રાજકીય આકાઓ માટે મરી ફીટતાં પોલીસ અને વહીવટીતંત્ર પ્રજા માટે કેમ કશું કરતાં નથી ?
દલિત અત્યાચારના બનાવોની સ્થળ મુલાકાતે અનેકવાર જવાનું થયું છે. પરંતુ થોડા સમય પહેલાં ભાદરણિયા અને લીંબોદરાની મુલાકાતો દુ:ખદ એટલી જ ડરામણી હતી. ભૂતકાળમાં સાંબરડા અને ચિત્રોડીપુરાના હિજરતી દલિતોના સૂમસામ મહોલ્લાઓમાં ફરતાં જે બીક અને સન્નાટો નથી અનુભવ્યો તે ભાદરણિયા અને લીંબોદરાના માનવદેહોથી હાલતાચાલતા દલિત મહોલ્લામાં પ્રસરેલા મૌન અને ભેંકારથી અનુભવ્યો હતો.
કર્મશીલ સોમ વાઘેલા અને સાથીઓ સાથે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ભાદરણિયા ગામના દલિત મહોલ્લામાં જઈને ઘટનાની દુ:ખ અને આક્રોશમિશ્રિત વિગતો જાણી. વિજયાદશમીના ગરબા જોવા ગયેલા 20 વરસના યુવાન જયેશને, ‘ગરબા જોવા કેમ બેઠા છો?’ની સાવ નાની અમથી વાતે દીવાલે માથું અફળાવીને ગામના પટેલ યુવાનોએ મારી નાખ્યો હતો. વહેલી સવારના ચારેક વાગ્યાના આ બનાવની સવારે જ ભાદરણિયાથી 10 કિલોમીટર દૂરના તાલુકામથક બોરસદથી ગુજરાતની ભાજપ સરકારની સિદ્ધિઓનાં નગારાં વગાડતી ગુજરાત ગૌરવયાત્રા પસાર થવાની હતી. ભાદરણિયાની દલિત હત્યાએ આ ગૌરવમાં છેદ પાડ્યો.
ગૌરવયાત્રાને ઝાઝી હાનિ ન પહોંચે એટલે કદાચ પોલીસ અને વહીવટી તંત્ર તરત સાબદું થયું. હત્યાના આરોપી આઠે ય પટેલ યુવાનોની ધરપકડ થઈ અને રાબેતા મુજબની સરકારી સહાયની જાહેરાત પણ થઈ. બીજી તરફ, દલિતોની આક્રોશિત ભીડ પણ ભેગી થઈ. સ્મશાનમાં જ વિરોધસભાનાં એલાન અપાયાં. જો કે, પીડિત પરિવાર અને ભાદરણિયાના સ્થાનિક દલિતોએ વિરોધની એક નવી જ મિસાલ કાયમ કરી. સરકારી સહાયના ચેક લઈને રડમસ ચહેરે પહોંચી જતા દલિત મંત્રીઓ અને સત્તાપક્ષના દલિત આગેવાનોને તેમણે આવતા રોક્યા. ‘વહીવટીતંત્રનું આ કામ છે. એમાં મંત્રી કે રાજકારણીઓની શી જરૂર?’ એમ કહીને રાજકીય રોદણાં રડતા અટકાવ્યા.
ગોલાણાથી ભાદરણિયા સુધીના સઘળા દલિત હત્યાકાંડો પછી સરકાર માબાપ રાંકડી રૈયત એવા દલિતો સામે ખોળો પાથરી અરજ કરે છે કે ‘બોલો અમે તમારા માટે શું કરીએ?’ અહીં પણ એમ જ થયું. હત્યાનો ભોગ બનેલા દલિત યુવાનના પિતાએ ન્યાય તો માગ્યો, પણ એ તો કેમ મળે એટલે બીજી મુશ્કેલીઓ પૂછી. ગુજરાતના કોઈ પણ ગામની દલિત વસ્તીને પૂરતા પ્રેશરથી અને પૂરતું પાણી ન મળવાની કાયમી ફરિયાદ હોય છે.
ભાદરણિયાના દલિતોએ પણ પાણીની ફરિયાદ કરી. તંત્ર તરત જાગ્યું. દલિત વસ્તીને પૂરતું પાણી ન મળે તે માટે પાણીના વાલ્વમાં હેતુપૂર્વક નખાયેલા પથરા કાઢી નખાયા ને ભળભળ પાણી આવતું થયું. આટલાં વરસોથી પાણી માટે ટળવળતા દલિતોને પાણી માટે દૂધમલ દીકરાનું લોહી વહેવડાવવું પડ્યું! એ જ રીતે ફળિયાની સ્ટ્રીટ લાઇટ અને દલિત ફળિયા માટેની સંરક્ષણ દીવાલની માગ તાબડતોબ ઉકેલાઈ ગઈ. હાલમાં ભા.જ.પ.ની કેન્દ્ર સરકારના વિદેશ રાજ્યમંત્રી અને એક જમાનાના તેજસ્વી પત્રકાર એમ.જે. અકબરે એમના પુસ્તક ‘રાઇટ્સ આફ્ટર રાઇટ્સ’માં લખ્યું છે, ‘જો તમારે વિકાસ યોજના જોઈતી હોય તો તમે મુખ્યપ્રધાનના મતવિસ્તારનો ભાગ બની જાવ અથવા થોડા દલિતોની હત્યા કરો.’ આ વાત બહુ કરુણ રીતે સાચી ઠરી.
ભાદરણિયાના દલિતો ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી અને તત્કાલિન કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીના મતવિસ્તારના મતદારો હતા, ત્યારે જે ન મેળવી શક્યા તે દલિત હત્યાકાંડથી મેળવી શક્યા! ભાદરણિયાના દલિતોના રક્ષણ માટે ફળિયાના નાકે પોલીસ હતી, પરંતુ જ્યારે મેં જયેશની હત્યાનું સ્થળ બતાવવા દલિતોને કહ્યું તો અમારી સાથે આવવા બધા એકબીજાને ખો આપવા લાગ્યા. બહાર નીકળતાં ફળિયાના ઉકરડા પાસે ઊભા રહીને દૂરથી સ્થળ બતાવ્યું. હત્યા પછીની વિરોધસભાને શ્રદ્ધાંજલિ સભા બનાવવી પડી. આ સભાના બેનરમાં ‘સરકાર માટે દલિતની જિંદગીની શું કિંમત છે?’ એ મતલબનું લખાણ હતું, તે અડધી સભાએ ઉતરાવી લીધું.
રાજ્યની રાજધાની ગાંધીનગરથી માંડ 17 કિલોમીટરના અંતરે આવેલા લીંબોદરા ગામના દલિત યુવાનોને મૂછો રાખવા માટે દરબાર યુવાનોએ માર માર્યાના ત્રણ બનાવો નવ દિવસમાં બન્યા હતા. અમે લીંબોદરામાં હતા તે જ દિવસે ત્રીજો બનાવ દલિતોએ ઉપજાવી કાઢેલો હોવાના સમાચારો પ્રકટ થયા હતા. પ્રથમ દિવસે બનાવ બન્યો ત્યારે જે પોલીસતંત્ર ફરિયાદ સુધ્ધાં લેવા તૈયાર નહોતું કે દલિતોના રક્ષણ માટે કોઈ વ્યવસ્થા કરી નહોતી તે જ પોલીસે ત્રીજા બનાવની તપાસ માટે સઘળી શક્તિ લગાડી દીધી હતી.
તેના મૂળમાં દલિતોએ ગૃહરાજ્ય મંત્રીના રાજીનામા માટે સચિવાલયના પ્રવેશદ્વારે આપેલું હલ્લા બોલનું એલાન હતું. પોતાના રાજકીય આકાઓ માટે જે પોલીસ અને વહીવટીતંત્ર મરી ફીટે છે તે પ્રજા માટે કેમ કશું કરતાં નથી? લીંબોદરાના દલિત ફળિયામાં પરિચિત દલિત મિત્રો પણ વાત કરતાં ડરતા હતા. ભોગ બનેલા દલિત કુટુંબના ઘરે આવવા તે તૈયાર નહોતા. ફળિયાના નાકે જ વસંતભાઈ મહેરિયાનું ઘર છે. તેમના ભાણિયા પીયૂષ પરમાર પર પહેલો હુમલો થયેલો, તો તેમના કિશોર વયના પુત્રએ નાદાનીમાં પબ્લિસિટી માટે હુમલાનું તરકટ રચ્યાનું પોલીસનું તારણ હતું. તેને પિતાનું સમર્થન મળ્યું હતું.
વસંતભાઈના ઘરે લટકતી તસવીરોમાં તેમની પોતાની કરડી મૂછોવાળી તસવીર તો હતી જ. સાથોસાથ 1999માં 85 વરસની ઉંમરે અવસાન પામેલા તેમના મૂછાળા દાદા શંકરભાઈ મહેરિયાનો પણ ફોટો હતો. શંકરદાદા આઝાદી પૂર્વે આ જ ગામમાં મૂછો રાખી જીવતા હતા, પણ એમના પૌત્રોને મૂછો રાખવાના મુદ્દે નવી પેઢીના યુવાનો અને કિશોરોનો માર ખાવો પડે, તો આટલી પ્રગતિ આપણે કરી છે.
માર ખાનાર લીંબોદરાનો 24 વરસનો દલિત યુવાન પીયૂષ પરમાર દેખાવડો અને છ ફૂટની ઊંચાઈ ધરાવે છે. દક્ષિણ ભારતીય ફિલ્મોના આ શોખીને અસંખ્ય વાર ‘રાઉડી રાઠોર’ ફિલ્મ જોઈ છે. ભોગ બનેલો બીજો યુવાન કુણાલ મહેરિયા કાયદાનું ભણે છે, એક્ટર અક્ષય કુમાર તેના ફેવરિટ છે અને તેમની ફિલ્મ ‘જૉલી એલએલબી’ તેણે વીસ વખત જોઈ છે.
દલિતો સામેના હિમાલય જેવડા ઊંચા પડકારો સામે એકવીસમી સદીમાં પાટનગર નજીકના એક ગામના દલિત યુવાનોનું આ ભાવજગત મને ડરાવે છે. લીંબોદરામાં પોલીસ રક્ષણ ઉઠાવી લેવાયું છે. દલિત વડીલો જ નહીં, સમસંવેદી બિનદલિતો પણ દલિત યુવાનોને સજાગ રહેવા જણાવે છે. ફેસબુક અને વૉટ્સઅેપ પર મૂછો મરડતી તસવીરો મૂકી પડકાર આપનારા ગુજરાતભરના દલિતો વિરોધ કાર્યક્રમોમાં ફરકતા નથી, એ હકીકત છે. સત્તા મેળવવાની ખેવના રાખનારા સૌ પાસે આ બે ગામોના જ નહીં, ગુજરાત અને દેશના દલિતોગરીબોશોષિતો આઝાદી, અભય અને ન્યાય માગે છે.
સૌજન્ય : ‘સીધો સવાલ’, “દિવ્ય ભાસ્કર”, 02 નવેમ્બર 2017