Opinion Magazine
Number of visits: 9736339
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આંદોલનના કડખેદ : વાલજીભાઈ પટેલ

સંગીતા પટેલ|Opinion - Opinion|19 November 2025

વાલજીભાઈ પટેલ

કહેવત તો છે કે ડાહી માનો ડાહ્યો દીકરો. પણ કોઇક ઘટના સાવ જુદી હોય છે. અહીં તો ગાંડી માએ ડહાપણની દાઢ રોપેલી. અને તે દાઢે કાયમ ડહાપણ જ સુઝાડ્યું. તેર વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી દીધી અને માનું ગાંડપણ ચરમસીમાએ પહોંચેલું. મા અને એક બહેનની જવાબદારી તેર વર્ષનાં તરુણ પર આવી પડી. શાળા અભ્યાસ છોડી બૂટપોલિશ કરી. દવાખાનામાં કમ્પાઉન્ડરની નોકરી કરી. ઘેર ઘેર છાપાં નાખવાનું કામ કર્યું. મા, બહેન અને પોતાના જીવન નિર્વાહનો બોજો નાની ઉંમરે જ ઉપાડી લીધો. આ તરુણ તે મારા પિતા વાલજીભાઈ પટેલ.

નાનપણમાં પરિવારની જવાબદારી જેટલી સંવેદનાથી નિભાવી એટલી જ સંવેદનાથી પોતાના સમાજને ય એવો તો હૈયે રાખ્યો કે એ સમાજદાઝ હજી અકબંધ રહી છે. યુવાવયે ગામ પ્રવૃત્તિઓમાં સક્રિય પપ્પાએ ખૂબ નાની વયે તેમના ગામ દરિયાપુરમાં ડો. બાબાસાહેબ આંબેડકરને સાંભળેલા. અને એમની સામાજિક નિસબત ગાંઠે બાંધી લીધી. ડો. આંબેડકરનું શક્ય એટલું કવન આત્મસાત કરી પોતાના વ્યવહારમાં ય મુક્યું. શાળા અભ્યાસ છોડ્યા પછી સીધી મેટ્રિકની પરીક્ષા આપી. સ્નાતક થયા પછી એલ.એલ.બી. શરૂ કર્યું. એલ.એલ.બી. અભ્યાસ તો પૂર્ણ ન કર્યો પણ કાનૂનને સ્વધર્મ ગણ્યો.

ડો. આંબેડકર ચીંધ્યા કાનૂની માર્ગે દલિત ઉત્થાન જોયું. આ વિશ્વાસનાં પારખાં ય કરતાં રહ્યા. ગરૂડ સામયિકમાં લખતા રહ્યા. તે પછી દલિત પેન્થર્સમા સક્રિય થયા. અમારું ઘર ઘર કરતાં પેન્થર્સ કચેરી વધારે હતું. દરિયાપુર ગામ શહેરની મધ્યે હતું અને એટલે ભૌગોલિક રીતે સૌને અનુકૂળ તો હતું જ અને અમારા પરિવારની સામાજિક નિસબતે ય કાંઈ ઓછી ન હતી. ગુજરાતના રણમલપુર જેવાં ગામડાંમાં સ્ત્રી અત્યાચારનો બનાવ હોય કે દલિત આંદોલનની પ્રયોગશાળા સમા જેતલપુરની વાત હોય. તમામના એજન્ડા અહીં જ ઘડાયા.

દલિત આંદોલનના સીમાચિહ્ન રૂપ જેતલપુર ગામમાં 1974થી દલિત પેન્થર સક્રિય હતું. વાલજીભાઈ પટેલ તેમના પુસ્તક ‘જલતું જેતલપુર’માં લખે છે, “સ્વમાનભેર જીવવા માટે અસ્પૃશ્ય દલિતમાંથી ધર્માંતર કરી ખ્રિસ્તી થયેલા યાકૂબભાઈ દલિતોને ઉશ્કેરે છે એમ કહીને રૂઢિચુસ્તોએ ઘરમાં પેસી સશસ્ત્ર હુમલો કર્યો અને તેમના પત્ની રેહાનાબેન અને પુત્ર સહિત યાકૂબભાઈને જખમી કર્યા.” ત્યારથી દલિત પેન્થર જેતલપુર ગામમાં સક્રિય થયેલું. જેતલપુરના દલિતો તે વખતથી કાનૂની લડાઈના પાઠ ભણી ચૂકેલા. ત્યાંના દલિત યુવકોએ દલિત પેન્થર જેતલપુર શાખા શરૂ કરેલી. સરકાર સમક્ષ રજૂઆત પછી 22/10/1974ના રોજ તેમની મંડળીને એક વર્ષ માટે દસ એકર બાવીસ ગૂંઠા જમીન અપાવવા દલિત પેન્થર સફળ થયેલું.

સામૂહિક ખેતીનો સફળ પ્રયોગ એટલે જેતલપુર ગામના જમીન વિહોણા ખેતમજૂરોની મંડળી. આ એક પહેલો પ્રયોગ હતો પણ પ્રયોગ સફળ કરતાં કંઈક કેટલાં ય પાણી વહી ગયેલાં. વર્ષોથી જમીનદાર બની બેઠેલા ઉજળિયાતોએ કેટલાં ય રોડાં નાખેલા. સભા, સરઘસો અને કાનૂની રાહે જેતલપુરમા ન્યાયની મિસાલ ઊભી કરેલી. આ પ્રયોગશાળાથી પપ્પાનો વિશ્વાસ દૃઢ થયો. એ પછી તો સૌરાષ્ટ્ર પંથકના અમરેલી જિલ્લાને એમની કર્મભૂમિ બનાવી. અમરેલી જિલ્લાના કોટડી ગામના દલિતોને નવ વર્ષની લાંબી કાનૂની લડત પછી બે એકર ગામતળ જમીન અપાવી. જાતિવાદી વહીવટી તંત્ર અને સમૃદ્ધ ખેડૂતોની સાંઠગાંઠ ઉકેલવા જે કંઈ કર્યું તે તવારીખ તો કેટલાં ય પાનાં ભરાય એટલી છે.

1999માં અમદાવાદના દાણીલીમડાના એકતા નગર નામની વસાહતને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તોડી નાખવાનું નક્કી કર્યુ. 36 વર્ષથી બિનસાંપ્રદાયિકતાના ગઢ સમા એકતા નગર માટે કાઉન્સિલ ફોર સોશલ જસ્ટિસના સેક્રેટરી તરીકે પપ્પાએ કાનૂની રીતે ન્યાય અપાવવાનું બીડું ઝડપ્યું. ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન કરી. હરુભાઈ મહેતા અને જીતેન્દ્ર મલકાણ જેવા સીનિયર એડવોકેટ વહારે આવ્યા અને હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કારણદર્શક નોટિસ પાઠવી અને એકતા નગર રેગ્યુલરાઇઝ કરવાનો આદેશ આપ્યો.

મેડિકલમાં અભ્યાસ માટે ઓપન કેટેગરીમાં લાયક હોય તેવા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને જનરલ કેટેગરીમાં પ્રવેશ અપાવવાના તેમના પ્રયત્નો ય કારગત નિવડ્યા.

અમદાવાદના જૂના વાડજ વિસ્તારમાં આવેલા રામાપીરના ટેકરા નામની વસાહતમાં વસતા મંજુલાબહેન કડિયાકામ વખતે જીવલેણ અકસ્માતનો ભોગ બન્યાં. આ આઘાત સહન ન થતાં તેમના પતિ પણ તે પછીના એક મહિનામાં ગુજરી ગયા. તેમના બે અનાથ બાળકો એકલા થઈ જતાં અસામાજિક તત્ત્વોએ તેમનું ઘર છીનવી લેવા જમીન આસમાન એક કર્યા. કાઉન્સિલ ફોર સોશિયલ જસ્ટિસ વતી પપ્પાએ હાઈકોર્ટેના દ્વાર ખખડાવ્યા અને આ અનાથ બાળકોનું તેમની જમીન પર પુનઃસ્થાપન કરવાનો અને તેમના નામે રૂપિયા પાંચ હજારની થાપણ મુકવાનો આદેશ કર્યો.

