Opinion Magazine
Number of visits: 9456145
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કટોકટીનાં પચાસ વરસનો શોર : બેઉ છેડે આત્મખોજનો અવસર

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|26 June 2025

વિશેષ

નાગરિકો સત્તાધિશોની ચેતનાને જગાડે

વિશ્વવિજેતાના દર્પે ખદબદ અલેકઝાંડરે ગર્વિષ્ઠ વિવેકથી પૂછ્યું કે તમારી શું સેવા કરી શકું. જવાબમાં ફિલસૂફ ડાયોજીનસે તબિયતથી કહ્યુંઃ રાજા, આઘો હટ – ને તડકો આવવા દે.

પ્રકાશ ન. શાહ

1975ની 25મી જૂન વિશે 26મીના અંક માટે લખી રહ્યો છું, બરાબર પચાસ વરસના અંતરે, ત્યારે થઈ આવતું પહેલું સ્મરણ સ્વાતંત્ર્યસૈનિક શબ્દસેવી ઉમાશંકર જોશીની એ કવિપૃચ્છાનું છે કે ‘કાલે હતો તે તડકો ક્યાં છે?’ આ લખું છું ત્યારે ગ્રીક ફિલસૂફ ડાયોજીનસનું સ્મરણ થાય છે. વિશ્વવિજેતાના દર્પે ખદબદ અલેકઝાંડરે ગર્વિષ્ઠ વિવેકથી પૂછ્યું કે, તમારી શું સેવા કરી શકું. આપણા ફિલસૂફે તબિયતથી કીધુંઃ ‘રાજા, આઘો હટ – ને તડકો આપવા દે.’

પચાસ વરસને અંતરે સરકાર ગાજાવાજા સાથે શોર મચાવી રહી છે ત્યારે એને કોણ કહેશે કે, તડકો આવવા દે? ઇંદિરાઈ તો એક રીતે નસીબવંતી હતી કે એને લમણે જમણા છેડેથી જયપ્રકાશ લખાયા હતા. શું સરસ કહ્યું‘તું ત્યારે ધર્મવીર ભારતીએ કે, એક બહત્તર સાલકા બુઢા સચ બોલતે નિકલ પડા હૈ. આજે તો, ભાઈ, સાદો હિસાબ ચાલે છે કે ચોક્કસ મુદ્દે જબાનબંધના ધોરણે કટોકટીના પ્રતિકારનો મહિમા કરો અને વાણીસ્વાતંત્ર્યનું ગૌરવગાન કરો. 

ભાઈ, પ્રજાસત્તાક સ્વરાજમાં કટોકટીની કાલરાત્રિ વિશે આટલે વરસે વાત કરીએ ત્યારે તે લાદનાર નેતૃત્વ ને પરિબળોની ટીકા તો ચોક્કસ જ કરીએ. પણ તે નેતૃત્વને એક પ્રજા તરીકે આપણે પરાસ્ત કરી શક્યા એ ઇતિહાસન્યાય પછીના દાયકાઓમાં આપણે દોષદુરસ્તી કેટલી કીધી ન કીધી એની તપાસ કરીએ. પછી, જેમને સુવાંગ સત્તા આવી મળી તેમણે કેવો વ્યવહાર દાખવ્યો ન દાખવ્યો એને અંગે ય તપાસ કરીએ. સત્તાધીશોને આ અવસર લાયક આત્મખોજનો ખયાલ સ્વમેળે ન આવતો હોય તો નાગરિકોએ નાનાવિધ ઉપાયે તેમની ચેતનાને સંકોરવામાં સહાયરૂપ થવું એ ધર્મ બની રહે છે. 

સરકારી જાહેરાત ને સરકારી સંસાધનોની રાહે જે ચાલે છે. એમાંથી ઊલટાની ‘કાઁગ્રેસમુક્ત ભારત અને કાઁગ્રેસયુક્ત ભા.જ.પ.’ની ધંધાદારી રાજનીતિની બૂ ઉઠે છે. ભાઈ, આ પ્રશ્ન ક્યારેક કાઁગ્રેસ સત્તા પર હતી અને જનસંઘ સહિત બાકીના સામી પાટલીએ હતા એટલો સીધોસાદો નથી. હર પલટાતી રાજવટ સબબ જાગ્રત જનમત એ જનતંત્ર માત્રની સ્થાયી પ્રકૃતિ ને પ્રવૃત્તિ હોવી ઘટે છે. મામલો હર જમાને સત્તા વિ. જનતાનો છે. 

કટોકટી જાહેર થઈ ત્યારે બુઝુર્ગ રાજપુરુષ કે. સંથનમે બાંધી મુદ્દતનાં અનશન કીધાં હતાં. પોતે બંધારણ સભાના સભ્ય હતા અને વિભાજનની વિભીષિકા વચ્ચે આવી આકરી જોગવાઈની જરૂરત જેમ બીજા ઘણાને તેમ તેમને પણ અનુભવાઈ હતી. આ જોગવાઈનો આમ ગેરઉપયોગ થઈ શકે તે ત્યારે કેમ સૂઝ્યું નહોતું એ ખયાલે એમણે અનશનનો રાહ લીધો હતો. 

ખેર. કટોકટીરાજ ગયું પણ ખરું અને એના કરવૈયાઓને 1977ની ચૂંટણીમાં શિકસ્ત પણ મળી. બંધારણ સાથે ઇંદિરા ગાંધીએ જે કંઈ તોડમરોડ કરી હતી તેને નવી સંસદે બંધારણીય સુધારા સાથે સમીનમી પણ કીધી. ટૂંકજીવી જનતા શાસન પછી કાઁગ્રેસના પુનઃ પ્રવેશ અને સત્તા પરની નાનીમોટી આવનજાવન વચ્ચે માનવઅધિકાર પંચથી માંડીને માહિતી અધિકાર, શિક્ષણ અધિકાર આદિની પ્રતિષ્ઠા શક્ય પણ બની. પણ ઉત્તરોત્તર કથળતું કાયદાનું શાસન અને માહિતી અધિકારનું સંકોચન કે પછી નવા જુલમી કાયદા તરેહનું વલણ, આ બધાને કેવી રીતે ઘટાવશું ? સરકાર અને કોર્પોરેટ સંધાનની આબાદ જુગલબંધી દેશમાં સ્વતંત્ર અવાજનાં સ્થાનકો વગર સેન્સરશિપે સંકોચાતાં જાય છે. અલબત્ત, સત્તા કદાચ એમ માનીને ચાલે છે કે જનતા કને આંખકાન હોવાં જરૂરી નથી. થોડાં વરસ પર અડવાણીએ કહ્યું હતું કે, સંભારવા જોગ છે કે કટોકટી બાબતે બંધારણીય સુધારાથી અમે (મોરારજી પ્રધાનમંડળે) દુરસ્તી કરી છે એ સાચું, પણ તેથી કટોકટી પ્રકારના અનુભવો બીજી રીતે નહીં થાય તેમ હું કહી શકતો નથી. 

એથી 25મી જૂનની ખરી ઉજવણી ભૂતકાળની બેધડક ટીકા કરવા હાલના હુકમરાનો પોતાના અમલ બાબતે કરે તેમાં છે – નહીં કે ‘હત્યા દિવસ’ના ઝનૂનમાં.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 25 જૂન 2025

Loading

ઇન્દિરા ગાંધીને પોતાની સત્તાનો ભય કેમ હતો?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|25 June 2025

કટોકટીનાં 50 વર્ષ

ઈમર્જન્સી ગઈ પણ કાયદાનું શાસન સવાલિયા દાયરામાં છે અને ગેરબરાબરી તેમ જ વિદ્વેષની કટોકટી બરકરાર છે. 1947ના સ્વરાજ કાળથી 1950ના પ્રજાસત્તાક કાળથી જે કટોકટીનો આપણે મુકાબલો કરી રહ્યાં છીએ એનું શું? 

પ્રકાશ ન. શાહ

બરાબર પચાસ વરસ થયાં એ રાતને, એ વાતને – જ્યારે લોકશાહીના દીવા બુઝાઈ રહ્યા જેવા હતા અને લોકશાહીની વાટ કેમ જાણે રૂંધાયાં જેવી.

અલાહાબાદ હાઈકોર્ટે ઇન્દિરા ગાંધીની ચૂંટણી રદ્દ કરી હતી. ન્યાયમૂર્તિ જગમોહનલાલ સિંહા જે રીતે કામ લઈ રહ્યા હતા તે જોતાં હિમાચલ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ પદની લલચામણી ઓફર સાથે એમને વારવાનો પ્રયાસ સત્તાસ્થાનેથી નાકામ રહ્યો હતો. 

ઇન્દિરાજીના પ્રતિપક્ષી ઉમેદવાર રાજનારાયણ તરફથી કેસ લડી રહેલા શાંતિભૂષણને કોઈક રીતે પોતાની તરફે કરી લેવાના સત્તાશાઈ ઉધામાને પણ યારી મળી નહોતી. અંતે જે થવાનું હતું તે થઈને રહ્યું – અમદાવાદ (ગુજરાતની ચૂંટણી) અને અલાહાબાદ, બેઉ ચુકાદા એક સાથે આવ્યા.

1971ની બાંગ્લાદેશ વેળાની તેમ ગરીબી હટાઓ ચૂંટણીથી પ્રાપ્ત આભા હવે સવાલિયા કુંડાળામાં મૂકાઈ ગઈ હતી. બિહાર આંદોલનનાં ઐતિહાસિક પરિમાણો અને જયપ્રકાશનું અસાધારણ નેતૃત્વ જોતાં બની રહેલા માહોલ વચ્ચે ઇન્દિરા ગાંધીની ચૂંટણીનું રદ્દ થવું પ્રજાસત્તાક ભારતમાં પહેલી પચીસી સંકેલાતે જળથાળ સંજોગો ઊભા કરે તે સાફ હતું.

આ જળથાળ સંજોગ 25મી જૂનની મધરાત લગોલગ આંતરિક કટોકટીની જાહેરાત રૂપે સામે આવ્યો. એને પગલે સેન્સરશિપથી માંડીને મિસા (જેને ‘મેઈન્ટેનન્સ ઓફ ઇન્દિરા સિકયોરિટી એક્ટ તરીકે સૌ ઓળખાવતા) અમલી બન્યો. એમાં, આ મિસાવાસ્યમમાં, કારણ જણાવ્યા વગર ને કામ ચલાવ્યા વગર ગોંધી રાખવાની બેછૂટ જોગવાઈ હતી.

ઇન્દિરા ગાંધી

મુદ્દે જે ભય હતો તે મુખ્યત્વે ઇન્દિરા ગાંધીને પોતાની સત્તા અંગે હતો. અલાહાબાદ હાઈકોર્ટે એમની સાંસદી રદ્દ કરી હતી અને છ વરસ માટે ચૂંટણી લડવા બાબતે ગેરલાયક ઠરાવ્યાં હતાં. પક્ષપ્રમુખ દેવકાન્ત બરુઆ તેમ જ પ્રધાનમંડળના સીનિયર સાથીઓ ‘થોડો સમય, બધું ઠેકાણે ન પડે ત્યાં સુધી’ હંગામી પ્રધાન મંત્રી પદ વાસ્તે તૈયાર હતા. પણ અલાહાબાદ હાઈકોર્ટે સામેથી, આ સજા સામે અપીલમાં જવા સારુ વીસ દિવસની જે સવલત આપી હતી તે પછી બરુઆ કે ચવાણ કે જગજીવનરામ સત્તા પાછી સોંપે ખરા કે કેમ એ બાબતે ઇન્દિરા ગાંધી કાં તો સાશંક હતાં કે પછી નિર્ભ્રાન્ત.

દરમ્યાન, ચુકાદાને પગલે 18મી જૂને મળેલી કાઁગ્રેસ પાર્લમેન્ટરી પાર્ટીએ ‘ઇન્દિરાજીના નેતૃત્વમાં’ વિશ્વાસનો પ્રસ્તાવ કર્યો. જયપ્રકાશે જાહેર પ્રતિક્રિયા આપી કે ચુકાદાનો જવાબ વિશ્વાસમતમાં નથી – તમે કાયદાની આણ માની પદત્યાગ માટેની નૈતિક તૈયારી દાખવવા માગો છો કે કેમ એ સવાલ છે.

25મી જૂને રામલીલા મેદાનમાં વિરાટ જાહેર સભા મળી, જેને જયપ્રકાશ નારાયણથી માંડી મોરારજી દેસાઈ વગેરેએ સંબોધી. જયપ્રકાશે કવિ દિનકરને ટાંકીને કહ્યું : સિંહાસન ખાલી કરો કી જનતા આતી હૈ! નવનિર્માણથી આરંભી રેલવે હડતાળથી માંડી બિહાર આંદોલન દરમ્યાન જે દમનરાજનો અનુભવ થયો હતો એના ઉજાસમાં જયપ્રકાશે પોલીસને તેમ લશ્કરને પણ અપીલ કરી કે કશું ગેરકાનૂની કે ગેરબંધારણીય કરવાનું કહેવામાં આવે તો માનશો ના – તમારા ‘મેન્યુઅલ’માં તે સાફ લખેલું છે.

કહ્યાગરા રાષ્ટ્રપતિની સહી મેળ‌વી ઇન્દિરા ગાંધીએ કટોકટીની જાહેરાત કરી. મધરાતે ઘણાખરા પ્રધાનોની જાણ વગર એમને ત્યાં એ જાહેરનામું તૈયાર થયું હતું. 

21મી ને 22મીએ રાષ્ટ્રભરમાંથી પકડવા લાયક લોકોની યાદી વૉરન્ટ સર તૈયાર થવા લાગી હતી. બલકે, 12મી જૂને અમદાવાદ-અલાહાબાદના ચુકાદા સાથે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર પણ ચોક્કસ યાદી પર કામ કરી રહ્યા હતા અને હા, પાછળથી પ્રાપ્ય વિગતો પ્રમાણે પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી સિધ્ધાર્થ શંકર રેએ છ મહિના પૂર્વે આંતરિક કટોકટીની જાહેરાતનો મુસદ્દો તૈયાર કરી સોંપ્યો હતો.

આ તો અધુકડો મુખડો માત્ર છે. જૂન 2025થી માર્ચ 2027ના, કટોકટી પડ્યાથી ઊઠ્યાની પચાસીનાં વરસોમાં યથાપ્રસંગ કંઈક નિરીક્ષા, કંઈક નુક્તેચીની જરૂર કરવાની થશે.

દોધારી નિયતિ નાગરિક છેડે અનુભવાય છે: કટોકટી (ઈમર્જન્સી) ગઈ પણ કાયદાનું શાસન સવાલિયા દાયરામાં છે અને ગેરબરાબરી તેમ જ વિદ્વેષની કટોકટી (ક્રાઈસિસ) બરકરાર છે. 1947ના સ્વરાજ કાળથી તેમ 1950ના પ્રજાસત્તાક કાળથી જે કટોકટીનો આપણે મુકાબલો કરી રહ્યાં છીએ એની ન તો હાલના સત્તા-પ્રતિષ્ઠાનને સુધબુધ છે, ન તો એના બડકમદારો અને પાલખી ઊંચકનારાઓને એની પડી છે. 2025-2026ની પચાસી જેમ જૂની મૂર્છાની તેમ નવી મૂઠની કાળજી લઈ શકશે?

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 25 જૂન 2025

Loading

બાપુનું સંસ્મરણ

હમીદ કુરેશી|Gandhiana|25 June 2025

ગાંધીજીએ પોતાના જીવનમાં ત્રણ લડતો લડી. લુઈ ફિશર એ ત્રણ લડતો આમ ગણાવે છે : (1) બ્રિટિશ સામ્રાજ્ય સામે (2) ભારત સામે (3) જાત સામે. ગાંધીજી ત્રણેમાં મહાન યોદ્ધા પુરવાર થયા. એમણે આઝાદી અપાવી, પહેલી લડતના ફળરૂપે; બીજી લડતમાં એમણે ભારતમાં જ્યાં જ્યાં ખરાબીઓ જોઈ, બદીઓ જોઈ ત્યાં લડત આપી, અને સમાજ સુધારા કર્યા, જેના કારણે આપણે એમને રાષ્ટ્રપિતા કહીએ છીએ; અને ત્રીજી લડાઈમાં એમણે સત્ય શોધવાનો પ્રયત્ન કર્યો, સત્યના પ્રયોગો એમણે પોતાની જાત ઉપર કર્યા, જેથી આપણે એમને મહાત્મા કહીએ છીએ.

એ મહાત્માની અસર આજે ક્યાં ક્યાં છે ? ભારત આજે (1968) એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. મને ઘણી વાર ધન્યતા લાગે છે, કે પાકિસ્તાન જેવા ધર્મઆધારિત રાષ્ટ્રની પાસે જ આવેલા આપણા દેશમાં રાષ્ટ્રપ્રમુખ તરીકે એક મુસ્લિમ વ્યક્તિ છે, આપણી વરિષ્ઠ અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિ એક મુસ્લિમ સજ્જન છે. આ વસ્તુ ગાંધી વિચારધારાને કારણે જ શક્ય થઈ શકે.

ગાંધીજીના અંતેવાસી બનવાનું સૌભાગ્ય મને સાંપડયું નહોતું, કારણ કે અમે એ વખતે બહુ નાનાં હતાં. પરંતુ કાલક્રમે હું એકવાર પંચગનીમાં એમને મળવા ગયો હતો, અને અમારે ઘણી વાતો થઈ હતી. ત્યારે એક બૌદ્ધ સાધુ આવ્યા હતા એમની સાથે પણ ગાંધીજીએ ત્રણેક કલાક ચર્ચા કરી. ત્યાર પછી લૉર્ડ વેવેલનો બ્રોડકાસ્ટ થયો અને બીજા દિવસે પંડિત નેહરુ, મૌલાના આઝાદ, સરદાર, શંકરરાવ દેવ વગેરે છૂટવાના હતા, એવા સમાચાર આવ્યા. કેટલા ય પત્રકારો, કેટલી દોડાદોડ! અને બીજે દિવસે સવારે સરદાર પટેલ, શંકરરાવ દેવ વગેરે બીજા નેતાઓ આવી પહોંચ્યા. આખો દિવસ ધમાલ ધમાલમાં ગયો. ગાંધીજીએ એ દિવસે પેલા બૌદ્ધ સાધુને ફરી બોલાવ્યા હતા. પણ એ આવ્યા ત્યારે વાત તો ન થઈ શકી, ગાંધીજીએ એમને લખેલો એક કાગળ આપ્યો – કોને ખબર એ ધમાલમાં એમણે ક્યારે, કેવી રીતે એ લખ્યો!

મારે ત્યાંથી પાછા ફરવાનું થયું, બાપુજીને મેં જણાવ્યું હતું કે હું સાડા દશની બસમાં જવાનો હતો. દશ-સવા દશે એમણે મને બોલાવ્યો, કહ્યું કે વલ્લભભાઈના ડાહ્યાભાઈ આવ્યા છે, એની સાથે તું મોટરમાં મુંબઈ જજે. બાપુજી ભૂલ્યા નહિ. આશ્રમની દોઢસો વ્યક્તિઓમાંની એક નાની વ્યક્તિ (હું) જવાની છે, એને સાથ શોધી આપ્યો. ખૂબ કામમાં હોવા છતાં આ સાદી, નજીવી વાત ભૂલ્યા નહીં! (જો કે ડાહ્યાભાઈ ભૂલી ગયા, અને મારે તો બસમાં જ જવું પડ્યું!)

‘નિરીક્ષક’ 17-11-1968ના અંકમાંથી.
24 જૂન 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 343

Loading

...102030...99100101102...110120130...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved