જમ્મુ અને કાશ્મીરને જે નવા રાજ્યપાલ મળ્યા છે એ રાજકારણી છે અને રાજ્યમાં ૪૧ વરસ પછી પહેલીવાર રાજકારણીની રાજ્યપાલપદે નિમણૂક કરવામાં આવી છે. છેલ્લા રાજ્યપાલ કરણસિંહ હતા જે પોતે જમ્મુ અને કાશ્મીરની રિયાસતના યુવરાજ હતા. જમ્મુ અને કાશ્મીર ભારતમાં જોડાયું એ પછી મહારાજા હરિસિંહને દેખાવ પૂરતા મહારાજા તરીકે અને એ રીતે રાજપ્રમુખ તરીકે કાયમ રાખવામાં આવ્યા હતા. ૧૯૫૨માં જમ્મુ અને કાશ્મીરની બંધારણસભાએ રિયાસત ખાલસા કરી હતી અને એ રીતે મહારાજાના હોદ્દાનો અંત આવ્યો હતો. આમ છતાં મહારાજા હરિ સિંહના પુત્ર યુવરાજ કરણ સિંહની સદર એ રિયાસત તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
૧૯૬૫માં જમ્મુ અને કાશ્મીરના બંધારણમાં છઠ્ઠો સુધારો કરીને સદર એ રિયાસતના હોદ્દાને ખતમ કરી નાખવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ રાજ્યપાલની નિમણૂક કરવાનું શરુ થયું હતું. ૧૯૫૨થી ૧૯૬૫ સુધી જમ્મુ અને કાશ્મીરના સદર એ રિયાસત રહેલા યુવરાજ કરણ સિંહને બે વરસ માટે રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. ૧૯૬૭માં તેમની મુદત પૂરી થઈ હતી. જમ્મુ અને કાશ્મીરના બંધારણમાં કરવામાં આવેલો છઠ્ઠો સુધારો રસપ્રદ છે. સદર એ રિયાસતનો અર્થ થાય છે રાજ્યનો વડો અર્થાત્ હેડ ઓફ ધ સ્ટેટ અને તેમની નિમણૂક જમ્મુ અને કાશ્મીરની સરકાર કરતી હતી. રાજ્યપાલ કેન્દ્રનો પ્રતિનિધિ છે અને તેની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે.
આ સુધારો અને આવા કેટલાક સુધારાઓ દેખીતી રીતે જમ્મુ અને કાશ્મીરની સ્વાયતતાનું સંકોચન હતું. જાણીબૂજીને જમ્મુ અને કાશ્મીરની સ્વાયતતાને પાતળી પાડવામાં આવતી હતી. જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાનને પહેલા વઝીરે આઝમ (વડા પ્રધાન) તરીકે ઓળખવામાં આવતા હતા જેનું નામ બદલીને મુખ્ય પ્રધાન કરી નાખવામાં આવ્યું હતું. જમ્મુ અને કાશ્મીરના અલગ ધ્વજને પણ ખતમ કરી નાખવામાં આવ્યો હતો. એટલે તો ૨૦૧૫ના ડિસેમ્બર મહિનામાં જમ્મુ અને કાશ્મીરની વડી અદાલતે આર્ટિકલ ૩૭૦ વિષે સુનાવણી કરતાં જમ્મુ અને કાશ્મીરના બંધારણમાં કરવામાં આવેલા છઠ્ઠા સુધારાને જમ્મુ અને કાશ્મીરના બંધારણથી વિસંગત ગણાવ્યો હતો.
આનો અર્થ સમજાય છે? ૧૯૫૩માં સદર એ રિયાસત કરણ સિંહે જમ્મુ અને કાશ્મીરના વઝીર એ આઝમ શેખ અબ્દુલ્લાને મુખ્ય પ્રધાનપદેથી બરતરફ કર્યા એ પછીથી સતત ભારત સરકાર જમ્મુ અને કાશ્મીરની સ્વાયતતા ઘટાડતી જતી હતી. ૧૯૭૩માં શેખ અબ્દુલ્લાને પાછા જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા ત્યાં સુધીમાં તો જમ્મુ અને કાશ્મીરના ઘણા અધિકારો લઈ લેવામાં આવ્યા હતા. આજની જેમ રાષ્ટ્રવાદનો ઘોંઘાટ કર્યા વિના ચૂપચાપ સ્વાયતતા ઘટાડવામાં આવતી જતી હતી. જમ્મુ અને કાશ્મીર સાથે સતત છેતરપિંડી કરવામાં આવી છે એમ જે કહેવાય છે એનો આ સંદર્ભ છે. રાષ્ટ્રહિત માટે કોંગ્રેસની સરકાર આમ કરતી હતી. રાષ્ટ્રવાદનો ઘોંઘાટ કર્યા વિના ઇન્દિરા ગાંધીએ ચૂપચાપ સિક્કિમને ભારતમાં ભેળવી દીધું હતું અને અમેરિકા અને ચીન જોતાં રહી ગયાં હતાં.
અત્યારે જે કાન ફાડી નાખે એવો ઘોંઘાટ કરવામાં આવે છે એ દેશહિત માટેનો નથી, પરંતુ સત્તા માટેનો છે. અમે એકલા દેશપ્રેમી રાષ્ટ્રવાદી છે એ બતાવવા માટેનો ઘોંઘાટ છે. આમાં સરવાળે દેશહિતની જગ્યાએ દેશના હિતને નુકસાન પહોંચે છે, પરંતુ તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. કાશ્મીર, ઇશાન ભારત, ડોકલામ એમ સર્વત્ર સમસ્યાઓમાં વધારો થયો છે જે આ રાષ્ટ્રવાદના ઘોંઘાટનું પરિણામ છે. કેટલાંક કામો બોલ્યા વિના સિફતથી કેમ કરાય એ અત્યારના શાસકોએ જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી, પી.વી. નરસિંહ રાવ અને અટલ બિહારી વાજપેયી પાસેથી શીખવું જોઈએ. ડાહ્યા માણસો ઓછું બોલે છે એ ઉક્તિ અમસ્તા રૂઢ નથી થઈ.આમ જમ્મુ અને કાશ્મીરમાં સ્વાયતતા પાતળી પાડવાના કેટલાંક કામો કેન્દ્ર સરકારે સદર એ રિયાસત યુવરાજ કરણ સિંહ પાસે કરાવ્યાં હતાં. સદર એ રિયાસત (હેડ ઓફ ધ સ્ટેટ) હોવાના કારણે કરણ સિંહ દેશના બીજા રાજ્યપાલો કરતાં વધુ સત્તા ધરાવતા હતા. જમ્મુ અને કાશ્મીરના બંધારણમાં જરૂરી સુધારાઓ કરાવડાવી લીધા અને એ સદર એ રિયાસત પાસે મંજૂર કરાવી લીધા એ પછી સદર એ રિયાસતનો હોદ્દો ખતમ કરી નાખવામાં આવ્યો હતો કે જેથી ભવિષ્યમાં કોઈ સદર એ રિયાસત લક્ષ્મણ રેખા ન ઓળંગે. આ બાજુ જ્મ્મુ અને કાશ્મીરમાં કોંગ્રેસની સરકારો રચાવા લાગી એ પછીથી રાજ્યપાલપદે બિન રાજકારણીઓની નિમણૂક કરવામાં આવતી હતી કે જેથી પ્રજાને એમ લાગે કે રાજ્યપાલ અને તેમના દ્વારા કેન્દ્ર સરકાર રાજ્યના વહીવટીતંત્રમાં દખલગીરી નથી કરતી.
૧૯૬૭માં ભગવાન સહાય નામના નિવૃત્ત સનદી અધિકારીની છ વરસ માટે રાજ્યપાલપદે નિયુક્તિ કરવામાં આવી હતી. ૧૯૭૩માં લક્ષ્મી કાન્ત જ્હા નામના બીજા સનદી અધિકારીની આઠ વરસ માટે રાજ્યપાલપદે નિમણૂક કરવામાં આવી હતી. ત્રણ વરસ માટે હજુ એક સનદી અધિકારી બ્રિજ કુમાર નેહરુ રાજ્યપાલપદે હતા અને તેમના અનુગામી તરીકે વિખ્યાત કે કુખ્યાત જગમોહનને રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. ૧૯૮૪થી ૧૯૮૯ની પહેલી મુદત દરમ્યાન તેમણે રાજીવ ગાંધીની સરકારના ખાંધિયા તરીકે જમ્મુ અને કાશ્મીરની ચૂંટાયેલી સરકારને બરતરફ કરી હતી અને પછી ૧૯૮૭માં જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીમાં ભાંગફોડ કરી હતી. ૧૯૯૦માં છ મહિનાની બીજી મુદત દરમ્યાન તેમણે બી.જે.પી.ના ખાંધિયા તરીકે કાશ્મીરના મીરવાઈઝના જનાજા પર ગોળીબાર કરાવીને કાશ્મીરને હજુ વધુ દૂર ધકેલી દીધું હતું.
૧૯૯૦ પછીથી નિવૃત્ત લશ્કરી અધિકારીઓની રાજ્યપાલ તરીકે નિમણૂક કરવાનું શરુ થયું હતું. કેન્દ્ર સરકાર અને રાજ્યપાલ જગમોહનના પાપે જ્મ્મુ અને કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હતી. કેન્દ્ર સરકારને એમ લાગતું હતું કે જો લશ્કરી પૃષ્ઠભૂમિ ધરાવતી કોઈ વ્યક્તિ શ્રીનગરમાં હોય તો ત્રાસવાદને અંકુશમાં લેવામાં મદદ મળે. ૨૦૦૮માં જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ થાળે પડી એ પછી ફરી નિવૃત્ત સનદી અધિકારી એન.એન. વોહરાની નિમણૂક કરવામાં આવી હતી. એન.એન. વોહરા વિવેકી અને અભ્યાસી બન્ને છે. એક સમયે તેઓ કેન્દ્ર સરકારના જમ્મુ અને કાશ્મીર માટેના સંપર્કસેતુ હતા. રાજ્યપાલપદના દસ વરસ દરમ્યાન તેમણે ગુલામ નબી આઝાદ, ઓમર અબ્દુલ્લા, મુફ્તી મહમ્મદ સૈયદ અને મેહબૂબા મુફ્તી એમ ચાર ચાર મુખ્ય પ્રધાનો સાથે કામ કર્યું હતું અને કયારે ય ખટરાગ થયો હોય એવું સાંભળ્યું નથી.
હવે ૪૧ વરસે એક રાજકારણી સત્યપાલ મલિકની જમ્મુ અને કાશ્મીર જેવા સંવેદનશીલ રાજ્યના રાજ્યપાલપદે નિમણૂક કરવામાં આવી છે. ખાસ કરીને મેહબૂબા મુફ્તીની સરકારને આપેલો ટેકો બી.જે.પી.એ પાછો ખેંચી લીધો, એ પછી કરવામાં આવેલી આ નિમણૂક છે. સત્યપાલ મલિક કઈ લાયકાત ધરાવે છે એ વિષે સર્વત્ર પ્રશ્ન પુછાઈ રહ્યો છે. તેઓ એક મુદત માટે (૧૯૮૯-૧૯૯૧) લોકસભાના સભ્ય હતા અને નવ વરસ માટે રાજ્યસભાના સભ્ય હતા. તેમણે કોંગ્રેસ, જનતા દલ, સમાજવાદી પક્ષ, ભારતીય ક્રાંતિ દળ, લોક દળ એમ દરેક ઘાટના પાણી પીધાં છે અને હવે ૨૦૧૪ પછીથી બી.જે.પી.માં છે. મને એમ લાગે છે કે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી નથી આવતા એ તેમની લાયકાત છે. જોઈએ આગળ આગળ શું થાય છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 26 અૉગસ્ટ 2018