હરારી જણાવે છે કે રાજકીય હુંસાતુંસી કરનારા ભેજાંબાજો વચ્ચે એક જાતની અંતરંગતા હોય એ બહુ જરૂરી ગણાય છે, કેમ કે એ જ એમનું કાર્યકર શસ્ત્ર હોય છે. હવે ‘એ.આઈ.’ મોટા પાયે અંતરંગ સમ્બન્ધો ઊભા કરી શકે છે. ‘એ.આઈ.’-ના સામર્થ્યને પ્રતાપે વર્તમાનમાં લાખો લોકો એકબીજા સાથે જોડાયા છે.
છેલ્લા દસકામાં સોશ્યલ મીડિયા એવી હુંસાતુંસીનું મેદાન બની ગયું છે, ખાસ તો, એણે માણસોની ધ્યાનશક્તિને કાબૂમાં લઈ લીધી છે. પરન્તુ ‘એ.આઈ.’-ની ન્યૂ જનરેશને હવે ધ્યાનને બદલે અંતરંગતાને લક્ષમાં લીધી છે. હરારી તીવ્ર સવાલ કરે છે કે ભ્રાન્ત અંતરંગતા – ફેક ઇન્ટિમસી – બાબતે ‘એ.આઈ.’ અને ‘એ.આઈ.’ વચ્ચે હુંસાતુંસી થશે ત્યારે માનવસમાજ, માનવમન અને માનસિકતાનું શું થશે?
એવી ભ્રાન્ત અંતરંગતાનાં કેટલાંક દૃષ્ટાન્તો મને આવાં આવાં જણાય છે :
સૌથી પહેલું દૃષ્ટાન્ત છે, ‘એ.આઈ.’-એ સરજેલાં ચૅટબોટ્સનું. એ માણસોની જેમ વાતચીત કરી શકે છે. એના વડે મનુષ્યો જાણે કે ખરેખરા સમયમાં વાતો કરી રહ્યા છે એવી ભ્રાન્તિ સરજી શકાય છે. હકીકત એ છે કે ઑલ્ગોરીધમ્સથી, પ્રક્રિયાઓથ, વિશેષ એ કંઈ નથી. (ગણતરીઓ કરવા કે કશા કોયડાના ઉકેલ માટે જેનું પાલન કરવું જરૂરી હોય એ પ્રક્રિયાને અથવા નિયમોની હારમાળાને ઑલ્ગોરીધમ કહેવાય.) એ પ્રક્રિયાઓ અમુક પ્રૉમ્ટ્સને, પ્રેરકોને, પ્રતિભાવ આપતી હોય છે.
બીજું દૃષ્ટાન્ત છે, વર્ચ્યુઅલ આસિસ્ટન્સનું – આભાસી મદદનીશોનું. એઓશ્રીઓ માણસોને પ્રેરણાઓ સમર્થનો ભાવનાવિષયક ટેકા પૂરા પાડે છે. એમની રચના જ એ પ્રકારે થઈ હોય છે. એઓને વપરાશ કરનારાના સાચકલા ભાવજગતની કશી જ ખબર હોતી નથી. એવું જ દૃષ્ટાન્ત છે, ડેટિન્ગ ઍપ્પ્સ માટે અમેરિકામાં સવિશેષે વપરાતાં ઑલ્ગોરીધમ્સનું. રસરુચિની વીગતો દર્શાવનારાંઓના એ મૅચમેકર્સ હોય છે. બધું એકદમનું આવકાર્ય કહી બતાવે છે. બન્ને વચ્ચે અંતરંગતાનો આભાસ પણ રચી આપે છે. ભલે ને પેલાં બે કદીયે રૂ-બ-રૂ ન થયાં હોય !
ત્રીજું દૃષ્ટાન્ત છે, વર્ચ્યુઅલ ગેમ્સનું. એ ગેમર્સ માટે કૃત્રિમ વાતાવરણ રચાયું હોય છે. એમાં તેઓ ક્રિયા-પ્રતિક્રિયા દાખવે ને રમે. આમાં પણ એક અંતરંગતા ઊભી થવાની કેમ કે ગેમર્સ એકબીજાને પોતાના અનુભવો ને લાગણીઓની આપ-લે કરવાના. પરન્તુ એ લાગણીઓ તેમ જ એ અંતરંગતાઓ સાચી નથી હોતી. કેમ કે એની જનની હોય છે, ઑલ્ગોરીધમ્સ.
ઓરેકલ આર્કિટાઇપ. ઓરેકલ ડેટાબેઝ
હરારી કહે છે કે ભ્રાન્ત અંતરંગતા ન સરજે તો પણ ‘એ.આઈ.’-નાં નૂતન ઉપકરણો આપણાં મન્તવ્યો અને વિશ્વને વિશેની આપણી સમજદારીને જરૂર પ્રભાવિત કરશે. સંભવ છે કે લોકો ઓરેકલ જેવો સર્વજ્ઞ ‘એ.આઈ.’ સલાહકાર રાખી લે. એથી ગૂગલ ગભરાઈ જાય તો નવાઈ નહીં. (ઓરેકલ એક ડેટાબેઝ છે, ઓરેકલ પ્રાચીન ગ્રીક દેવી છે, આર્કિટાઇપ પણ ગણાય છે). હરારી કહે છે, હું જો સર્વજ્ઞ ઓરેકલને પૂછી શકતો હોઉં તો બીજે ખાંખાંખૉળા શું કામ કરું? સમચારો અને જાહેરખબરોના ઉદ્યોગો પણ ગભરાઈ જાય. જો હું ઓરેકલને તાજાખબર શું છે એમ પૂછી શકું તો છાપું વાંચવા શું કામ જઉં? મારે શું ખરીદવું એ જો હું ઓરેકલને પૂછી શકતો હોઉં તો જાહેરખબરોની શી જરૂરત છે?
હરારી જણાવે છે કે આ પરિદૃશ્યો ભલે કશી મોટી વાત નથી કરતાં. બાકી, આપણે જેની ભરી ભરી વાત કરી રહ્યા છીએ એ છે માનવ ઇતિહાસના અન્તની. ઇતિહાસનો અન્ત નહીં પણ માનુષ્યિક વર્ચસ્ ધરાવતા એના સંવિભાગનો અન્ત !
હરારી શરીર અને સંસ્કૃતિ વચ્ચે થતી રહેતી ક્રિયાપ્રતિક્રિયાને ઇતિહાસ કહે છે. એમના મતે, ખોરાક વાસના જેવી શારીરિક જરૂરિયાતો અને ધર્મો તેમ જ કાયદા જેવી સાંસ્કૃતિક સરજતો વચ્ચે થતી રહેતી ક્રિયાપ્રતિક્રિયાઓ ઇતિહાસ છે. જેના દ્વારા કાયદા અને ધર્મો ખોરાક અને વાસનાના ઘાટ ઘડી શકે છે એ પ્રક્રિયાનું નામ ઇતિહાસ છે.
હરારી પૂછે છે : ’એ.આઈ.’ જ્યારે સંસ્કૃતિને ટપી જશે, સ્ટોરીઝ મેલડીઝ કાયદા અને ધર્મો સરજી આપશે, ત્યારે, ઇતિહાસની ધારાનું શું થશે? પ્રિન્ટિન્ગ પ્રેસ અને રેડીઓ જેવાં અગાઉનાં ઉપકરણોએ મનુષ્યના સાંસ્કૃતિક ખયાલોના પ્રસરણમાં મોટો ભાગ ભજવેલો પરન્તુ પોતે કશા સાંસ્કૃતિક ખયાલો સરજેલા નહીં, કદી નહીં ! ‘એ.આઈ.’ મૂળથી જ જુદું છે. ‘એ.આઈ.’ સાવ જ નવા વિચારો સરજી જાણે છે, સાવ જ નૂતન સંસ્કૃતિ સરજી શકે છે.
એના શૈશવકાળે ‘એ.આઈ.’-ને એટલું જ શીખવાડવામાં આવેલું કે મનુષ્યના પાયાના ઘાટઘૂંટ જાણી લે અને તેની નકલ કર. પરન્તુ દરેક વરસે ‘એ.આઈ.’-સંસ્કૃતિ માણસ ન પ્હૉંચી શકે ત્યાં જોશભેર પ્હૉંચી ગઈ. હરારી ઉમેરે છે કે હજારો વર્ષ લગી મનુષ્યજીવો એકબીજાંનાં સ્વપ્નોમાં જીવતા હતા, પણ આવનારા દસકાઓમાં આપણે કોઇ પરાઈ બુદ્ધિએ સરજેલાં સ્વપ્નોમાં જીવતા હોઈશું.
= = =
(20/07/23: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર