દસ મે … અઢાર સો સત્તાવનનો દિવસ ! પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆતનો એ દિવસ જરૂર હંમેશ હંમેશ યાદ રહેશે. પણ અહીં આ ક્ષણે કંઈ સ્વાતંત્ર્યસંગ્રામની વાત નથી કરવી. દસ મેના રોજ ગુજરાતે એના પનોતા પુત્ર, ધારાશાસ્ત્રી ગિરીશ પટેલને પંચોતેરમે સન્માન્યા. અને માહિતી અધિકારથી સુપ્રતિષ્ઠ અરુણા રોય એ માટે ખાસ આવ્યાં એની થોડી વાત જરૂર કરવા ધારું છું.
હમણાં મેં કહ્યું કે સ્વાતંત્ર્યસંગ્રામની વાત નથી કરવી ; પણ મને લાગે છે કે મારે મારું આ વિધાન તરત જ પાછું ખેંચી લેવું જોઈએ. ક્યારેક લૉ કૉલેજના આચાર્યપદે કે પછી ગુજરાત લૉ કમિશનના સભ્યપદે રહેલ ગિરીશભાઈનું નામ એક એવું નામ છે જે છેલ્લા દસકાઓમાં હક્ક અને ન્યાયની લડાઈની સાથે પર્યાયની જેમ સંકળાઈ ગયું છે. તરફેણમાં જનહિત યાચિકા (પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન)નો એક આખો દાયકો એમનો હતો. ખાસ કરીને હાંસિયામાં મુકાઈ ગયેલા લોકો અને આમ આદમીની એ અર્થમાં જોઈએ તો ગિરીશ પટેલ હોય કે પછી અરુણા રોય, આ સૌ પોતપોતાની રીતે સ્વરાજની બાકી લડાઈ લડી રહ્યાં છે.
લડાઈની તો આ દેશને ક્યાં નવાઈ છે, ભાઈ ! હમણાં ચૂંટણી જંગ ચાલી જ રહ્યો છે ને. પહેલાં-બીજા દોરમાં જેઓ સાથે અને સામે હતા તે બધા બાકી દોરમાં નક્કી નથી કરી શકતા કે કોણ ક્યાં છે. ચોક્કસ કહી અને કળી પણ શકાતું નથી કે હોલનું રહસ્ય શું છે? આચાર્ય કૃપાલાણીજી સાથે આ લેખકને ત્રણેક દાયકા પર થયેલી એક વાતચીતમાં એનો ઉત્તર કેટલેક અંશે સાંપડે છે. એમણે વાતવાતમાં કહ્યું હતું કે ત્યારે (સ્વરાજની લડાઈમાં) અમે સૌ દેશભક્તો હતા, અત્યારે (સ્વરાજ પછી) અમે સૌ રાજકારણી બની ગયા છીએ.
બેશક, એ લડવૈયાઓમાં પણ એવી એક ધારા જરૂર રહી જેને સત્તાનો મેદ કે કાટ ન ચડ્યો. ગાંધી પાસે વરસો હોત તો, બને કે, એમનું રાજકારણ નેહરુપટેલથી ઉફરું લોહિયા-જયપ્રકાશ સાથે વિલસ્યું હોત. ચાલુ ચૂંટણીઓમાં એ મુદ્દા ક્યાંથી લાવવા જે લોહિયાના સપ્ત ક્રાંતિ આંદોલન કે જયપ્રકાશના સંપૂર્ણ ક્રાંતિ આંદોલન કને હોઈ શકતા હતા ? અફરાતફરીના આ માહોલમાં દેશમાં કોઈ આશાસ્થાન હોય તો તે આજના ચૂંટણીકારણમાં જેમનો પાટલો પડતો નથી અને આજના રાજકારણને જેમની તમા પણ નથી એવાં કેટલાંક વ્યક્તિત્વ અને એવા કેટલાક સંઘર્ષો છે.
સ્વરાજની બાકી લડાઈનો એક મોરચો તમે જુઓ કે છત્તીસગઢમાં રાયપુર સત્યાગ્રહરૂપે ખૂલેલો છે. દાક્તર વિનાયક સેનની મુક્તિ માટે ત્યાં સત્યાગ્રહ ચાલી રહ્યો છે. સેન આમ તો તબીબી તાલીમ પ્રાપ્ત પ્રતિભા છે. લોકોના આરોગ્યની સંભાળ લેતાં એમને સમજાયું કે શોષણ અને કુપોષણ અગર અપોષણને જારી રાખતી જે વ્યવસ્થા છે એની સામે લડ્યા વિના લોકોનું ઠેકાણું પડવાનું નથી. જ્યાં સુધી સ્વાસ્થ્યસેવામાં સીમિત હતા, સરકારને વાંધો નહોતો. પણ જેવો વ્યવસ્થાનો સવાલ ઊઠ્યો, શોષણ અને શાસન વચ્ચેના સંબંધનો સવાલ ઊઠ્યો – ભળતાસળતા આરોપમાં નાખ્યા જેલમાં.
જે બધા આ ચૂંટણી જંગમાં પડ્યા છે, એમાંથી મુખ્ય ધારાના પક્ષોને – આપણે ત્યાં ભાજપ અને કૉંગ્રેસને – દાક્તર વિનાયક સેનને ગોંધ્યાને ચાલુ અઠવાડિયે બે વરસ થશે, એ વાતની લગારે દરકાર હોય તો આપણે જાણતા નથી. કૉંગ્રેસના વડપણ હેઠળની ગઠબંધન સરકારમાં જે બે મોટી વાત બની, માહિતીના અધિકારની અને રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાની, એ અરુણા રોય જેવાઓની હિલચાલને આભારી છે. ન તો આપણા મોટા પક્ષોને એની કશી સૂઝ છે, ન તો કશી કદરબૂજ પણ છે.
વાત એમ છે કે સામાન્ય જનતા એક બાજુ અને રાજકીય શાસકીય અગ્રવર્ગ બીજી બાજુ, એવો ઘાટ છે. વચ્ચે, ગુજરાતી ભાષા બચાવો રેલી વખતે એક માર્કાની વાત કહી હતી ગિરીશભાઈએ કે હાઈકોર્ટનું કામ પણ જે તે પ્રદેશની ભાષામાં ચાલે એય સ્વરાજનો જ તકાજો છે. એમણે દાખલો આપ્યો હતો કે કામદાર બહેનોના નિવૃત્તિવેતનનો પ્રશ્ન અદાલત સમક્ષ આવ્યો ત્યારે એ બહેનો બચાડી મોં વકાસીને, અધ્ધરજીવે ઉચાટમાં બેસી રહી હતી. ગુજરાતી ન્યાયમૂર્તિ અને ગુજરાતી વકીલો અંગ્રેજીમાં ગબડાવતા હતા, અને જેમનું ભાગ્ય લખાઈ રહ્યું એ બહેનો માટે આખો મામલો સમજની બહારનો હતો.
ગમે તેમ પણ, ચૂંટણીઓ તો આવશે અને જશે. સોળ મે પછી સરકાર રચાશે, વળી બદલાશે ; મુદતવહેલેરી ચૂંટણી પણ આવી પડશે, અને એમ કાલચક્ર ફર્યા કરશે. ગાંધીયુગમાં જે એક મેળ પડી શકતો હતો, રચનાકાર્ય અને રાજનીતિનો ; એવું કંઈક જો નહીં બને તો જનતાના વાસ્તવિક પ્રશ્નોથી આપણું રાજકારણ ઉત્તરોત્તર વધુ દૂર, વધુ વિમુખ થતું રહેશે.
ગાંધીયુગ સાથે નવા સંદર્ભમાં સંધાન શક્ય બને એવો એક જોગસંજોગ 1977માં જરૂર ઊભો થયો હતો. ત્યારે કટોકટીવિરોધી જનાદેશને પગલે સત્તારૂઢ થયેલાઓ પૈકી ઠીક ઠીક લોક એવા હતા જે લોકહિલચાલને વિધાયક પ્રતિસાદ આપી શકે. સ્વૈચ્છિક કર્મશીલો અને એનજીઓ ત્યારે ચિત્રમાં હતા, અને એમની કને પણ ચોક્કસ અપેક્ષાઓ હતી. પણ કેવળ સત્તૈકલક્ષી અને ઇલેક્શન એન્જિન જેવા પક્ષો તેમજ રાજકીય પ્રક્રિયાથી છેટા રહેતા એનજીઓ, દેખીતી રીતે જ રચનાકાર્ય અને રાજનીતિના સાર્થક સંધાનને રોળી નાખતું આ દુર્દૈવ વાસ્તવ હતું અને છે.
રોજગાર અધિકાર અને માહિતી અધિકાર, માનો કે, એકાદ અનુકૂળ નેતા અને એકાદ સમર્પિત પ્રતિભા વચ્ચે મેળથી આવતા આવી ગયા. પણ લોકઆંદોલનના બળ વિના આ અધિકારો પણ ધાર્યા અસરકરક ક્યાંથી બની શકવાના હતા.
ધરતીના લૂણ જેવી પ્રતિભાઓને ભલે પોંખીએ. જરૂર પોંખીએ. કૃતજ્ઞતા વ્યક્ત કરવામાંથી ન જઈએ. પણ આવાં એકત્રીકરણો કદાચ એક જુદો પડકાર અવસર લઈને આવે છે. પ્રજાની બૅટરી આવાં આયોજનોથી કંઈક ચાર્જ થતી રહે એ ઠીક જ છે. પણ ચાલુ રાજકારણ જો આવી લોકપહેલોને અંગીકાર ન કરી શકે અને લોકપહેલો જો રાજકારણથી સલામત અંતર શોધે તો વાત કેમ બનશે ?
1977નું વરસ એ દેશની સ્વાતંત્ર્યોત્તર તવારીખમાં એક જળથાળ વરસ હતું. જયપ્રકાશના આંદોલન વાટે ત્યારે લોકશાહીની પુનઃપ્રતિષ્ઠા શક્ય બની હતી. એ ચોક્કસ જ એક જરૂરી ડગલું હતું. પણ એથી આગળનું ડગલું, લોકશાહી રાહે સત્તા ઉપરાંતના પરિવર્તનનું પગલું, રાહ જુએ છે. સ્વરાજની બાકી લડાઈનું એ એક અગ્રચરણ હશે
ઉપરનીચે ચિક્કાર ટાઉન હૉલમાં, સન્માનનો પ્રત્યુત્તર આપનાં ગિરીશભાઈએ ન્યાયી સમાજને ધોરણે એકવીસમી સદીમાં પ્રવેશવાની આજીવન મથામણની જિકર કરતાં કહેલી એક વાતમાં કદાચ આ અગ્રચરણ વાસ્તે ગુરુચાવી રહેલી છે. એમણે કહ્યું કે સફળ જનહિત યાચિકાઓના દોરમાં લોકાઅંદોલન સાથેનો તંતુ છૂટતો ગયો એ ખોટું થયું. કદાચ, એ એમ ઉમેરવાની ધાર પર પણ હતા કે એક હદથી આગળ રાજકીય પ્રક્રિયા બાબતે લૂગડાંસંકોર પેશ આવતો એનજીઓ અભિગમ (એનજીઓ વાસ્તે કદરબૂજ અકબંધ રાખીને ય) પુનર્વિચાર માગે છે. અરુણા રોયે આ અવસરે લગારે સેલિબ્રિટી શૃંગાર વિના સરળસોંસરી જે પણ વાતો કરી એમાંયે લોકતાંત્રિક ઢાંચામાં જ્યાં પણ શક્ય હોય ત્યાં ‘ઘૂસવાની’ કહેતાં ‘ડેન્ટ’ અને ‘ઇન્ટરવીન’ કરવાની વાત કરી હતી તે, ગિરીશભાઈના સંકેત સાથે મળીને અગ્રચરણનો એજન્ડા કહો તો એજન્ડા અને રોડ મેપ કહો તો રોડ મેપ જરૂર બની રહે છે.