આઝાદીની અડધી સદી વટાવ્યા પછી પણ ભીડનું સ્વસ્થ નાગરિક સમાજમાં રૂપાંતર જ નથી થવા દેવાયું. ગાંધારી એક ગર્ભના સો ટુકડા કરી નોખા નોખા પાત્રમાં પોતાના સ્વાર્થની પૂર્તિ માટે ઉછેરે એમ જનતાને રાજકીય પક્ષો દ્વારા મતબૅંક સ્વરૂપે ઉછેરવામાં આવે છે એક ચૂંટણીથી બીજી ચૂંટણી સુધી અથવા કહો કે એક ધર્મયુદ્ધથી બીજા ધર્મયુદ્ધ સુધી. જોતજોતામાં ૨૦૦૯ની ચૂંટણી એક તરફથી જાણે ગાંધી વિરુદ્ધ ગાંધી જેવી લાગે છે તો બીજી તરફથી એમાં દેખાય છે અ-ધર્મયુદ્ધ ! પાંચ પાંચ વરસ ગરીબનું પેટ કાપીને પક્ષ-વિપક્ષ તરીકે ભર્યા ભાણે સત્તા ભોગવ્યા પછી પોતાની કરમ કુંડળીના આધારે મત માંગવાના બદલે પક્ષ-વિપક્ષ ધરમનું પૂંછડું પકડી વૈતરણી કરવા નીકળે છે. બટકું રોટલો ઝંખતી જનતા, સત્તાકાંક્ષીઓની ભૂખ ભાંગવા રોટલાના ટુકડાની જેમ વહેંચાઈ જાય છે, ધરમના નામે !
આજે ૩૦-૩-૦૯ ની સવારે મારા ફ્લેટમાંથી નીચેના મેદાનમાં આવું છું અને જે જોઉં છું એ જોઈને કાળજું ચિરાઈ જાય છે. આ દૃશ્ય કાંઈ પહેલીવાર નથી જોતો. બહુમાળી ઇમારતોનો ગંધાતો કચરો ટ્રેક્ટરમાં ઠલવાઈ રહ્યો છે, ઘૂંટણ સમાણા કીટાણુ-જીવાણુયુક્ત કચરામાં ત્રણ યુવાનો ઊભા છે, એમાંના એંઠવાડમાં હાથ નાંખી કાગળ અને પ્લાસ્ટિક છૂટાં પાડે છે, રહીશો નાક પર રુમાલ રાખી ચાલ્યા જાય છે, જાણે પેલા શ્રમિકો પણ મનુષ્ય નથી માત્ર દુર્ગંધ છે. રંજના મને કહે છે કે આ લોકો પાસે હાથમોજાં અને ગમબુટ હોવાં જોઈએ, આ ગંદકી એમના શરીરમાં કેટકેટલા રોગ જન્માવતી હશે ? અને મનમાં ? નિરીક્ષક-નયા માર્ગ-ભૂમિપુત્ર કે દલિત અધિકારના વાચકો માટે આ બધું અજાણ્યું નથી. એને રીક્ષા સુધી વળાવી પાછો ફરું છું અને ટ્રેક્ટર પાસે ઊભો રહું છું, પૂછું છું:
'તમને આ કચરામાં કામ કરવા હેન્ડ ગ્લોવ્ઝ મળવા જોઈએ'
'કોણ આપે?'
'કેમ ? તમને કામ આપનાર.'
'આ કામ અમે કૉન્ટ્રાક્ટર પર કરીએ છીએ.'
'કૉન્ટ્રાક્ટર ન આપે ?'
'એ અમને રોજના પચાસ આપે છે, પચાસમાં ટ્રેક્ટરના બે ફેરા કરવાના.'
'પચાસમાં !'
'હા, આ કચરામાંથી કાગળ અને પ્લાસ્ટિક છૂટું પાડીએ એમાંથી બીજા પચાસ મળે છે.'
હું વિવશતાથી આ સાંભળી રહ્યો હતો. મનમાં વિચારતો હતો કે આ દેશના કરોડો લોકો એક યા બીજા સ્વરૂપે પાણીના મોલે ખૂન-પસીનો વહાવે છે, મહાનગરોની ગંદકી સાફ કરે છે (સ્લમ ડૉગ મિલિયોનર્સ) અને બદલામાં પામે છે ગંદકીથી પણ બદતર જીવન. બીજી તરફ એવા અસંખ્ય તકસાધુઓ છે જે ધર્મના નામે ગરીબના ખભે પગ મૂકી સત્તા સુધી પહોંચે છે. રાજનીતિમાં મળતા એશોઆરામ ન હોત તો? આમાંના કેટલા માઈના લાલ લોકસેવક બનવા દાવેદારી કરત ? ગાંધી-ભગતસિંહ-બોઝ તો ગયા,
સરદાર, નહેરુ, સરોજિની નાયડુ, મૃદુલા સારાભાઈ, શાસ્ત્રી અને લોહિયા કે જયપ્રકાશ પણ નથી, ગુજરાતમાં જે નેજવું કરોને, ઝોળીમાં ચણા લઈ ફરનાર ઈન્દુલાલ છે ક્યાંય? જયંતિભાઈ નથી, હા, જ્યાં જ્યાં રાજનીતિના ગણેશ મંડાય છે ત્યાં ત્યાં દલાલો જરૂર દેખા દે છે. અને પુરુષોત્તમ માવળંકર પણ નથી. એ મારી બૌદ્ધિક નપુંસકતા જ છે જે તકવાદીઓને જેટની ઝડપે ધારાસભા કે સંસદ તરફ આગળ વધતા નથી અટકાવી શકતી કે નથી રોકી શકતી. ગરીબો પર ફરી વળતા બદહાલીના બુલડૉઝરને. ઊલટાનું ક્યારેક તો હું જ પેલાઓની રાજસત્તાને વધુ સમર્થ બનાવવાનું નિમિત્ત બનું છું અને ગરીબો પર ફરી વળતા બુલડૉઝરને ગિયરઅપ કરું છું. વધુ કાંઈ વિચારું એ પહેલા ટ્રેક્ટર પાસે ઉભેલો યુવાન બોલ્યો: 'બેમહિના પહેલાં હું ટ્રેક્ટરમાંથી પડી ગયેલો, માથામાં વાગેલું, એક્સ-રેથી લઈને બધું કરાવવું પડ્યું, ત્રણેક હજારની ચાકી વાગી ગઈ.'
'પણ કોન્ટ્રાક્ટરને કામ આપનાર મ્યુનિસિપાલિટીની કોઈ જવાબદારી જ નથી ?'
'એ લોકો તો કામ કોન્ટ્રાક્ટ પર આપે છે, એમની કોઈ જવાબદારી નથી.' -પણ મારી જવાબદારી? આ બધું ભૂલીને હું શું કરું છું? ક્યારેક વરુણ-રાહુલના દંગલમાં કોઈ એક છેડે ઉભો રહી અખાડિયનની જેમ જાંઘ પર થાપ મારું છું, તો ક્યારેક આ ચૂંટણીના અંતરાત્મા જેવા પેલા દરિદ્રનારાયણને સાવ વિસારે પાડીને ગંગામાં ડૂબકી મારતા ભાવિકની જેમ ગાંધી-ગાંધી, રામ-રામ કે વામ-વામ કરું છું ! કટ્ટરતાની ધાર એટલી તેજ બનતી જાય છે કે આપણી રાજકીય સમજણને પ્રતિકૂળ હોય એવા વિચારને પણ આપણે સાંખી શકતા નથી, બોલનારને તરત જ ઘૃણાભાવથી એ વાતની પ્રતીતિ કરાવીએ છીએ કે જો તું અમારામાંનો એક નથી તો એમનામાંનો એક છે ! આ ચૂંટણી દંગલે મારી અને મારા જેવા અનેકોની ભૂમિકા વિશે ઘણા પ્રશ્નો જન્માવ્યા છે જે હું મારી અંદરના અધિપતિને પૂછું છું. રાજા-મહારાજાઓની કે ધર્મધુરંધરોની બગીના શણગારેલા આંખે ડાબલા ચડાવેલા ઘોડા જેવો હું મને લાગું છું, ડાબલા શું કામ છે ? ડાબલા વિનાનો ઘોડો યુદ્ધમાં હોય છે, આંખ પર ડાબલા ન હોય તો એને આસપાસનું તો ઠીક પણ પાછળનું ય દેખાતું હોય છે, એ ન દેખાય અને બગી સીધી નિયત માર્ગે ચાલે એ માટે જ એની આંખ પર ડાબલા ચડાવવામાં આવે છે. મેં જાત પર આ કોરડા એટલે વીંઝ્યા છે કે મને આ બધી સ્થિતિઓ વિશે એ પ્રશ્ન થાય છે કે મારું વજૂદ શું છે ? મારી જેમ ઘણાને આ પ્રશ્ન થતો હશે ? આપણી મૂંઝવણને બયાં કરતી હિંદી કવયિત્રી પ્રભા મજુમદારની આ કવિતાનો અનુવાદ જુઓ:
વજૂદ
હું એક પ્યાદુ
શહાદત માટે
શતરંજની બિછાત પર મૂકાયેલું
કોના કોના નિહિત સ્વાર્થોની પૂર્તિ માટે,
શેહ અને માતની
કૂટિલ ચાલોમાં
ઢાલ જેવી ઉપયોગિતા મારી.
હું ભીડનો એક હિસ્સો
ક્યારેક તાલીઓ પાડવા
તો
ક્યારેક પથ્થરબાજી માટે
ઉશ્કેરવામાં આવું છું.
હું એક ગ્રાહક
જાહેરાતોની માયાજાળમાં
ભરમાવવામાં આવતો
હીરાના પેકિંગમાં
પથ્થરો એકઠો કરનારો.
હું એક નાગરિક
આંકડાની મોહજાળમાં
ભોળવવામાં આવતો
આશ્વાસનો અને દિવાસ્વપ્નોમાં
વિચરવા માટે.
હું એક અનુગામી
દડાની જેમ
ક્યારેક આ ક્રીડાંગણમાં
તો ક્યારેક તે ક્રીડાંગણમાં
ફેંકવામાં આવતો.
હું એક શ્રોતા
જેના તેના દ્વારા સંબોધિત થવા માટેનો,
હું એક મતદાર
ટાણે-કટાણે આવનારી ચૂંટણી માટેનો.
હું એક દર્શક
તમારા કાર્યક્રમોની ટી.આર.પી. વધારવા માટેનો.
તો અદના નાગરિક તરીકે મારું વજૂદ શું ? પેલા ટ્રેક્ટરની ગંદકીમાં ઉભેલા, દૃશ્યમાન હોવા છતાં ઈશ્વરની જેમ અદૃશ્ય બનેલો માણસ વિકાસ પ્રક્રિયામાં ક્યારે અને કેવી રીતે સામેલ થશે ?
ત્રીજી માર્ચ બે હજાર બે યાદ આવે છે, આપણે ઘણાં બધાં નારાયણ દેસાઈની આગેવાનીમાં કોચરબ આશ્રમથી ગાંધી આશ્રમ મૌન રેલીમાં સામેલ હતા. મોદી સરકારની ભૂમિકાના મુદ્દે એ ઠરાવમાંના એક વાક્ય વિશે વિવાદ થયેલો, મારું એક નમ્ર સૂચન હતું, 'ચૂંટણીમાં ધર્મ કે જાતિના નામે મત માંગનારને પ્રજા જાકારો આપે.' પછીથી બે પ્રતિભાવો મળ્યા હતા. પ્રકાશ ન. શાહે કહેલું કે તમારું સૂચન ઠરાવમાં સમાવાયું છે. ત્યાં હાજર મારા બીજા એક સાથીએ ધીમા સાદે કહેલું કે 'ભલે બધાંએ તાલીઓ પાડી પણ આ વાતે હું સહમત નથી.'
મારું વજૂદ શું?