વૃક્ષારોપણનાં કાર્યક્રમો, માટીની ગણેશમૂર્તિ અને કૉર્પોરેશનની સક્રિયતા નોંધપાત્ર છે
ભાદરવાના આરંભે અધઝાઝેરા ચોમાસે બધે લીલોત્રી હોય ત્યારે પધારતાં ગણેશ એ આપણા સહુથી ઇકો ફ્રેન્ડલી દેવ છે. આમ તો આપણા બધાં દેવો વનસ્પતિને ચાહે જ છે. જેમ કે, કૃષ્ણ વડ અને તુલસીને, મહાદેવની બિલીને, હનુમાનજી આકડાને, લક્ષ્મીજી કમળને. પણ ગજાનનને તો એક નહીં એકવીસ વનસ્પતિ ગમે છે. તે ગણેશના પૂજાપામાં પણ છે. મરાઠીમાં તેને ‘પત્રી’ કહે છે. ગણેશોત્સવની કૌટુંબિક અને જાહેર પરંપરા ભારતમાં જ્યાં સહુથી મોટી છે તે મહારાષ્ટ્રમાં પૂજાસામગ્રીમાં ‘પત્રી’નો અચૂક ઉલ્લેખ આવે છે. ‘પત્રી’માં આ મુજબની વનસ્પતિઓનાં પાન કે ફૂલનો સમાવેશ કરવામાં આવ્યો છે: અગસ્તી (અગથિયો), અર્જુન (સાદડો), અઘેડો, આકડો, કરેણ, કેવડો, જાતિપત્ર (જુઈ કે જાસૂદ), બૃહતિપત્ર (ઊભી ભોંયરિંગણી), તુલસી, દુર્વાંકુર (ધરો), દેવદાર, દાડમ, ધતુરો, પીપળો, બિલી, બોર, મરવો અથવા ડમરો, ભૃંગરાજ, મધુમાલતી, વિષ્ણુકાન્તા અથવા શંખપુષ્પી, શમી (ખીજડો). આ વૈવિધ્યપૂર્ણ યાદી ઔષધશાસ્ત્ર અને વનસ્પતિશાસ્ત્ર બંનેની રીતે રસપ્રદ છે.
વનસ્પતિ અને પ્રાણીઓને ભારતીય સંસ્કૃિતએ જુદા જુદા ભગવાન સાથે જોડ્યાં છે તેની પાછળ તેમના રક્ષણની ભૂમિકા છે. વર્ષમાં એક-એક વખત આવતા ધાર્મિક તહેવારોમાં ભગવાનને પૂજવા ઉપયોગમાં લેવા માટે આપણે ઘરઆંગણે હંમેશાં વૃક્ષ-વનસ્પતિ ઊગાડીએ એવો આશય પ્રભુ અને પ્રકૃતિના આ જોડાણની પાછળ છે. દરેક વ્યક્તિ ભલે વર્ષમાં એક વખતની પૂજા માટે પણ તેના ભગવાનને ગમતાં ફૂલ-છોડ-ઝાડ ઉગાડે તો ધરતી ન્યાલ થઈ જાય.
આ ઝાડ ઊગાડવાની વૃત્તિ સદભાગ્યે અમદાવાદમાં ખીલી રહી છે. જાણીને નવાઈ લાગે કે ત્રીજીથી છવ્વીસમી જુલાઈ દરમિયાન અમદાવાદમાં વૃક્ષારોપણનાં કુલ સાડત્રીસ કાર્યક્રમો નોંધાયા, અને નહીં નોંધાયેલા અનેક હશે. એમાં ય કેટલાક દિવસોએ તો બે-બે જગ્યાએ વૃક્ષારોપણ હાથ ધરાયાં. ત્યાર પછી સંસ્થાઓ, સંગઠનોને રેલ રાહતના કામ તરફ ન વળવું પડ્યું હોત તો કદાચ ઝાડ ઊગાડવાનાં કામ ચાલુ જ રહ્યાં હોત. અલબત્ત ઓગસ્ટ મહિનાનાં બીજાં-ત્રીજાં અઠવાડિયામાં છૂટાછવાયાં કાર્યક્રમો ચાલતાં રહ્યા છે. વૃક્ષારોપણો યોજનારાંમાં શાળા-કૉલેજો અને સમાજસેવી સંસ્થાઓ ઉપરાંત જ્ઞાતિનાં મંડળો અને ઘણી રહેણાંક સોસાયટીઓ હતી એ વાત મહત્ત્વની છે. કેટલાંક ઉપક્રમોમાં વનખાતું અને અમદાવાદ મ્યુિનસિપલ કૉર્પોરેશન પણ મદદરૂપ થતાં રહે છે.
