ચીનમાં લોકશાહીની લાંબી અને અહિંસક લડત ચલાવવા માટે નોબેલ શાંતિ પારિતોષિક મેળવનાર અધ્યાપક અને રાજકીય લેખક લિઉ ઝાઓબોનું તેરમી જુલાઈએ કૅન્સરને કારણે ચીનના શેન્યાન્ગ શહેરની સરકારી હૉસ્પિટલમાં અવસાન થયું. અવસાન સમયે ઝાઓબો રાજકીય કેદી તરીકે અગિયાર વર્ષના કારાવાસની સજા ભોગવી રહ્યા હતા. તેઓ ૨૦૦૯થી જેલમાં હતા અને ગયા ચારેક મહિનાથી તેમને સારવાર માટે પૅરોલ આપવામાં આવી હતી. ડિપ્રેશન એટલે કે હતાશાથી પીડાઈ રહેલાં તેમના પત્ની ઝિઆ અત્યારે પણ નજરકેદ હેઠળ છે. એકસઠ વર્ષના ઝાઓબોની કાર્યરત જિંદગીના અડધાં એટલે કે સત્તર વર્ષ ચીનની જેલોમાં વીત્યાં છે. આ એવાં વર્ષો હતાં કે જે દરમિયાન તેઓ ચાઇનિઝ સાહિત્યના તેજસ્વી અધ્યાપક તરીકે ઝળહળતી કારકિર્દી બનાવી શક્યા હોત. પણ તેમણે ચીન જેવા દમનકારી દેશમાં નાગરિક સ્વાતંત્ર્ય માટે સંઘર્ષનો કપરો માર્ગ પસંદ કર્યો. તેના માટે તેમને દુનિયાના અનેક દેશોએ અને માનવ અધિકાર સંગઠનોએ ટેકો આપ્યો.
જો કે, ઝાઓબોનું નામ ખુદ ચીનમાં પણ ઓછું જાણીતું હતું. તેમને હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા તે વખતે એ.એફ.પી. સમાચાર સંસ્થાએ આસપાસના જે વીસ માણસોને તેમના વિશે પૂછ્યું તેમાંથી એક જ વ્યક્તિને એમના વિશે ખબર હતી. આમ બનવાનું એક મહત્ત્વનું કારણ એ ચીનની સામ્યવાદી સરકારનાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પરનાં નિયંત્રણો છે. હંમેશ માટે ચીનની સરકાર સામે પડેલા ઝાઓબો વિશે માધ્યમોમાં જે થોડુંઘણું લખાતું તેમાં પણ તેમનો ઉલ્લેખ ઘણું કરીને ચીનદ્રોહી તેમ જ પશ્ચિમપરસ્ત તરીકે જ થતો. તેમના અવસાન પછી ચીન તરફથી તેમના વિશે જે લખાયું તેમાં તેમની માનવ અધિકારો માટેની લડત કરતાં તેમને સરકારે કેવી સારી સારવાર આપી તેના દાવા નોંધવામાં આવ્યા. ચીનના પ્રમુખ અખબાર ‘ગ્લોબલ ટાઇમ્સ’એ તેમને ‘victim led astray’ એટલે કે ગેરમાર્ગે દોરવાઈને ભોગ બનેલા વ્યક્તિ ગણાવ્યા. વળી, દુનિયાનાં માધ્યમોએ તેમના કરેલા ગૌરવનું અર્થઘટન ચીનને ખરાબ ચીતરવાના પ્રયાસ તરીકે પણ કરવામાં આવ્યું. તેમના અવસાન અંગે ચીનની સરકારે માધ્યમો પર કડક અંકુશ રાખ્યો છે. ચીનના સર્ચ એન્જિન Baidy કે ટિ્વટર જેવાં Weiboમાં LXB એવા તેમના નામના અક્ષરો પણ બ્લૉક કરવામાં આવ્યા છે. Weibo પર તેમનું નામ એન્ટર કરવામાં આવે તો રિઝલ્ટમાં ‘according to relevant laws and policies results for Liu Xiaobo cannot be displayed’ એમ લખાઈને આવે છે. RIP (rest in peace) એવા અક્ષરો પણ સેન્સર ભૂંસી નાખે છે. શ્રદ્ધાંજલિના પ્રતીક સમી કૅન્ડલ એટલે કે મીણબત્તી માટેનો ચીની ભાષાનો શબ્દ કે તેનું ચિત્ર પણ સોશ્યલ મીડિયામાં આવવા દેવામાં આવતાં નથી. એટલે તેમના ચાહકોએ રસ્તા કાઢ્યા. કેટલાકે કાળા ચોખંડામાં માત્ર જીવનકાળ ૧૯૫૫-૨૦૧૭ એટલું લખ્યું, તો વળી ક્યાંક એક દંપતી એકબીજાના કાનમાં કંઈક કહેતું હોય એવી ચહેરા વિનાની આછી આકૃતિ પણ તેમણે મૂકીને ઝાઓબો દંપતીનો નિર્દેશ કર્યો. કેટલાકે મંચ પર, પ્રકાશવર્તૃળ નીચે ગોઠવવામાં આવેલી એક ખાલી ખુરશીની છબી મૂકી.
આવી ખાલી ખુરશીને નોબલ સન્માન સમારોહમાં તેમની ગેરહાજરીના પ્રતીક તરીકે મંચ પર ગોઠવવામાં આવી હતી. ઝાઓબો ૨૦૧૦નું નોબલ સન્માન સ્વીકારવા માટે જઈ શક્યા ન હતા, કારણ કે તેમને ચીનની સરકારે કેદમાં રાખ્યા હતા. આઠમી ડિસેમ્બર ૨૦૦૮થી તેમને અગિયાર વર્ષ માટેના કારવાસની સજા ફટકારવામાં આવી હતી. આ તેમની ચોથી વખતની જેલ હતી જે છેલ્લી સાબિત થઈ. તેમને સરકાર ઉથલાવવા માટે ઉશ્કેરણી પૂરું પાડતું લખાણ કરવા માટે ગુનેગાર ગણવામાં આવ્યા હતા. આ લખાણ Charter-૮ તરીકે જાણીતું છે. તેમાં તેમણે ચીનની એકપક્ષીય નિરંકુશ સામ્યવાદી રાજ્ય પદ્ધતિની જગ્યાએ લોકશાહીનો પુરસ્કાર કર્યો હતો. તેમાં અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય, જનતાંત્રિક ચૂંટણીઓ, ન્યાયતંત્રની સ્વાયત્તતા, રાજ્યહસ્તક ઉદ્યોગોના ખાનગીકરણ અને આર્થિક ઉદારીકરણનો સમાવેશ થતો હતો. તેની પર તેમણે સાડા ત્રણસો બૌદ્ધિકોની સહીઓ પણ મેળવી એટલે ચિંતામાં પડેલી સરકારે તેમને જેલમાં પૂરી દીધા.
જો કે, આવું પહેલી વાર બન્યું ન હતું. ઝાઓબોનો જેલનો પહેલો ફેરો ૧૯૯૨માં હતો. બીઈજિંગ નૉર્મલ યુનિવર્સિટીના પી.એચડી. અને એમાં જ ચાઇનિઝ સાહિત્યના અધ્યાપક ઝાઓબોએ તેમની વિદ્વત્તા અને વિવેચક તરીકેના તેમના રૅડિકલ વિચારોથી પ્રતિષ્ઠા મેળવી હતી. તેઓ કોલંબિયા, ઓસ્લો અને હવાઇ યુનિવર્સિટીઓમાં મુલાકાતી અધ્યાપક બન્યા હતા. તેઓ ૧૯૮૯માં અમેરિકાના અધ્યાપન પ્રવાસમાં હતા ત્યારે ચીનમાં વિદ્યાર્થીઓએ અને લોકોએ સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું. એટલે ઝાઓબો તાકીદે ઘરે પાછા ફરીને આંદોલનમાં જોડાયા. તેમણે દેશ આખામાં ભાષણોની ઝુંબેશ કરી અને ત્રણ દિવસના ઉપવાસ શરૂ કર્યા. પણ તેના પહેલા જ દિવસ એટલે કે ત્રીજી જૂનની રાતથી ચીનની સરકારે તાઇનાન્મન સ્ક્વેરમાં એકઠા થયેલા આંદોલનકારીઓ પર લશ્કરી મશિનગનો અને ટેંકો ચલાવી, સેંકડો લોકોનાં મોત થયાં. હત્યાકાંડ ઉપરાંત સરકારે જે ધરપકડો કરી તેમાંથી વાટાઘાટો દ્વારા સંખ્યાબંધ વિદ્યાર્થીઓને છોડાવવામાં ઝાઓબોનો ફાળો હતો. જો કે, તેમની ખુદની પણ ધરપકડ થઈ અને તેમને એકવીસ મહિનાની કેદ વેઠવી પડી તેમ જ અધ્યાપક તરીકેની તેમની નોકરી ગઈ.
જેલમાંથી છૂટ્યા બાદ ઝાઓબોએ માનવ અધિકાર અને રાજકીય સમસ્યાઓ પર લખવાનું શરૂ કર્યું, પણ તેમને લખાણો પ્રકાશિત કરવાની મંજૂરી ન હતી. તેમનું પહેલું પુસ્તક તાઈવાનથી બહાર પડ્યું. ૧૯૮૯ના આંદોલનનાં અંગત સંભારણાં અને તેની સમીક્ષાના આ પુસ્તકનું નામ છે The Monologues of a Doomsday’s Survivor. ઝાઓબોને ૧૯૯૩ના જાન્યુઆરીમાં એક દસ્તાવેજી ફિલ્મ માટે ઑસ્ટ્રેલિયા અને અમેરિકા બોલાવવામાં આવ્યા હતા. તેમના મિત્રોએ તેમને ત્યાં વસી જવાનું સૂચવ્યું હતું. પણ તેમણે ચીન પાછા જઈને ફ્રિલાન્સ લેખનનો રાહ પસંદ કર્યો.
ઝાઓબેએ ૧૯૯૫માં તાઇનાન્મનની છઠ્ઠી વરસીએ સરકાર સામે ફરી એક ઝુંબેશ શરૂ કરી. તેમણે હત્યાકાંડના પુનઃમૂલ્યાંકન અને લોકશાહી તરફી એકંદર રાજકીય સુધારાની માગણી કરી. એમને ઘરમાં જ અટકાયતમાં રાખવામાં આવ્યા. થોડા સમયની મુક્તિ બાદ ચીનની તાઈવાન તરફની નીતિના વિરોધ કરતા October Tenth Declaration નામના લખાણ માટે ફરીથી તેમની ધરપકડ કરીને તેમને ત્રણ વર્ષ માટે ‘રિ-એજ્યુકેશન થ્રૂ લેબર’ તરીકે ઓળખાતી મજૂરીની એક્સ્ટ્રાજ્યુડિશિયલ કહી શકાય તેવી શિક્ષા આપવામાં આવી. અહીં તેમણે ઝિઆ સાથે લગ્ન કર્યાં. પત્નીએ તેમને છેલ્લા દિવસ સુધી અસાધારણ સમજ અને ધીરજથી સાથ આપ્યો. એ સજા પૂરી થયા બાદ તેમણે તાઈવાનમાંથી Nation that Lies to Conscience નામનો રાજકીય સમીક્ષાનો ચરસો પાનાંનો ગ્રંથ બહાર પાડ્યો. તદુપરાંત તેમણે કવિતા, જેલવાસ દરમિયાન તેમની પત્ની સાથેના પત્રવ્યવહાર અને સાહિત્ય વિવેચનનાં પુસ્તકો પણ લખ્યાં. ઝાઓબોએ ૨૦૦૩માં ચીનમાં માનવ અધિકારોની પરિસ્થિતિ વિશે અહેવાલ લખવાનો શરૂ કર્યો એટલે તેમનાં દસ્તાવેજો, પત્રો અને કૉમ્પ્યુટર જપ્ત કરવામાં આવ્યાં. તેમના ઘરની પાસે એક ચોકી ઊભી કરવામાં આવી અને એમના ફોન તેમ જ ઇન્ટરનેટ ટૅપ થવાં લાગ્યાં. તેમની પાસેથી બીજાં બે પુસ્તકો પણ મળ્યાં,જેમનાં નામ વિષયનો નિર્દેશ કરે છે : The Future of Free China Exists in Civil Society અને Single-Blade Poisonous Sword: Criticism of Chinese Nationalism. આ પુસ્તકો અને ઝાઓબોનાં લગભગ બધાં લખાણો ચીનની સરકારને જોખમકારક લાગતાં રહ્યાં છે. એમાં બહુપક્ષીય ચૂંટણીઓ, મુક્ત બજાર, સ્વાતંત્ર્ય, સત્તાના વિકેન્દ્રીકરણ અને સરકાર દ્વારા તેનાં દુષ્કૃત્યોનો સ્વીકાર જેવા મુદ્દાની છણાવટ છે.
ઝાઓબો જ્યારે અધિકૃત રીતે જેલમાં ન હોય ત્યારે પણ સરકાર તેમના પર કડક જાપ્તો રાખતી. વળી, સરકારને જ્યારે જ્યારે રાજકીય વાતાવરણ સંવેદનશીલ લાગે ત્યારે તેમને નજરકેદમાં રાખવામાં આવતા. સ્વાભાવિક રીતે જ ઝાઓબો અને તેમનાં પત્નીની જિંદગી પીડાજનક હતી. તેમનાં પત્નીએ એ મતલબનું કહ્યું છે કે નોબલ સન્માન સ્વીકારવા માટે તેમને સરકારે જવા ન દીધા ત્યારે તેઓ ખૂબ હતાશ થયા, રડ્યા, એ સંજોગો તેમને અસહ્ય લાગ્યા. તેમની ઇચ્છા સન્માનની રકમ તાઇનાન્મનના ભોગ બનેલા માટે ઉપયોગમાં લેવાની હતી એમ પણ ઝિઆએ જણાવ્યું હતું.
જીવનસંગિની ઝિઆ વિશે, ઝાઓબોએ નોબલ સન્માન વખતે વંચાયેલા પોતાના ભાષણમાં લખ્યું છેઃ ‘હું નક્કર જેલમાં છું ત્યારે તું તારા હૃદયના કારાવાસમાં મારી રાહ જોઈ રહી છે. તારો પ્રેમ એવો સૂર્યપ્રકાશ છે કે જે ઊંચી દિવાલો ઓળાંડીને, મારી જેલની બારીના લોખંડના સળિયાની આરપાર થઈને આવે છે, અને મારા રોમરોમને સ્પર્શે છે, મારા શરીરના દરેકેદરેક કોશને હૂંફ આપે છે. તેનાથી મારું મન શાંત, ખુલ્લું અને ઊજળું રહે છે. તારી એ હૂંફ જેલની અંદરની મારી દરેક ક્ષણને અર્થ આપે છે. બીજી તરફ મારો તારા માટેનો પ્રેમ એ રંજ અને પસ્તાવાના ભારથી ક્યારેક ડગી જાય છે. હું વેરાનમાં પડેલા પથ્થર જેવો છું. તે ભયંકર પવનની થપાટો ખાઈને અને ભારે વરસાદમાં ભીંજાઈને તે એટલો બધો કઠોર થઈ ગયો છે કે તેને અડવાની હિમ્મત કોઈ કરતું નથી. પણ મારો પ્રેમ કોઈ પણ અવરોધને વીંધે એવો મજબૂત અને ધારદાર છે. હું ભૂક્કો, થઈ જઉં તો પણ મારી રાખથી તને બાથમાં લઉં.’
આમ તો આખી માનવજાતિને પ્રેમથી બાથમાં લેવી એ ઝાઓબોની ખ્વાહિશ હતી. એમનામાં એક જુદી જ ઉદારતા હતી, જેને કારણે કેટલાક કર્મશીલોને એ મવાળ પણ લાગ્યા હતા. જાહેર વાતમાં એ જેમ તેમના અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પરની તરાપને વખોડે છે. સાથે તેમની પર કાર્યવાહીઓ કરનારા પોલિસ અને ન્યાયખાતાના લોકોએ તેમની તરફ બતાવેલા સદભાવને તેઓ વખાણે પણ છે. તાઇનાન્મન વખતે એક વાર તેમણે કહ્યું હતું, ‘I have no enemies and no hatred.’ આ જ ઉચ્ચારણ નોબલ વ્યાખ્યાનમાં પણ મૂકીને તેઓ કહે છેઃ ‘હેટરેડ એટલે કે તિરસ્કારથી માણસની બુદ્ધિ અને તેના અંતરાત્મા સડી જાય છે. દુશ્મનાવટની લાગણી દેશની ચેતનામાં ઝેર રેડી શકે છે, ક્રૂર સંઘર્ષો માટેની ઉશ્કેરણી પૂરી પાડી શકે છે, સમાજની સહિષ્ણુતા અને માણસાઈનો નાશ કરે છે, અને સ્વાતંત્ર્ય અને લોકશાહી તરફની દેશની ગતિને અવરોધે છે. એટલા માટે હું ઇચ્છું છું કે હું મારા વ્યક્તિગત અનુભવોથી પાર જઈને મારા દેશના વિકાસ અને સામાજિક પરિવર્તનનો વિચાર કરી શકું, શાસકોની શત્રુવૃત્તિનો સામનો સર્વોચ્ચ સદભાવથી કરી શકું અને ધિક્કારને પ્રેમથી મીટવી શકું.’
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અંક 117, વર્ષ – 11, અૉગસ્ટ 2017; પૃ. 09-11