Courtesy : "The Hindu", 17.04.2013
Courtesy : "The Hindu", 17.04.2013
૨૧ ડિસેમ્બર ૨૦૧૨ …. એ કોઈ ખાસ દિવસ નથી. નથી એ કોઈ પર્વ – ઉત્સવ દિવસ કે નથી કોઈ જયંતી દિન. હા, જેને ખગોળ વિજ્ઞાનમાં રસ હોય તેને માટે એ દિવસ થોડો અગત્યનો ખરો કારણ કે એ વર્ષનો ટૂંકામાં ટૂંકો દિવસ છે. અને તેથી જ ઘણા લોકો કહેતા હોય છ કે હવે દિવસો બદલાશે.
પણ ૨૧મી ડિસેમ્બર તો દર વરસે આવે છે. તો પછી, આ ૨૦૧૨ની ૨૧મી ડિસેમ્બરનું શું અગત્ય ? આ તારીખના બે-ત્રણ દિવસ પહેલાં રેડિયો-ટી.વી.-અખબારપત્રોમાં આ તારીખનો ઉલ્લેખ થવા લાગ્યો, સાથે સાથે ચર્ચાઓ પણ થવા લાગી. અને ક્યાંક તો વિશેષજ્ઞોને બોલાવી વધુ માહિતીઓ પણ રજૂ થવા લાગી. ચર્ચાનો વિષય હતો, ‘શું આ દિવસે જગતનો અંત આવશે ?’
આવી જાતની વાતો, અફવાઓ રૂપે તો ઘણી વાર આવતી રહેતી હોય છે, પણ આખું સમાચાર જગત એ વાતની આટલી બધી ચર્ચા નથી કરતું. પણ આ સમયે તો બધા જ સમાચાર પ્રસારણમાં, એક જ વાત હતી કે દક્ષિણ અમેરિકાની માયા સંસ્કૃિતની ભવિષ્યવાણી મુજબ, આ ૨૧મી ડિસેમ્બર ૨૦૧૨નો દિવસ, એ આ જગત માટે આખરી દિવસ હશે. કારણ કે માયા સંસ્કૃિતનું કેલેન્ડર એમના ૫૦૩૨માં વર્ષે અંત પામે છે. જો કે લોકોએ આ વાતને ગંભીરતાથી નથી લીધી, અને સમાચાર પ્રાસારણોને તો એમને જોનારા-સાંભળનારાઓને, થોડું કુતૂહલ પીરસીને, પકડી રાખવામાં જ વધારે રસ હોય છે. એટલે બે ત્રણ દિવસ આ વિષયને ચગાવીને લોકોનું તેમણે મનોરંજન કર્યું અને ૨૨મી ડિસેમ્બર પછી આ વાત વિસારે પડી. હા, થોડા સૂર્ય પૂજકો અને થોડા ઉત્સાહી લોકો અને કેટલાક કુતૂહલતાથી પ્રેરાઈને દક્ષિણ અમેરિકાના એક પ્રદેશમાં જ્યાં માયા સંસ્કૃિતનું વિશાળ મંદિર છે, ત્યાં ભેગા થયા અને નિયત દિવસે, વહેલી સવારે મંદિરના વિશાળ પ્રાંગણમાં જન સંખ્યા ઉભરાવા લાગી. સૂર્યોદય થયો, પ્રાર્થના થવા લાગી. કોઈ આનંદિત થઈ નાચવા ગાવા લાગ્યા. બપોર થઈ અને સાંજ થવા આવી. સૂર્ય દેવનું છેલ્લું કિરણ મંદિરની ટોચ પરથી ધીરે ધીરે લુપ્ત થવા લાગ્યું. લોકોમાં ચહલ પહલ થવા લાગી, ઇન્તેજારી વધવા લાગી, કુતૂહલતાથી ચારે તરફ જોવા લાગ્યા. હરરોજની જેમ, સૂર્યાસ્ત પછી અંધારું થવા લાગ્યું અને કોઈ પરંતુ ઘટના ઘટી નહીં. ધીરે ધીરે લોક વિખરાયું અને વાત વિસરાઈ.
પણ પછી પ્રશ્નો જાગ્યા …..
જગતમાંના અનેક દેશોમાં પોતપોતાનું કેલેન્ડર-પંચાંગ હોય છે. અને એની શરૂઆત કોઈ વિશેષ ઘટના કે વિશેષ વ્યક્તિને સન્માનવા એના નામથી શરૂ થાય છે. જેમ કે પશ્ચિમના જગતમાં ઇસુની પાછળ ઇસવી સન કેલેન્ડર અથવા તો મધ્ય પૂર્વનાં દેશોમાં મહમદ પયગમ્બરના નામથી હિજરી સન અને ભારતમાં કોઈ મહાન રાજાને સન્માનવા વિક્રમ સંવત. એવી જ રીતે દૂર પૂર્વના દેશો ઇન્ડોનેશિયા, ચીન, જપાન વગેરેમાં પણ પોતપોતાના પંચાંગ હોય છે. જેની માહિતી અખબાર જગત એ દેશોના નવા વર્ષની ઉજવણી પ્રસંગે આપતું હોય છે. તેથી કરીને તે કેલેન્ડર-પંચાંગ અનુસાર કેટલામું વર્ષ શરુ થયું તે જાણવા મળતું હોય છે. જેમ કે ઇસવી સન ૨૦૧૩, હિજરી સન ૧૪૩૪ કે પછી વિક્રમ સંવત ૨૦૬૯, વગેરે વગેરે અને આ બધા જ કેલેન્ડર-પંચાંગ બેથી અઢી હજાર વર્ષની સમય મર્યાદાના હોય છે. જયારે આ માયા સંસ્કૃિતનું કેલેન્ડર-પંચાંગ તો પાંચ હજાર વર્ષ જૂનું બતાવે છે. તો આપણને આશ્ચર્ય થાય કે એ સંસ્કૃિત પાસે પાંચ હજાર વર્ષ પૂર્વે પંચાંગ વિષેની જ્ઞાન માહિતી હતી ?
પંચાંગ રચવા માટે શી શી માહિતી જોઈએ? પંચાંગ એટલે પાંચ અંગ અને એ પાંચ અંગ કે તત્ત્વો એટલે સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો અને પૃથ્વી. આ બધાની જાણકારી જરૂરી હોય છે. પૃથ્વી પોતાની ધરી પર ફરવાની અને સૂર્યની ચારેબાજુ પરિભ્રમણની જાણકારી, તે ઉપરાંત ચંદ્ર, ગ્રહો વગેરેના પરિભ્રમણ અને સૂર્ય વગેરેની જુદા જુદા નક્ષત્રો સાથે રચાતી કક્ષાની પણ જાણકારી …. આ બધાની જાણકારીથી દિવસ, માસ, ઋતુ અને વરસની સમજ સાથે સાથે બદલાતા વાતાવરણની આગાહી પણ કરી શકાય.
એટલે જુદા જુદા પંચાંગની વર્ષ સંખ્યા પરથી એવું લાગે કે માયા સંસ્કૃિત એ સૌથી જૂની અને ખગોળ વિજ્ઞાન પરિચિત સંસ્કૃિત હશે ! બીજો પ્રશ્ન એ થાય કે ભારતમાં વિક્રમ સંવત પહેલાં કોઈ પંચાંગ નહીં હોય? આપણા પુરાણની કથા માહિતી અનુસાર, આર્યભટ્ટ જેવા અનેક ખગોળશાસ્ત્રીઓ થઈ ગયા જેઓ વિક્રમ સંવત પૂર્વેના હતા. ખગોળ વિષે તેમણે ખૂબ ઊંડું અધ્યયન કર્યું હતું. તો શું એમણે પંચાંગ વિષે નહીં લખ્યું હોય ?
શું રામના સમયમાં, કૃષ્ણ કે બુદ્ધના સમયમાં કોઈ પંચાંગ નહીં હોય ? આપણને એની ખબર નથી કે એ પચાંગના ક્યાં વર્ષમાં રામ જન્મ્યા કે કૃષ્ણ-બુદ્ધ જન્મ્યા. આપણને કેવળ તિથિ યાદ રહી છે. રામ નવમી, કૃષ્ણ અષ્ટમી કે બુદ્ધ જયંતી, જે આપણે દર વર્ષે ઉજવીએ છીએ. આપણને તો દર વર્ષે જે આવે, તે ગમે. જ્યારે વર્ષ સંખ્યા તો ઇિહાસ પૂરતી જ મર્યાદિત રહે છે. આપણે ઉત્સવપ્રિય પ્રજા છીએ એટલે તિથિ મહત્ત્વની બની ગઈ. જ્યારે વર્ષ સંખ્યા બિન મહત્ત્વની થઈ અને વિસરાઈ ગઈ. કદાચ એવું પણ બને કે પુરાણા પંચાંગ હશે તો ખરાં, પણ સમય જતાં કોઈ અતિ મહત્ત્વની ઘટના ઘટી હોય, કે કોઈ ખૂબ જ શક્તિશાળી પ્રભાવી વ્યક્તિએ ખૂબ જ નામના કાઢી હોય તેને સન્માનવા તે સમયની વ્યવસ્થાએ કદાચ નવું જ પંચાંગ શરૂ કર્યું હોય. અને જૂનાને ધીરે ધીરે તિલાંજલિ આપી હોય ! એથી કરીને અત્યારના જુદાં જુદાં પંચાંગોની વર્ષ સંખ્યા બેથી અઢી હજાર વર્ષની રહી હોય !
માયા સંસ્કૃિતનું પંચાંગ પાંચ હજાર વર્ષ ચાલુ રહ્યું. કદાચ એ પ્રજામાં પ્રણાલી બદ્ધતા હોય કે પછી એવી કોઈ ઘટના કે વ્યક્તિ ન ઘટી હોય જે થકી નવું પંચાંગ શરૂ કરવાની જરૂર પડે. જે હોય તે હવે એ પંચાંગ પૂરું થયું. પણ ૫૦૩૨ પછી એ લોકો નવું પંચાંગ શરૂ કરશે કે ૫૦૩૩ લખશે? કે પછી અનેક સૈકાઓથી ચાલી આવતી યુરોપીય વ્યવસ્થા-આર્થિક વ્યવસ્થા હેઠળ એ પ્રજાએ યુરોપનું જ કેલેન્ડર અપનાવી લીધું હોય ! અને એવું તો ભારતમાં ય ક્યાં નથી થયું. આપણે ત્યાં સરકાર કે વેપાર વાણિજ્ય વગેરેમાં કે પછી સામાજિક વ્યવહારમાં પણ ક્યાંય વિક્રમ સંવત મુજબ તિથિ-માસ-વરસથી નોંધ નથી થતી. આપણે પણ યુરોપીય કેલેન્ડરને સ્વીકારી લીધું છે. હા, ધાર્મિક પ્રસંગે, વ્રત-નિયમ માટે કે લગ્ન વિવાહ પ્રસંગે આપણે ભારતીય પંચાંગ મુજબ વિક્રમ સંવતથી નોંધ કરીએ છીએ, ધાર્મિક ઉત્સવો પ્રસંગો ઉજવીએ છીએ.
અને હવે વધતા જતા વૈશ્વીકરણના જમાનામાં જયારે ઘણું બધું એકસૂત્રતામાં બાંધી લેવાના યત્નો થઇઈ રહ્યા છે, જેથી કરીને બધું સરળ સુગમ પડે, ત્યારે દેશ દેશના અલગ અલગ કેલેન્ડરો-પંચાગો અવ્યવહારુ બની જશે. અને ધીરે ધીરે એ પણ લુપ્ત થઈ જશે …. परिवर्तेन संसारे …. તો પછી પ્રાદેશિક ઉત્સવો, જયંતીઓ કે ધાર્મિક વ્રતો કે પર્વો એ બધાનો સમયક્રમ કેવી રીતે નક્કી થશે? જેની સાથે વર્ષોનો સંસ્કૃિત – સંબંધ છે, ધાર્મિક લગાવ છે એ બધા ઉત્સવો કેવી રીતે ઉજવાશે ? વૈશ્વીકરણના આ એક સૂત્રતા કે એક સુરતાના આ જુવાળમાં શું નિજનું બધું જ બદલાઈ જશે – તણાઈ જશે !
૨૧મી ડિસેમ્બર એ કંઈ અગત્યનો દિવસ નથી, પણ હવે દિવસો બદલાઈ જશે !!!
e.mail : mndesai.personal@gmail.com
(મુદ્રાંકન સહાય : અાશાબહેન બૂચ)
ભારતીય રાજકારણમાં અત્યારે સૌથી વધુ ચર્ચા પ્રધાનપદ માટેના ઉમેદવારની થાય છે. ન કોંગ્રેસ કે ન ભાજપ પોતાના પીએમ પદના ઉમેદવાર અંગે કોઈ નિર્ણય કરી શક્યાં છે. સર્વસ્વીકૃત નેતૃત્વના અભાવની આ નિશાની છે, પણ આપણે અત્યારે ભારતીય રાજકારણથી બહુ દૂરની અને ઊંચા સ્તરના નેતૃત્વની વાત કરવી છે. નેતૃત્વ એક એવો વિષય છે, જે વર્ગખંડથી લઈને વડાપ્રધાનની પસંદગી સુધી અસર કરે છે. નેતૃત્વ આગવી ખાસિયતો અને ખૂબીઓ માગી લે છે. નેતૃત્વ કળા પણ છે અને કૌશલ્ય પણ છે. દુનિયાએ હિટલરથી માંડીને મહાત્મા ગાંધી, ઓસામાથી લઈને આંગ સાન સૂ કી, આઇન્સ્ટાઇનથી લઈને અણ્ણા હજારે, શંકારાચાર્યથી લઈને દયાનંદ સરસ્વતી, જે.આર.ડી. તાતાથી લઈને ધીરૂભાઈ અંબાણી જેવા અનેક નેતાઓ જોયા છે, જેણે પોતપોતાની સ્ટાઇલમાં નેતૃત્વ પૂરું પાડયું છે અને ઇતિહાસ બદલ્યો છે. સમર્થ નેતા વિના કોઈ સમૂહ-સમુદાય કે રાષ્ટ્રનો વિકાસ શક્ય નથી. નેતૃત્વની ચર્ચા માંડવાનું કારણ છે, દુનિયાના એક મોટા ગજાના નેતાની ચિરવિદાય. ગત ૮મી એપ્રિલ, ૨૦૧૩ને સોમવારે આપણે પૃથ્વી પરના એક મોટા નેતાને ગુમાવ્યાં છે, એ મહિલા નેતાનું નામ છે – માર્ગારેટ થેચર.
માર્ગારેટ થેચરને દુનિયા આયર્ન લેડી – લોખંડી મહિલા તરીકે જાણે છે. સ્પષ્ટ નીતિ, મક્કમ નિર્ણયશક્તિ અને કોઈની શેહમાં આવ્યા વિના ધડાધડ અને ધારદાર નિર્ણય કરવાની હિંમતને કારણે તેઓ માત્ર બ્રિટનના જ નહીં પરંતુ વિશ્વના મહાન નેતાઓમાં સ્થાન પામ્યાં છે. ૧૮મી સદીથી બ્રિટનમાં વડાપ્રધાનનું પદ ઊભું થયું છે. બ્રિટનને કેટલાક બાહોશ વડાપ્રધાન મળ્યા – વિલિયમ પિટ્ટ, વિલિયમ એવાર્ટ ગ્લેડસ્ટોન, બેન્જામીન ડિઝરાયલી, ડેવિડ લોયડ જ્યોર્જ અને ચર્ચિલ … આ અમર યાદીમાં બ્રિટનના પ્રથમ મહિલા વડાંપ્રધાન માર્ગારેટ થેચરનું નામ પણ સામેલ કરવું જ પડે.
લોખંડી નેતૃત્વ ધરાવતા માર્ગારેટ થેચરમાં આ નક્કરતા-પોલાદીપણું આવ્યું ક્યાંથી? સીધો અને સ્પષ્ટ જવાબ છે – તેમના ઘડતરમાંથી. માર્ગારેટના ઘડતરમાં તેમના પિતાની ભૂમિકા પાયાની અને મહત્ત્વપૂર્ણ છે, છતાં તેમણે પોતે જ પોતાની જાતને ઘડી હતી. અને બ્રિટનના સદ્દનસીબ કે આ નારીએ માત્ર પોતાની જાત ઘડીને સંતોષ ન માન્યો, પરંતુ પોતાના દેશના ઘડતરમાં મહત્ત્વનું યોગદાન પણ આપ્યું. મહાન વ્યક્તિઓના ગુણોનાં મૂળ જોવા હોય તો તેમનું બાળપણ તપાસવું પડે. માર્ગારેટનું બાળપણ આર્થિક રીતે બિલકુલ સારું કહી શકાય એવું નહોતું. લેંકશરના ગ્રાન્થમ નામના ગામમાં ૧૩ ઓક્ટોબર, ૧૯૨૫ના રોજ તેમનો જન્મ આલ્ફ્રેડ રોબર્ટ્સ નામના કરિયાણાની દુકાન ચલાવનારાને ત્યાં થયેલો. ઘરની સ્થિતિ એટલી તંગ હતી કે તેમના ઘરમાં ગરમ પાણીનો નળ નહોતો, એટલું જ નહીં ટોયલેટ પણ નહોતું. માર્ગારેટ પિતા આલ્ફ્રેડની બીજી દીકરી હતાં. માતા-પિતાએ દીકરાની આશા રાખી હતી, પણ દીકરી જન્મેલી અને કદાચ એટલે માતા-પિતાએ તેનો ઉછેર દીકરી તરીકે નહીં પણ દીકરા તરીકે જ કરેલો. આવા ઉછેરને કારણે જ માર્ગારેટ મોટાં થઈને પુરુષના પ્રભુત્વવાળા રાજકારણના ક્ષેત્રમાં વટભેર સ્થાન ઊભું કરી શકેલાં. તેમની ખુમારી દર્શાવતો એક નાનપણનો પ્રસંગ જોઈએ તો તેઓ દસ વર્ષનાં હતાં ત્યારે શાળામાં કવિતા પઠનમાં તેમનો પ્રથમ ક્રમ આવેલો. તેમની શિક્ષિકાએ અભિનંદન આપતા કહ્યું કે 'દીકરી તું કેટલી ભાગ્યશાળી છે કે આ સ્પર્ધા તે જીતી લીધી.' માર્ગારેટે ત્યારે એક જ વાક્યમાં જવાબ આપેલો, 'હું ભાગ્યશાળી નહીં, આ માટે લાયક હતી.' લાયકાત કેળવવી એ લોખંડના ચણા ચાવવાથી ઓછું કપરું નથી હોતું અને માર્ગારેટે એ કરી બતાવ્યું, જીવી બતાવ્યું હતું.
માર્ગારેટ થેચરે રાજકીય ક્ષેત્રે ઇતિહાસ સર્જેલો અને ૧૯૭૯માં તેઓ બ્રિટનનાં પ્રથમ મહિલા વડાંપ્રધાન બનેલાં. ૨૦મી સદીમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન પદે રહેવાનો રેકોર્ડ પણ તેમના નામે છે. તેમણે પોતાના પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીને સળંગ ત્રણ ચૂંટણીઓમાં (૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૮૭) વિજય અપાવીને અગિયાર-અગિયાર વર્ષ સુધી વડાપ્રધાન પદ શોભાવેલું. ૧૯૯૦માં તેમણે પોતાના જ પક્ષના આંતરિક વિરોધને પગલે વડાપ્રધાન પદેથી રાજીનામું આપવું પડેલું, પણ તેમના નેતૃત્વ વિના પક્ષ ફરી સત્તા પર આવી શકેલો નહીં. પોતાના પક્ષને ફરી સત્તાસ્થાને જોવાનું માર્ગારેટનું સપનું છેલ્લે છેક વર્ષ ૨૦૧૦માં ડેવિડ કેમરૂનના (વર્તમાન વડાપ્રધાન) નેતૃત્વમાં સાકાર થઈ શક્યું છે. આમ, માર્ગારેટ લીલી વાડી જોઈને ગયાં છે!
માર્ગારેટ થેચર જ્યારે સત્તા પર આવ્યા ત્યારે બ્રિટનની હાલત અત્યંત ગંભીર હતી. દેશ મોંઘવારી અને બેરોજગારીના વિષચક્રમાં ફસાયેલો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રિટનને પતી ગયેલી પાર્ટી (દેશ) ગણવાની શરૂઆત થઈ ચૂકી હતી. દેશમાં કહેવા માટે તો ચૂંટાયેલી સરકાર કાર્યરત હતી, પણ દેશમાં ધાર્યું તો ટ્રેડ યુનિયનના નેતાઓનું જ થતું હતું. મજૂર નેતાઓની દાદાગીરીને કારણે ઔદ્યોગિક એકમો મરવા પડયાં હતાં. સપ્તાહમાં માંડ બે-ત્રણ દિવસ કામ થતું હોવાથી ઉત્પાદનના આંકડા ગબડી રહ્યા હતા. લંડન સહિતનાં શહેરોમાં કચરાના ઢગલા થઈ જતા હતા પણ કોઈ ઉપાડનાર નહોતું. બ્રિટન ખાડે જઈ રહ્યું હતું. યુદ્ધમાં જીત મેળવવી હજુ આસાન હોય છે પણ આર્થિક પડકારોને પહોંચી વળવું મુશ્કેલ હોય છે. પણ આ તો માર્ગારેટ થેચર, જેણે સાનુકૂળ ડહાપણ ડહોળવાને બદલે નક્કર પગલાં ભરવાનું શરૂ કર્યું. દેશમાં સામ્યવાદીઓના વર્ચસ્ છતાં તેમણે ખાનગીકરણ અને ઉદારીકરણનો માર્ગ અખત્યાર કર્યો. મૂડીવાદને છૂટો દોર આપવા માટે મુક્ત બજારોની જોરદાર તરફેણ કરતી નીતિઓ અમલી બનાવીને અને ઔદ્યોગિક સાહસોનું મોટા પાયે ખાનગીકરણ હાથ ધર્યું. વિરોધ થવો સ્વાભાવિક હતો. (તેમના મૃત્યુ પછી પણ વિરોધ-આક્રોશ જોવા મળે છે) પણ, માર્ગારેટની નીતિ અમીર-ઉમરાવો તરફી નહીં પણ મધ્મય અને નિમ્ન મધ્યમ વર્ગના લોકોના હિતમાં હતી અને તેથી જ તેમને પ્રચંડ લોકપ્રિયતા પ્રાપ્ત થઈ. માર્ગારેટ થેચરને શ્રદ્ધાંજલિ આપતા બ્રિટિશ વડાપ્રધાન ડેવિડ કેમરૂને સાચું જ કહ્યું છે કે 'ઘુંટણિયે પડી ગયેલા દેશને માર્ગારેટે માથું ઊંચું કરીને ઊભો રહેતો કર્યો હતો. તેમણે અમારા દેશને માત્ર નેતૃત્વ પૂરું પાડયું નથી બલકે તેમણે દેશના તારણહારની ભૂમિકા ભજવેલી છે.' માર્ગારેટ થેચર પર 'ધ આયર્ન લેડી' નામની ફિલ્મ બની છે. તેમણે પોતાની સ્મરણકથા પણ લખેલી છે, જેનું મૂળ નામ 'અણનમ' હતું, જે તેમના પડકારો સામે ઝઝૂમવાની વૃત્તિ ને વ્યક્તિત્વને બંધબેસતું હતું.
શીત યુદ્ધનો અંત આણવામાં અને સોવિયત રશિયાના વિખંડનમાં અમેરિકન પ્રમુખ રોનાલ્ડ રેગનની સાથે સાથે માર્ગારેટની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ હતી. સોવિયત યુનિયનના પૂર્વ પ્રમુખ મિખાઇલ ગોર્બોચેવે પણ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરતાં બહુ સરસ વાત કરી હતી, 'માર્ગારેટ એક એવા રાજકારણી હતાં, જેમના શબ્દોનું વજન પડતું હતું.' આપણા જુઠ્ઠાણાં ફેલાવતા અને છીછરાં નિવેદન કરતાં નેતાઓ આ નેતૃત્વના 'અણનમ' રોલમોડલ એવાં માર્ગારેટ થેચર પાસેથી કોઈ શીખ લેવાની લાયકાત કેળવે તો કેવું સારું !
——
"જે મહિલા પોતાના ઘરની સમસ્યાઓ સારી રીતે સમજી શકે છે તે એક રાષ્ટ્રની સમસ્યાઓને પણ સારી રીતે સમજી શકે છે અને આસાનીથી દેશ ચલાવી શકે છે."
– માર્ગારેટ થેચર
સૌજન્ય : સમય-સંકેત, 'સંસ્કાર' પૂર્તિ, "સંદેશ", 14 અૅપ્રિલ 2013