો બીજો વિકલ્પ નથી. દિવસમાં એકવાર, સમય કાઢીને કોઇપણ ત્રણ એવી બાબત લખો જેના માટે તમે આભારી હો. એ માત્ર વસ્તુઓ માટેનો આભાર ન હોઈ શકે, તમે તમારી આરામદાયક પથારીનો આભાર માની શકો છો કે તમારી હાઉસ હેલ્પનો જેણે દિવાળીમાં રજા ન પાડી હોય કે પછી સવારની સારી ચાનો. જે છે તેને માટેનો ભાવ વ્યક્ત કરવો જરૂરી છે, જે નથી તેના અભાવો ગણાવવામાં સાર નથી. ગ્રેટિટ્યુડ માટે નાની નોટબુક રાખી શકાય. કૃતજ્ઞતા મુશ્કેલીઓ નકારશે એમ નથી પણ તમને તેનાથી સારું જોવાની ટેવ પડશે એ ચોક્કસ.

3. શારીરિક હલનચલન

જિમ મેમ્બરશીપ નથી ચાલશે, ઘર પાસે બગીચો નથી ચાલશે, ઘરમાં યોગ મેટ નથી ચાલશે – પણ છતાં ય વીસ મિનીટ માટે તમે એવી કોઇપણ શારીરિક એક્ટિવિટી કરી શકો છો જેમાં તમારું શરીર માત્ર સારું ફીલ થાય એટલે હલન-ચલન કરતું હોય. ડાન્સ હોઇ શકે, સ્ટ્રેચિંગ હોઇ શકે, બે વાર દાદરા ચઢ-ઉતર કરી શકાય. કસરતથી માત્ર એન્ડોર્ફિન્સ છૂટા પડીને આનંદ આપે છે એમ નથી, તેનાથી નકારાત્મકતા ખંખેરાય છે અને તમારી સ્થિર થઇ ગયેલી ઉર્જામાં ચેતન આવે છે. આંતરિક રીતે કશુંક અટવાયું હોય તો તેને છૂટું પાડવા માટે કસરત અકસીર ઇલાજ છે.

4. સિંગલ–ટાસ્કિંગનું મહત્ત્વ

આપણને બધાંયને મલ્ટિટાસ્કિંગનો મોહ છે, સમય એવો છે કે એ કરવું ય પડે છે. પણ રોજ કોઇપણ એક કામ એવું કરો કે તમે જ્યારે એ કરતા હો ત્યારે એ સિવાય બીજું કંઇ જ  કરતા હો. ચા પીતી વખતે બીજું કંઇ ન કરો, કપડાંની ગડી વાળો તો માત્ર એ જ કરો, કોઇની વાત સાંભળો ત્યારે ફોનમાં જોવાનું ટાળીને પૂરું ધ્યાન ત્યાં આપો વગેરે. આપણી લાઇફમાં વિક્ષેપો કાયમી છે, આ માઇન્ડફુલનેસથી – કોઇ એક સમયે એક કામ કરવા વાળી આદત આ વિક્ષેપો સામેનો બળવો છે. એક કામ આ રીતે કરો બાકી મલ્ટીટાસ્કિંગમાં મચ્યા રહેવું પડે એ સમજી શકાય છે.

5. ડિજિટલ સૂર્યાસ્ત

એક સમય નક્કી કરો—કદાચ સૂતા પહેલાં એક કલાક—જ્યારે સ્ક્રીન્સ તમારી આંખોથી દૂર થાય. એટલા માટે નહીં કે ટેકનોલોજીની અસરો માઠી હોય છે – એવાં ગાણાં ગાવાનો વખત ગયો કારણ કે એના વગર ચાલે એમ નથી. પણ આ એટલા માટે કરવાનું કારણ કે તમારી નર્વસ સિસ્ટમને દિવસભરની દોડાદોડ અને રાતની ઊંઘ વચ્ચે એક બફરની જરૂર હોય છે. આ કલાક દરમિયાન લાઇટ મ્યુઝિક કે વાંચન કરી શકાય. ઇમેઇલ કે મેસેજિઝ આવતા રહેશે – ફોન તમારી સુવિધા માટે છે – તમને ખડે પગે રાખવા માટે નથી.

6. મન ભરીને ખાવ

મન ભરીને ખાવું એટલે દાબવું નહીં – માત્ર હેલ્ધી ખાવું એ પણ નહીં. – જો કે હેલ્ધી ખાવાથી મન ઠેકાણે રહે છે એ પણ એટલું જ સાચું છે. દિવસના જે પણ મીલ્સ લો, બ્રેકફાસ્ટ, લંચ, ડિનર – કોઇપણ એક મીલ શાંતિથી ખાવ. આપણે બધા દોડાદોડમાં ઉડઝૂડિયા થઇ ગયા છીએ. ઓન ધી ગો ખાવાની ટેવ પડી છે. પણ કોઇ એક મીલ આપણે આપણી રીતે, શાંતિથી, બરાબર ચાવીને ખાઇ શકીએ તો શરીરને સમજાય કે તમે તેને ઇંધણ આપતી વખતે સજાગ છો અને તમે તમારા શરીરનું મૂલ્ય છે – તમે તેને ગ્રાન્ટેડ નથી લેતા.

7. શ્વાસની ક્ષણો

દિવસમાં ત્રણ વખત—સવારે, બપોરે અને સાંજે—પાંચ ઊંડા શ્વાસ લો. સિગ્નલ પર ઊભા રહીએ ત્યારે અકળામણ થાય પણ આ સિગ્નલ તમારા અકસ્માત ટાળવા માટે હોય છે. એટલે જ દિવસ દરમિયાન થોડી સેકંડો તમારા શ્વાસને અનુભવવા માટે આપો. નાકથી શ્વાસ લઇ મ્હોંથી કાઢો – સ્પિરિચ્યુઆલિટી અનુસાર આમ કરવાથી નકારાત્મક ઊર્જા ઓછી થાય છે. નકારાત્મક ઊર્જા તમારી ન હોય પણ લોકોને મળો, રિક્ષા માટે રાહ જોવી પડે, કાર બગડી જાય કે ઑફિસમાં કોઇ મગજની નસો ખેંચે ત્યારે જે અકળામણો થઇ હોય તેના ફાઇનટ્યુનિંગ માટે આ ઊંડા શ્વાસ જરૂરી છે. આ પ્રક્રિયા નર્વસ સિસ્ટમ પર રીસેટ બટન દબાવવા જેવી છે. તેમની કોઈ કિંમત નથી અને સાવ થોડ સમય લાગે પણ ખરેખર તો તે તમારી બાયોકેમિસ્ટ્રી બદલે છે.

8. પ્રકૃતિ સાથે જોડાઓ

આપણે કોંક્રિટના જંગલમાં રહેતા હોઇએ તો પણ, દરરોજ કુદરતની નજીક જવાના રસ્તા શોધવા જોઇએ. અઘરું છે પણ અશક્ય નથી. ઘરમાં એકાદ કૂડું તો રાખી શકાય. છોડને પાણી આપો. ક્યાંક જતા હો તો જરા આકાશ ભણી નજર કરો. બગીચો મળે તો ઉઘાડા પગે એક નાની લટાર મારો. આપણે પણ પ્રકૃતિ જ છીએ અને માટે આ કડી જરૂરી છે. સતત હાઇ સ્ટ્રંગ રહેતા આપણે એ યાદ કરીએ કે કુદરત આપણાથી કંઇક ગણી વધારે છે અને આપણી ચિંતાઓ તેની સામે સૂક્ષ્મ છે.

9. સાંજ પડે દિવસ ખીંટી પર લટકાવો

દરેક સાંજે, આખા દિવસ કેવો રહ્યો તે યાદ કરવા પાંચ મિનિટ ગાળો. તમારી જાતને જજ કરવા કે  વિશ્લેષણ કરવા માટે નહીં, પરંતુ સભાનપણે વિતી ગયેલા દિવસને બાજુમાં મુકવા માટે. કોઇ વાતની અકળામણ, અધૂરાં કાર્યો, તમે હજી પણ રિહર્સલ કરી રહ્યા છો તે વાતચીતને નેવે મૂકવાની કલ્પના કરો. આ તમામને ભૌતિક વસ્તુઓ તરીકે વિઝ્યુઅલાઈઝ કરો જેને તમે બાજુ પર મૂકી રહ્યા છો. આવતીકાલ તેના પોતાના પડકારો લાવશે; આજે રાત માટે બધું બાજુમાં મૂકીને હળવા થાવ.

10. રોજ કંઇક સરસ કરો

દરરોજ કંઇક એવું કરો જે કર્યા પછી તમને લાગે કે વાહ તમે કંઇક સરસ કર્યું – અથવા તો એમ કહીએ કે કોઇ વસ્તુને વધારે સુંદર બનાવી. ફૂલો ગોઠવો, ટેબલ સાફ કરો, સુગંધી મીણબત્તી કરો, સૂર્યાસ્ત જુઓ, કવિતા વાંચો – સૌંદર્ય એક અમૂલ્ય દવા છે – તે આપણને યાદ અપાવે છે કે કામ પૂરાં કરવા અને સમસ્યાઓ હલ કરવા કરતાં જીવન કંઇગણું વધારે છે અને તેને સાર્થક બનાવવા માટે બહુ મોટી ચીજોની જરૂર નથી પડતી.

બાય ધી વેઃ 

આ બાબતો ગુપ્ત નથી, આ મેં તમને કીધી એટલે તમે જાણી એમ નથી – બસ ક્યારેક કોઈ આપણને આ ચીજો યાદ કરાવે તો સારું પડે એટલે મેં યાદ કરી અને તમને યાદ કરાવી. જો કે જે ચીની હું વાત કરું છું એ મારા હાથમાંથી પણ છટકી જાય છે. રજાઓમાં લેપટોપ લઇને સતત કામ કરવાથી મનનું કેન્દ્ર કે મુકામ નથી મળતા પણ અમુક બાબતો આપણે માથે મારી લઇએ છીએ – આપણને એમ લાગે કે ના પાડીશું તો કેવું લાગશે – પણ આપણને કેવું લાગે છે એમ વિચારવાનું આપણે શીખ્યા નથી. મારે પણ આ લેખ નહોતો લખવો – શ્વાસ લેવો હતો પણ એવું થઇ ન શક્યું – દિવાળી આવી અને લેપટોપની કીઝના અવાજ વચ્ચે બહારગામની ટ્રીપથી માંડીને બધું જ થયું – હા મને રીસેટ કરવાનો સમય નથી મળ્યો અને મુંબઈની દોડાદોડ શરૂ પણ થઇ ગઇ છે. ચાલો પ્રયત્ન કરીએ સાથે મળીને – પોત પોતાના ખૂણામાં કે આ મેનેજ કરી શકીએ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 ઑક્ટોબર 2025

Loading

ખુમારી રળવી પડે છે, એ વાતો કરવાથી નથી આવતી

રમેશ ઓઝા|Opinion - Opinion|26 October 2025

રમેશ ઓઝા

હું રાજકારણ સમજતો થયો, ત્યારથી એક વાત સાંભળવા મળે છે કે ઇન્ડિયા ઈઝ અ સોફ્ટ સ્ટેટ અને તેણે આકરું વલણ અપનાવતા શીખવું જોઈએ. સરદાર પટેલથી લઈને અરુણ શૌરી સુધી આ વાત કંઈ કેટલા ય જમણેરી કાઁગ્રેસીઓ, હિન્દુત્વવાદીઓ, લશ્કરી રણનીતિકારો અને વિચારકો કહી ગયા છે અને કહેવામાં આવે છે. જ્યારે પણ ભારત પર ત્રાસવાદી હુમલો થાય ત્યારે આ વાત ખાસ કહેવામાં આવે છે. ભારતનાં ચીન અંગેના વલણ વિષે અરુણ શૌરીએ ‘સેલ્ફ-ડિસેપ્શન- ઇન્ડિયાઝ ચાઈના પોલિસીઝ, પ્રેમાઈસીઝ, લેસન્સ’ એવું એક પુસ્તક લખ્યું છે, જેના કવર પર ડૉ મનમોહન સિંહ ઝૂકીને ચીનના વડા હુ જિન્તાઓનું સ્વાગત કરતા જોવા મળે છે અને સામે ચીનના નેતા હુ ટટ્ટાર ઊભા છે. શૌરીએ પોતે જ કહ્યું છે કે તેમણે એ તસ્વીર જાણીબૂજીને ભારતની નબળાઈ બતાવવા ઉપયોગ કરી છે. એમાં વિનય નજરે નથી પડતો, નબળાઈ અને લઘુતાગ્રંથિ નજરે પડે છે. ભારત ક્યાં સુધી આવું વલણ અપનાવશે? ક્યારે પોતાની તાકાત સમજતું થશે? ક્યારે આંખમાં આંખ પરોવીને ટટ્ટાર ઊભા રહેતા શીખશે? ક્યારે ભારતના દુ:શ્મનોને તેમની જગ્યા બતાવશે? લાડ કરનારાઓને ક્યારે લાડ લડાવતું બંધ થશે? વગરે વગેરે. 

આમ દેશને આઝાદી મળી ત્યારથી કહેવામાં આવી રહ્યું છે, પણ મારી જાણ મુજબ કોઈએ કહ્યું નથી કે ભારતે કયો માર્ગ અપનાવવો જોઈએ. આકરું વલણ અપનાવીને શું કરવું જોઈએ? ચીન સાથે શું કરવું જોઈએ? પાકિસ્તાન સાથે શું કરવું જોઈએ? અમેરિકા સાથે શું કરવું જોઈએ? આંતરિક સમસ્યાગ્રસ્ત અન્ય પાડોશી દેશો સાથે શું કરવું જોઈએ? આધુનિક મૂલ્યવ્યવસ્થા અને તેના પર આધારિત રાજ્યનો અસ્વીકાર કરનારા કેટલાક મુસ્લિમ અને અન્ય દેશો સાથે શું કરવું જોઈએ? સામ્યવાદ અને મૂડીવાદી દેશો વચ્ચે કેવી રીતે સંતુલન જાળવવું જોઈએ એમ કંઈ કેટલા ય સવાલો હતા જેના વિષે શું કરવું તેનો ઈલાજ તેમણે બતાવ્યો નથી. કોઈએ બતાવ્યો હોય અને તમે જાણતા હો તો મારું ધ્યાન ખેંચવામાં આવે. તરુણોની ફરજિયાત લશ્કરી ભરતી અને તાલીમ, ત્રણ-ચાર ગણું લશ્કરી બજેટ, નાગરિક અધિકાર કરતાં ફરજને વધારે મહત્ત્વ આપવામાં આવે અને મર્યાદિત લોકતંત્ર જેવાં કેટલાંક વાહિયાત સૂચનો કરવામાં આવતાં હતાં પણ એ બધા નાના લોકોના સૂચનો હતાં. સરદાર પટેલથી લઈને શૌરી જેવા, જેમના શબ્દનું વજન હોય એવા કોઈએ કોઈ નક્કર સૂચન કર્યું હોય એવું મારી જાણમાં નથી.  

દરેક પ્રજાને ખુમારીનું આકર્ષણ હોય છે, પણ ખુમારી આકાશમાંથી આવતી નથી, એ રળવી પડે છે. હિન્દુત્વવાદીઓને જેટલું ખુમારીનું આકર્ષણ છે એટલું ભાગ્યે જ ભારતમાં બીજા કોઈને હશે. તેઓ ઇતિહાસમાં ખુમારી શોધે છે અને વર્તમાનમાં અને ભવિષ્યમાં ખુમારી બતાવવા માગે છે. ગાંધીજીની અહિંસા સામે તેમને એટલા માટે વાંધો છે કે તેમાં તેમને ખુમારીનો અભાવ નજરે પડે છે. તેઓ દિવસરાત ખુમારીની આરાધના કરે છે. સો વરસથી આપણે આ જોતા આવ્યા છીએ. તેઓ આજે ૧૧ વરસથી સત્તામાં છે, પણ ખુમારી? ચીને લડાખમાં ભારતની ભૂમિ પર કબજો કર્યો છે એ છોડાવી તો શકતા નથી, ચીનનું નામ લઈને નિંદા પણ કરી શકતા નથી. આવું જ અમેરિકા અંગે. ટ્રમ્પ કંઈ પણ બોલે અને આપણે પ્રતિક્રિયા પણ ન આપીએ? પાકિસ્તાન સામેનું ઓપરેશન સિંદુર ચાર દિવસમાં આટોપી લેવું પડ્યું. આવું જ બંગલાદેશ, નેપાળ અને શ્રીલંકાની બાબતમાં. હિંદુ રાષ્ટ્રવાદીઓએ તાલેબાની નેતાનું લાલ જાજમ પાથરીને સ્વાગત કરવું પડે એ કેવી મજબૂરી! ક્યાં છે ખુમારી? ઘરઆંગણે નિર્બળ લઘુમતી કોમ પર જુલમ કરવો એ વિકૃતિ છે, ખુમારી નથી. આજકાલ વૈશ્વિક રાજકારણ એટલું પ્રવાહી છે કે લગભગ દર મહીને ખુમારી બતાવવાનો અવસર મળતો રહે છે, પણ હિંદુ રાષ્ટ્રવાદીઓ ખુમારી બતાવી શકતા નથી. 

ખુમારી રળવી પડે છે, એ વાતો કરવાથી નથી આવતી. ઇતિહાસમાં રાચવાથી અને પોતાને અનુકૂળ તોડમરોડ કરવાથી તો બિલકુલ ન આવે. ઊલટું નમાલાપણામાં વધારો થાય. મૂછ મરડવાથી જો બહાદૂરી આવતી હોત તો આ જગતમાં કોઈ કાયર હોત જ નહીં. તાકાત રળવી પડે છે અને એ રળવાનો માર્ગ છે, પુરુષાર્થ. માત્ર પુરુષાર્થ. બીજા વિશ્વયુદ્ધ પછી ચાર દેશોએ કેવળ પુરુષાર્થ દ્વારા તાકાત રળી છે. એ છે; જર્મની, ઇઝરાયેલ, જપાન અને ચીન. દક્ષિણ કોરિયા અને સિંગાપુરનાં નામ પણ કોઈ ઉમેરે. ૧૯૯૦ની સાલ સુધી ભારત પણ ચીનની લગોલગ હતું, પણ અયોધ્યા રામજન્મભૂમિ આંદોલન પછી હિન્દુરાષ્ટ્રવાદે ભારતીય રાષ્ટ્રવાદની જગ્યા લેવા માંડી અને ભારત પાછું ઠેલાતું ગયું. ભારત એક તક ગુમાવી દીધેલો દેશ છે અને હિંદુ રાષ્ટ્રવાદીઓને કારણે ભારતે તક ગુમાવી દીધી છે. આજે સ્થિતિ એવી બની છે કે જિંદગીભર ખુમારીનો જાપ કરનારાઓ ખુમારી બતાવી શકતા નથી. 

ભારતમાં સંસદભવન પર થયેલા ત્રાસવાદી હુમલા પછી લોકસભામાં થયેલી એ ચર્ચાની મને યાદ આવે છે જેમાં ભારતીય જનતા પક્ષનાં નેતા સુષ્મા સ્વરાજે પાકિસ્તાનને યાદ અપાવી હતી કે અમારી પાસે આઇ.આઇ.ટી. છે, ઈસરો છે, આઈ.એ.એમ. છે, ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ છે, બી.એ.આર.સી. છે, તમારી પાસે શું છે? સુષ્મા સ્વરાજે પાકિસ્તાનને યાદ અપાવી હતી કે તાકાત અને પ્રતિષ્ઠાનાં આ સ્રોત છે, મદરસા અને ઇસ્લામનું ગૌરવગાન નહીં. ભારતનું ગૌરવગાન કરવામાં તેઓ એ ભૂલી ગયાં હતાં કે તેઓ નેહરુનું ગૌરવગાન કરી રહ્યાં છે. 

ભારત સોફ્ટ સ્ટેટ છે એ તેની નબળાઈ નથી. ભારતની વિવિધતાઓનો આંતરિક પ્રજાકીય વિભાજન દ્વારા રાજકીય દુરુપયોગ કરવામાં આવે છે એ તેની મર્યાદા છે. આંતરિક ઉદારતા અને વિકાસલક્ષી પુરુષાર્થ જ તાકાત અને સાચી રણકેદાર ખુમારી રળી આપશે. 

નવા વરસમાં આટલો સંકલ્પ કરીએ તો! 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 ઑક્ટોબર 2025

Loading

...102030...99100101102...110120130...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved