ચૂંટણીના સમયપત્રકની જાહેરાત થઈ કે તરત અહીં 'વળી ત્રીજો મોરચો ?' એ મથાળે કૉંગ્રેસ અને સાથીઓ તેમજ ભાજપ અને સાથીઓ (યુપીએ વિ. એનડીએ) પ્રકારની બે છાવણીઓમાં સીમિત રાજકીય અભિગમવ્યૂહની મર્યાદા વિશે અને તે સિવાયની સંભાવના વિશે નિર્દેશ કરવાનું બન્યું હતું.
તે પછી, ઓરિસ્સામાં બીજુ જનતા-ભાજપ સંકલનાનું તૂટવું અને પૂર્વ પ્રધાનમંત્રી દેવે ગૌડા (જનતા-એસ) તેમજ ડાબેરી પક્ષોની પહેલથી સંખ્યાબંધ પક્ષોનું કૉંગ્રેસ-ભાજપ સિવાયના વિકલ્પ માટેના દર્શન દસ્તાવેજ (વિઝન ડૉક્યુમેન્ટ) પર સહી કરવું : આ બે વાનાં એવાં છે જેણે ત્રીજા મોરચાની વાતને કોઈ હવાઈ તુક્કાને બદલે જમીની સંભાવના તરીકે મૂકી આપી છે.
તમે જુઓ કે દર્શન દસ્તાવેજ બહાર આવ્યો તે સાથે કૉંગ્રેસ અને ભાજપ બેઉના ઘૂંટણના મિજાગરેથી જે આંચકા (ની-જર્ક રિએક્શન) આવ્યા છે તે કેવા છે. કૉંગ્રેસ છાવણીમાંથી કેન્દ્રીય સંસદીય મંત્રી વ્યાલાર રવિએ કહ્યું છે કે આ તો બધા ભાજપ પાસે પાછા જશે. બીજી પાસ, ભાજપની પ્રતિક્રિયા એ છે કે ત્રીજા મોરચાનો નથી કોઈ નેતા, નથી કોઈ કાર્યક્રમ – પછી, કહો, એનું ભાવિ શું હોય.
કૉંગ્રેસે મોરચા બાબતે જે ભય દાખવ્યો અને ભાજપે એની વિશે જે ટીકાભાવ દર્શાવ્યો, એ બેઉમાં મોરચાની એક વાસ્તવિક બળ એટલે કે પોતાના પ્રતિસ્પર્ધી તરીકેની સંભાવનાનો સ્વીકાર છે એમ માનવામાં હરકત નથી. નહીં કે આ ભય અને આ ટીકામાં સત્યનો અંશ નથી; પરંતુ એમાં વાસ્તવિક પડકારનો અંશ પણ છે તે આપણા ખયાલમાં રહેવું જોઈએ.
માર્ક્સવાદી સામ્યવાદી પક્ષના મુખપત્ર 'પીપલ્સ ડેમોક્રસી' એ થોડા દિવસ પર અગ્રલેખની અટારીએથી યાદ આપ્યું હતું તેમ અખિલ ભારતીય પક્ષોની ઓસરતી અગર ઓછી આણના આ દિવસો છે. ૨૦૦૪માં બંને મુખ્ય પક્ષોએ એટલે કે કૉંગ્રેસે અને ભાજપે, દરેકે ૧૯૯૯ને મુકાબલે ૧.૬ ટકા મતહિસ્સો ગુમાવ્યો હતો. જો કે કૉંગ્રેસની બેઠકો ૧૧૪થી વધીને ૧૪૫ થઈ હતી જ્યારે ભાજપની ૧૮૨થી ઘટીને ૧૧૪ થઈ હતી. કૉંગ્રેસ (યુપીએ) સરકાર રચાઈ એનું રહસ્ય, આમ, મિશ્ર સરકારી (કોએલિશનલ) અભિગમવ્યૂહમાં રહેલું છે.
તેથી જેમ ૧૯૯૬ અને ૧૯૯૭માં બન્યું હતું તેમ સંયુક્ત મોરચાના અભિગમવ્યૂહથી બિનકૉંગ્રેસ-બિનભાજપ પરિબળો નવી દિલ્હીને તખતે હોઈ શકે છે. બુઝુર્ગ જ્યોતિ બસુએ (જેઓ ત્યારે વડાપ્રધાનપદ લગોલગ હતા, એમણે) ત્રીજા મોરચાનો રસ્તો દુ:સાધ્ય છે એમ કહ્યું છે, પણ એને અસાધ્ય નથી કહ્યો. તે સાથે એમણે ડહાપણના બોલ પણ ઉચ્ચાર્યા છે કે આ વખતે મોરચા સરકાર શક્ય બને તો સીપીએમે એમાં સીધા સહભાગી બનવું જોઈએ. માર્ક્સવાદી પક્ષના મહામંત્રી પ્રકાશ કરાતે, પણ, કૉંગ્રેસના બહારી ટેકાથી આવી સરકારની શક્યતા પ્રકાશન્તરે સ્વીકારી છે.
અલબત્ત, એનડીએમાં જેમ ભાજપ અને યુપીએમાં જેમ કૉંગ્રેસ કેન્દ્રવર્તી પક્ષ રહ્યાં તેમ આ નવી રચનામાં કોઈ એક પક્ષ વિશે વિચારવું સહેલ નથી. સૌથી મોટી પ્રાદેશિક ફતેહની સંભાવના દર્શન દસ્તાવેજથી અલગ (સામે નહીં પણ અલગ) રહેનારાં માયાવતી અને બહુજનસમાજ પક્ષની છે. પણ તે સંજોગોમાં એમના અગ્રપદની શરતે અને એની ફરતે બધા ગોઠવાઈ તો શકે છે. ત્યારે માર્ક્સવાદી પક્ષે નવી રચના સારુ સુવાણ કરી આપનાર (ફેસિલિટેટર) તરીકેની ભૂમિકા ભજવવી રહેશે, અને દેવે ગૌડાએ 'એમરિટસ સ્ટેટસ'માં સમાધાન શોધવું રહેશે.
સમાજમંથન (સોશ્યલ ચર્નિંગ) અને વૈકલ્પિક વિશ્વદર્શનનો આ વ્યૂહમાં સીધો સમાવેશ બેલાશક નથી, પણ તે માટેનો રસ્તો આવી સરકાર થકી (અને અંશત: તે છતાં) ખૂલી જરૂર શકે છે.