આપણને એક એવા સમાજની જરૂર છે જ્યાં સેક્સ ઇજા ન પહોંચાડે અને સત્તા શોષણ ન કરે, પણ પિતૃસત્તાક સમાજમાં આવું શક્ય થઇ શકે?

દિલ્હીની જ્યોતીને મળ્યું હતું નિર્ભયા નામ, અને હવે હાથરસની મનીષાનું નામ ચર્ચાઇ રહ્યું છે. બળાત્કાર છે કે બળાત્કાર નથી? ઉત્તર પ્રદેશની પોલીસ જે રીતે આખો મામલો સંભાળે છે એ જોતાં લાગે છે કે ‘કાયદો અને વ્યવસ્થા’નાં અગ્નિસંસ્કાર એવી રીતે થયા છે, જાણે એમાં કાળું ચકલું ય નહોતું ફરક્યું એમ લાગે. રાજકારણ હોય, જાતિવાદ હોય કે કુટુંબનો વિખવાદ હોય વાસ્તવિકતા એ છે કે એક જુવાનજોધ છોકરી રાખ થઇ ગઇ. વાત ઉત્તર પ્રદેશના કેસની કે નિર્ભયા સાથેની સરખામણીને કે સરકાર તરફી કે વિરોધીઓનાં ઘોંઘાટની કરવાની જ નથી. વાત છે ક્રૂરતા, દ્વેષ, સત્તા, શોષણ તમામનો ભોગ બનનારી સ્ત્રીની યોનીની … રવિવારની સવારે ચિંતાઓ નેવે મુકવાની હોય, ત્યારે આવું શું વાંચવાનું એવું ય તમને લાગી શકે છે પણ જે સાફસૂથરો શબ્દ વાંચીને નાકનું ટીચકું ચઢી ગયું હશે, એ માત્ર શબ્દ નથી, શરીર છે એને ય કંઇ કહેવું હોય એમ બની શકે છે. એક પ્રયત્ન કરીએ, કદાચ કંઇ જાણી શકાય.
“પહેલાં મને નિર્ભયાને નામે ચર્ચવામાં આવી અને હવે મનીષાનું રટણ લીધું છે. નામ ગમે તે આપે, હું બધી સ્ત્રીઓમાં છું, એક સરખી. ધનાઢ્ય ઉદ્યોગપતિની દીકરીને પણ અને રસ્તે રઝળતી બાઇમાં પણ, ફુલન દેવીમાં પણ અને ડૉ. પ્રિયંકા રેડ્ડીના શરીરમાં પણ .. ગામડામાં તો અમને જાગીર ગણાય છે, જેને જેમ મન ફાવે તેમ એમાં પાછા જાતને આધારે કેટલાં ચુંથાઇશું એ ય બધા જાતે જ નક્કી કરી લેતા હોય. આમ તો મને ચિત્ર-વિચિત્ર નામોથી બોલાવાય છે, બોલાવાય છે નહીં ભાંડવામાં આવે છે, જેથી બીજાને નીચા દેખાડી શકાય. બીજી તરફ ઘરની આબરુ સાચવવાની જવાબદારી પણ મારી. આ તે કેવો વિરોધાભાસ? હશે! મારી સાથે ચેડાં કરીને કે મને ઇજા પહોંચાડીને પુરુષ પોતાની સત્તા સાબિત કરે છે એ વિકૃતિ બદલાશે ખરી? શરીર સંબંધ એ સત્તાનો દેખાડો છે, અથવા તો જાતીય શોષણ એ સત્તા સાબિત કરવાનું એક બેહૂદું હથિયાર છે એવું સાંભળ્યું છે, જાણ્યું છે. એટલે જ કદાચ મંટોની વાર્તાઓમાં જેને માથે ઝનૂન ધૂણતું હતું તેવા પાત્રો મારી સાથે બળાત્કાર કરી શક્યા, સબંધ બાંધી શક્યા. વાર્તાઓ જ છે એમ રખે માની લેતા કારણ કે જે લખાય, બતાડાય એ બધું જ અંતે તો સમાજનું જ પ્રતિબિંબ હોય છે.
“આ મી ટૂ મુવમેન્ટ ચાલી હતી એમાં શું હતું? જેની પાસે સત્તા હતી એની ડાર્ક સાઇડને પોષવા એમણે મારો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો. સત્તા એ લોકો પાસે જ હોય છે જે તેનો દુરુપયોગ કરી જાણતા હોય છે, છીનવી લેવાય તો જ ખરો પાવર કહેવાય, ખરું બળ દેખાડાયું એમ કહેવાય. અસંતુલિત સત્તા એટલે બળનો દેખાડો કરવા હેરાનગતિ કરાય એવું માની બેઠેલા માણસો. હું માણસના શરીરનું અંગ છું પણ મારી સાથે માણસાઇ દર્શાવવી જોઇએ એવું કોઇને ય લાગતું નથી. કેમ? મારી સાથે બળજબરી થાય, અને મને ફાવે એ રીતે લોહીલુહાણ કરી દેવાય અને પછી મારી શી વલે થઇ રહી છે, મને શું પીડા થઇ રહી છે એ બધું ય બાજુમાં રહી જાય અને આસપાસ એવા ઘોંઘાટ ઊઠે તેમાંથી કોઇ નિષ્કર્ષ પણ ન આવે અને અંતે હું સાવ કરમાઇને મરી જાઉં, સળગાવી દેવાય મને, મારો ખાત્મો બોલાવી દેવાય. મારી પીડાની ટીસ કોઇના ય કાને નથી પડતી. મારી સાથે થતી જાતીય હિંસા કરનારાઓને પાશવી આનંદ તો એ વાતનો મળે છે કે હું મારા ઘા પર માથું ઊંચું રાખીને મલમ પટ્ટા કરાવવા નહીં જાઉં. મારા લોહીના ટશિયા જોઇને કોઇ એમ નહીં પૂછે કે અરે શું વાગ્યું? મટી જશે, હં એવું ય કોઇ નથી કહેવાનું, બસ વાતો થશે, ડિબેટ થશે કે કેવી રીતે મને ઇજા કરાઇ, કેટલી કરાઇ, ક્યાં ક્યાં કરાઇ વગેરે અને મારા તો ઘા ના પણ ધજાગરા ઉડાડી દેવાશે.
“મારા જેવી તો આપણા દેશમાં રોજની ૮૭ ઘવાય છે અને હણાય છે. રમખાણ જેવું થાય તો ય ખુલ્લી તલવાર હાથમાં લઇને દોડતા માણસનું પાશેર લોહી મને ગોદા મારવા ખળભળી જ ઊઠે. મને નથી ખબર આ બોલવાનો કંઇ અર્થ વળશે ખરો? મારો વાંક કાઢવાને બદલે, જે મને બેહાલ કરે છે એને કોઇ કશું શીખવશે ખરું? દર મહિને લોહી વહેવડાવવું, શૃંગાર રસની મહેક બનવું, બાળકને જન્મ આપવું આ બધું મારે માટે સાહજિક છે પણ તમને બધાને એ સાહજિકતાઓ કરતાં તમારા મનની બેહુદગીઓ સંતોષવી છે. મને ત્રાસ, રોષ, જુગુપ્સાની લાગણીઓ મળશે અને પછી ભેટમાં મળશે નિરર્થક ચર્ચાઓ, ઘોંઘાટ, કાવાદાવા અને રાજકારણ, ફાંસીના માંચડા. ફરી એકવાર મારા આત્માનો અગ્નિસંસ્કાર થશે.”

યોની સ્ત્રીની ઓળખ છે, તેના વતી વાત કરવા ચાહે તો કદાચ આમ જ કંઇક કહેશે. ભારતમાં બળાત્કાર, સ્ત્રી સાથેની હિંસાની ખબર, અફવા, સાચું-ખોટું બધાંનો કોલાહલ ચાલ્યો છે. જો કે નિર્દયતા બધે સરખી જ હોય છે કારણ કે જે દેશોમાં સૌથી વધુ બળાત્કાર થાય છે તેમાં સાઉથ આફ્રિકા, બોત્સવાના, લેસોથો, સ્વાઝિલેન્ડ, બરમ્યુડા, સ્વિડન, સુરીનેમ, કોસ્ટા રિકા, નિકારાગુઆ અને ગ્રેનેડા એમ આ દસ દેશોનો સમાવેશ થાય છે. જો કે સ્ત્રીઓ માટે સાધારણ રીતે જોખમી ગણાતા દેશમાં ભારત, અફઘાનિસ્તાન, સીરિયા, સોમાલિયા, પાકિસ્તાન જેવા દેશ પણ છે. હા બધે બધું જ થાય છે, કાગડા બધે જ કાળા પણ એટલે શું આ હિંસા માન્ય રાખવાની? સેક્સ, સત્તા, વાડાબંધી, વાસના આ બધાંનો ઉકરડો સેકરેડ ગેઇમ્સ વેબ સિરીઝમાં ગાયતોંડેએ સળગાવી નાખેલા ડમ્પયાર્ડની જેમ વિસ્તરતો જ રહેશે? આપણને એક એવા સમાજની જરૂર છે જ્યાં સેક્સ ઇજા ન પહોંચાડે અને સત્તા શોષણ ન કરે, પણ પિતૃસત્તાક સમાજમાં આવું શક્ય થઇ શકે?
બાય ધી વેઃ
કોઇ તારણને બદલે પ્રશ્નાર્થ પર લેખ પૂરો થાય તો કંઇક ખૂંચે પણ શું થાય આ પ્રશ્નો જ એવા છે જેના જવાબો મળતા જ નથી. માત્ર આઘાત મળે છે. બળાત્કારીઓને ફાંસીને માંચડે હજી તો ફેબ્રુઆરીમાં જ લટકાવાયા હતા પણ તો ય બીજી એક ઘટના ઘટી. હા ફોરેન્સિક રિપોર્ટ અનુસાર એમાં ગેંગરેપ નહોતો એવા સમાચાર આવ્યા છે, પણ એટલે શું ક્રૂરતાથી થયેલી હત્યા પણ ચલાવી લેવી જોઇએ? ઝીણો લોટ ચાળવાની ચારણીની જાળીમાં જેવું ધ્રુવીકરણ હોય એવું આપણા સમાજના બંધારણમાં છે. એક આખી પેઢી ગુનાને સમાજનો સ્વાભાવિક હિસ્સો સમજીને ઉછરી રહી છે જે ભયજનક છે. ઇન્ફર્મેશન ઓવરલોડના વખતમાં આ સારું છે એ શીખવવા કરતાં આ ખોટું છે આનાથી દૂર રહેવુંની શિખામણ વધુ આપવી પડે છે. ખરાબથી બચવામાં, બદી સમજવામાં સારપ સરી જાય છે જે અંગે વહેલાસર ચેતવું જરૂરી છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 ઑક્ટોબર 2020
![]()


બહુ દૂરની ઘટના નથી. આ દેશની જાગતી પ્રજાએ એ સમયના ભારતના રાષ્ટ્રપતિના પુત્ર પાસે માફી મગાવી હતી. ૨૦૧૨ના ડિસેમ્બર મહિનામાં દિલ્હીમાં નિર્ભયા ઉપર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો અને છેવટે તેણે પ્રાણ ગુમાવ્યા એના વિરોધમાં દિલ્હીમાં અને દેશભરમાં પ્રચંડ આદોલન થયું હતું. લોકો રસ્તા ઉપર ઊતરી આવ્યા હતા અને નિર્ભયાને ન્યાય મળે એવી માગણી કરતા હતા. આંદોલનમાં મહિલાઓ અગ્રેસર હતી. એ આંદોલનકારી મહિલાઓ વિશે એ સમયના દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અને કૉન્ગ્રેસના નેતા અભિજિત મુખર્જીએ મજાક કરતાં કહ્યું હતું કે ‘ડેન્ટેડ એન્ડ પેઇન્ટેડ વિમેન’નું આ આંદોલન છે. ‘ડેન્ટેડ એન્ડ પેઇન્ટેડ’નો અર્થ એ કે આંદોલન કરનારી મહિલાઓ મેકઅપ કરીને પોતાના ચહેરા ઉપરના ખાડા અને કરચલીઓ ઢાંકનારી ખાતીપીતી મહિલાઓ છે.
વિષયને સંદર્ભે વાત કરીએ તો દરેક મોટા વિચારકની બાબતમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે એમના વિચારો જે તે દેશ અને કાળની પરિસ્થિતિ જોઇને, સમય સંજોગો અનુસાર તે સમસ્યાઓના ઉકેલ માટે તેમણે રજૂ કર્યા હોય છે. આમ છતાં કેટલાક મહાન તત્ત્વચિંતકો, વિચારકો કે મહાપુરુષોના વિચારો અને ઉપદેશમાં એવાં સર્વકાલીન, સનાતન તત્ત્વો હોય છે જે દેશ પ્રદેશ કે સમયની સીમાઓ અતિક્રમીને સઘળી માનવજાત માટે પથદર્શક બને છે. ગાંધીવિચાર એક આવો વિચાર છે. સત્ય, અહિંસા, અપરિગ્રહ, સ્વાવલંબન, સ્વદેશી, સ્વાર્થત્યાગ અને સર્વધર્મ સમભાવ જેવા જેવા અગિયાર ગાંધીવ્રતોમાં વિશ્વની સઘળી સમસ્યાઓનો ઉત્તર પડેલો છે. સ્વાર્થ અને સંકીર્ણતા બાજુ પર મૂકી દેશવાસીઓ ગાંધીના અગિયાર વ્રતોનું પાલન પોતાના જીવનમાં કરે તો મોટા ભાગની સમસ્યાઓનો અંત આવી જાય. ભારત જેવા વિશાળ દેશમાં ગરીબી, બેકારી, ભ્રષ્ટાચાર, જાતિવાદ, કોમવાદ, અસ્પૃશ્યતા, નકસલવાદ અને આતંકવાદ જેવી અનેક સમસ્યાઓ છે. જે પૈકીની મોટા ભાગની સમસ્યાઓનું મૂળ સત્ય અને નૈતિકતાના અભાવમાં પડેલું છે.
ગાંધીજી જગતના મહાન આર્થિક સુધારક છે. તેમણે કદી રાજનીતિ, સમાજશાસ્ત્ર કે અર્થશાસ્ત્રનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો નહોતો. મિલ, માર્શલ કે એડમ સ્મિથ જેવા કોઈ અર્થશાસ્ત્રીને તેમણે વાંચ્યા નહોતા. હા રસ્કિનના અર્થશાસ્ત્રના વિચારોથી તેઓ પ્રભાવિત હતા. ગાંધીજીને મન નીતિ, પ્રામાણિકતા અને સ્વદેશીતા ભારતીય અર્થશાસ્ત્રને માટે પ્રાણરૂપ છે. તેઓ કહે છે કે, ‘મારે કબૂલ કરવું જોઈએ કે અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર વચ્ચે હું ભેદ પાડતો નથી, જે અર્થશાસ્ત્ર વ્યક્તિ અથવા પ્રજાના હિતને ઈજા કરે તે નીતિવિરુદ્ધ હોઈ પાપ છે, તેથી એક દેશને હાથે બીજા દેશને કચડવા સારું અર્થશાસ્ત્રનો પ્રયોગ થાય તેને હું અનીતિ ગણું છું.’ (‘નવજીવન’ ૨૧/૧૦/૧૯૨૧)
ગાંધી જેવા મહામાનવને લોકોએ ખુરશી સુધી પહોંચવાનો રસ્તો બનાવી દીધો છે. રાજનીતિનાં ગાંધીમૂલ્યોનો દિનપ્રતિદિન હ્રાસ થઇ રહ્યો છે. મહાત્મા ગાંધીએ જીવનના દરેક ક્ષેત્રમાં સાધનશુદ્ધિનો આગ્રહ રાખ્યો હતો. કેવળ સાધ્ય સારું હોય એ પૂરતું નથી, એ સિદ્ધ કરવા તાગતાં સાધનો અથવા પદ્ધતિ પણ એટલાં જ શુદ્ધ અને ઉન્નત હોવાં જોઈએ. આજે સાધનશુદ્ધિની વાતનો તો છેદ ઊડી ગયેલો જણાય છે. રાજનીતિમાં દરેક સાથીને પ્રતિસ્પર્ધી કે શત્રુ સમજવાને બદલે મિત્ર સમજવાનો આગ્રહ ગાંધીજી રાખે છે. આજના ભૌતિકતાવાદી યુગની, શામ, દામ, દંડ, ભેદની રાજનીતિ અને મૂલ્યહ્રાસના સમયમાં રાજનેતાઓ માત્ર પરિણામલક્ષી બની ગયા છે. કટોકટીના આવા કાળમાં ગાંધીજીનો સાધનશુદ્ધિનો વિચાર રાજનીતિના શુદ્ધિકરણ માટે ખૂબ મહત્ત્વનો પુરવાર થાય એમ છે. તેમનો સ્પષ્ટ સંદેશ છે કે – 'તમે બીજા પાસેથી જેવા વર્તાવની અપેક્ષા રાખો છો, તેવી જ રીતે બીજાની સાથે તમે વર્તો'. વિવિધ સંગઠનો અને રાજકીય પાર્ટીઓ દ્વારા છાશવારે થતા આંદોલનો, એમાં થતી હિંસા અને હુલ્લડોને 'ગાંધી ચિંધ્યા માર્ગ'નું નામ આપી આપણે ગાંધીને અપમાનિત કરી રહ્યા છીએ.