અમદાવાદની શારદાબહેન હોસ્પિટલમાં મોતિયાના છ દર્દીઓની સર્જરી નિષ્ફળ જતાં તેમને આંખ ગુમાવવાની નોબત આવેલી. આ લડતમાં પણ પપ્પા સફળ થયેલા અને એ છ દર્દીઓને અદાલતી રાહે વળતર અપાવેલુ.

આવી તો કંઈ કેટલી ય સાર્થક જનહિત અરજીઓ કરી. ખાસ કહેવા જેવી વાત તો એ છે કે આ કાનૂની લડતો માટે પપ્પાએ ઓ.એન.જી.સી.ની નોકરીમાંથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું. મમ્મીએ નોકરી ન છોડવા સમજાવેલા, પણ માનેલા નહિ. મોટી નાણાંકીય ખોટ વહોરીને જાતને કાનૂની લડાઈમાં સમર્પિત કરેલી. સામાન્ય માણસ કોર્ટ કચેરીથી દૂર રહેવાની આશા રાખે. પણ સમાજ ખાતર ‘આ બેલ મુજે માર’ની ઉક્તિ ખરી કરતા, મારા પપ્પા નોકરી છોડીને એવા તો કાનૂની લડાઈ માટે કટિબદ્ધ થઈ ગયા કે એ જ એમનુ જીવન છે એવું માની લીધેલું.

ઓ.એન.જી.સી.ની નોકરીમાં અગિયાર વર્ષ અપડાઉન કરેલું. રોજ પાંચ કલાક ટ્રેન મુસાફરી કરવાની થતી. તેમ છતાં ‘દલિત મિત્ર’ સામયિક લાંબો સમય ચાલુ રાખ્યું. રાતના બે વાગ્યા સુધી કામ કરીને સવારે આઠ વાગ્યાની ટ્રેન પકડતા. સાજે ઘરે આવે ત્યારે કહેતા ટ્રેનની ભીડમાં એક પગે ઊભા રહીને આવ્યો. અને આ સાંભળી અમે બેઉ બહેનો તેમના પગે માલિશ કરવા બેસી જતી. નોકરી છોડ્યા પછી ગામડાઓ ખૂંદવા નીકળતા તો મમ્મી હંમેશાં ટોણો મારતી, હવે તમારા પગ નથી દુખતા. પણ સાંભળ્યું ન સાભળ્યું કરી દેતા. તેમની સૌથી મોટી વિશેષતા તો એ કે હાથમાં લીધેલું કામ પૂરું કરીને જંપે. નાનામાં નાની વિગત ધ્યાન બહાર ન રહી જાય એ એમનો જીવનમંત્ર. કેસનો તલસ્પર્શી અભ્યાસ કરવાના તેમના વલણથી જ તે એક લીગલ માઇન્ડ બન્યા.

લેખક તરીકે તેમનુ યોગદાન ખાસું. ‘ગરૂડ’, ‘પેન્થર’, ‘દલિતમિત્ર’ સામયિકોમાં તેમનાં લખાણ તેમની લેખન ક્ષમતાના પુરાવા છે. નેવુંના દાયકામાં બાબરી ધ્વંસ નહોતો થયો તે પહેલાંની વાત છે. અમદાવાદનુ ભગવાકરણ કરવા રથયાત્રાનું માધ્યમ હિન્દુવાદીઓ માટે હાથવગું હતું. ભગવાન જગન્નાથજીના રથ વધુમાં વધુ હિન્દુ વિસ્તાર આવરી લે તે સુઝાવ તોફાનીઓને માન્ય ન હતો. રથયાત્રા જેવી મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થાય કે તરત ઉશ્કેરણીજનક નારા શરૂ થઈ જતાં. તેના પગલે તોફાન શરૂ થતાં. પોલીસ અત્યાચાર પણ મુસ્લિમ લોકો પર થતાં. મુસ્લિમ ઘરોમાં છેક બાથરૂમમાં ગોળીબારના નિશાન હતા. તે સમયના ‘દલિત મિત્ર’ના અંકમાં ‘રથયાત્રા કે શરમ યાત્રા’ શીર્ષક હેઠળ તેમનો લેખ બિનસાંપ્રદાયિક વિચારધારાનો સાક્ષી છે. 1981ના અનામત વિરોધી આંદોલન વખતે સરકારી વલણ આવું જ હતું. દલિતો પોલીસ ગોળીબારનો ભોગ બનેલા. ‘ખાંભીઓ ડૂસકાં ભરે છે’ શીર્ષક હેઠળ લેખમાં તેમની દલિત સંવેદના વ્યક્ત થઈ છે.

ડો. આંબેડકર લિખિત ‘રીડલ્સ ઓફ રામ એન્ડ ક્રિષ્ના’નો પપ્પાએ ‘રામ અને કૃષ્ણનું ગૂઢ રહસ્ય’ નામે અનુવાદ કરેલો. આ પુસ્તિકા બાબરી ધ્વંસ પહેલાંની. પુસ્તિકાનું પ્રાપ્તિ સ્થાન પહેલું અમારું નિવાસસ્થાન અને બીજુ કલીમ બુક ડિપો. પુસ્તિકા ઘણી વંચાઇ. તે વખતે અમારા ઘરે સવારથી ધમકીભર્યા ફોન આવતા અને ઘર આખું ડિસ્ટર્બ થઈ જતું. અમારા ઘર પછી તરત મુસ્લિમ વસતી શરૂ થતી. 2002ના રમખાણોમાં કેટલાક અસામાજિક તત્ત્વો અમારા ગામના ચોકમાં આવી ઊભા. પપ્પા ગામના થોડાક લોકો સાથે પહોંચી ગયા. અને કહ્યું, લડવું હોય તો પહેલા અમારી સાથે લડો પછી આગળ જાવ. પરિણામે મોટી હોનારત થતી અટકેલી.

ધરાતલ પર કામ કરવાની ભૂમિકા જ જુદી હોય છે. આ ભગવાકરણને રોકવા ઘણા લોકોએ પ્રયત્ન કર્યા છે. ફિલ્મ દિગ્દર્શક આનંદ પટવર્ધન ‘રામ કે નામ’ ફિલ્મ બનાવી રહેલા. ભગવાકરણના અપપ્રયાસોનું દસ્તાવેજીકરણ કરવાનું બીડું તેમણે ઝડપેલું. અમદાવાદમાં અષાઢી બીજની રથયાત્રાનું શુટિંગ કરવાનો મનસૂબો કરેલો. પપ્પા તેમના દિવસભર માર્ગદર્શક રહ્યા. છદ્મ નામે અમદાવાદના જમાલપુર ખાતેના જગન્નાથજીના મંદિરના મહંતનો ઇન્ટરવ્યુ પણ પપ્પાએ લીધો. સંજોગોવસાત તેમની ડાયરી ત્યાં જ રહી ગઈ અને ત્યાંથી પાછી ન મેળવી શક્યા. દિવસભરની નાનામાં નાની વિગત ડાયરીમાં લખવાનું ભૂલતા નહિ. સામાન્ય માણસ અતૂટ નિસબત અને ખંતથી એક સંસ્થા બની શકે તે મિસાલ પપ્પાએ કાયમ કરી.

 19/11/2025થી નેવું વર્ષની દિશામાં જતા પપ્પાને આજના જન્મ દિવસે ઘણી શુભેચ્છાઓ.

e.mail : sanita2021patel1966@gmail.com

Loading

‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

સોનલ પરીખ|Gandhiana, Opinion - Opinion|19 November 2025

સરદાર વલ્લભભાઈ પટેલને ન મળેલા વડા પ્રધાનપદ અને તેમને બહુ મોડા મળેલા ‘ભારતરત્ન’ વિશેના વિવાદો પર ઊછળવાને બદલે આપણે એ શિલ્પીના ઘડેલા ભારતને ચાહીએ અને સાચા અર્થમાં અખંડ રાખીએ તો એમને યોગ્ય અંજલિ આપી ગણાશે. 

સરદાર પટેલ તેમના પુત્રી મણિબહેન, સચિવ વી. શંકર અને જોધપુરના મહારાજાને જયપુર લઈ જઈ રહેલું એ વિમાન દિલ્હીના પાલમ ઍરપોર્ટ પરથી સાંજે 5 વાગ્યાને 32 મિનિટે ઊડ્યું. લગભગ 158 કિલોમીટરનું અંતર કાપવા માટે એક કલાકથી વધુ સમય થવાનો ન હતો. વલ્લભભાઈ પટેલના હૃદયની હાલતને ધ્યાનમાં લઈને વિમાન 3,000 ફૂટથી ઉપર નહીં ઉડાડવાની સૂચના પાઇલટ ફ્લાઇટ લેફટેનેન્ટ ભીમ રાવને આપવામાં આવી હતી. ફ્લાઇંગ લાયસન્સ ધરાવતા જોધપુરના મહારાજાએ સાંજે છએક વાગ્યે સરદાર પટેલને જણાવ્યું હતું કે વિમાનનું એક ઍન્જિન કામ કરતું બંધ થઈ ગયું છે. એ સમયે વિમાનનો રેડિયો પણ બંધ થઈ ગયો હતો અને વિમાન બહુ ઝડપથી નીચે આવવા લાગ્યું હતું. ઑલ ઇન્ડિયા રેડિયોએ તેના 29 માર્ચ, 1949ના રાતના 9 વાગ્યાના બુલેટિનમાં સમાચાર આપ્યા કે સરદાર પટેલને દિલ્હીથી જયપુર લઈ જઈ રહેલા વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો છે અને શ્રોતાઓનાં હૃદય ધબકારા ચૂકી ગયાં …

દરમિયાન પાઇલટે જયપુરથી ઉત્તરમાં 30 માઈલ દૂર વિમાનનું ક્રૅશ લૅન્ડિંગ કરવાનો નિર્ણય કર્યો. ક્રૅશ લૅન્ડિંગ વખતે વિમાનના દરવાજા સજ્જડ રીતે બંધ જ રહે એવી શક્યતા હોય છે એથી પ્રવાસીઓને સૂચના આપવામાં આવી કે વિમાનની છત પરની ઇમર્જન્સી ઍક્ઝિટમાંથી ઝડપથી બહાર નીકળી જવું કેમ કે ક્રૅશ લૅન્ડિંગ વખતે વિમાનના ઍન્જિનમાં આગ લાગવાની સંભાવના ઘણી હોય છે. પાંચ મિનિટ પછી પાઇલટે વિમાનને સફળતાપૂર્વક જમીન પર ઊતારી દીધું. 

સરદાર પટેલના સચિવ તરીકે ફરજ બજાવી ચૂકેલા વી. શંકરે તેમની આત્મકથા ‘રેમિનિસન્સ’માં લખ્યું છેઃ  ‘પટેલના હૃદય પર શું વીતી રહ્યું હશે એ તો હું ન કહી શકું, પણ તેમના પર કોઈ અસર થઈ હોય એવું બહારથી જણાતું ન હતું. તેઓ, જાણે કે કંઈ બન્યું જ ન હોય તેમ, શાંતિથી બેઠા હતા.’ આ હતી લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર પટેલના હૃદયની મજબૂતી.

વિમાનના ઉતરાણની થોડી મિનિટોમાં જ ગામલોકો ત્યાં પહોંચી ગયા હતા. વિમાનમાં સરદાર પટેલ છે એવી ખબર પડતાં જ ગામલોકોએ તેમના માટે પાણી અને દૂધ મંગાવ્યાં ખાટલા બિછાવ્યા. ઘટનાસ્થળની સૌથી વધુ નજીક ક્યો માર્ગ છે એ શોધવા જોધપુરના મહારાજા અને વિમાનના રેડિયો ઑફિસર નીકળી પડ્યા. અંધારું થઈ ચૂક્યું હતું. ઘટનાસ્થળે સૌથી પહેલાં પહોંચેલા કે.બી. લાલ નામના અધિકારીએ પછીથી લખ્યું હતું : ‘હું ત્યાં પહોંચ્યો ને જોયું તો સરદાર વિમાનની ડિસમેન્ટલ થઈ ગયેલા ખુરશી પર બેઠા હતા. મેં તેમને કારમાં બેસવા કહ્યું ત્યારે તેમણે કહ્યું, ‘પહેલાં મારી ટીમના લોકો અને જોધપુરના મહારાજાને કારમાં બેસાડો.’ આ હતું સરદારનું સંવેદનશીલ, જવાબદાર નેતૃત્વ. 

મહાત્મા ગાંધીના પૌત્ર રાજમોહન ગાંધીએ ગાંધીજી, પંડિત નહેરુ અને સરદાર પટેલ આ ત્રણેની જીવનકથા લખી છે. એમનું કહેવું છે કે ‘જે ભારત જે કંઈ પણ છે તેમાં સરદાર પટેલનું બહુ મોટું યોગદાન છે, તેમ છતાં આપણે તેમની ઉપેક્ષા કરી છે. આઝાદ ભારતના શાસનતંત્રને કાયદેસરતા પ્રદાન કરવામાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલની ત્રિમૂર્તિએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભારતીય ઇતિહાસ ગાંધી અને નહેરુના યોગદાનને તો સ્વીકારે છે, પણ સરદાર પટેલને વખાણવામાં કંજૂસાઈ કરે છે.’ 

બ્રિજના ઉત્તમ ખેલાડી એવા સરદારમાં ખેડૂત જેવી જીદ, બરછટપણું અને દરિયાદિલી હતાં. નહેરુ અને પટેલે લગભગ એક જ સમયે પરદેશમાં વકીલાતનો અભ્યાસ કર્યો હતો. એ દરમિયાન તેમની મુલાકાત થઈ હતી કે કેમ એ જાણવા મળતું નથી. સરદાર પટેલને તેમના લંડનવાસ દરમિયાન પશ્ચિમી વસ્ત્રો ગમી ગયા હતાં પણ પછી ગાંધીજીના સ્વદેશી આંદોલનથી પ્રભાવિત થઈ તેમણે ભારતીય વસ્ત્રો પહેરવાનું શરૂ કરી દીધું. ખાદીની સાથે સાદગી એવી અપનાવી લીધી કે તેઓ દીકરી મણિબહેને કાંતેલી ખાદીનાં કપડાં જ પહેરતા. પિતા એકલા ન પડી જાય તે માટે મણિબહેન પરણ્યાં નહીં અને એમણે પણ જીવનભર હાથે કાંતેલી સફેદ ખાદીની સાડી પહેરી. સરદાર ગૃહ પ્રધાન થયા પછી પણ સાંધેલી સાડી પહેરવામાં મણિબહેનને કે ચશ્માંની તૂટેલી દાંડીમાં દોરી બાંધવામાં સરદાર પટેલને કોઈ સંકોચ ન હતો. 

ભારતના પ્રથમ કમાન્ડર ઈન ચીફ જનરલ કરિઅપ્પા અને સરદાર પટેલની એક મુલાકાત વિશે જાણવા જેવું છે. 1947ની વાત. જનરલ કરિઅપ્પાને સંદેશો મળ્યો કે સરદાર પટેલ તેમને તાત્કાલિક મળવા માગે છે. કરિઅપ્પા ત્યારે કાશ્મીરમાં હતા. તેઓ તરત દિલ્હી આવ્યા અને પાલમ એરપોર્ટથી સીધા ઔરંગઝેબ રોડ પર આવેલા સરદાર પટેલના ઘરે પહોંચ્યા. કરિઅપ્પા અંદર ગયા, પાંચ જ મિનિટમાં બહાર આવ્યા. સરદાર પટેલે તેમને એક જ સવાલ પૂછ્યો હતો કે ‘હૈદરાબાદ ઑપરેશન દરમિયાન પાકિસ્તાન તરફથી કોઈ પ્રતિક્રિયા આવશે તો વધારાની કોઈ મદદ વિના તમે તેનો સામનો કરી શકશો?’ તેનો જવાબ કરિઅપ્પાએ એક જ શબ્દ ‘હા’માં આપ્યો હતો અને બેઠક પૂરી થઈ ગઈ હતી. એ સમયના ભારતીય સૈન્યના વડા જનરલ બૂચર કાશ્મીરની પરિસ્થિતિને જોતાં હૈદરાબાદમાં કોઈ કાર્યવાહી કરવાના પક્ષમાં ન હતા. બીજી તરફ ઝીણા ઘમકી આપતા હતા કે ભારત હૈદરાબાદમાં હસ્તક્ષેપ કરશે તો બધા મુસ્લિમ દેશો ભારતને ‘જોઈ લેશે’. કરિઅપ્પા સાથેની બેઠક પછી તરત જ સરદારે હૈદરાબાદમાં ઑપરેશન હાથ ધરવાનો આદેશ આપ્યો અને બીજા અઠવાડિયે હૈદરાબાદ ભારતમાં જોડાઈ ગયું.  

રાજમોહન ગાંધી લખે છે, ‘1947માં પટેલ ઉંમરમાં 10 કે 20 વર્ષ નાના હોત તો કદાચ બહુ સારા અને સંભવતઃ નહેરુથી બહેતર વડા પ્રધાન સાબિત થયા હોત, પરંતુ 1947માં સરદાર નહેરુથી ઉંમરમાં 14 વર્ષ મોટા હતા અને વડા પ્રધાનપદને ન્યાય આપી શકે એટલા સ્વસ્થ પણ ન હતા.’ સરદારના સચિવ વી. શંકરે તેમની આત્મકથા ‘રેમિનિસન્સ’માં લખ્યું છે કે 1948ના અંત સુધીમાં સરદાર બધું ભૂલવા લાગ્યા હતા અને મણિબહેને નોંધ્યું હતું કે સરદારને બહેરાશ આવી ગઈ હતી અને થોડીવારમાં થાકી જતા હતા. બગડતી તબિયત સાથે પણ નવા સ્વતંત્ર થયેલા રાષ્ટ્રનું ઘડતર ચાલતું રહ્યું. તેમને અંદાજ આવતો હતો કે અંત નજીક છે અને તેઓ તેમની પ્રિય પંક્તિઓ ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ ગણગણતા રહેતા. 

સરદાર પટેલ કહેતા, ‘ક્યારેક પોતાનું અપમાન સહી લેવું પડે છે. એ માટે શક્તિ અને સાહસ જોઈએ.’ ‘વધુ પડતી ભલાઈ વિઘ્નરૂપ છે. આંખોને લાલ થવા દો અને અન્યાયનો મજબૂત હાથોથી સામનો કરો.’ ‘મુશ્કેલ સમયમાં કાયરો બહાનાં શોધે છે અને બહાદુરો રસ્તા.’ ‘અહિંસક એને કહેવાય જે તલવારબાજીમાં નિપુણ હોવા છતાં તલવારને મ્યાનમાં રાખી શકે.’ ‘લોઢું ગમે તેટલું ગરમ હોય, હથોડો ઠંડો રહીને પ્રહાર કરે તો જ કામ થાય.’ 

સરદારની મહાનતા તો એટલી ઊંચી કક્ષાની હતી કે અત્યારની આપણી સીમિત અને સંકુચિત સમજમાં પૂરી ઊતરે પણ નહીં, પણ છેલ્લાં થોડાં વર્ષોમાં સરદારની મહાનતા અને સરદારને થયેલો અન્યાય વગેરે વિષે જરા ઝનૂની ઊછાળા સાથે વાતો થાય છે એથી એમની ધવલ, શુચિ-શુભ્ર સ્વચ્છ પ્રતિભા એમના ‘ભક્તો’ના હાથે જ જરા ઝાંખી પડી રહી હોય એવું દૃશ્ય ઊભું થાય છે. ભારતનો ઇતિહાસ વર્ણવતાં પુસ્તકોમાં સરદારનો ઉલ્લેખ કેટલી વાર થયો ને કેટલી વાર નહીં એવી ગણતરીઓ, તેમને ન મળેલા વડા પ્રધાનપદ અને તેમને બહુ મોડા મળેલા ‘ભારતરત્ન’ વિશેના વિવાદોને એમની જગ્યાએ છોડી આપણે એ શિલ્પીના ઘડેલા ભારતને ચાહીએ અને સાચા અર્થમાં અખંડ રાખીએ તો એમને યોગ્ય અંજલિ આપી ગણાશે. 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 26 ઑક્ટોબર  2025

Loading

મારી દુનિયાનાં તમામ બાળકો

અદનાન કફિલ દરવેશ [હિન્દી પરથી અનુવાદ : રૂપાલી બર્ક]|Poetry|19 November 2025

એ એકઠાં થશે એક દિવસ અને ભેગાં મળીને રમશે
એ સાફ સુથરી દીવાલો પર પેન્સિલની અણી ઘસશે
એ કૂતરાં સાથે,
બકરીઓ સાથે,
લીલા ટીનસા સાથે,
અને કીડીઓ સાથે પણ વાતો કરશે …

એ બે-લગામ દોડશે
પવન અને તડકાની સતત દેખરેખ હેઠળ
અને ધરતી ધીરે ધીરે ફેલાતી જશે
એમના પગની આસપાસ

જો જો
એ તમારી બખ્તર ગાડીઓમાં રેતી ભરી દેશે
અને તમારી બંદૂકો માટીમાં ઊંડે દાટી દેશે
એ રસ્તાઓ પર ખાડા ખોદશે અને એમાં પાણીથી ભરી દેશે
અને પાણીમાં થઈ છપા-છપ કરતાં પાછાં ફરશે …

એક દિવસ એ એમને પ્રેમ કરશે
જેમને તમે નફરત કરવાનું શિખવ્યું છે
એ તમારી દીવાલોમાં
કાણું પાડી દેશે એક દિવસ
અને આરપાર જોવાનો પ્રયત્ન કરશે
ઓચિંતી ચીસ પાડી ઊઠશે!
અને કહેશે —
“જુઓ! પેલે પાર પણ મોસમ આપણે ત્યાં છે એવી જ છે”
એ પવન અને તડકાનો અનુભવ
એમના ગાલ પર લેવા ચાહશે
અને એ દિવસે તમે એમને નહીં રોકી શકો!

એક દિવસ તમારાં સુરક્ષિત ઘરોમાંથી બાળકો બહાર ચાલ્યાં આવશે
અને વૃક્ષો પર માળા બનાવશે
એમને ખિસકોલીઓ ખૂબ પસંદ છે
એમની સાથે એ મોટાં થવા ચાહશે …

એ દરેક ચીજને વધુ સુંદર બનાવવા
ઊંધી-ચત્તી કરશે એ તમે જોશો …

એક દિવસ મારી દુનિયાનાં બધાં બાળકો
કીડી, જીવજંતુ,
નદી, પહાડ, સમુદ્ર
અને તમામ વનસ્પતિની સાથે મળીને હલ્લો બોલાવશે
અને તમારી બનાવેલી દરેક વસ્તુને
રમકડું બનાવી દેશે ….

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

...102030...99100101102...110120130...

Search by

Opinion

  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved