ગત ૨૫મી ફેબ્રુઆરી, રવિવારનો રવિ રોજ કરતાં જુદા અચાનક આશ્ચર્યની ચમક અને ભડક સાથે ઊગ્યો. સક્ષમ અને સુવિખ્યાત ફિલ્મ-અભિનેત્રી શ્રીદેવીબહેનના શનિવાર, તા. ૨૪મી ફેબ્રુઆરીએ મધરાતે કાર્ડિયાક અરેસ્ટથી દુબઈમાં ૫૪ વર્ષની વયે અવસાન થયાના સમાચાર દેશભરની ન્યૂઝચૅનલો અને મોબાઇલ વોટ્સએપમાં વહેતા થયા. ‘શ્રીદેવીબહેન’ એવું આદરપૂર્વક બહુવચન એટલા માટે વાપરું છું કે તે મારા કરતાં એક વર્ષ અને બે મહિના મોટાં હતાં. અભિનય-શક્તિની સ્વાનુભવબળે સમૃદ્ધિને જોતાં તે અનેક સમવયસ્ક અભિનેતાઓ-અભિનેત્રીઓ કરતાં પણ મોટાં હતાં.
લિટલસ્ટારથી સુપરસ્ટાર સુધી ફિલ્મે-ફિલ્મે વૈવિધ્યસભર ભૂમિકાને કારણે એમની ગતિનો આલેખ સતત પ્રગતિ તરફનો રહ્યો. ૧૯૬૩માં ૧૩મી ઑગસ્ટે તમિલનાડુના શિવાકાશીમાં જન્મેલાં શ્રીદેવીબહેનનું અસલ નામ શ્રીયમ્મા યંગર અયપ્યા હતું. ચાર વર્ષની ઉંમરે બાળકલાકાર તરીકે જે ફિલ્મમાં કામ કર્યું. તે અંગે જુદી-જુદી હકીકતો બહાર આવી છે. ક્યાં ય બાળકલાકાર તરીકે એમની તમિળ ફિલ્મ જયલલિતા સાથે ભગવાન મુરુગનની ભૂમિકાવાળી ‘થુનાઈવન’ પ્રથમ ફિલ્મ હોવાનો ઉલ્લેખ છે, તો ક્યાંક તમિળ ફિલ્મ ‘કંધન કરુણઈ’ એમની પ્રથમ ફિલ્મ હોવાનો તો ક્યાં ય વળી ‘થિરુમુગમ્’ ફિલ્મથી બાળકલાકાર તરીકે કારકિર્દી શરૂ કર્યાનો ઉલ્લેખ છે, એ તો જે હોય તે શ્રીદેવીબહેનને ચાર વર્ષની વહેલી વયે બાળકલાકાર તરીકે કામ કરવાના પ્રથમ પ્રયાસમાં જ ફિલ્મના નિષ્ણાતોને ભવિષ્યમાં એક પ્રતિભાવન કાબેલ અભિનેત્રી તરીકે આગળ આવવાના સંકેતો જણાયા હતા.
પ્રથમ ફિલ્મમાં જ સેટ પર કૅમેરા સામે આવીને ડરીને માતાના પાલવમાં સંતાઈ જતી આ બાલિકાને માતા તરફથી ડર્યા વિના હિંમત રાખીને દિગ્દર્શક જે સમજાવે, તે ધ્યાનથી સમજીને તે પ્રમાણે કામ કરવાની પ્રેરણા અને પ્રોત્સાહન પ્રાપ્ત થાય છે. પછી તો તે હિંમતપૂર્વક દિગ્દર્શકના કહ્યા પ્રમાણે બધું જ કરીને આખાયે શૂટિંગમાંથી હેમખેર પાર ઊતરે છે. જયલલિતા સાથેની આ ફિલ્મ ઉપરાંત બાળ – કલાકાર તરીકે એમની સાથે પછી બે તમિલ ફિલ્મો આવી. સ્કૂલમાં ભણવામાં તેજસ્વી હોવા છતાં ય આગળ ભણવાની સાથે ફિલ્મોમાં કામ શક્ય ન બનવાથી ફિલ્મ-અભિનયને જ સ્કૂલ તરીકે સ્વીકારીને અભિનયસાધના આગળ ધપાવે છે. ૧૧ વર્ષની ઉંમરે તમિળ ફિલ્મ ‘અનુરાગલુ’માં શ્રીદેવીબહેન અંધબાલિકાની ભૂમિકા અદા કરે છે. પછી તો તે તમિળ ઉપરાંત દક્ષિણ ભારતની તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાની ફિલ્મોમાં અનેક નામાંકિત કલાકારો, જે પોતાનાથીયે ઉંમરમાં ઘણા મોટા હતા એવા એન.ટી. રામારાવ, એમ.જી.આર. નાગેશ્વરરાવ, શિવાજી ગણેશન્ સાથે હિરોઇન તરીકે કામ કરીને તેઓના ફિલ્મ- અભિનયના બહોળા અનુભવનો ભરપૂર લાભ પામે છે.
સમાંતરે બાળકલાકાર તરીકે બાર વર્ષની ઉંમરે દક્ષિણ ભારતની ફિલ્મ – અભિનેત્રી લક્ષ્મી સાથે હિન્દી ફિલ્મ ‘જૂલી’માં ભૂમિકા અદા કરે છે. તે પછી ૧૯૭૮માં હિરોઇન તરીકેની પ્રથમ ફિલ્મ ‘સોલહવા સાવન’ નિષ્ફળ જવા છતાં ય જરા ય હિંમત હાર્યા વિના ૧૯૮૩માં પોતાનાથી ઘણી મોટી ઉંમરના ફિલ્મ-અભિનેતા જિતન્દ્ર સાથે ફિલ્મ ‘હિંમતવાલા’માં ભૂમિકા અદા કરતાની સાથે જ આ ફિલ્મને બેહદ સફળતા મળતાં આખાયે બોલિવૂડમાં તે છવાઈ જાય છે. પોતાનાથી વયસ્ક અન્ય નામાંકિત અભિનેતાઓ રિશી કપૂર, વિનોદખન્ના, અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘ચાંદની’, ‘ખુદાગવાહ’ અને પછી તો અનેક ફિલ્મોમાં કામ કરતાં કરતાં એની અભિનયકલાની કીમિયાગરીનો કસબ તે કક્ષા પહોંચ્યો કે ઉત્કૃષ્ટ કે નિકૃષ્ટ, ગંભીર કે હળવી કોઈ પણ પ્રકારની ભૂમિકા એના માટે સહજ Natural થઈ પડી. શૂટિંગ માટે સેટ પર પહોંચ્યા પછી કૅમેરાની લાઇટ્સ ઑન થતાંની સાથે જ શ્રીદેવીબહેનનો પોતાને મળેલ ભૂમિકામાં સહજ રીતે પ્રવેશ થઈ જતો. આ સંદર્ભે યશ ચોપરા શ્રીદેવીબહેનને એટલે જ and quote: A switch on and a switch off actress કહેતા હતા. કારણ કે જ્યારે એમને દૃશ્ય બતાવાય કે સમજાવાય ત્યારે તે શાંત રહેતાં જ્યારે ઍક્શન બોલવામાં આવે, તે સાથે જ જુદાં શ્રીદેવીબહેન દેખાતાં.
Perfectionનો દૃઢાગ્રહ અને કામ પ્રત્યેનો નિષ્ઠાભર્યો સમર્પણભાવ – Dedication શ્રીદેવીબહેનના કલાકાર તરીકેના વ્યક્તિત્વનાં વિલક્ષણ પાસાં હતાં. નૃત્યની પ્રસ્તુિત ફિલ્મનો એક ભાગ હોય કે ફિલ્મ સિવાયનો. અનેક દિવસો સુધી તે લાંબો સમય ફાળવીને નૃત્યનો રિયાઝ કરતાં અને આખીયે ટીમને કરાવતાં. આ રીતે વર્ષોથી સતત ઘૂંટાતા જતા રિયાઝને કારણે તે સારાં નૃત્યાંગના તરીકે પણ ઊભરી આવ્યાં.
ગમે તેવી શારીરિક કે માનસિક સ્થિતિ હોય કે અંગત જીવનમાં અચાનક આવી પડતાં દુઃખો હોય, જરા ય વિચલિત થયા વિના તે સ્વસ્થ રીતે દરેક ભૂમિકા અદા કરી શકતાં અને એને પૂરો ન્યાય આપતાં. ૧૦૩ ડિગ્રી તાવ હોવા છતાં ય એનાથી સદંતર બેપરવા રહીને એમણે ‘ચાલબાઝ’ ફિલ્મના એક ગીતનું શૂટિંગ ચાલુ રાખ્યું. ‘લમ્હેં’ના શૂટિંગ દરમિયાન પિતાશ્રીના અવસાનના સમાચાર મળતાં જ તે આઘાત જીરવીને લંડનથી ચાલુ શૂટિંગ અટકાવીને ભારત આવ્યાં અને પિતાશ્રીની અંતિમવિધિ પતાવીને તરત લંડન પાછા ફર્યાં પછી શૂટિંગનો દોર આગળ ચલાવ્યો.
આ ઘટના સૂચવે છે કે તે કુટુંબભાવનાને ખરા અર્થમાં જીવતાં લાગણીશીલ અભિનેત્રી હતાં. એટલે જ બોની કપૂર સાથે લગ્ન કર્યાં પછી ફિલ્મ ‘જુદાઈ’ રિલીઝ થયા પછી બે પુત્રીઓ જાહ્નવી અને ખુશીને જન્મ આપ્યા બાદ તેઓ બંનેનો સારી રીતે ઉછેર કરીને વાસ્તવિક જીવનમાં માતા તરીકેની કર્તવ્યનિષ્ઠા અદા કર્યા પછી, પુત્રી જાહ્નવીને ફિલ્મ – અભિનેત્રી તરીકે કેળવીને આગળ આવવા પ્રોત્સાહિત કરી. ત્યાર બાદ ૨૦૧૨માં શ્રીદેવીબહેન ‘ઇંગ્લિશવિંગ્લિશ’ ફિલ્મથી ફિલ્મ ક્ષેત્રે પુનરાગમન કરે છે. વ્યંઢળ જેવા જાતીય નબળાઈ ધરાવતા માણસોને મોટી આર્થિક સહાય પૂરી પાડતાં શ્રીદેવીબહેનની તેઓ પ્રત્યેની અનુકંપાશીલ માનવતા પણ એમના વ્યક્તિત્વના ઝળહળતા પાસાનો પરિચય આપે છે.
આવાં ગુણો કે જીવનમૂલ્યોને કારણે જ શ્રીદેવીબહેને એમની મોટા ભાગની તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને હિન્દી ફિલ્મોમાં ભારતીય સંસ્કૃિતના ગૌરવને ચમકાવતી નારી તરીકેની જ ભૂમિકા પસંદ કરી. આ રીતે એક પગ દક્ષિણ ભારતીય ફિલ્મોના પલ્લામાં તો બીજો પગ ઉત્તર ભારતીય ફિલ્મોના પલ્લામાં ગોઠવીને સમતોલન સાધ્યા બાદ લક્ષ્યવેધક સંઘર્ષ દ્વારા મહિલા સુપરસ્ટાર પદે પહોંચવું એ જ એમની અભિનય-આરાધનાની ઉત્તમ ફલશ્રુતિ છે.
હજી તો ગયા વર્ષે જ એમણે પોતાની અભિનેત્રી તરીકેની કારકિર્દીનાં ૫૦ વર્ષ વીત્યાનો ભવ્ય જશન મનાવ્યો હતો. પુત્રી જાહ્નવીની આવનારી પ્રથમ ફિલ્મ જોવાની હતી. એટલું જ નહીં શ્રીદેવીબહેનની અભિનય – પ્રતિભા આગામી વર્ષોમાં હોલિવૂડની સુવિખ્યાત ઍક્ટ્રેસ મેરલિન સ્ટ્રીપની સમકક્ષ વિકસે એવી સંભાવના હતી, પરંતુ બાળકલાકાર તરીકે નિર્દોષ સ્વપ્નિલ આંખોમાં અનેક રંગો સાથે ઉદય પામેલો સૂર્ય અભિનયનાં અજવાળાં પાથરતો પાથરતો સિદ્ધિઓના સ્વર્ણીમ સ્વપ્ન સાકાર કરતો ઉનાળો બેસતાંની સાથે જ અગમ્ય-અગોચર અવકાશમાં અચાનક પોતાના રંગો સંકેલીને અસ્ત પામશે, એવી કોને કલ્પના હતી? ‘ઝીરો’ તો એમની આવનારી કદાચ અંતિમ ફિલ્મનું નામ છે, પરંતુ અસંખ્ય ઝીરો આગળ એક અને એથી બનતી મોટી સંખ્યામાંના પણ એક અને અદ્વિતીય એવાં શ્રીદેવીબહેનનો પ્રદીપ્ત પ્રતાપ હવે ટી.વી. અને મોબાઇલના રંગીન સ્ક્રીન પર સ્વિચ ઑન કરતાં જ ચિરંજીવ રહેશે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2018; પૃ. 12-13