રઘુરામ રાજન સપ્ટેમ્બર, ૨૦૧૬ સુધી ભારતની મધ્યસ્થ બૅંક, રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાનાં ગવર્નર હતા. ૨૦૧૩થી ૨૦૧૬નાં ત્રણ વર્ષની મુદત માટે તેમણે આ પદ સંભાળ્યું. આ કાર્યકાળમાં તેમણે દાખવેલી મક્કમતા, સમજ અને નિષ્ઠાના ઘણા બનાવોના કારણે એ ચર્ચામાં રહ્યા છે. તેમની ઉપર વ્યાજના દર ઘટાડવા માટે ઘણું દબાણ હતું, પરંતુ જો વ્યાજના દર ઘટે તો ફુગાવા સામેની લડત નબળી પડે તેમ હતું.
રઘુરામ રાજન આ ઉપરાંત પોતાનાં ભાષણોમાં બોલાયેલાં વાક્યોનાં કારણે પણ ચર્ચાસ્પદ બન્યા છે. એમની સાથે નિખાલસ ચર્ચા કરીને કે પૂરી વિગતો જાણીને પછી પ્રતિભાવ આપવાને બદલે સુબ્રમણ્યમ સ્વામી જેવાએ તો તેમને ‘વિદેશી’ ગણીને પાછા મોકલી દેવા જોઈએ, એવી સમજણ કે વિવેક વગરની વાત પણ ઉચ્ચારી કાઢી હતી.
રઘુરામ રાજન એક વિશિષ્ટ પ્રતિભા છે. તેમણે દિલ્હીની આઈ.આઈ.ટી.માંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બી.ટેક્. (૧૯૮૫) કર્યું હતું. તે પછી આઈ.આઈ.એમ. અમદાવાદથી એમ.બી.એ. કર્યું. (૧૯૮૭) અને પછી યુ.એસ.ની. એમ.આઈ.ટી. માંથી ‘એસે ઑન ફાઇનાન્સ’ લખીને પીએચ.ડી. કર્યું.
રઘુરામ રાજને પોતાના આ પુસ્તકના આવા ટાઇટલ માટે એક પ્રસંગ ટાંક્યો છે. એક વખત, એક પત્રકાર પરિષદ પછી એક પત્રકારે પૂછ્યું. ‘તમે બાજ કે હોલો’ ? ‘આર યુ એ હોક ઓર ડવ?’ રાજને જેમ્સ બોન્ડની અદામાં જવાબનો પ્રારંભ કર્યો, ‘માય નેમ ઇઝ રઘુરામ રાજન …’ પણ પછી આગળ શું બોલવું તે બાબતે જીભ સહેજ થોથવાઇ – પણ પછી લાગલું ઉમેર્યું, ‘આઈ ડુ વ્હૉટ આઈ ડુ’. પુસ્તકનું ટાઈટલ પણ આ જ રહ્યું.
આ પુસ્તક રઘુરામ રાજનના ભાષણો લેખોનો સંગ્રહ છે, અને ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. પ્રથમ ભાગ તેમના આર.બી.આઈ.ના ગવર્નરકાળમાં આપાયેલાં ભાષણોનો છે. બીજો ભાગ નાણાંકીય કટોકટી ઉપર તેમણે આપેલાં ભાષણો-વૈશ્વિક લેખોનો છે અને ત્રીજો ભાગ વધુ વ્યાપક વિચારો, નીતિઓ અને ફિલસૂફીની માન્યતાઓ બાબતે લખાયેલા લેખોનો છે.
પુસ્તક કુલ ૨૨૯ (૨૧૨+૧૭) પાનાનું છે. આખરી ઘાટ આવતા પહેલાં તેમનાં લખાણો અનેક પરામર્શનોમાંથી પસાર થયા હોવાથી સુવાચ્ય બન્યાં છે.
વિચારની દૃષ્ટિએ રાજન નવ્ય મૂડીવાદના સમર્થક છે. રિઝર્વબૅંકની કામગીરી પછી આ નવ્ય મૂડીવાદના ગઢ સમાન શિકાગો યુનિવર્સિટીમાં જ અધ્યાપનકાર્ય માટે તે પરત ફર્યા છે. આ 'નવ્ય મૂડીવાદ' 'સમગ્રતા લક્ષી' અર્થકારણ (મેક્રો ઇકોનોમી) અંગે કેટલીક પાયાની ધારણા લઈને ચાલે છે. આ મુજબ, સ્થિરતા સાથેની આર્થિક વૃદ્ધિ તેમનું સાધ્યપદ છે. આ માટે ફુગાવાને ડામવો આવશ્યક ગણાય. રાજને જ્યારે (સપ્ટેમ્બર, ૨૦૧૩) સત્તા સંભાળી, ત્યારે ભારતનો ફુગાવાનો દર લગભગ અગિયાર ટકા હતો, તેમણે બૅંક છોડી, ત્યારે તે પાંચ ટકાથી પણ ઓછો થઈ ગયો હતો. દેશમાં ફુગાવાનો દર આટલો ઊંચો કેમ હતો? તે માટે મુખ્યત્વે બે કારણ જવાબદાર છે : એક, ૨૦૦૮ની વિશ્વમંદીથી ભારતના અર્થતંત્રને બચાવવા વાસ્તે ખાધપુરવણી કરીને નાણાંનો પુરવઠો વધારવામાં આવ્યો હતો. અર્થશાસ્ત્ર કહે છે, જ્યારે થોડીક ચીજવસ્તુઓની ખરીદી માટે નાણાંનો મોટો જથ્થો બહાર આવે, ત્યારે શરૂમાં ભાવો વધે અને પછી ફુગાવો થાય.(ટુ મેની મની ચેઝિંગ ટુ ફ્યુ ગુડ્ઝ’) કેઇન્સ નામના અર્થશાસ્ત્રીએ ૧૯૨૯-૩૩ની વિશ્વમંદી સામે લડવા માટે ખાધપુરક નાણાનીતિનો ઉપાય સૂચવ્યો હતો. મનમોહનસિંહની સરકારે ૨૦૦૮ની મંદી સામે આ ઉપાય અજમાવ્યો, પણ તેથી ભાવો ઉપર દબાણ આવ્યું.
૨૦૧૩માં ફુગાવો ઊંચો જવાનું બીજું કારણ ખાદ્યસામગ્રીના તથા ક્રૂડતેલના ભાવોમાં થયેલો વધારો હતું. સતત ખરાબ ચોમાસાને કારણે ખાદ્યસામગ્રીની અછત સર્જાતા ભાવો વધ્યા હતા. વળી, ક્રૂડના ભાવ વધારા માટે તેનું રાજકારણ તેમ જ અમેરિકાનું ક્વૉન્ટિટિવ ઇઝિંગ પણ જવાબદાર હતું. કૉર્પોરેટ જગતના કારણે સરકારે વ્યાજના દર નીચા આણવા માટે રિઝર્વબૅંક ઉપર પુષ્કળ દબાણ કર્યું. પણ રાજને તે સ્વીકાર્યું નહીં. – ‘આઈ ડુ વ્હૉટ આઈ ડુ !’ અને તે અર્થતંત્રના વ્યાપક હિતનું પગલું હતું.
સરકાર સાથેના બૅંકના ગવર્નરના સંબંધો વિશે તે લખે છે, ‘He can neither be a cheer leader for the Government, nor can be an unconditional critic …’ બૅંકના ગર્વનર સરકારની વાહવાહી કરનારા હોઈ ન શકે અને તેના આડેધડ ટીકાકાર પણ નહીં. રાજનનું આ વિધાન અગત્યનું છે, કારણ કે આ બૅંકના ઇતિહાસમાં લગભગ સાતેક જેટલા આઈ.એ.એસ. અધિકારીઓ આ પદે આરૂઢ થયેલા છે; જે સરકારના કહ્યામાં રહેવાના સંસ્કાર ધરાવતા હોય છે.
રાજને બૅંકોની કામગીરી અને તેમના વધતા જતા એન.પી.એ. બાબતે પણ કડક વલણ અખત્યાર કરવાનો પ્રારંભ કરી દીધો હતો. આ દિશાનું પ્રાથમિક સોપાન પાંચ કરોડથી વધુ રૂપિયાનું ધિરાણ મેળવનાર તમામની, તેમણે કરેલા ચુકવણા સહિતની આર્થિક પરિસ્થિતિ બાબતે એક ડેટા બૅંક તૈયાર કરવાની હતી. તમામ બૅંકોના હાથમાં આ માહિતી હોય તો નબળી કામગીરી ધરાવનારને ધિરાણ આપતાં પહેલાં બૅંકો સાવચેત થઈ શકે.
આ ઉપરાંત આવા એન.પી.એ.ધારકોની મિલકત ટાંચમાં લઈ શકાય, તે માટે ટ્રિબ્યૂનલ અને નાદારી અંગેની વ્યવસ્થાને પણ કાયદાકીય સ્વરૂપ આપવામાં આવ્યું. પણ સરકાર પોતે એન.પી.એ. ઘટાડવા માટે કેટલી તૈયાર હતી તે પ્રશ્ન તો ઊઠ્યો જ. નાનીનાની રકમો ઉછીની લેનાર સામાન્ય ગૃહસ્થી જો કસૂરવાર ઠરે તો બૅંકો તેમનાં હૉર્ડિંગ લગાડવા, કડક ઉઘરાણી કરવા કે તેમને ઘેર માણસો મોકલીને ડારો દેવા સુધીની તસ્દી લે છે, પરંતુ મોટા દેવાદારનાં નામ પણ બહાર ન પડે તેની તકેદારી રાખે છે. આ માટે કારણ એ અપાય છે કે જો આવા મોટા લોકોના નામ બહાર પડે, તો આર્થિક ક્ષેત્રે ઊથલપાથલ મચી જાય!
રઘુરામ રાજનનાં જે બે વિધાનો બાબતે ઊહાપોહ મચાવવામાં આવ્યો તે આ પ્રમાણે હતાં :
(૧) મેક ઇન ઇન્ડિયા સાથે મેક ફોર ઇન્ડિયા પણ હોવું જોઈએ. આ વાત તેમણે પોતાની જૂની સંસ્થા આઈ.આ.ઈટી. દિલ્હીના દીક્ષાંત-પ્રવચનમાં (૩૧ ઑક્ટોબર ૨૦૧૫) કહી હતી. આ પ્રવચનનું લખાણ વાચતાં સ્પષ્ટ થાય છે કે તેમણે સરકારની કોઈ પણ પ્રકારે ટીકા કરી જ નથી. તેમણે તો અર્થતંત્રમાં ઉત્પાદન વધે તે માટેની આવશ્યક શરતોનો ઉલ્લેખ કર્યો છે. પુસ્તકના પાના નં. ૧૧૨ ઉપર, ભારતની આર્થિક પ્રગતિ માટેના મધ્યમ સમયગાળા માટેના ઉપાયો સૂચવવામાં આવ્યા છે; તેમાં આ ઉલ્લેખ મળે છે. તેમના અભિપ્રાય મુજબ આ નીતિમાં ચાર બાબતો હોવી ઘટે :
(૧) મેક ઇન ઇન્ડિયા (૨) મેક ફોર ઇન્ડિયા (૩) અર્થતંત્રમાં પારદર્શિતા અને સ્થિરતા જાળવવી અને (૪) વધારે મોકળાશવાળી અને અનઅવરુદ્ધ વૈશ્વિક વ્યવસ્થા સર્જવાની દિશાનો પ્રયાસ કરવો.
આ પ્રત્યેક માટે તેમણે ઉપાયો સૂચવ્યા છે. દા.ત. મેક ફોર ઇન્ડિયાને હાંસલ કરવા વાસ્તે આંતરિક બજારવ્યવસ્થાને સુદૃઢ અને સુસંકલિત બનાવવી, ઉચિત જી.એસ.ટી. દાખલ કરવું, આંતરિક માંગ માટે આધાર ઊભા કરવા અને બચત તથા બૅંકિંગ ક્ષેત્રને સુચારુ રૂપે ચલાવવા.
આમાં સરકારની કોઈ બદબોઈ છે?
(૨) ચર્ચાસ્પદ બનેલું બીજું વિધાન ‘અંધો મેં કાના રાજા’નું છે. આ વિધાન તેમણે માર્કેટવૉચને આપેલી મુલાકાતમાં કહ્યું હતું. માર્કેટવૉચના પત્રકારે તેમને – ‘ઇન્ડિયા ઇઝ અ બ્રાઇટ સ્પૉટ’ (ભારત ચમકી રહ્યું છે !) એવા પ્રચલિત વિધાન સામેના પ્રતિભાવ રૂપે પૂછ્યું હતું. રાજને જણાવ્યું હતું કે ભારતનું અર્થતંત્ર ખૂબ સારી હાલતમાં છે. ફુગાવાનો દર ૧૧ ટકાથી ઘટીને પાંચ ટકાએ આવી ગયો છે અને ચાલુ ખાતાની ખાધ એક ટકાથી પણ નીચી છે. આમ છતાં ઘણું કરવાનું બાકી છે. ખોટા અતિ ઉત્સાહમાં આવી ન જવું જોઈએ; આ તો ‘અંધો મેં કાના રજા’ જેવું કહેવાય! રાજન ઉમેરે છે : ‘Words matter, but so does intent.’ માત્ર શબ્દોનો જ આધાર શા માટે? ભાવ પકડોને!
આ બે વિધાનોના કારણે રાજન ઉપર જે વિરોધવંટોળ જગાવવામાં આવ્યાં તે માનસિક કૃપણતા દર્શાવે છે. સામે પક્ષે એક વિકસિત રાષ્ટ્રના વિકસિત અને સહિષ્ણુ સમાજનું ઉદાહરણ જુઓ.
રાજને અમેરિકાની ફેડરલ રિઝર્વ સિસ્ટમની ટીકા કરી. પોતે એક દેશની કેન્દ્રિય બૅંકના અધ્યક્ષ હોય, ત્યારે બીજા દેશની બૅંકની ટીકા કરવી તે ઉચિત નથી – રાજન તેને ‘corporal sin’ ગણાવે છે. આમ છતાં, અમેરિકાએ તેમને બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યૂટમાં ભાષણ આપવા બોલાવ્યા અને ખુદ બેન બર્નાન્કી તેમને સાંભળવા માટે સભાગૃહમાં ઉપસ્થિત રહ્યા. આપણે આપણી જાતને ‘મહાસત્તા’ અને ‘જગદ્ગુરુ’ ગણાવવા મથીએ છીએ, ત્યારે આવાં ઉદાહરણો લક્ષમાં રાખવા જેવા ખરાં!
રાજન ૨૦૦૫માં નાણાભંડોળના મુખ્ય અર્થશાસ્ત્રી હતા. તે સમયે તેમણે દુનિયામાં થતાં રોકાણોમાં જોખમના વધતા જતા પ્રમાણ વિશે લખ્યું હતું. તેમણે જોયું કે વીતેલાં ૩૦ વર્ષોમાં ફાઇનાન્સના ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફારો થયા હતા. આ ફેરફારો મુખ્યત્વે ટૅક્નોલૉજી તથા સંસ્થાકીય નવરચનાઓના નિમિત્તે થયા હતા. રાજન નોંધે છેઃ દુનિયા જાણે કે ફાઉસ્ટના સોદામાં ફસાઈ ચૂકી છે, જેમાં કલ્યાણની સામે જોખમનું આદાન-પ્રદાન છે. તે સમયે તેમણે વિસ્તરતા જતા જોખમની સામે લાલબત્તી ધરતા કહ્યું હતું મધ્યસ્થ બૅંકો અને ફાઇનાન્સની વ્યવસ્થાના સંચાલકો માટે સંદેશ સ્પષ્ટ છે – ‘best the prepared.’ સાબદા રહેજો ! તાજેતરમાં અર્થશાસ્ત્રનું નોબલ પારિતોષિક જાહેર થયું. તેનાં છ સંભવિત નામોમાં રાજનનું નામ તેમની આ ચેતવણીના કારણે હતું.
રઘુનામ રાજન પાસે આર્થિક વૃદ્ધિ માટેના સ્પષ્ટ અને સુરેખ વિચારો છે. અલબત્ત, આ બધું શિકાગો સ્કૂલનાં વિચારવર્તુળો ધરાવે છે. ભારત જેવા ગરીબ દેશ માટે તે લેવલ-પ્લેઈંગ ફિલ્ડની વાર્તા તો કરે છે, પરંતુ તેને સુવાંગ રીતે આગળ ખેંચી શકતા નથી. આ સ્થિતિથી તે સાવધ પણ છે, પરંતુ તેમનું વિચારવિશ્વ બૅંકો, નાણાપત્રવ્યવહાર શાખ, ધિરાણ, ફુગાવો, આર્થિક વૃદ્ધિમાં સંસાધનોની ઉત્પાદકતાની વૃદ્ધિ જેવા આયામોમાં ફેરા કર્યા કરે છે. રાજકીય સ્થિરતા, ખુલ્લાપણું, લોકશાહી વગેરે પાસાંને પણ તે સ્પર્શે છે, પણ તે મૂળભૂત રીતે નવ્ય મૂડીવાદના સમગ્રતાલક્ષી દાયરા પૂરતું.
આમ છતાં, પુસ્તક સુવાચ્ય છે. નોટબંધી, મેક ફોર ઇન્ડિયા કે ‘અંધો મેં કાના રાજા’ જેવા સરસો કા તડકાને કારણે જ નહીં, પણ એક પ્રગલ્ભ અભ્યાસ અને ખંતીલા તથા સ્પષ્ટવક્તા બૌદ્ધિકની કક્ષાએ તેમણે આગવું પ્રદાન કર્યું છે – તેને જાણવું અને સમજવું રહ્યું!
E-mail : shuklaswayam345@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2017; પૃ. 03 — 04