અમદાવાદ મ્યુિનસિપલ કૉર્પોરેશન વૃક્ષો અંગે કેટલી સજાગ છે તેના દાખલા તાજેતરમાં મળ્યા. નવી બની રહેલી એક બહુ મોટી સ્કીમનો બિલ્ડર તેના કમ્પાઉન્ડની બહાર આવેલાં રસ્તા પરનાં ઝાડ ઊડાવી દેવાની ફિરાકમાં હતો. જેસીબી આવી ગયાં હતાં, રસ્તો સમથળ કરવાની સાથે ઝાડ પણ ભોંયભેગા થાય એવી શક્યતા ઊભી થઈ હતી. એક નાગરિકે મ્યુિનસિપાલિટીના અધિકારીઓને અને કેટલાક પત્રકારોને માત્ર મેસેજ કર્યા. તંત્ર તરત જ સક્રિય બન્યું, ઝાડ કપાતાં અટક્યાં, એટલું જ નહીં બીજે દિવસે એ નાગરિકને કૉર્પોરેશનના એક કર્મચારીનો ઝાડની સલામતી અંગે ખબર પૂછતો ફોન પણ આવ્યો. કૉમનપ્લૉટમાં પાંચ મોટાં વૃક્ષોથી સમૃદ્ધ એક સોસાયટીએ, કૉમનપ્લૉટ સરખો કરાવવાના આયોજનનાં ભાગ રૂપે કૉમનપ્લૉટની વચોવચ આવેલાં વીસેક વર્ષનાં વડની છટણી – ટ્રિમિંગ કરવા માટેની મંજૂરી માગી (સામાન્ય રીતે બીજી સોસાયટીવાળાઓ બારોબાર આખાં ઝાડ કપાવી નાખતાં હોય છે). કૉર્પોરેશને વૃક્ષોનાં ફોટા મગાવ્યા. પછી જે લેખિત મંજૂરી આપી એમાં સાફ જણાવ્યું હતું કે વૃક્ષમાં ચાર ઇંચથી વધુ જાડાઈ ધરાવતો કોઈપણ હિસ્સો કાપવો નહીં !
અમદાવાદ મ્યુિનસિપલ કૉર્પોરેશનના બગીચા વિભાગના નિયામક જિજ્ઞેશ પટેલની વૃક્ષો માટેની નિસબતનો એક દાખલો નોંધપાત્ર છે. એક અખબારની નાગરિક-સહાય પ્રકારની કૉલમમાં એક મહિલા વાચકે સવાલ પૂછ્યો હતો : ‘મારા વિસ્તારમાં ઝાડ કાપવામાં આવી રહ્યું હોય તો તે અટકાવવા મારે શું કરવું ?’ સંવેદનશીલ જિજ્ઞેશભાઈએ પોતાના નામ સાથે અખબારમાં આપેલો જવાબ આ મુજબ હતો : ‘ તમારી આસપાસ, કે પછી ગમે તે જગ્યાએ, તમે ઝાડને ગેરકાયદેસર રીતે કપાતું જુઓ તો તમારે ૯૮૨૫૦૯૭૨૪૮ નંબર પર ફોન કરી દેવો. મારી ટુકડીને હું તત્કાળ એ જગ્યાએ મોકલીશ. અમારી ટુકડી શહેરનાં ઝાડ બચાવવા માટે હંમેશાં તૈયાર અને તત્પર હોય છે. શહેરમાં તમારા જેવા નાગરિકો છે એનો અમને આનંદ છે. ઝાડ બચાવો, કુદરત બચાવો.’ વૃક્ષ બચાવવાના બીજા એક મહત્ત્વનાં ઉપક્રમમાં પણ જિજ્ઞેશભાઈ અમદાવાદ મ્યુિનસિપલ કૉર્પોરેશન થકી જોડાયાં છે. મેટ્રો રેલવેના રસ્તે આવી રહેલાં ૬૫૦ વૃક્ષોને કાપી નાખવાને બદલે તેમને ફરીથી રોપવાનું અથવા ટ્રાન્સપ્લાન્ટ કરવાનું આયોજન થયું છે. તેમાં ગુજરાત યુનિવર્સિટી પણ જોડાઈ છે. વાઇસ-ચાન્સલર હિમાંશુ પંડ્યાએ જણાવ્યું છે કે વૃક્ષોને યુનિવર્સિટી મેદાનની અંદરની ધાર પર ઊગાડવામાં આવશે અને યુનિવર્સિટીનો વનસ્પતિશાસ્ત્ર વિભાગ વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટેશન કરશે. ‘કયાં વૃક્ષો ટ્રાન્સપ્લાન્ટ કરવાના છે તે તેમના થડની જાડાઈ પરથી નક્કી કરવામાં આવ્યું છે. ટ્રાન્સપ્લન્ટેશન પછી ૬૫% ઝાડ જીવી જાય છે’, એમ જિજ્ઞેશભાઈ જણાવે છે. તેમના જેવા અધિકારીઓ છે ત્યાં સુધી શહેરના વૃક્ષપ્રેમીઓને આશા છે.
શહેર સુધરાઈના બગીચા વિભાગે બીજી એક યોજના હાથ ધરી છે તે રિવરફ્રન્ટ પર માંદા પડેલાં વૃક્ષોની સારવારની. ભારે વરસાદને કારણે રિવરફ્ન્ટ પાણીમાં ગરકાવ થતાં તેને બંને કાંઠે ઊછેરવામાં આવેલા હજારો વૃક્ષો બીમાર થઈ ગયાં હતાં, તેમનાં મૂળમાં કોવાટો લાગી ગયો હતો. તેને ફૂગનાશક દવા તેમ જ અન્ય જંતુનાશક દવાથી દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. એ પણ નોંધવું જોઈએ કે શહેરનાં અનેક વૃક્ષો, ખાસ કરીને લીમડા હવે વયોવૃદ્ધ થયાં છે. તો વળી સેંકડો વૃક્ષો રસ્તા કે ફૂટપાથને કારણે ડામર અને કૉન્ક્રિટમાં જકડાઈ ગયાં છે, તેમની ધરતીમાતાનો ખોળો ગુમાવી રહ્યાં છે. નાનકડું વાવાઝોડું પણ તેમને ઊખાડી નાખે છે. આવી રીતે યાતના વેઠી રહેલાં વૃક્ષોની આસપાસનું કૉન્ક્રિટ તોડીને તેમને માટીના ક્યારા આપવા જોઈએ. વરસાદ-વાવાઝોડામાં પણ ઘણાં વૃક્ષો બચશે, ઘણાં નવજીવન પામશે.
ઝાડને નવજીવન આપવાનું વંદનીય કામ કેટલીક વ્યક્તિઓ કરી રહી છે. સ્થાપત્ય અને બાગાયત ક્ષેત્રોમાં કામ કરનાર ચાર મિત્રો શહેરમાં આંબા વાવવાનું અને દર મહિનાના પહેલા શનિવારે ટ્રી વૉકનું વૃક્ષદોસ્તી માટેની પરિક્રમાનું આયોજન કરે છે. તેઓ છે : લોકેન્દ્ર બાલાસરિયા, નાગેન્દ્ર પુરોહિત, સ્નેહલ દવે અને આસિફ મેમન. એકલવીર રાજ સિંગ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પ્લાઝ્મા રિસર્ચમાં એન્જિનિયર છે. તેમની ઑફિસનો રસ્તો યુનિવર્સિટી પાસેના રિંગ રોડ થઈને જાય છે. ખેડૂત પરિવારમાંથી આવતા આ સંશોધક ગયાં ત્રણેક વર્ષથી રિંગ રોડ પરના કેટલાક હિસ્સામાં વવાયેલાં છોડને પાણી સીંચે છે અને નવાં વૃક્ષો વાવે છે. જે આર.જે. ધ્વનિતના ‘મૉર્નિંગ મંત્ર’ પુસ્તકનું રવિવારે પ્રકાશન થવાનું છે તેની ઝાડ વાવવા માટેની સક્રિયતા જાણીતી છે. બાવળા સ્ટેશનની સામેનો ઘટાદાર વૃક્ષોથી હર્યોભર્યો વિસ્તાર સ્ટેશન અધિક્ષક સુરેન્દ્ર પ્રિયદર્શીએ 1993થી શરૂ કરેલ બે તપની મહેનતનું ફળ છે. ભગવાન તો આ તપથી પ્રસન્ન થાય છે. ગણેશ તો ધરો રૂપે ઘાસના તણખલાથી લઈને પીપળ જેવા મહાવૃક્ષ સુધી હરિયાળીના બધાં રૂપોને ચાહે છે. એટલે ઝાડ-પાન ઉગાડી-ઉછેરીને કહીએ ગણપતિ બાપ્પા મોરયા !
+++++
૨૪ ઓગસ્ટ ૨૦૧૭
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 25 અૉગસ્ટ 2017