ઓણ આંબેડકર જયંતી, એમના સૌ ચાહકો, પ્રશંસકો અને કૃતજ્ઞતાવિનત લોકો માટે કદાચ કંઈક જુદી જ અનુભૂતિ અને આહ્વાન લઈને આવે છે.
એક તો, જયંતીનો આ અવસર ચાલુ ચૂંટણીઝુંબેશે આવેલો છે, અને એમાં પણ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીપદે માયાવતી વિરાજેલાં છે. સૌથી વધુ લોકસભાસભ્યોને ચૂંટનાર ઉત્તર પ્રદેશમાંથી આ વખતે માયાવતીના બહુજન સાંસદો મોટી સંખ્યામાં હોવાના છે. તેથી કૉંગ્રેસ-નીત યુપીએ (વત્તા કથિત ચોથો મોરચો) અને ભાજપ-નીત એનડીએ સિવાયના વિકલ્પાર્થીઓમાં માયાવતીનો પાટલો આગળના ક્રમે પડવાનો છે. બને કે તેઓ વડાપ્રધાનપદ માટેના વિકલ્પો પૈકી એક હોઈ શકે છે, અને આમ પણ વડાપ્રધાનપદની શરતે એમણે પોતાની સેવાઓ ખુલ્લંખુલ્લા ઑફર કરેલી છે.
શરૂમાં જે એક જુદી અનુભૂતિની વાત કરી તે આ સંદર્ભમાં હતી. દલિતની દીકરી દેશના વડાપ્રધાનપદે પહોંચી શકે એવી મજબૂત સંભાવના, પોતે એક ખયાલની રીતેય કેવી તો રોમહર્ષક છે! પરંતુ, આ અનુભૂતિ જે આહ્વાને ભરેલી અને ભારેલી છે એનો ખરો ને પૂરો ખયાલ માયાવતીના ચાહકો અને ટીકાકારોને કદાચ નયે હોય. આંબેડકર-કલ્પી દલિત રાજનીતિ કેવળ અને કેવળ લાભાર્થીઓની નહોતી. હકભેર નાગરિકમાં સ્થપાતા સમતા-સિપાહી તરીકે એમણે એ દલિત કર્મશીલને જોયો હતો જેને એમણે શિક્ષિત-સંગઠિત-સંઘર્ષશીલ બનવાની આરતભરી અપીલ અને આગ્રહી અનુરોધ સતત કર્યો હતો. આજે માયાવતી બેલાશક માયાવતીઉપમ શૈલીએ, ઉત્તર પ્રદેશમાં મજબૂત અને નવી દિલ્હીમાં મજબૂર (બહુજન સમર્થન પર ટકેલી) સરકાર માટે મથી રહ્યાં છે ત્યારે દેશહિતૈષી સૌ આંબેડકરની આ શીખના અને એમના આજીવન મથામણોના ઉજાસમાં એમને અવશ્ય પૂછવા ઇચ્છશે કે તમે લાભાર્થીઓ અને સત્તાદલાલોની રાજનીતિમાં છો કે પરિવર્તનની રાજનીતિમાં ઇતિહાસનિમિત્ત છો.
માયાવતીએ માગ મુકાવ્યો છે એમાં શંકા નથી. કલ્યાણસિંહ-મુલાયમસિંહ-રાજનાથસિંહ, બધા સિંહોની લાળલથબથ અને પૂંછડીપટપટ બકરી બેંથી હટીને એમણે રાજાભૈયા પ્રકારનાં માફિયા તત્ત્વો સાથે કાનૂની રાહે કડક કારવાઈ શાસકીય સંકલ્પપૂર્વક કરી જાણી તે આપણે જોયું છે. રાજનીતિને ડકૈત-લઠૈત પાશમાંથી મુક્ત કરવાનું કૌવત તે જરૂર ધરાવે છે. વરુણ ઘટના સાથે પણ (એનએસસે પ્રકરણની અદાલતી મૂલવણી જે પણ હોય) એમને પક્ષે, થોડાક આરંભિક વિલંબ પછી ચોક્કસ કારવાઈની કોશિશ જરૂર થઈ છે.
જો તેઓ પોતાની ભૂમિકા કોઈ ઇતિહાસનિમિત્ત તરીકે અને પરિવર્તનના સક્રિય કરણ રૂપે જોતાં હોય તો એમણે યાદ રાખવું જોઈશે કે આત્મસ્થાપનાની રાજનીતિમાં કોઈ ઉજળિયાતવેડામાં ફસાવાપણું નથી. કેવળ આંબેડકર જ નહીં, 'માન્યવર કાંશીરામ' જ નહીં, મહાત્મા ફૂલે અને શાહુ મહારાજનાં નામો ઉત્તર ભારતમાં આ વર્ષોમાં લખનૌની રાજગાદી થકી પૂર્વે કદાપિ નહીં એટલાં ચલણી બન્યાં છે. પણ બહુ ડહાપણભરી ને સલાહભરી ઢબે સર્વજનવ્યૂહ ભણી જઈ રહેલાં માયાવતીનાં પોતાનાં પગલાંમાં તેમજ એમના બહુજન કાર્યકરોની કાર્ય-અને-જીવન-શૈલીમાં ફૂલે-આંબેડકરની પ્રબોધન પરંપરા કેટલી છે એ પ્રશ્ન અત્યારે પૂછવો જરૂરી છે એટલો કદાચ ક્યારેય ન હતો, કેમકે પછી મોડું થઈ ગયું હશે.
આ પ્રબોધન પરંપરા પરત્વે સમર્પિત તેમ દેશના રાજકારણ-સમાજકારણમાં મળતાં મળે એવા ગાંધીયુગ પરત્વે સહૃદય વલણો જો માયાવતીના નેતૃત્વમાં વિકસવાનાં હશે તો એમની અડખેપડખેનું ધાડું લાભાર્થી સત્તાદલાલોની ફોજ મટીને પરિવર્તનની લડાઈ લડતા સમતા-સિપાહીઓની સેનામાં ફેરવાઈ રહેશે. લડવૈયા આંબેડકરે, વિનોબાએ સમુચિતપણે જેને ભીમસ્મૃતિનું નામ આપ્યું છે તે બંધારણ ઘડવામાં આપેલા યોગદાનને એ એક મોટી અંજલિ લેખાશે.