Opinion Magazine
Number of visits: 9552786
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘અમૂલ’ દ્વારા મોદીની અમૂલ્ય(?) ભાટાઈ

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|8 September 2025

હેમન્તકુમાર શાહ

GSTમાં ઘટાડો કરવામાં આવ્યો એટલે દેશભરમાંથી નરેન્દ્ર મોદી પર અભિનંદનની વર્ષા થઈ છે. પંજાબમાં આવેલા પૂર કરતાં પણ વધારે વર્ષા! એને માટે લાખો કે કરોડો રૂપિયા ખર્ચીને છાપાંમાં જાહેરખબરો આપવામાં આવી રહી છે. આવું દુનિયાના કોઈ લોકશાહી દેશમાં થતું હશે કે કેમ એને વિશે શંકા છે. 

નરેન્દ્ર મોદીએ એને “તોહફા” એટલે કે ભેટ કહી છે. શું નરેન્દ્ર મોદીએ એમને વડા પ્રધાન તરીકે જે પગાર મળે છે એમાંથી GSTમાં રાહત આપી છે? ના. તો કરવેરા નાખવા, કાઢી નાખવા કે ઓછા કરવા એને માટે બંધારણમાં જોગવાઈ થઈ છે એ મુજબ આ થઈ રહ્યું છે. એમાં વળી મોદીનો આભાર શાનો? અને વળી એ ભેટ શાની?

CII નામનું ઉદ્યોગપતિઓનું એટલે કે મોટી કંપનીઓનું એક સંગઠન છે. એણે જાહેરખબર આપી. એને તો એ પોસાય પણ ખરું. માલેતુજાર કંપનીઓ માટે તો આવી જાહેરખબર કાનખજૂરાનો એક પગ પણ ન કહેવાય. 

હેતસન એગ્રો પ્રોડક્ટ લિમિટેડ જેવી કંપનીઓ પણ આવી જાહેરખબર આપે. કારણ કે એ બધી ધંધો કરે છે. અને ધંધાનો ઉદ્દેશ નફાનો છે, કોઈની સેવાનો નહીં. 

અત્યારે રાહતો GSTમાં આપવામાં આવી તો જાહેરખબરો આપવામાં આવી, તો શું જ્યારે GSTનો દર ખૂબ ઊંચો રાખવામાં આવ્યો ત્યારે મોદીની નીતિનો વિરોધ કરતી જાહેરખબરો આપી હતી? ના. શું એનો અર્થ એવો કરવો કે તેઓ નરેન્દ્ર મોદીથી ગભરાતા હતા અને અત્યારે મોદીને ખુશ કરવા જાહેરખબરો આપે છે? 

મૂળ વાંધો તો એ છે કે ‘અમૂલ’ મોદીનો આભાર માનતી જાહેરખબરો આપે છે. ‘અમૂલ’ ધંધો કરે છે, નફો પણ કરે છે પણ તેનો ઉદ્દેશ માત્ર નફો કરવાનો નથી. તેનો હેતુ તો એકેએક પશુપાલકનું આર્થિક હિત સાધવાનો છે, તેની આર્થિક સ્થિતિ સુધારવાનો છે. 

‘અમૂલ’ કરોડો રૂપિયાની જાહેરખબરો પાછળ ખર્ચ કરે તો ગુજરાતના ૩૬ લાખ પશુપાલકો માટે એ જ ખર્ચ કરી શકાય કે નહીં? એમને એટલા રૂપિયા વધારે આપી શકાય કે નહીં? ‘અમૂલ’ના કર્તાહર્તાઓ આજે ભા.જ.પ.ના હોય એટલે ‘અમૂલ’ દ્વારા મોદીની આવી ભાટાઈ થાય એ શું જરૂરી છે?

આ જાહેરખબરોથી ‘અમૂલ’ના ગ્રાહકોને શો ફાયદો થાય? આવો ખર્ચ એ ન કરે અને એનો લાભ ગ્રાહકોને અને પશુપાલકોને આપી શકાય?

‘અમૂલ’ દ્વારા આવી જાહેરખબરો અગાઉ પણ આપવામાં આવી હતી. એમ લાગે છે કે ગુજરાતની ૧૬,૦૦૦ અને ભારતની ૨.૦૨ લાખ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓએ આનો લેખિત વિરોધ કરવો જોઈએ અને આવી જાહેરખબરો આપનારા ‘અમૂલ’ના મેનેજમેન્ટને ઘેર બેસાડી દેવું જોઈએ.

