જરબાઈ વાડિયા અને મુંબઈમાં આવેલા પારસીઓના ‘બાગ’
રૂઢિચુસ્ત પારસી કુટુંબમાં જન્મેલી એક સ્ત્રી. કોઈ નિશાળનો ઉંબરો પણ ચડી નહોતી. હા, ઘરે રહીને ગુજરાતી અને અંગ્રેજી વાંચતાં-લખતાં શીખેલી. પિતા અને પતિ, બંનેનાં કુટુંબ માલેતુજાર. એટલે જીવનના અભાવોનો અનુભવ નહિ. અને છતાં પોતાની જમાત માટે, લોકો માટે, તેમણે જે કામ કર્યાં તે ભલભલાને પ્રેરણા આપે તેવાં. તેમનું નામ જરબાઈ નશરવાનજી વાડિયા. જન્મ ૧૮૫૨માં, બેહસ્તનશીન થયાં ૧૯૨૬માં. ૧૯૦૭માં પતિનું અવસાન થતાં જરબાઈને વારસામાં મળ્યા નવ લાખ રૂપિયા. ધાર્યું હોત તો પોતાને માટે, પોતાનાં કુટુંબીઓ માટે એ રકમને મૂડી તરીકે સાચવી શક્યાં હોત. પણ ના. તેમના મનમાં વસ્યાં હતાં ગુજરાતનાં જુદાં જુદાં ગામોમાંથી મુંબઈ આવતાં સ્ત્રી-પુરુષો. એ બધાં મુંબઈ આવતાં રોટલો રળવા. અને એ જમાનાના મુંબઈમાં રોટલો સહેલાઈથી મળી રહેતો. પણ ઓટલાનું શું?
જરબાઈ વાડિયા
એટલે જરબાઈએ નક્કી કર્યું પારસીઓ માટે ઘર બાંધવાનું. સૌથી પહેલાં તો લાલબાગમાં જમીન ખરીદી. પછી તેના પર આઠ મકાનો બાંધવાનું શરૂ કર્યું. બાંધકામ પર તેઓ પોતે સતત નજર રાખતાં. પારસીઓના રીત રિવાજથી તો માહિતગાર હોય જ. રાંધવા માટે હજી ઇલેક્ટ્રિક કે ગેસનો વપરાશ શરૂ થયો નહોતો. એટલે એ જમાનામાં ચૂલો વપરાતો. અને તેને માટે પારસી ઘરોમાં ચોવીસે કલાક અગ્નિ રખાતો. એ માટેનું ખાસ સાધન તે ‘ચૂલાવાટી.’ જરબાઈએ ખાસ આગ્રહ રાખીને દરેક ફ્લેટમાં આવી ચૂલાવાટી રખાવેલી. મકાનો બંધાયાં પછી તે કોને ભાડે આપવાં અને ભાડું કેટલું લેવું તે પણ જરબાઈએ પોતે જ નક્કી કરેલું. વખત જતાં બીજાં નવાં મકાનો ઉમેરાયાં અને કુલ આંકડો થયો ૩૨. પતિની યાદ કાયમ રાખવા માટે આ વસાહતને જરબાઈએ નામ આપ્યું ‘નવરોજી બાગ.’
સાર્થ ગુજરાતી જોડણીકોશ પાસેથી તો આશા જ રાખી ન શકાય, પણ ભગવદ્ગોમંડળ જેવો મહાકાય કોશ પણ ‘બાગ’ શબ્દ વસાહત માટે, કોલોની માટે પણ વપરાય છે એવું નોંધવાની તસ્દી લેતો નથી. માત્ર મુંબઈમાં જ નહિ, ગુજરાતમાં પણ પારસીઓ કોલોની માટે ‘બાગ’ શબ્દ વાપરે જ છે. અને ફક્ત પારસીઓ જ શું કામ? મુંબઈમાં ચર્ની રોડ સ્ટેશનથી થોડે દૂર બિન-પારસીઓની વસાહતનું નામ છે ‘તારાબાગ’. તેવી જ રીતે લગ્ન જેવા પ્રસંગોએ વાપરવાની મોટી જગ્યા માટે પણ ‘બાગ’ શબ્દ વપરાય છે, જેમ કે ભાટિયા બાગ, હીરા બાગ, વગેરે.
ખેર. પારસીઓના રહેણાક માટે મકાનો તો બાંધ્યાં. પણ એના નિભાવ માટેના ખરચનું શું? એ માટે ૧૯૧૭માં જરબાઈએ શરૂ કર્યું નવરોજી નસરવાનજી વાડિયા બિલ્ડિંગ ટ્રસ્ટ ફંડ. તેના પહેલા ટ્રસ્ટીઓ હતાં જરબાઈના સૌથી મોટા બેટા ખરશેદજી વાડિયા, સર જમશેદજી જીજીભાઈ, મંચેરજી પેસ્તનજી ખરેઘાટ, અને જરબાઈ પોતે. ૧૯૨૩માં જરબાઈના સૌથી નાના બેટા રુસ્તમનું અવસાન થયું. તેમની યાદને સાચવવા માટે જરબાઈએ ભાયખળામાં બંધાવ્યો રુસ્તમ બાગ. અને તેના મકાનોના બંધકામ પર પણ પોતે જ દેખરેખ રાખી. આ બાગનાં મકાનોમાં આજે ૩૩૦ કુટુંબ રહે છે. આ વરસના ફેબ્રુઆરીમાં તેમણે રુસ્તમ બાગની શતાબ્દી બહુ ધામધૂમથી ઉજવી. આખા બાગમાં ઠેર ઠેર રંગોળી કરી. બધાં મકાનો પર રોશની કરવામાં આવી. પહેલો કાર્યક્રમ હતો જરબાઈનાં જીવન અને તેમણે કરેલાં કામો વિશેનું ભાષણ. બીજો કાર્યક્રમ હતો ૯૦ કરતાં વધુ ઉંમરના ૧૧ રહેવાસીઓનું સન્માન. આ બાગમાં એક ઝાડ તો દોઢ સો વરસ જૂનું છે. એ જમાનામાં પણ મકાનોના નકશા બની રહ્યા હતા ત્યારે જરબાઈએ ખાસ સૂચના આપેલી કે આ જગ્યાએ જે ઝાડ આવેલાં છે તેને ઓછામાં ઓછું નુકસાન થાય એ રીતે મકાનો બાંધી શકાય એ રીતે પ્લાન બનાવવા.
ખુશરો બાગ
૧૯૨૬ના મે મહિનાની આઠમી તારીખે જરબાઈ ખોદાયજીને પ્યારાં થઈ ગયાં તે પછી પણ તેમના પોરિયાઓએ પારસીઓના રહેણાક માટે ‘બાગ’ બંધાવવાનું ચાલુ રાખ્યું. ભાયખળા સ્ટેશન અને માર્કેટ નજીક જરબાઈએ ૧૩,૫૦૦ ચોરસ વારનો એક પ્લોટ ખરીદી રાખ્યો હતો. જરબાઈ બેહસ્તનશીન થયાં પછી તેમના પોરિયાઓએ એ પ્લોટ પર ૧૩૬ કુટુંબો રહી શકે તેવાં પાંચ મકાન બાંધીને તેને નામ આપ્યું ‘જર બાગ.’ આ ઉપરાંત ખુશરો બાગ અને નેસ બાગનાં મકાનો પણ બાંધ્યાં. આ વાડિયા કુટુંબે પારસીઓના રહેણાકના ‘બાગ’ બાંધવા પાછળ કેટલા પૈસા ખરચ્યા હશે? નવરોઝ બાગ ૨૦ લાખ ૨૫ હજાર, રુસ્તમ બાગ ૩૬ લાખ, જર બાગ ૧૫ લાખ, અને ખુશરો બાગ ૨૭ લાખ. એટલે કે કુલ લગભગ એક કરોડ રૂપિયા. અને યાદ રહે, આ આંકડા વીસમી સદીના પહેલા ત્રણેક દસકાના છે.
રહેઠાણની જેમ પારસીઓની તબિયતની ચિંતા પણ જરબાઈ રાખતાં. આથી તેમણે જુદી જુદી હોસ્પિટલોને મોટી રકમનાં દાન આપેલાં. ખંડાળામાં આવેલ ધર્માદા દવાખાનું, ડો. રુસ્તમ બિલીમોરિયા ટી.બી. સેનેટોરિયમ, ડો. તેહમૂલજી નરીમાનવાલા હોસ્પિટલ, પારસી જનરલ હોસ્પિટલ, જહાંગીર મર્ઝબાન પ્રસૂતિગૃહ, બાંદ્રા શિરીનબાઈ કામા પ્રસૂતિગૃહ, વગેરેને તેમણે મોટી રકમનાં દાન આપેલાં. વારસામાં મળેલી રકમમાંથી આપેલાં દાન ઉપરાંત જરબાઈએ પોતાની આવકમાંથી કુલ આઠ કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા.
જરબાઈની જેમ તેમના વારસદારો પણ પોતાના જમાના કરતાં આગળ વિચારતા હતા. જરબાગ તો બાંધ્યો, પણ બીજું શું કરી શકાય? મુંબઈમાં જ નહિ, આખા હિન્દુસ્તાનમાં એ વખતે બાળકો માટેની અલાયદી એક પણ હોસ્પિટલ નહોતી. બાળકોની સારવાર માટે પણ મોટાઓ માટેની દવાઓ અને પદ્ધતિ વાપરતા. સર નેસ વાડિયા અને સર ખુશરો વાડિયાને વિચાર આવ્યો બાળકો માટેની અલાયદી હોસ્પિટલ બાંધવાનો. અને તેમણે પરળમાં બાંધી બાઈ જરબાઈ વાડિયા હોસ્પિટલ ફોર ચિલ્ડ્રન.
કોલાબા વિસ્તારમાં આવેલ ખુશરો બાગ ૮૪ હજાર ચોરસ વાર જમીન પર બંધાયો છે. તેનું બાંધકામ ૧૯૩૪માં શરૂ થયું અને પૂરું થયું ૧૯૫૯માં. લગભગ ૧૯૫૦ સુધી આ બાગની બાજુમાં ગંદા પાણીનાં ખાબોચિયાં બારે માસ રહેતાં એટલે ભાડું ઘણું ઓછું હોવા છતાં પારસીઓ ત્યાં રહેવા જવાનું પસંદ કરતા નહિ. એ વખતે ત્યાંના ફ્લેટનું વધુમાં વધુ ભાડું મહીને ૪૦ રૂપિયા હતું છતાં! આજે અહીં ૫૦૦ જેટલાં પારસી કુટુંબો રહે છે. આ બાગમાંના ફ્લેટ ક્યારે ય વેચાતા નથી. ફક્ત પારસીઓને ભાડે અપાય છે. આ બાગની એક વિશિષ્ટતા એ છે કે તેની અંદર જ અગિયારી પણ આવેલી છે – શેઠ નસરવાનજી હિરજી કરાણી અગિયારી. અહીં જે પવિત્ર આતશ છે તે ૧૮૪૭ના માર્ચની ૧૬મી તારીખે નિઝામ સ્ટ્રીટ પર પરઠાવવામાં આવ્યો હતો. આ નિઝામ સ્ટ્રીટ આજે પણ મોજૂદ છે અને મોહમ્મદ અલી રોડ અને ન્યૂ કાઝી સ્ટ્રીટને જોડે છે. પછીથી અહીંના આતશને સોડાવોટરવાલા અગિયારી ખાતે ખસેડવામાં આવ્યા. ૧૯૩૫ના ફેબ્રુઆરીની ૨૨-૨૩ની મધરાતે તેમની પધરામણી ખુશરો બાગની અગિયારીમાં કરવામાં આવી. આ બાગની અંદર રમતગમત માટે સર ખુશરો વાડિયા પેવેલિયન આવેલો છે. આ ઉપરાંત અહીં કમ્પ્યુટર સેન્ટર, જિમનેઝિયમ, સ્પોર્ટસ ક્લબ, જેવી સગવડો આવેલી છે. અહીં રહેતાં બાળકોને જરથુસ્તી ધર્મના પાયાના સિદ્ધાંતો શીખવવામાં આવે છે અને તેજસ્વી વિદ્યાર્થીઓને ભણવા માટે સ્કોલરશીપ પણ અપાય છે.
ખરેઘાટને આંગણિયે મો(ટ)ર ને ઢેલ
વાડિયા કુટુંબે પહેલ કર્યા પછી બીજાઓએ પણ પારસીઓના રહેઠાણ માટે ‘બાગ’ બનાવ્યા. મુંબઈમાં આવા ૩૦ જેટલા બાગ આવેલા છે. ધમધમતા રસ્તાને કિનારે આવેલા પીળા રંગે રંગેલાં એક માળનાં મકાન. મકાનો વચ્ચેની જગ્યામાં પાર્ક કરેલી નાની મોટી મોટરો. અને એની બાજુમાં પોતાના ઘરમાં જ ફરતાં હોય તેવાં મોર અને ઢેલ. આવું દૃષ્ય મુંબઈમાં જોવું હોય તો ખરેઘાટ પારસી કોલોની જવું પડે. હ્યુજીસ રોડ તરફથી જવું હોય તો ખાસ્સાં પગથિયાં ચડવાં પડે. આમ તો બીજા ‘બાગ’ જેવી જ આ ખરેઘાટ કોલોની. પણ તેની અંદર આવેલી બે સ્મૃતિ સંદૂકો તેને મુંબઈના બધા પારસી બાગમાં અદકેરું સ્થાન અપાવે છે. એક : વિશ્વયુદ્ધ દરમ્યાન શહીદ થયેલા પારસી સૈનિકોનું સ્મારક. અને બીજું પારસી કોમની ગઈ કાલને સાચવીને બેઠેલું અલ્પાઇવાલા મ્યુઝિયમ. તેની શરૂઆત તો ફક્ત એક વ્યક્તિના ખાનગી સંગ્રહથી થયેલી. એ વ્યક્તિ તે ફરામજી દાદાભાઈ અલ્પાઇવાલા. તેઓ બેહસ્તનશીન થયા પછી તેમનો આખો સંગ્રહ મુંબઈની પારસી પંચાયતને સોંપાયો. પંચાયતે ૧૯૫૪માં પારસી પંચાયત મ્યુઝિયમ શરૂ કરેલું. ૧૯૮૧માં તેનું નામ બદલીને ફરામજી દાદાભાઈ અલ્પાઇવાલા મ્યુઝિયમ રાખવામાં આવ્યું.
મંચેરજી જોશીનું બાવલું
દાદર કે માટુંગાના કોઈ રસ્તા પર ઊભા રહીને તમે કોઈને પૂછો કે મંચેરજી જોશી પારસી કોલોની ક્યાં આવી, તો મોટે ભાગે જવાબ મળે કે માહિત નાહી – ખબર નથી. પણ જો એને બદલે એમ પૂછો કે દાદર પારસી કોલોની ક્યાં આવી, તો નાનું બાળક પણ તમને રસ્તો બતાવશે. બીજી ઘણી ખરી પારસી કોલોનીઓમાં મકાનોની આજુબાજુ દિવાલ બાંધેલી છે. આજની પરિભાષામાં તેને ગેટેદ કમ્યુનિટી કહે છે. પણ દાદર પારસી કોલોનીનાં મકાનો એ ગેટેડ કમ્યુનિટી નથી. માત્ર મુંબઈની નહિ, પણ આખી દુનિયાની પારસીઓની આ મોટામાં મોટી વસાહત છે. ૨૦૦૯માં આખા મુંબઈમાં પારસીઓની વસતી હતી આશરે ૪૫ હજાર. તેમાંના દસ હજાર પારસીઓ આ દાદર પારસી કોલોનીમાં રહેતા હતા! મંચેરજી જોશીએ પોતે બનાવેલ ‘ફાઈવ ગાર્ડન્સ’ પણ આ કોલોનીમાં જ આવેલા છે.
૧૮૯૦ના દાયકામાં મુંબઈમાં ભયંકર પ્લેગ ફાટી નીકળેલો અને કેટલાયે લોકોએ જાન ગુમાવેલો. આમ થવાનું એક કારણ હતું શહેરની ગીચ વસતી અને તેને પરિણામે થતી ગંદકી. પ્લેગ ગયા પછી તળ મુંબઈમાંથી લોકોને બીજે ખસેડીને વસતી ઓછી કરવાની યોજના ઘડાઈ. તેમાં આ દાદર પારસી કોલોની તે પહેલું પગથિયું. ૧૮૯૯-૧૯૦૦માં સરકારે દાદર-માટુંગા-વડાલા-સાયન સ્કીમ બનાવી. તળ મુંબઈના લોકોને અહીં જગ્યા આપીને પોતાનાં મકાન બાંધવા આમંત્રણ આપ્યું. અલબત્ત, મકાનો કેવાં હોવાં જોઈએ, કેવી રીતે બંધાયાં હોવાં જોઈએ તે અંગેના નિયમોનું પાલન કરવાનું ફરજિયાત હતું. અંગ્રેજીમાં જેને ટાઉન પ્લાનિંગ કહે છે તે રીતે મુંબઈમાં અમલમાં મૂકાયેલી પહેલી જ યોજના. આ યોજના હેઠળ ઘરો બાંધવા માટે મનચેરજી જોશીએ ઘણી મહેનત કરી. તેનું પરિણામ તે આ દાદર પારસી કોલોની.
પારસીઓએ મુંબઈ શહેરને બીજી પણ અનેક ભેટ આપી છે. તેની વાતો હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 25 નવેમ્બર 2023)