મારા દેશનું નામ
ખબર નથી.
મારા દેશનો ધર્મ
ખબર નથી.
મારા દેશની જાતિ
ખબર નથી.
હા, મારા દેશની એક પરંપરા છે
પરંપરા પાછી રૂઢિચુસ્ત છે
પરંપરાનું નામ
ખબર નથી.
પણ
પરંપરા વિશે આમ કહી શકું :
પાણીને એની સાથે ફાવતું નથી
ભૂખને એનું વળગણ છે
હવાથી એ વિખરાઈ જાય છે
વરસાદથી એ ઊભરાઈ જાય છે
એની ગોદડીમાં, ઠંડી ઠૂંઠવાઈ જાય છે
હજી ઉમેરણ કરી શકું :
બાલ કે વૃદ્ધ
કિશોર કે યુવાન
સ્ત્રી કે પુરુષ
મારાં દેશવાસીનાં
ભાલમાં પરંપરા
આંખમાં પરંપરા
બેસી ગયેલા ગાલમાં પરંપરા
ચામમાં પરંપરા
બહાર આવવા મથી રહેલા હાડમાં પરંપરા
એના શરીરમાં રક્તવાહિનીઓ નહીં
પરંપરાવાહિનીઓ છે
મારો દેશવાસી પરંપરા ખાય છે
ને પરંપરા કાઢે છે
મારા દેશમાં પરંપરા જીવે છે
જન્મે છે ને મરે છે તો બસ મારો દેશવાસી
મારો આ દેશ જોવા
તું આવીશને?
—
(*પરંપરાનો અર્થ અહીં અભાવ સમજવો)
[રચના જૂની છે, પણ લૉક-ડાઉનમાં શ્રમજીવીવિશ્વની સ્થિતિને અનુકૂળ લાગે છે એટલે મોકલું છું.]
![]()







યુ.પી.માં યોગી અને દિલ્હીમાં મોદીને દરબારી મીડિયાની બોલબાલા છતાં કોરોનાકાળમાં જે થોડા મુક્ત અવાજો વિરોધમાં વ્યક્ત થાય છે તે સહન થતાં નથી. વડાપ્રધાનના મત વિસ્તાર વારાણસીના દલિત મુસહર બાળકો આ દિવસોમાં ઘાસ ખાઈ રહ્યા હોવાના સમાચારો શું પ્રગટ થયા કે તંત્રની તવાઈ આવી. વારાણસી સહિત ઉત્તરપ્રદેશના ઘણાં શહેરોમાંથી પ્રગટ થતાં હિંદી દૈનિક “જનસંદેશ ટાઈમ્સ”માં વિજ્ય વિનીત અને મનીષ મિશ્રાની બાયલાઈન સાથે વારાણસીના કોઈરીપુર ગામના મુસહરો ભૂખ્યા પેટે ઘાસ ખાઈ રહ્યા હોવાના સમાચારો પ્રગટ થયાં તો રાત્રે દોઢ વાગે જિલ્લાના કલેકટર ડી.એમ. કૌશલ રાજે તંત્રીને વોટસઅપ મેસેજ કર્યો. એટલાથી ધરવ ન થતાં બીજે દિવસે આ અખબારના તંત્રીને નોટિસ મોકલી. જેમાં જણાવ્યું કે આવા ખોટા સમાચાર પ્રગટ કરીને ‘મુસહર જાતિ કે પરિવારકો લાંછન લગાયા હૈ’.