તા.૦૬-૦૯-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પૂરનાં પાણીમાં ડૂબેલો વિશ્વાસઃ ભારતમાં દર ચોમાસાની આફતો શાસનની નબળાઇઓ છતી કરે છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|7 September 2025

કુદરતી આફતની વાત આવે ત્યારે ભારતનો પ્રતિભાવ આફત નિવારવાને બદલે કટોકટી ટાણે વ્યવસ્થા ખડી કરવાનો જ રહ્યો છે. આગ લાગે ત્યારે જ કૂવો ખોદવાનું આપણી સરકારોને માફક આવે છે. 

ચિરંતના ભટ્ટ

દર વર્ષે આપણને ચોમાસાનાં બેવડા સ્વભાવનો અનુભવ થાય છે. એક સ્વભાવ છે જીવન આપનાર અને બીજો છે જીવન ખોરવી નાખનાર, નષ્ટ કરનાર. આ ઓગસ્ટમાં, પંજાબે આ વિરોધાભાસનો ભાર વેઠ્યો. વરસાદ અને ડેમમાંથી છોડાયેલાં પાણીએ 1,400 ગામોને બેટમાં ફેરવી દીધા, 3.5 લાખ લોકોને વિસ્થાપિત કર્યા, અને લગભગ 1.8 લાખ હેક્ટર પાક પાણીમાં ડૂબાડી દીધો. અત્યાર સુધીમાં, 35થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્ય સરકારે તમામ 23 જિલ્લાઓને “આપત્તિ-ગ્રસ્ત” જાહેર કર્યા છે, જે વિનાશની ભયંકરતાનો આકરો સ્વીકાર છે. 

મુખ્ય મંત્રી ભગવંત માને આ પૂરને 1988ના પૂર કરતાં પણ વધુ ભયાનક ગણાવ્યું છે, અને વધુ વળતર તથા બાકી રહેલા કેન્દ્રીય ભંડોળને મંજૂર કરવાની માંગ કરી છે. પરંતુ, કામચલાઉ આશ્રયસ્થાનોમાં ફસાયેલા લોકો અથવા પોતાના પાકને સડતો જોનારાઓ માટે, આ માત્ર કુદરતનો પ્રકોપ નથી. કારણ કે તેમણે આ બધામાંથી એકથી વધુ વાર પસાર થવું પડ્યું છે. આ એક સતત પુનરાવર્તિત થતી બેદરકારી, નબળાં આયોજન, અને આવી આફત માટે પહેલેથી તૈયાર થવાને બદલે દુર્ઘટના પછી માત્ર પ્રતિક્રિયા આપતી સરકારની ગાથા છે.

સતલજ, રાવી, અને બિયાસ નદીઓમાં આવેલાં પૂર, સાથે ભાખરા, પોંગ, અને રણજિત સાગર ડેમમાંથી અચાનક છોડાયેલાં પાણીએ રાજ્યની નબળી પૂર સંરક્ષણ વ્યવસ્થાને તારાજીથી છલકાવી દીધી. રસ્તાઓ તૂટી પડ્યા, ટેલિકોમ નેટવર્ક નિષ્ફળ ગયું, અને ગ્રામીણ વિસ્તારો જળ બંબાકાર થઇ ગયા અને જાણે જેલમાં જ ફેરવાઈ ગયા. રાહત કાર્ય બહુ ધીમું રહ્યું છે. ખેડૂતો મોડા મળનારા વળતર, અપૂરતી ડૉક્ટરી સંભાળ, અને પીવાનાં પાણીના અનિયમિત પુરવઠાની ફરિયાદ કરી રહ્યા છે. ભગવંત માને દિલ્હી સરકારને-કેન્દ્ર સરકારને પાકના નુકસાન માટે પ્રતિ એકર ₹ 50,000ના વળતરની વિનંતી કરી છે—જે અત્યારે મળનારા વળતર કરતાં કરતાં સાત ગણું છે—અને મૃત્યુ વળતરમાં બમણો વધારો કરવાની માંગ પંજાબના મુખ્ય મંત્રીએ કરી છે. છતાં, દરેક આપત્તિ પછી સહાય માટે વિનંતી કરવાની આ પ્રક્રિયા આપત્તિને મામલે મેનેજમેન્ટ કરવાને મામલે આપણા દેશનું તંત્ર કેટલું રેઢિયાળ છે તે સાબિત કરે છે. 

પંજાબની દુર્દશા એક અલગ કટોકટી નથી, પરંતુ એક એવી રાષ્ટ્રીય પેટર્ન છે જે ચિંતાજનક છે. આ ચોમાસાએ દર્શાવ્યું છે કે કેવી રીતે વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં અનેક રાજ્યો, આ પ્રકારની મોસમી આફતો સામે ટકી જવા માટે, આકરી પરિસ્થિતિઓ માટે જરા ય તૈયાર નથી, સજ્જ નથી. મહારાષ્ટ્રની વાત કરીએ તો કોંકણ અને વિદર્ભનાં ગામો પાણીમાં ડૂબી ગયાં છે. એક અઠવાડિયામાં આઠ લોકોના જીવ ગયા, સેંકડો લોકોનું સ્થળાંત કરાયું, અને લાખો હેક્ટર ખેતીની જમીનને નુકસાન થયું. દેવાથી પીડાતા નાના ખેડૂતો માટે, વરસાદ વિનાશમાં ફેરવાઈ ગયો છે. આસામ અને પૂર્વોત્તર પ્રદેશો માટે પણ આ વાર્ષિક પડકાર છે. ત્યાંની તો જાણે કોઇને પરવા જ નથી. દર વર્ષે, બ્રહ્મપુત્રાના છલકાયેલા કિનારાઓને કારણે લાખો લોકો વિસ્થાપિત થાય છે. છતાં અહીંના પૂરમાં ટકી જવા માટેની નીતિની નિષ્ફળતાને બદલે આ મોસમમાં તો આવું થાય એ બાબતને સામાન્ય બનાવી દેવાઇ છે. 

હિમાલયન બેલ્ટની વાત કરીએ તો—હિમાચલથી ઉત્તરાખંડ સુધી—અહીં પણ ભેખડો ધસી પડવાના બનાવો, તૂટી પડતા પુલો, અને ખતરાના નિશાન ઓળંગતી નદીઓનાં દૃશ્યો સર્જાઇ રહ્યાં છે. દિલ્હીની યમુના નદીની સપાટી પણ આ અઠવાડિયે જોખમી રીતે ઉપર આવી અને તેણે નીચાણવાળી વસાહતો અને હાઈવેને ડૂબાડી દીધા. ગુજરાતને પણ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. આઈ.એમ.ડી.એ સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપી છે. ગયા વર્ષના વિનાશને યાદ કરીએ જેમાં ડઝનેક લોકોના જીવ ગયા અને રાજકોટ અને વડોદરા જેવાં શહેરો પાણીમાં ડૂબી ગયાં, તાજી છે. સુરતમાં, વર્કશોપ અને ઘરો રાતોરાત ડૂબી જવાનો ડર લોકોના મનમાંથી ક્યારે ય જતો નથી. 

ભારતમાં કહેર મચાવતી ચોમાસાની આપત્તિઓ પાકિસ્તાનના 2022ના વિનાશક પૂરથી લઈને જર્મનીના 2021ના વિનાશકારી પૂર સુધી, અને લ્યુઇસિયાનાના વાવાઝોડાની મોસમો—આ તમામ એ બાબતનો પુરાવો છે કે આખા વિશ્વમાં વાતાવરણ પર તણાવ વધી ગયો છે. ક્લાઇમેટ ચેન્જને હળવાશથી લેવાની ભૂલ ક્યાં સુધી કરાશે એ તો ભગવાન જાણે પણ જો આમ જ ચાલ્યું તો ધરા રસાતાળ થતાં વાર નહીં લાગે. બીજા બધા રાષ્ટ્રોમાં સજ્જતા સંપૂર્ણ હોય છે એવું નથી પણ ભારત કરતાં તો સારી જ હોય છે. કુદરતી આફતની વાત આવે ત્યારે ભારતનો પ્રતિભાવ આફત નિવારવાને બદલે કટોકટી ટાણે વ્યવસ્થા ખડી કરવાનો જ રહ્યો છે. આગ લાગે ત્યારે જ કૂવો ખોદવાનું આપણી સરકારોને માફક આવે છે. 

દર વર્ષે આ નિષ્ફળતા શા માટે? દર વર્ષે જે સમસ્યા આવે જ છે તેને માટે આપણી માનસિકતા પ્રતિક્રિયાત્મક છે. પૂર નિયમિતપણે આવે છે, છતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર—ડ્રેનેજ સિસ્ટમ્સ, કિનારા, બંધ બધું જ—અપેક્ષા મુજબ ભાગ્યે જ જાળવવામાં આવે છે. બધી સરકારો માત્ર પાણી વધ્યાં પછી જ ગભરાઈને સાબદી થાય છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF) જેવા આપત્તિ ભંડોળ જૂના માપદંડો સાથે કામ કર્યા કરે છે, એટલે જે વળતર મળે છે નજીવું અને નામનું જ લાગે છે. પંજાબનો ખેડૂત કે આસામની ગ્રામીણ વ્યક્તિ એક ચેકથી પોતાનું જીવન ખડું નથી શકતાં કારણ કે આ ચેક તેમને થયેલા નુકસાનનો માત્ર એક અંશ કદાચ સાચવી લેતો હશે પણ બાકીની ખોટ પુરવાને મામલે આ ટેકો બોદો સાબિત થાય છે.

દરેક આફત ભારતની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે એકના એક વિવાદો ખડા કરે છે. પંજાબની રાજ્ય સરકાર દિલ્હીની કેન્દ્ર સરકારને ભંડોળ અટકાવવા માટે દોષ આપે છે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને ગેરવહીવટ માટે દોષ આપે છે. જવાબદારી પૂરના પાણી સાથે ધોવાઈ જાય છે. મુંબઈથી અમદાવાદ સુધીના શહેરો દર વર્ષે ડૂબી જાય છે કારણ કે ડ્રેનેજ સિસ્ટમ્સ જૂની થઈ ગઈ છે અથવા ખદબદે એ રીતે ભરાયેલી છે. શહેરી પૂર હવે અપવાદ નથી; તે ચોમાસાના કેલેન્ડરનો એક હિસ્સો છે.  પૂર પરંપરાગત અર્થમાં “કુદરતી આપત્તિઓ” બનવાનું બંધ થઈ ગયું છે. પૂર એ માનવ-નિર્મિત કટોકટીઓ છે, જે વહીવટી નિષ્ક્રિયતા અને રાજનૈતિક સ્તરે ટૂંકા-ગાળાની વિચારસરણીથી જન્મેલી છે.

પંજાબમાં જેવો પડકાર છે તેવો તો ગુજરાતના હિસ્સાઓએ પણ ભોગવ્યો છે. આપણે ત્યાં સૌરાષ્ટ્રના ખેડૂતોને વરસાદની અનિયમિત પેટર્નથી કપાસ અને મગફળીના પાક ગુમાવવાનો સતત ફફડાટ હોય છે. સુરતમાં, હીરાના કારીગરો જાણે છે કે એક રાતનું પૂર તેમની વર્કશોપને નષ્ટ કરી શકે છે. અમદાવાદમાં, જ્યારે પણ ડ્રેનેજ ઉભરાય ત્યારે રહેવાસીઓ કમ્મર સુધીનાં પાણીમાંથી ચાલ્યા હોય, વિસ્તારોમાં વૉટર લૉગિંગ થયું હોય તે આપણે જોયું જ છે. વડોદરાના મગરો પણ પાણીની સપાટીઓની મદદ લઇ શહેરમાં લટાર મારી લેતા હોય છે.

પંજાબનું નુકસાન માત્ર પંજાબનું નથી. તે આખા ભારતીય ઉપખંડમાં ફેલાયેલા શાસન માળખાની નબળાઈ છતી કરનારું છે. જ્યારે એક રાજ્ય ડૂબે છે, ત્યારે સમગ્ર શાસન પ્રત્યેની વિશ્વસનીયતા તેની સાથે ડૂબી જાય છે. જે અર્થતંત્રમાં 600 મિલિયન લોકો જૂન અને સપ્ટેમ્બર વચ્ચે આવતા ચોમાસાના વરસાદ પર નિર્ભર છે, તે માટે આ વાર્ષિક અરાજકતા માત્ર માનવતાવાદી કરુણા નથી—તે આર્થિક આત્મહત્યા છે.

ભારત દરેક પૂરને એક અલગ ઘટના તરીકે માની શકે તેમ નથી. આપણા દેશને હવે એક વ્યાપક રાષ્ટ્રીય પૂર સ્થિતિસ્થાપકતા યોજના(National Flood Resilience Plan)ની જરૂર છે, જેનો આધાર હોય નેધરલેન્ડ્સની સફળ પૂર વ્યવસ્થાપન પ્રણાલી અને યુ.કે.ની પર્યાવરણ એજન્સીના મોડલની સમજ. આ યોજનામાં પ્રારંભિક ચેતવણીનું તંત્ર, સચોટ, હાઇપર-લોકલ આગાહી અને સંદેશાવ્યવહાર નેટવર્ક્સ જે માત્ર શહેરી કેન્દ્રો સુધી નહીં, પરંતુ આંતરિયાળ વિસ્તારો સુધી પહોંચતા હોવા જોઇએ. નદી કે દરિયા કાંઠાની જાળવણી, ડ્રેનેજ સિસ્ટમ્સ, અને ડેમની નિયમિત સાચવણી અનિવાર્ય છે—માત્ર ભંગાણ પછી કામચલાઉ સમારકામથી આપણે લાંબો વખત કંઇ ચલાવી નહીં શકીએ. 

આપણને જરૂર છે આખા વર્ષના રોકાણની, ચોમાસા વખતે ડરને માર્યે થયેલો ખર્ચો આનો ઉપાય ન હોઇ શકે. ખેડૂતોના પાક માટે વીમા, પૂર-પ્રતિરોધક ઘરોની બાંધણી, પુનર્વસન કાર્યક્રમો પણ વાતાવરણની અસ્થિરતાને ગણતરીમાં લે તે રીતે બનવા જોઇએ. આવા માળખાગત સુધારાઓ વિના, રાહત પેકેજો અને રાજકારણીઓ દ્વારા કરાતો હવાઈ સર્વે દેખાતો રહેશે તો એ તો માત્ર દેખાડો હશે જેનાથી કોઇ બદલાવ નહીં જ આવે.

બાય ધી વેઃ 

દરેક ચોમાસામાં, સામાન્ય નાગરિકો—ખેડૂતો, કારીગરો, દાડિયા મજૂરો—સંસ્થાકીય નિષ્ફળતાની કિંમત ચૂકવે છે. દુર્ઘટના એ નથી કે ભારે વરસાદ આવે છે. દુર્ઘટના એ છે કે સરકારો, દાયકાઓથી ચેતવણીઓ છતાં, નાગરિકોને નેવે મૂકે છે. પંજાબની હાલત યાદ અપાવે છે કે ભારત ઉધાર લીધેલા સમય પર જીવી રહ્યો છે, અને ક્લાઇમેટ ચેન્જ અને શાસન નિષ્ફળતાના બોધને અવગણી રહ્યું છે. આપણે એ સવાલ કરવાની જરૂર છે કે આ જે થઇ રહ્યું છે તે “કુદરતી આપત્તિઓ” છે કે રાજકીય? જે બેદરકારી, વિલંબિત કાર્યવાહી, અને શબ્દરમતને કારણે વારંવાર લોકોને માથે ઝિંકાય છે. જ્યાં સુધી આ પ્રશ્નનો જવાબ પ્રામાણિકતા અને સંસ્થાકીય સ્તરે હિંમતથી નહીં અપાય ત્યાં સુધી દરેક ચોમાસુ જીવ આપનારા મોસમ બનીને નહીં રહે પણ છાજિયાં લેવડાવનારો મોસમ પણ બની રહેશે. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 સપ્ટેમ્બર 2025

Loading

નેહરુ-સરદારના વિભિન્ન આભિગમો અને પરસ્પર પૂરકતા

રમેશ ઓઝા|Opinion - Opinion|7 September 2025

રમેશ ઓઝા

ગયા સપ્તાહના મારા લેખમાં, મેં કનૈયાલાલ મુનશીના લેખમાંથી એક નાનકડું અવતરણ ટાંક્યું હતું અને એમ કહ્યું હતું કે જો ગાંધીજીએ વિકસાવેલો સર્વસમાવેશી મધ્યમમાર્ગ અને નેહરુસરદારની પરસ્પર પૂરકતા જળવાઈ રહેશે તો ભારતનાં લોકતંત્ર પર કોઈ જોખમ નહીં આવે. એ કથન વાંચીને કેટલાક વાચકોના મનમાં પ્રશ્ન થયો હશે કે શું હતી નેહરુ-સરદારની પરસ્પર પૂરકતા, એનું સ્વરૂપ કેવું હતું અને એ જળવાઈ કેમ નહીં? બીજો પ્રશ્ન ગાંધીજીએ વિકસાવેલો સર્વસમાવેશી મધ્યમમાર્ગ અર્થાત્ સુવર્ણ-મધ્ય (જેને મુનશી કેન્દ્ર Center તરીકે ઓળખાવે છે.) જળવાયો કે નથી જળવાયો અને જો નથી જળવાયો તો તેની સાથે ચેડાં કોણે કર્યા? મને એમ લાગે છે કે અહીં એ વિષે થોડી વાત થવી જોઈએ. 

અહીં સંક્ષેપમાં નેહરુ-સરદારના વિચાર અને અભિગમમાં જે ફરક હતો એ સમજી લઈએ. જવાહરલાલ નેહરુ ડાબેરી સમાજવાદી વિચારધારા પ્રત્યે પક્ષપાત ધરાવતા હતા અને સરદાર પટેલ જમણેરી મૂડીવાદ તરફ. નેહરુ સમાજિક સુધારાઓની બાબતે ઉતાવળા હતા (જો કે ડૉ. આંબેડકર, સમાજવાદીઓ અને બીજા લોકોને એમ લાગતું હતું કે નેહરુ જોઈએ એટલી તત્પરતા નથી ધરાવતા. આને કારણે તો ડૉ. આંબેડકરે નેહરુના પ્રધાનમંડળમાંથી રાજીનામું આપી દીધું હતું.) તો સરદાર ધીરે ધીરે આગળ વધવામાં માનતા હતા. નેહરુ પ્રખર સેક્યુલારિસ્ટ હતા તો સરદારને એમ લાગતું હતું કે ગૈરહિંદુ ધર્મઝનૂનીઓ સેક્યુલરિઝમનો દુરઉપયોગ ન કરે એના પર ચાંપતી નજર રાખવી જોઈએ અને કડક હાથે કામ લેવું જોઈએ. નેહરુ પ્રમાણમાં વધારે વૈશ્વિક હતા અને સરદાર પ્રમાણમાં વધારે ભારતીય હતા. મજબૂત કેન્દ્ર અને રાજ્યની વધારે પડતી તાકાત પ્રજાના અધિકારોનું અને સંઘભાવનાનું હનન કરે છે એટલે તે મર્યાદિત હોવું જોઈએ જ્યારે સરદાર તેમનાથી ઊલટું વિચારતા હતા. એમ પણ કહેવાય છે કે નેહરુ સપનાં જોનારાં સ્વપ્નીલ હતા અને સરદાર વ્યવહારુ. 

મુનશી એ લેખમાં લખે છે કે ગાંધીજીએ વિકસાવેલું સુવર્ણ-મધ્ય અને નેહરુ-સરદારની પરસ્પર પૂરકતા જળવાઈ રહેશે તો ભારતનાં લોકતંત્ર પર કોઈ જોખમ નહીં આવે. જો એ નહીં જળવાય તો સામ્યવાદીઓ હાવી થઈ જશે અને એ સંજોગોમાં સામ્યવાદીઓને પરાસ્ત કરવામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મદદરૂપ થઈ શકે છે. અને જો એ જળવાઈ રહેશે તો સામ્યવાદીઓને કોઈ સફળતા નહીં મળે અને એ સંજોગોમાં આર.એસ.એસ.ની કોઈ પ્રાસંગિકતા જ નહીં રહે અને તેણે પણ ટકી રહેવા માટે છેવટે મધ્યમમાર્ગ અપનાવવો પડશે. કદાચ એવું પણ બને કે ગાંધીજીનો મધ્યમમાર્ગ અને નેહરુ-સરદાર વચ્ચેની પરસ્પર પૂરકતા ન જળવાય તો આર.એસ.એસ.ને સફળતા મળે અને લોખંડી ફાસિસ્ટ રાજ્ય અસ્તિત્વમાં આવે, પણ એવી શક્યતા નહીંવત્ છે. મુનશીએ આ શબ્દો સાથે લેખ પૂરો કર્યો હતો. 

નેહરુ અને સરદાર વચ્ચેના અભિગમમાં જે અંતર ઉપર ગણાવ્યાં એ ઉપરાંત એક મોટું અંતર આ હતું. નેહરુને સામ્યવાદ કરતાં આર.એસ.એસ.ના ફાસીવાદનો ડર વધુ લાગતો હતો અને સરદારને આર.એસ.એસ.ના ફાસીવાદ કરતાં સામ્યવાદનો ડર વધુ લાગતો હતો. નેહરુને એમ લાગતું હતું કે ઇતિહાસમાં સતત પરાજિત હિંદુઓના દૂઝતા ઘાવનો અને તેમની અંદર વિકસેલી લઘુતાગ્રંથિનો ઉપયોગ કરીને હિન્દુત્વવાદીઓ પોતાની જગ્યા બનાવી શકે છે. તેઓ હિંદુ માનસમાં ખોટો ભય પેદા કરી રહ્યા છે અને એટલી જ ખોટી બહાદુરી અને મિથ્યાભિમાન. આ સિવાય હિંદુ સમાજ ઊંચનીચની શ્રેણીથી ગ્રસિત છે જેમાં આધુનિક મૂલ્ય વ્યવસ્થાને કારણે જેમણે સામાજિક વર્ચસ ગુમાવ્યું છે એ લોકો અને સામંતી વ્યવસ્થાની જગ્યાએ સમાનતા આધારિત નવી વ્યવસ્થામાં આર્થિક-રાજકીય વગ ગુમાવનારા રાજવીઓ અને જમીનદારો આધુનિકતાના દુ:શ્મનો છે અને તેઓ હિન્દુત્વવાદીઓને મદદ કરી શકે છે. 

બીજી બાજુ સરદારને અને તેમના અનુયાયીઓને એમ લાગતું હતું કે દેશ પર મોટો ભય સામ્યવાદનો છે. તેઓ સંગઠિત છે, તેમની પાસે કેડર છે, તેઓ સાધનશુદ્ધિમાં મનાતા નથી, હિંસા કરી શકે છે, તેમને રશિયા અને ચીનની મદદ મળી રહી છે, સામ્યવાદ આખા વિશ્વમાં ફેલાઈ રહ્યો છે વગેરે વગેરે. મૂડીવાદી દેશોએ પણ અબજો રૂપિયા ખર્ચીને સામ્યવાદવિરોધી પ્રોપેગેન્ડા કરીને એક નેરેટિવ વિકસાવ્યું હતું અને હાઉ ઊભો કર્યો હતો. ઓછામાં પૂરું ૧૯૫૭ની ચૂંટણીમાં સામ્યવાદીઓએ કેરળમાં સરકાર બનાવી. એ પછી તો સરદારના અનુયાયીઓ અને જમણેરીઓ સામ્યવાદના ભયથી આતંકિત હતા. તેઓ વધારે ને વધારે આર.એસ.એસ. તરફી થવા લાગ્યા. તેમને એમ લાગતું હતું કે આ ધરતી પર સૌથી વધુ વિવધતા ધરાવતા દેશમાં કોઈ એક પ્રજાનું રાજ્ય શક્ય જ નથી. હિન્દુત્વવાદીઓ ઘેલા છે, પણ સામ્યવાદને ખાળવા માટે આપણા માટે કામના છે.

નેહરુ અને સરદારના અભિગમમાં જે અંતર હતું એ કોઈ આઝાદી પછી વિકસ્યું નહોતું. ગાંધીજીની હયાતીમાં જ હતું. ગાંધીજીની જે દિવસે હત્યા કરવામાં આવી એ જ દિવસે સરદાર ગાંધીજીને મળવા ગયા હતા અને મતભેદના કારણે સરકારમાંથી રાજીનામું આપવાની ગાંધીજી પાસે રજા માગી હતી. દેશમાં સુવર્ણ-મધ્ય વિકસાવનારા ગાંધીજીએ સરદારને સમજાવ્યા હતા કે તેમની વચ્ચેની પરસ્પર પૂરકતાની પણ દેશને જરૂર છે. સાંજે ગાંધીજીની હત્યા કરવામાં આવી. ગાંધીજીના મૃતદેહ પાસે લોર્ડ માઉન્ટબેટનની હાજરીમાં સરદારના ખોળામાં માથું મૂકીને નેહરુ રડ્યા હતા અને ક્યારે ય એકબીજાનો સાથ નહીં છોડવાનું બન્નેએ માઉન્ટબેટનને વચન આપ્યું હતું. આ ઘટના ૧૯૪૮ના જાન્યુઆરી મહિનાની છે અને ૧૯૫૦ના ડિસેમ્બરમાં સરદાર અવસાન પામ્યા. બે અભિગમો વચ્ચે પરસ્પર પૂરકતા વિકસાવવા માટે જોઈએ એટલો સમય ન મળ્યો. 

વિભિન્ન અભિગમો વચ્ચે પરસ્પર પૂરકતાનો ગાંધીજીનો પ્રયોગ એટલો જ મૌલિક હતો જેટલો સુવર્ણ-મધ્ય વિકસાવવાનો હતો. ગાંધીજી અનેક રીતે પોતાના યુગને અતિક્રમતો મહામાનવ છે એમાં આ એક મોટું કારણ છે. પોતાનું સત્ય એ જ અંતિમ સત્ય એમ માનીને માનસિક અને શારીરિક રીતે હિંસક બનવા સુધી જે માણસ ન જતો હોય એની વચ્ચે પરસ્પર પૂરકતા શક્ય છે. તેમણે એ બતાવી આપ્યું હતું અને જિંદગીના છેલ્લા દિવસે નેહરુ અને સરદારને એ બતાવી આપવાની સલાહ આપી હતી.

પણ સરદારના અનુયાયીઓ સરદાર નહોતા. મુનશીએ ૧૯૪૯માં લખેલા લેખમાં પરસ્પર પૂરકતાની જરૂર પર ભાર મૂક્યો છે, પરંતુ તેઓ પોતે જ એ નહોતા જાળવી શક્યા. સી. રાજગોપાલાચારી અને તેમના જેવા બીજા કાઁગ્રેસીઓ પણ એ નહોતા જાળવી શક્યા. આશ્ચર્યની વાત તો એ છે કે કાઁગ્રેસની અંદર રહેલા કાઁગ્રેસીઓ પણ એ નહોતા જાળવી શક્યા. તેઓ નેહરુનો હળવો સમાજવાદી અભિગમ નહોતા ખમી શકતા. જમીન સુધારા, જમીન ટોચમર્યાદા, અમર્યાદિત સંપત્તિના અધિકાર પર નિયંત્રણ તેમના માટે અસહ્ય હતાં. તેમને નેહરુની આધુનિકતા, આધુનિક મૂલ્યો અને જીવનદૃષ્ટિ માટેનો આગ્રહ સ્વીકાર્ય નહોતો. તેમને નેહરુની સહિષ્ણુતામાં નબળાઈ નજરે પડતી હતી. અલગ અલગ લોકોના અણગમાનું પ્રમાણ અલગ અલગ હતું. પણ અણગમો તો હતો જ. નેહરુના અનુયાયીઓની વાત કરીએ તો મોટાભાગના લોકોને સત્તામાં જ રસ હતો અને બાકીના લોકોનો જમણેરીઓ માટેનો અણગમો જમણેરીઓનો જેવો ડાબેરીઓ માટે હતો એવો જ હતો. પણ એમાં એવું કશું જ નહોતું કે રસ્તા ફંટાય. કામ અઘરું હતું, પણ અશક્ય નહોતું. ગાંધીજી કહીને ગયા હતા કે પોતાનું સત્ય એ જ અંતિમ સત્ય એમ માનીને હિંસક બનવા સુધી જે માણસ ન જતો હોય એની વચ્ચે પરસ્પર પૂરકતા શક્ય છે. નેહરુ-સરદારની પરસ્પર પૂરકતા વિકસી હોત તો આજના માઠા દિવસો ન જોવા મળત. મુનશીએ ફાસિસ્ટ સ્ટેટનો ભય બતાવ્યો હતો એને સાચો ઠેરવવામાં એ લોકોએ જ ફાળો આપ્યો હતો. 

અંતે લેખ પૂરો કરતાં પહેલાં અહીં બે જણને યાદ કરવા જોઈએ. એક છે, ડૉ. અશોક મહેતા અને બીજા વિનોબા ભાવે. ૧૯૫૨ની લોકસભાની ચૂંટણીમાં સમાજવાદીઓનો કારમો પરાજય થયો એ પછી સમાજવાદીઓ હતાશ થયા હતા અને નેહરુ-કાઁગ્રેસની સામે આક્રમક વલણ અપનાવવાની વાતો થવા લાગી હતી. ડૉ. રામ મનોહર લોહિયા આક્રમકતાના પુરસ્કર્તા હતા. આની સામે ડૉ. અશોક મહેતાએ ‘Compulsion of backward economy and areas of cooperation નામની થિસીસ રજૂ કરી હતી. ભારત જેવા ગરીબ અને સમસ્યાગ્રસ્ત દેશમાં કાઁગ્રેસ અને સમાજવાદીઓએ પરસ્પર પૂરકતા વિકસાવવી જોઈએ. સંઘર્ષ અને આક્રમકતા અંતિમવાદી પરિબળોને તાકાત આપશે. ડૉ. લોહિયાએ તેમની વાત સ્વીકારી નહોતી અને સરદારના અનુયાયીઓની માફક તેમણે પણ સંઘને આંગળી ધરી. વિનોબા ભાવેએ કહ્યું હતું કે જે દેશે ઇતિહાસમાં આ પહેલાં આસેતુહિમાલય રાજકીય અખંડતા જોઈ જ નથી એ દેશે રાજકીય એકતા જાળવી રાખવી હોય તો સામાજિક એકતા વિકસાવવી જોઈએ. હજુ તો સ્વતંત્ર ભારત નામનું બાળક ઘોડિયામાં છે ત્યારે વિચારધારાઓની મલ્લીનાથી, આક્રમકતા અને અથડામણનો માર્ગ અપનાવવામાં જોખમ છે. વિનોબા ભાવેને પણ નેહરુની માફક સામ્યવાદ કરતા હિંદુ ફસીઝ્મનું જોખમ વધારે મોટું નજરે પડતું હતું.

કનૈયાલાલ મુનશી અને બીજાઓ ધારતા હતા કે નેહરુ-સરદારની પરસ્પર પૂરકતા જાળવી રાખીને તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને અપ્રાસંગિક બનાવી દેશે અને સંઘે પ્રાસંગિક બનવા માટે મધ્યમ માર્ગ સ્વીકારવો પડશે. બન્યું એનાથી ઊલટું જેનો તેમણે ભય વ્યક્ત કર્યો હતો. 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 સપ્ટેમ્બર 2025

Loading

...102030...99100101102...110120130...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved