Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9335196
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાઁગ્રેસ ખતમ કેમ નથી થતી? કોણ તેને જીવાડે છે?

રમેશ ઓઝા|Opinion - Opinion|23 May 2024

રમેશ ઓઝા

વડા પ્રધાન રાહુલ ગાંધીનું નામ પોતાનાં મોઢેથી નથી લેતા, પણ રાહુલ ગાંધીનો અને કાઁગ્રેસનો જપ ચોવીસ કલાક કરે છે. એવી એક પણ સભા નહીં હોય જેમાં તેમણે રાહુલ ગાંધી અને કાઁગ્રેસ પર હુમલો ન કર્યો હોય. તેઓ ૨૩ વર્ષથી અનુક્રમે ગુજરાતમાં અને દેશમાં શાસન કરી રહ્યા છે અને તેમાં શાસક તરીકે કાઁગ્રેસને ખતમ કરવાની એક પણ તક તેમણે જતી નથી કરી. ગૃહ પ્રધાન અમિત શાહે તો દેશને કાઁગ્રેસમુક્ત કરવાની જાહેરાત કરી હતી અને એ માટે તમે જાણો છો કે વર્તમાન શાસકોએ દરેક પ્રયત્ન કર્યા છે.

આ એક પક્ષ થયો. બીજો પક્ષ એ છે કે કાઁગ્રેસ ૧૯૮૯થી સતત નબળી પડતી રહી છે. તેનું મતોનું પ્રમાણ ઘટે છે અને છેલ્લાં ૩૫ વરસમાં એકેય વખત તેને લોકસભામાં બહુમતી મળી નથી. ૧૯૮૪ની લોકસભાની ચૂંટણીમાં કાઁગ્રેસને કુલ ૫૧૪ બેઠકોમાંથી ૪૦૪ બેઠકો મળી હતી. તેને ૪૯.૧૦ ટકા મત મળ્યા હતા. અડધોઅડધ. આટલી બેઠકો કાઁગ્રેસને જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીના વખતમાં પણ મળી નહોતી. એનું કારણ ઇન્દિરા ગાંધીની હત્યા અને રાષ્ટ્રીય સુરક્ષા હતું. ભારતના ઇતિહાસમાં પહેલીવાર કોઈ એક પક્ષે ચારસો પારનો આંકડો મેળવ્યો હતો.

એ પછી કાઁગ્રેસનું પતન શરૂ થાય છે. ૧૯૮૯ની ચૂંટણીમાં કાઁગ્રેસને ૩૯.૫૩ ટકા મત સાથે ૧૯૭ બેઠકો, ૧૯૯૧માં વધીને ૩૬.૨૬ ટકા મત સાથે ૨૩૨ બેઠકો, ૧૯૯૬માં ૨૮.૮૦ ટકા મત સાથે ૧૪૦ બેઠકો મળી હતી. આ વખતે ઇતિહાસમાં પહેલીવાર કાઁગ્રેસે બહુમતી તો ઠીક સૌથી મોટા પક્ષ તરીકેનું સ્થાન પણ ગુમાવ્યું હતું. એ સ્થાન ૧૫૧ બેઠકો સાથે ભા.જ.પ.ને મળ્યું હતું અને એ પણ એક ઐતિહાસિક ઘટના હતી. અલબત્ત મત મેળવવામાં ભા.જ.પ. કાઁગ્રેસ કરતાં આઠ ટકાથી પાછળ હતો. ૧૯૯૮માં કાઁગ્રેસને ૨૫.૮૨ ટકા મત સાથે ૧૪૧ બેઠકો મળી હતી અને સામે ભા.જ.પ.ને એટલા જ ૨૫.૫૯ મત સાથે ૧૮૨ બેઠકો મળી હતી. ૧૯૯૯માં કાઁગ્રેસની બેઠકોમાં હજુ ઘટાડો થયો હતો અને તેને માત્ર ૧૧૪ બેઠકો મળી હતી. સામે ભા.જ.પ.ને એટલી જ ૧૮૨ બેઠકો મળી હતી, પરંતુ મતના પ્રમાણમાં ચાર ટકાનો ઘટાડો થયો હતો. આનું કારણ કારગિલમાં પાકિસ્તાનના પ્રવેશનું હતું અને ભારત સરકારે દાખવેલી બેદરકારી હતું. ૨૦૦૪માં કાઁગ્રેસને ૨૬.૫૩ ટકા મત સાથે ૧૪૫ બેઠકો મળી હતી અને ભા.જ.પ.ને ૨૨.૧૬ ટકા મત સાથે ૧૩૮ બેઠકો મળી હતી. ૨૦૦૯માં કાઁગ્રેસને ૨૮.૫૫ ટકા મત સાથે ૨૦૬ બેઠકો મળી હતી અને ભા.જ.પ.ને ૧૮.૮૦ ટકા મત સાથે ૧૧૬ બેઠકો મળી હતી. ૨૦૧૪માં કાઁગ્રેસને માત્ર ૪૪ બેઠકો મળી હતી, પણ તેને મળેલા મતોનું પ્રમાણ ૧૯.૩૧ ટકા હતું. સામે ભા.જ.પ.ને ૩૧ ટકા મત સાથે ૨૮૨ બેઠકો મળી હતી. ૨૦૧૯માં કાઁગ્રેસને ૧૯.૪૬ ટકા મત સાથે ૫૨ બેઠકો મળી હતી અને ભા.જ.પ.ને ૩૭.૩૦ ટકા મત સાથે ૩૦૩ બેઠકો મળી હતી. નરેન્દ્ર મોદીના જુવાળમાં કાઁગ્રેસનું ધોવાણ થયું હતું અને ઇતિહાસમાં પહેલીવાર કાઁગ્રેસ બે ડીજીટ પર આવી ગઈ હતી.

આગળ વધતા પહેલાં મારી વાચકોને સલાહ છે કે કાઁગ્રેસ-બી.જે.પી.ની ૩૫ વરસની રાજકીય યાત્રા પર ફરી એકવાર નજર કરી લો. ભા.જ.પ.ને સૌથી વધુ મત ૨૦૧૯માં ૩૭.૩૦ ટકા મળ્યા હતા અને હજુ સુધી ૪૦ ટકાનો આંકડો પાર કર્યો નથી. કાઁગ્રેસ બે ડીજીટમાં આવી ગઈ હોવા છતાં તેનાં મતના પ્રમાણમાં એવો અધધધ કહી શકાય એવો ઘટાડો થયો નથી. ૨૦૧૪માં કાઁગ્રેસના મતનું પ્રમાણ ૧૯.૩૧ ટકાનું હતું અને ૨૦૧૯માં ૧૯.૪૬ ટકાનું હતું. ઊલટું ભા.જ.પ. ૨૦૦૯માં મતના પ્રમાણમાં ૨૨ ટકાથી ૧૮ ટકાએ નીચે આવી ગયો હતો. કાઁગ્રેસ હજુ સુધી ૧૮ ટકાથી નીચે નથી ગઈ.

હવે સમજાય છે શા માટે વડા પ્રધાન દિવસરાત કાઁગ્રેસનો જપ કરે છે અને આદુ ખાઈને કાઁગ્રેસની તેમ જ રાહુલ ગાંધીની પાછળ પડ્યા છે? ખરાબમાં ખરાબ દિવસોમાં પણ કાઁગ્રેસ કમ સે કમ સરેરાશ ૨૦ ટકા મત કેવી રીતે મેળવે છે? લોકસભામાં માત્ર ૪૪ બેઠકો મેળવનારી કાઁગ્રેસના મતનું પ્રમાણ ૧૦ ટકાની અંદર કેમ નથી આવતું? કોણ તેને જીવતી રાખે છે અને શા માટે? અને બીજો પ્રશ્ન; કાઁગ્રેસ શા માટે નબળી પડી? તેનું પતન માત્ર અને માત્ર હિંદુ રાષ્ટ્રવાદના લોકસ્વીકારને કારણે થયું છે કે પછી ભારતનાં બદલાતા જતા સમાજનાં બદલાતાં જતા સંસદીય રાજકારણના સમીકરણોના કારણે થયું? ભક્તો માટે હિન્દુત્વના જયજયકારનો નેરેટિવ તેની જગ્યાએ ખપનો છે, પણ વાસ્તવિકતા જુદી છે અને એ નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ સુપેરે જાણે છે.

કાઁગ્રેસ એ સહિયારા ભારતનો વિચાર છે અને કાઁગ્રેસ દેશની વાસ્તવિક સામાજિક સંરચના(સોશ્યલ કંપોઝીશન)નું પ્રતિનિધિત્વ કરે છે. ભારતની જે સામાજિક સંરચના છે એ વાસ્તવિક છે જેને ભા.જ.પ. બદલવા માગે છે, કાઁગ્રેસ નહીં. સ્વાભાવિક સામાજિક વાસ્તવિકતાના અસ્વીકારને કારણે ભા.જ.પ.ની રાજકીય યાત્રા સામે વિઘ્નો આવે છે જે રીતે આજે નજરે પડી રહ્યાં છે અને સ્વાભાવિક સામાજિક વાસ્તવના સ્વીકારને કારણે કાઁગ્રેસ મર્યા પછી પણ મરતી નથી. ઘડીભર માની લઈએ કે રાહુલ ગાંધી સાવ નબળો અને નકામો માણસ છે, કાઁગ્રેસ માટે બોજારૂપ છે તો પણ કાઁગ્રેસ મરતી નથી, કારણ કે તે એક વિચાર છે અને દેશની સાચુકલી સામાજિક સંરચનાનું પ્રતિનિધિત્વ કરે છે. લોકો તેને જીવતી રાખે છે, કારણ કે લોકોને ભા.જ.પ.ની કલ્પનાનું ભારત સ્વીકાર્ય નથી.

પણ તો પછી કાઁગ્રેસનું પતન કેમ થયું? બે કારણ છે. પહેલું એ કે કાઁગ્રેસે સત્તાની પાછળ દોટ મૂકી જેમાં તેણે કાઁગ્રેસના વિચારો સાથે સમાધાનો કર્યા. આ સિવાય સત્તા મેળવવા દેશની સામાજિક સંરચના સાથે ચેડાં કર્યાં. સત્તાની ભૂખ પણ હતી અને તુમાખી પણ હતી. બીજું વધારે મહત્ત્વનું કારણ એ કે સમાજના વિવિધ ઘટકોમાં જેમ જેમ શિક્ષણનો પ્રસાર થયો અને જાગૃતિ આવી એમ તેમણે સત્તામાં ભાગીદારી માગવાનું શરૂ કર્યું. તેમને તેમની સંખ્યાની રાજકીય તાકાતની સમજ પડવા લાગી. તેઓ વધુ ભાગીદારી મેળવવા કાઁગ્રેસથી દૂર થવા લાગ્યા, અલગ પક્ષો સ્થાપવા લાગ્યા અને લોકસભામાં કાઁગ્રેસની બેઠકોમાં ભાગ પડાવવા લાગ્યા. આ જે થયું એ થવાનું જ હતું અને તેને માટે હરખાવું જોઈએ. કોઈ પોતાનો ભાગ માગે એમાં ખોટું શું છે? એ તો જાગૃતિ અને સશક્તિકરણનાં લક્ષણો છે.

એમ નિશ્ચિતપણે કહી શકાય કે કાઁગ્રેસે જે જગ્યા ગુમાવી છે એ સહિયારા ભારતમાં સગાં-સહિયારાઓની વચ્ચે ભાગીદારીના પ્રશ્ને ગુમાવી છે, કોઈ હિંદુઓના એકલાના હોવા જોઈતા હિંદુ ભારતના પક્ષે નથી ગુમાવી. સંઘપરિવાર તો તેનો લાભાર્થી છે. સામાજિક-રાજકીય સમાજચક્રમાં પછાત પ્રજાઓ આગળ આવી, તેમની અંદર મધ્યમવર્ગ અસ્તિત્વમાં આવ્યો અને હંમેશા બને છે એમ મધ્યમવર્ગ હિંદુ ધર્મની સર્વોપરિતાના કેફમાં ઘેરાતો ગયો. પણ હવે પરંપરાગત પછાત પ્રજાની અંદર હિંદુ રાષ્ટ્રની અંદર તેમની ભાગીદારી વિષે શંકા જાગવા માંડી છે. ભા.જ.પ. ભારતની વાસ્તવિક અને સ્વાભાવિક સામજિક સંરચનાનું પ્રતિનિધિત્વ નથી કરતો, બલકે તેને બદલવા માગે એવી લોકોને સમજ પડવા માંડે ત્યારે તેઓ ભારતની સહિયારાપણાની સામાજિક સંરચનાનું પ્રતિનિધિત્વ કરનાર કાઁગ્રેસ તરફ વળે એવું બને.

પણ કાઁગ્રેસ જ ન હોય તો? તો લોકો પાછા ફરીને કોને શરણે જાય? માટે કાઁગ્રેસને જ ખતમ કરી નાખવી જોઈએ. પણ સમસ્યા એ છે કે કાઁગ્રેસ ખતમ થતી નથી, કારણ કે એ સહિયારા ભારતની વિચારધારા અને વાસ્તવિક તેમ જ સ્વાભાવિક ભારતીય સમાજની સંરચનાનું પ્રતિનિધિત્વ કરે છે. અને ઓછામાં પૂરું, હવે રાહુલ ગાંધી કાઁગ્રેસને તેનાં મૂળ તરફ પાછી લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 23 મે 2024

Loading

23 May 2024 રમેશ ઓઝા
← સ્વરાજ સૈનિકોએ આ રાની પરજમાં ભળી જઈ જાગૃતિ અને નવસંસ્કારનું કામ કીધું
‘ઇન્ડિયા’ની અણધારી અંગડાઈ સાથે મોદી ભા.જ.પ. કસોટીમાં મુકાયો છે →

Search by

Opinion

  • ‘શેતરંજ’ પર પ્રતિબંધનું પ્રતિગામી પગલું
  • જેઇન ઑસ્ટિન અમર રહો !
  • જેઇન ઑસ્ટિન : ‘એમા’
  • ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’: એક વિહંગાવલોકન
  • ગ્રામસમાજની જરૂરત અને હોંશમાંથી જન્મેલી નિશાળનો નવતર પ્રયોગ

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • નિર્મમ પ્રેમી
  • મારી અહિંસા-યાત્રા
  • ગાંધીનો હિટલરને પત્ર 
  • ઈશુનું ગિરિ-પ્રવચન અને ગાંધીજી
  • ગાંધી : ભારતની પ્રતિમા અને પ્રતીક

Poetry

  • વિમાન લઇને બેઠા …
  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !
  • હાલો…

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved