રમણલાલ ચી. મહેતા
૨૦૦૯માં ‘પદ્મભૂષણ’થી સન્માનિત મ્યુઝિકોલોજિસ્ટ – સંગીતશાસ્ત્રજ્ઞ, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આટ્ર્સના ભૂતપૂર્વ ડીન અને હાસ્યલેખક વાત કરે છે બીરેન કોઠારી સાથે…
જૂઓ વિડીયો
![]()
રમણલાલ ચી. મહેતા
૨૦૦૯માં ‘પદ્મભૂષણ’થી સન્માનિત મ્યુઝિકોલોજિસ્ટ – સંગીતશાસ્ત્રજ્ઞ, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આટ્ર્સના ભૂતપૂર્વ ડીન અને હાસ્યલેખક વાત કરે છે બીરેન કોઠારી સાથે…
જૂઓ વિડીયો
![]()
'ફીલગુડ ફીલિંગ' થી 'એચીવિંગ ઇન્ડિયા' કેટલે ? પૂર્વે આ સવાલ અહીં 'સ્લમડૉગ મિલિયને'ર'ની ઑસ્કર ફતેહને પગલે પૂછવાનું બન્યું હતું અને વાંસોવાંસ એક સવાલિયા જવાબ પણ આપવાનું બન્યું હતું : 'સ્લમડૉગ મિલિયને'ર' જુઓ એટલે? વળી ઉમેર્યું પણ હતું કે ૧૪મી લોકસભા હવે ૧૫મી લોકસભા માટે અનુકૂળતા કરવામાં છે ત્યારે નિર્ણાયક વચગાળામાં 'કેટલે/એટલે'ની થોડીક પણ તપાસ થાય તો ઑસ્કર ફતેહને ખમ્મા બહું.
આ બધુ હમણાં ફરીને સાંભરી આવ્યું – આમેય, જાહેર જીવન અને મીડિયામારી બધો વખત દૂઝતા જખમની કમબખ્ત કહાણી જ છે ને – એનું તત્કાળ નિમિત્ત નીતિશકુમારની રીક્ષાયાત્રાના સતસવીર હેવાલોનું છે.
પટણામાં અણે માર્ગ પરના સત્તાવાર મુખ્યમંત્રી નિવાસેથી આ ભાઈ નીકળ્યા, સાઇકલ રીક્ષે સવાર થઈને તે બરાબર ચાર કિલોમીટર છેટે અશોક સિનેમા હૉલે પહોંચ્યા. ટિકિટબારીએથી ટિકિટ ખરીદી મૂર્છિતવત નહીં તો સંમોહિત ડોરકીપર કને અડધિયું ફડાવી થિયેટરમાં દાખલ થયા – ડોરકીપરને બચારાને મૂર્છા તો ક્યાંથી વળી હોય કે જોડે દાખલ થયેલા પ્રેસના માણસો અને બાકી કાફલાની ટિકિટ માંગી શકે. પોલીસનો પટો અને પ્રેસ પાસ, એને વળી ટિકિટની તે તમા હોતી હશે ? ન ભૂતો, ન ભવિષ્યતિ.
જ્યાં સુધી પટણાની પબ્લિકનો સવાલ છે, એ બચાડી તો આ ફિલ્મ ('સ્લમડૉગ મિલિયને'ર') જોતાં જોશે, પણ વીર નીતિશવાળે સાઇકલરીક્ષે સવાર થઈ ચાર કિલોમીટરનો પંથ કાપ્યો એ એક જોણું હતું – અને ફિલ્મનો વિનામૂલ્ય અવેજ પણ.
અને આ લોકસંપર્ક પ્રયુક્તિ વિશે (જે અલબત્ત નીતિશકુમારનો હક્ક છે, એને વિશે) એમની સફાઈ છે કે સાઇકલરીક્ષામાં બેસવાનો મારો જૂનો મહાવરો છે. વિદ્યાર્થી અવસ્થામાં કે કેવળ ધારાસભ્ય હતો ત્યારે, આમ ફરતો રહ્યો છું એમાં પણ આ ફિલ્મ વાસ્તે હું નીકળ્યો એ કૈં સત્તાવાર કામ તો નહોતું કે સરકારી ગાડી લઈને નીકળવું પડે.
આવા તો, એમ તો, બીજા પણ પ્રસંગો આવતા હશે અને નીતિશકુમાર સરકારી ગાડી જ બિનચૂક વાપરતા પણ હશે. પણ અહીં એ મુદ્દે ધોખો કરવાનો ખયાલ નથી. માત્ર, ચૂંટણીનો સમય આવ્યો કે કેવા કેવા કૌતુક સૂઝી રહે છે એટલો જ એક મુદ્દો કરવો છે.
ખરું જોતાં, નીતિશકુમાર [અને એમને કારણે એમનો પક્ષ – જનતા દળ વ્યુ'] ખરેખર જ વધુ સારી ભોંય પર દાવ લઈ શકે એમ છે. ગુજરાત સરકારી સીધી રહેમ નગર નીચે 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' (અમદાવાદ) પર રાજદ્રોહનો મુકદમો ફટકારાયો તે પછીના સંજોગોમાં આપણે હમણે વાઈબ્રન્ટી માહોલમાં જોયું તેમ આ છાપું નમોની યશસ્વિતા બાબતે આગળપાછળ, ઉપરનીચે જ્યાં જુઓ, હર પાને એકદમ જ ગાગાલગા પેશ આવી રહ્યું હતું. પણ તે દિવસોમાંય દિલ્હીથી લખાયેલ બીજા અગ્રલેખમાં કોઈકે ડહાપણભરી એક લીટી વાઈબ્રન્ટ બલૂનમાં ટાંકણીની પેઠે ભોંકી હતી કે ગુજરાતનું પોતાનું એક વિકાસકૌશલ છે અને એની એક ધીંગી પ્રણાલિકા પણ છે – મોદીએ એ વહેતી ગંગામાં ધોરણસર હાથ બટાવ્યો, એટલું જ. એથી ઊલટું, વિકાસવાર્તા કહો, વૃદ્ધિદર કહો, એમાં વિકાસકૌશલની કોઈ ધીંગી પ્રણાલિકા વગરના બિહારે નીતિશકુમારના નેતૃત્વમાં જે હાંસલ કર્યું છે તે વિશેષ નોંધપાત્ર છે.
'સ્લમડૉગ મિલિયને'ર' થી માંડીને હવે, માનો કે, આઈપીએલ મેચોમાં મત્ત મીડિયા અને એની જોડે અફીણી હિલોળા લેતું લોકમાનસ – આ દિવસોમાં વસ્તુત: ધોરણસરના શાસન (ગવર્નન્સ)ની કસોટીએ દેશના કારભારને મૂલવવાની, જે વિવેક 'ટાઈમ્સે' ભલે છાપરે ચડીને નહીં પણ છાનેમાને પણ નમો અને નીતિશ વચ્ચે કર્યો એની રગ પકડવાની, સૂઝબૂઝ દાખવી શકશે ? મનમોહન શાસને દેશજનતાને જે બે મોટાં ઓજાર પકડાવ્યાં – રોજગારનો અધિકાર અને માહિતી અધિકાર – એનો મહિમા મતદારોને વસશે કે કૌતુક અને ગતકડાં એકમેક સામે લટકા કરશે? હમણાં તો સવારીનો જે ખરોખોટો આનંદ બેઉ પક્ષે મળે તે સાચો !
![]()
'નીલે ગગન કે તલે' – ખ્યાત મધુરાયે હમણાં નંદિતા દાસની ફિલ્મ 'ફિરાક'ને "આતંકથી ફફડતા વાતાવરણવાળી એક દક્ષ, સુરેખ પ્રોડક્ટ" કહ્યા પછી એ વાતે ધોખો કીધો છે કે નંદિતાબહેન અનુગોધરા હુલ્લડોને "હુલ્લડ નહીં પણ 'કત્લેઆમ' કહે છે, ને પોતાના ગુજરાતી અંશ બદલ કદાચ આ પ્રાયશ્ચિત હશે, પરંતુ ગુજરાતની આમજનતાને આજે અમન જોઈએ છે, દંગા નહીં… હિંસાનો એક દૌર આવ્યો અને ગયો, ને ગુજરાતમાં આજે એખલાસ છે… ફિલ્મી વાઘા પહેરાવીને કશાક 'ગિલ્ટ'નું નિરસન કરવું કદાચ એક અંગત વિધિ તરીકે સ્વીકાર્ય હશે કિન્તુ તેને કળા તરીકે રજૂ કરવામાં એક નાદાની છે."
ગગનવાલાને, ગોધરા પછી જે બન્યું તે 'ઘૃણ્ય' હોવા વિશે બેલાશક શંકા નથી તેમ કોઈ પણ બાબતે હિંસા કે ધિક્કાર વાજબી નહીં હોવા વિશે પણ તેઓ સ્પષ્ટ છે. પણ એમના મતે જ્યારે એખલાસ પ્રવર્તે છે ત્યારે આ વાત ઉખેળવી દુરસ્ત નથી. એટલું જ નહીં, 'ગિલ્ટ'ના નિરસનને કદાચ એક અંગત વિધિ તરીકે સ્વીકારતે છતે તેને કળા તરીકે રજૂ કરવાને તેઓ નાદાની લેખે છે.
સદ્ભાગ્યે, જે બધું 'ઘૃણ્ય' બનતું હતું તે બન્યું જ નથી એમ માનનારાઓમાં કે તે બની રહ્યું હતું ત્યારે એને પોરસાવનારાઓમાં મધુ રાય નથી. સ્વાભાવિક જ, જે ક્યારેક 'નહીં બનેલું' હતું તેને હવે ભૂલી જાઓ એમ કહેતી ઊંઘતીજાગતીઊંઘતી પ્રતિભાઓ પૈકી પણ એ નથી. પણ એમનો મુદ્દો એ છે કે આખું ગુજરાત પાગલ નથી, અને આવી કોઈ કળા-નાદાનીનું કદાચ કોઈ લૉજિક નથી.
ભાઈ, આખા ગુજરાતને પાગલ ન જ કહીએ અને પાંચ કરોડ ગુજરાતીઓને નામે ગૌરવની ધોરાજી હંકારનારાથી છેટાયે રહીએ; પણ એક કળાકાર તરીકે એટલે કે નાગરિક સમાજના સભાન હોવા જોઈતા એકંદર તબકા માંહેલા જણ તરીકે મધુ રાયથી માંડીને નંદિતા દાસ સહિતના સૌને આ, એમનો પોતાનો વર્ગ, ત્યારે જે રીતે આંખબંધ ને લૂગડાંસંકોર પેશ આવ્યો એને અંગે કશીક ફરિયાદલાગણી અને કંઈક અપરાધબોધ તો હોવો જોઈએ ને, જેમ આ લખનારને પણ.
આયેશા ખાનની 'સ્કૅટર્ડ વોઇસીઝ' એ સંકલના પરની ચર્ચા દરમ્યાન તાજેતરમાં નીરવ પટેલે એક માર્મિક મુદ્દો કર્યો હતો કે ગુજરાતના મુસ્લિમે પોતાને વાચા આપવા સારુ કવિતાનું હથિયાર હાથમાં લીધું એ એક અનુગોધરા ઉપલબ્ધિ છે. પ્રજાના સભાન અને સંવેદનશીલ તબકાઓ આવી ઇતિહાસક્ષણોએ કશાક કળારૂપ મારફતે વ્યક્ત થવા કરે છે અને એથી કંઈક કેથાર્સિસની અનુભૂતિ સાથે વ્યાપક સમાજના સંદર્ભમાં કદાચ એક પ્રકારે કરેક્ટિવ કે સંસ્કારક હાજરી પણ પુરાવે છે. એમાં આપણી આ અડધી ગુજરાતી મૂળગી, નામે નંદિતાએ પણ કંઈક એવી ચેષ્ટા કરી છે, અને આપણી આબરૂ થોડીકે સાચવી લીધી છે.
અને હા, ભાઈ ગગનવાલા, નાગરિક સમાજની ઓળખ અને પરખ કેવળ અમન – એખલાસ જ નથી; અહીં ઇન્સાફનો એક મૂલ્ય અને પ્રક્રિયા તરીકે સ્વીકાર થયેલો છે કે નહીં તે પણ નાગરિક સમાજ સાથે અવિનાભાવ જોડાયેલ વાનું છે. હજુ હમણે લગી આ રાજ્યમાં મંત્રીપદે હોઈ શકતાં માયા કોડનાનીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમે ૨૦૦૨ પછી સાતે વરસે 'ભાગેડુ' જાહેર કરવા પડે અને હવે એમણે રાજીનામું આપી કસ્ટડી ભેગાં થવું પડે તે આપણે ત્યાં ઇન્સાફ મોરચે પ્રવર્તતી વિલંબિત અનવસ્થા સૂચવે છે. સભાન તબકાના એક નાનકડા હિસ્સાએ (અણુમતીએ) વચલાં વરસોમાં ચીખવા-ચિલ્લાવાની ને કળાનાદાનીની પ્રક્રિયા જારી ન રાખી હોત તો ગુજરાત તો મારા ભૈ મજેનું ગૌરવગત હતું જ. (જેમ સદ્ગત, તેમ ગૌરવગત.)
હમણે રાજ્યના મંત્રીની જિકર કરી ત્યારે આપણા એકના એક કથનકળામાહેર મુનશીજીનું સ્મરણ થઈ આવ્યું. 'ગુજરાતનો નાથ'ના વાચકને યાદ હોય જ કે ખતીબની વીતકવાર્તા જાણ્યા બાદ કાકના મોંમાં મુનશીએ મૂકેલા ઉદ્ગારો એ મતબલના છે કે આ બધું તમને બાળવાઝૂડવાનું થતું હતું તો રાજના મંત્રીને ફરિયાદ કરી કે નહીં. વાત આમ છે. ભલે ને કોઈ 'ધ અધર' પણ હોય, પણ કાયદાના શાસને એક નાગરિક તરીકે એની બાલાશ જાણવી જોઈએ. માટે સવાલ કે મંત્રીને ફરિયાદ કરી કે નહીં. વક્રતા કહો, વૈચિત્ર્ય કહો , જેમ સોલંકીકાળમાં ઉદાના ખંભાતમાં તેમ અહીં ૨૦૦૨માં મોદીના અમદાવાદમાં મંત્રીઓની સીધી સંડોવણી હતી. માટે, નંદિતા દાસની 'ફિરાક'. (આમેય એ પણ ભુક્તભોગી જ છે ને. પૂછો પરેશ નાયકને. જયંત ખત્રીની વાર્તા 'ધાડ'ના ફિલ્માંતરમાં નંદિતાની ભૂમિકા છે – અને કેમકે નંદિતા અનુગોધરા મોદીની ટીકાકાર છે – પરેશની ફિલ્મ રિલીઝ થઈ શકતી નથી.) ગમે તેમ પણ, ન્યાયે ઊંજ્યા અમન વિના અને લાગણીએ સીંચ્યા એખલાસ વિના ગુજરાતનો નાગરિક સમાજ માણસ જેવા માણસમાં સ્થપાઈ શકવાનો નથી. નવો સમાજ, ઇન્સાફને રામભરોસે રેઢો મેલી શકે નહીં.
![]()

