Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9299674
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચીન અને ભારતમાં આટલું અંતર કેમ ?

રમેશ ઓઝા|Opinion - Opinion|29 October 2020

ચીન આજના યુગનો એક નસીબદાર દેશ છે એ આપણી ચર્ચાનો વિષય છે. સામ્યવાદી ચીનની સ્થાપના થઈ ત્યારે તે ભારત કરતાં પણ વધુ કંગાલ અવસ્થામાં હતું અને વસ્તી મોટી હતી. એની વચ્ચે ૧૯૫૮થી ૧૯૬૨નાં વર્ષોમાં ચીને ગ્રેટ લીપ ફોરવર્ડનો કાર્યક્રમ હાથ ધર્યો જેણે ગ્રામીણ ચીનની અને ખેતીવાડીની કમર તોડી નાખી. માનવનિર્મિત ભૂખમરામાં એક અંદાજ મુજબ ચાર કરોડ લોકો માર્યા ગયા.

ચીને એ પછી ૧૯૬૬માં સાંસ્કૃતિક ક્રાંતિનો કાર્યક્રમ હાથ ધર્યો. આ મુખ્યત્વે સામાજિક-રાજકીય કાર્યક્રમ હતો. માણસને એવી રીતે ઘડવામાં આવે કે એ પરંપરાના તમામ બંધનોથી મુક્ત થઈ જાય. બંધનો માન્યતાઓના હોય છે, મૂલ્યોના હોય છે, રીતિરિવાજોના હોય છે, ધાર્મિક વળગણોના હોય છે, વગેરે. ખરું પૂછો તો મૂડીવાદ પણ માનવસ્વભાવ આધારિત સ્વાર્થજન્ય પરંપરાગત વેપારપદ્ધતિ છે, જ્યારે સમાજવાદ વિચારો પર આધારિત રાજ્યનિર્મિત વ્યવસ્થા છે. ચીનના સામ્યવાદી પક્ષના અધ્યક્ષ માઓ ઝેદોંગનો આગ્રહ હતો કે પ્રત્યેક ચીની મૂડીવાદી સંસ્કારોથી પણ મુક્ત થવો જોઈએ. જો આમ બને તો જ નૂતન ચીનનો નૂતન સામ્યવાદ જે માઓવાદ તરીકે ઓળખાવવામાં આવે છે એ લાગુ થઈ શકે અને ટકી શકે. ચીનનો માઓવાદ એ રશિયાના સામ્યવાદ કરતાં જુદો હતો. ટૂંકમાં પ્રત્યેક ચીનાને માઓવાદ સિવાયનાં તમામ માન્યતાઓ અને બંધનોથી મુક્ત કરવાના કાર્યક્રમને સાંસ્કૃતિક ક્રાંતિ (કલ્ચરલ રિવોલ્યુશન) તરીકે ઓળખાવવામાં આવે છે.

સાંસ્કૃતિક ક્રાંતિ દસ વરસ સુધી ચાલી હતી અને તેણે ચીનની કમર તોડી નાખી હતી. બન્યું એવું કે ન પરવડતો હોય એવા કોઈ પણ માણસને માફક આવે એવું લેબલ ચોડીને મારી નખાતો હતો અને ગાયબ કરી શકાતો હતો. પ્રતિક્રિયાવાદી છે, મૂડીવાદી છે, પરંપરાનિષ્ઠ છે વગરે કોઈ પણ લેબલ. આવા લોકો માઓવાદના વિરોધી છે. જે લોકો માઓવાદના વિરોધી છે એ ચેરમેન માઓના દુશ્મન છે અને અંતે ગરીબ ચીનના અને ચીનના દુશ્મન છે. એવા લોકોને પાઠ ભણાવવો જોઈએ. આપણે ત્યાં આજકાલ સેક્યુલર લોકોને હિંદુ ધર્મના દુશ્મન લેખાવવામાં આવે છે એમ. જે હિંદુ ધર્મના દુશ્મન છે એ દેશના દુશ્મન છે, દેશદ્રોહી છે. ચીનમાં એ વર્ષોમાં શંકાના આધારે ત્રણ કરોડ લોકોની હત્યા કરવામાં આવી હતી અથવા ગાયબ કરી દેવામાં આવ્યા હતા એમ કહેવાય છે.

ગ્રેટ લીપ ફોરવર્ડ, એને કારણે ચીનને વેઠવો પડેલો માનવનિર્મિત દુકાળ અને ભૂખમરો અને એ પછી સાંસ્કૃતિક ક્રાંતિ. આ બધાએ મળીને છથી સાત કરોડ લોકોના જીવ લીધા હોવા છતાં લોકોના પુણ્યપ્રકોપથી સામ્યવાદી શાસકો બચી ગયા હતા. દુનિયા માટે આ એક અજાયબી હતી. માઓ ઝેદોંગ પદચ્યુત થયા વિના ૧૯૭૬માં મૃત્યુ પામ્યા હતા. તેમણે તેમની લોકપ્રિયતા ગુમાવી હતી કે કેમ એ માપવાના પણ આપણી પાસે કોઈ સાધન નથી. સત્તાવાર ચીની ઇતિહાસ મુજબ માઓ એટલા જ મહાન અને લોકપ્રિય હતા જેટલા ૧૯૪૯માં હતા.

માઓના અવસાન પછી ૧૯૭૮માં દેંગ શિયાઓપીંગ સત્તામાં આવ્યા હતા. તેમણે ચીનમાં કોઈએ વિચારી ન હોય એવી વર્ણસંકર વ્યવસ્થા વિકસાવી હતી. તેમણે ધીરેધીરે ચીનના અર્થતંત્રને ખુલ્લું કરવાનું શરૂ કર્યું હતું કે જેથી રાજ્યના વધારે પડતા અંકુશોના કારણે અને અમલદારશાહીને કારણે અર્થતંત્ર તૂટી ન પડે જે રીતે ત્યારે સામ્યવાદી રશિયામાં અને બીજા સામ્યવાદી દેશોમાં બનવા લાગ્યું હતું. અર્થતંત્રને ઝડપથી વિકસવા માટે મોકળાશ જોઈએ એ મૂડીવાદી વિચાર તેમણે સ્વીકારી લીધો હતો. નવી વ્યવસ્થા વર્ણસંકર એ રીતે હતી કે તેનો રાજકીય ઢાંચો સામ્યવાદી હતો જે કાયમ રાખ્યો હતો. ટૂંકમાં અંકુશગ્રસ્ત રાજકારણ અને અંકુશરહિત અર્થકારણ.

૧૯૮૦ના દાયકામાં ચીને આવો વિચિત્ર ઢાંચો નહોતો અપનાવ્યો ત્યાં સુધી, એટલે કે ૧૯૮૦ સુધી ભારત અને ચીનનો વિકાસદર લગભગ એક સરખો હતો. બન્ને દેશોનાં અર્થતંત્ર સમાંતરે એક સમાન દરે વિકસતા હતા. ૧૯૮૦ પછી ચીનના વિકાસ દરે થોડી ઝડપ પકડી. ૧૯૯૦ આવતા આવતા ચીન ઠીકઠીક પ્રમાણમાં ભારતથી આગળ નીકળી ગયું હતું, પરંતુ એટલું આગળ પણ નહોતું નીકળ્યું કે ભારત તેને પહોંચી ન વળે. એ સમયે જગત આખાની ગણતરી એવી હતી કે ચીનનો આવો વિરોધાભાસી વર્ણસંકર ઢાંચો તેના વિરોધાભાસને કારણે એક દિવસ તૂટી જશે. ૧૯૮૯માં ચીનમાં તિયામાન સ્ક્વેરમાં યુવાનોએ વિદ્રોહ કર્યો ત્યારે જગતને ખાતરી થઈ ગઈ હતી કે સોવિયેત રશિયા અને પૂર્વ યુરોપના સામ્યવાદી દેશોની માફક ચીન પણ પતનના આરે છે.

એ સમયે નસીબદાર ચીન ફરી એકવાર બચી ગયું. વિદ્રોહ કચડી નાખવામાં આવ્યો અને ચીનના આર્થિક વિકાસે હજુ વધુ વેગ પકડ્યો. જો કે હજુયે જગતના દેશોને એમ લાગતું હતું કે એક દિવસ ચીનનો વર્ણસંકર ઢાંચો તેના વિરોધાભાસને કારણે તૂટી જવાનો છે. માટે જગતના મૂડીવાદી દેશોની નજર ભારત તરફ વળી હતી. શીતયુદ્ધનો અંત આવ્યો હતો. હવે સામ્યવાદનો કોઈ ડર નહોતો અને ચીનનું જેદીતેદી પતન નિશ્ચિત લાગતું હતું. એ સ્થિતિમાં ભારત પર ભરોસો રાખી શકાય એમ હતું. ભારતનો વિકાસ દર ભલે ધીમો હોય પણ ભારત લોકશાહી દેશ છે, તેની રાજકીય-આર્થિક નીતિઓ ઉઘાડી છે એટલે તેના પર ભરોસો મૂકી શકાય.

પણ ભારત ચીન જેટલો નસીબદાર દેશ સાબિત ન થયો. ચીનના અર્થતંત્રે હરણફાળ ભરી ત્યારે એ જ સમયે ભારતમાં એક જ પક્ષની સ્થિર સરકારનો અંત આવ્યો. ૧૯૮૯-૧૯૯૯નાં એક દાયકામાં આઠ સરકારો આવી. એ દાયકામાં બી.જે.પી.એ રામમંદિરનું કોમવાદી આંદોલન શરૂ કર્યું જેણે વિકાસના એજન્ડાને પાછળ ધકેલવાનું શરૂ કર્યું. આની વચ્ચે પી.વી. નરસિંહ રાવ અને ડૉ. મનમોહન સિંહે કુનેહ વાપરીને આર્થિક સુધારાઓ કર્યા અને ભારતના અર્થતંત્રને પાટે ચડાવ્યું. દેશને કોમવાદનો ક્ષય વળગ્યો હોવા છતાં ૨૦૦૮ સુધીમાં ડૉ. મનમોહન સિંહે ભારતના અર્થતંત્રને ચીનની ઠીકઠીક નજીક લઈ ગયા હતા. એ સમયે જગતના દેશો ચીન અને ભારતનું નામ સાથે લેવા માંડ્યા હતા. એ સમયે જગતના દેશોને એમ લાગતું હતું કે ચીન કરતાં ભારત વધારે ભરોસાપાત્ર છે. લાંબી રેસનો ઘોડો છે. ચીન તેના આંતર્વિરોધના કારણે ગમે ત્યારે તૂટી પડશે. આવી જગતના દેશોની અને લગભગ મોટા ભાગના વિચારકોની ૨૦૧૦ સુધીની સમજ હતી.

આજે સ્થિતિ એવી છે કે ચીન તૂટી તો પડ્યું નથી, ઊલટું વધારે મજબૂત બન્યું છે. ચીન અત્યારે દિગ્વિજય કરવા નીકળ્યું છે. ચીનને આવી મજબૂત સ્થિતિમાં લાવી મુકવામાં ભારતનો હાથ છે. કહો કે ભારત ગુનેગાર છે. એ કઈ રીતે એ હવે પછી. 

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 29 ઑક્ટોબર 2020

Loading

29 October 2020 રમેશ ઓઝા
← બાપીકા ઓરતા : વર્ણ ને વારસાની વાતડિયું
જગતમાં સત્તાએ શાંતિ રહેવા દીધી નથી … →

Search by

Opinion

  • ચોપાસ પ્રદૂષણ અને પ્રદૂષણ નિયંત્રણનું વણવપરાયેલ ફંડ!
  • કોઈ દલિત અધિકારી પણ ન કરી શકે તેવું  કામ પ્રવીણ ગઢવીએ કર્યું !
  • સાર્થક જલસામાં ‘જલસી પડી ગઈ !’
  • સોક્રેટિસ ઉવાચ-૮  : સોક્રેટિસ અને ભારતીય રાજકારણી વચ્ચે એક કાલ્પનિક સંવાદ
  • જમીન 

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • બાપુ અને બાદશાહ 
  • ચિકિત્સક બાપુ
  • બાપુ અને બડેદાદા
  • રાષ્ટ્રપિતા
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત

Poetry

  • હાલો…
  • એક ટીપું
  • સાત કાવ્યો
  • એમના પગના તળિયામાં દુનિયાનો નકશો છે
  • બે કાવ્યો

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved