માનાં ગર્ભકમળમાં પાંગરતી વેળાથી જ
કોકડું વળી જવાની આદતવશ
જીવવાની પહેલ થતી રહી છે.
એ પહેલું બંધકિસ્તાન
અહેસાસ વગરનું પણ મહેસૂસ કરેલું …
પછી તો
ગળથૂથીથી જ
બંધનોની પરંપરા
ખાવુંપીવું, પહેરવું ઓઢવું
બોલવુંચાલવું, હરવુંફરવું
બધું માનો પાલવ પકડીને કે
પાપાની આંગળી ઝાલીને
નામ ઘડતરનું
ને તૈયારી
પણતર, ચણતર, જીવતરની!
પછી
આવી
શાળા
શિસ્તને નામે બંધનો જડબેસલાક !
આ જ ભણાય
આમ જ ભણાય
આમ જ લખાય
આમ જ વંચાય
આમ જ બોલાયચલાય
પછી
સમાજ
સમાજમાં રહેવું હોય તો
પરંપરાગત
નીતિઅનીતિના બુઝર્વા
અટપટા નિયમો
લોકનો ડર, ઘરવાળાનો ડર, સમાજનો ડર
ડર, ડર, ડરનું સામ્રાજ્ય!
પછી લગ્નબંધન
કહેવાય પ્રેમબંધન
પણ
નકારનું તાળું જડબેસલાક
કોની મજાલ કે તોડે?
ને રાજ્ય પણ
શું કામ બાકી રહે?
સલામતી નામે કાયદાની વણજાર
અટપટી માયાજાળ!
પછી તો
જન્મ, જીવન,પોષણ, શિક્ષણ, હરફર, બોલચાલ ……
સ્વતંત્રતાના મૂળભૂત અધિકારો
પરંતુ
હક્કને નામે ફરજનું જાળું!
છેવટે
સઘળા બંધનો તૂટ્યાં
કે મુક્તિ મળી …
ત્યારે
આશાઅરમાન, ઈચ્છા, સપનાં સઘળું
તનમનધન સાથે ભભૂતિમાં તબદીલ થઈ ગયું હતું!
૧૩/૫/૨૦૧૯
મન્ટોનું જીવન ચરિત્ર વાંચતાં શબ્દ મળ્યો, “કન્ટ્રોલિસ્તાન”, જેનો અનુવાદ ,કર્યો “બંધકિસ્તાન”. કોઈ બીજો શબ્દ સૂચવવાનું અપેક્ષિત છે. કાવ્ય મારું મૌલિક છે. — બકુલા
![]()


સત્તરમી લોકસભા માટેના મતદાનની પ્રક્રિયા હવે ઉપાન્ત્ય તબક્કો વટી ચૂકી છે ત્યારે મળતા નિર્દેશો આગલા રાઉન્ડની જેમ જ ત્રિશંકુ લોકસભાનો સંકેત આપે છે. મોદી ભા.જ.પ. સૌથી મોટા પણ ચોખ્ખી બહુમતી વગરના પક્ષ તરીકે ઉભરે ત્યારે કેવુંક ચિત્ર સરજાશે એ અલબત્ત અનુમાનનો વિષય છે. ત્રણેક દાયકા પર રાજીવ ગાંધી અને કૉંગ્રેસ સૌથી મોટા પણ બહુમતી વગરના પક્ષ તરીકે ઊભર્યાં ત્યારે એમણે ભલે ગણતરી સરની પણ ગરવાઈભેર એવું વલણ લીધું હતું કે જનાદેશ અમારા પુનઃ સત્તારોહણ માટેનો નથી. ત્યાર પછી વિશ્વનાથ પ્રતાપસિંહના નેતૃત્વમાં બહારથી ભા.જ.પ. અને સી.પી.એમ.ના સમર્થનપૂર્વકની સરકાર બની હતી એનો જાગ્રત વાચકોને ખયાલ હોય જ. ધારો કે મોદી ભા.જ.પ. આવા સંજોગોમાં મુકાય તો તે શું કરશે?
હમણાં આપણે બે મિનિટ પહેલાં મૌન પાળ્યું … ૧૯૪૮માં એક સાંજે, આ સમયે, એક વૃદ્ધ માણસ, બે વ્યક્તિના સહારે રસ્તો પસાર કરી રહ્યો હતો અને એક શખ્સે વૃદ્ધ માણસના દુર્બળ શરીરમાં ત્રણ ગોળી ધરબી દીધી. એ શખ્સને આ ઘરડા માણસથી નફરત હતી? એક જર્જરિત કાયાથી નફરત હતી? શું તે આ ઘરડા માણસને જ મારવા માગતો હતો કે તેનું લક્ષ્ય બીજું જ કંઈક હતું? એ જર્જરિત દેહને મારવા નહોતો માગતો, એના નિશાને એક વિચાર હતો, એક સ્વપ્ન હતું, એક ઉમ્મેદ હતી, એક ભરોસો હતો; જેનું નામ ગાંધી હતું. પણ એ સ્વપ્ન, આશા, ઉમ્મેદ, ભરોસો, સિદ્ધાંત કે સત્યને ગોળીથી ઠાર મારી શકાતાં નથી. ગાંધી હયાત છે, અને એ વાતની મારા-તમારા કરતાં એ લોકોને વધારે ખબર છે, જે લોકો ગાંધીને નફરત કરે છે. એમનામાં હિંમત નથી કે જે ગાંધીની તેમણે હત્યા કરાવી, એ ગાંધી, જેમના દરેક આદર્શ, દરેક સિદ્ધાંતની તેઓ વિરુદ્ધમાં હતા અને છે; તેની સામી છાતીએ આવીને, દુર્દશા કરી શકે. હજી પણ તેમણે રાજઘાટ ઉપર હાથ જોડીને ઊભા રહેવું પડે છે. આ એવાં ઉંદરડાંઓ છે જે ગાંધીના પગ ધીમે ધીમે કટક-બટક કાપી રહ્યાં છે અને આશા રાખી રહ્યા છે કે આવનારાં બસો-ત્રણસો વર્ષમાં આ પ્રતિમાનું કદ ઘટાડવામાં તેઓ સફળ થશે. પણ એમ થવાનું નથી. એ એટલા માટે કે ગાંધી દરેકનાં દિલમાં, દરેકના વિચારોમાં ઓછા કે અધિક, પણ દરેક હિન્દુસ્તાનીના હૃદયમાં જીવતા છે.