'પ્યારકી રાહ દીખા દુનિયા કો, જો રોકે નફરતકી આંધી;
ઈનમેં સે હી કોઈ ગૌતમ હોગા, ઈનમેં સે હી હોગા ગાંધી.
સમગ્ર વિશ્વએ જેમના વિચારોનો સ્વીકાર કરીને, એમના જન્મદિનને 'વિશ્વ અહિંસા દિન’ (International Non-violence Day) તરીકે ઉજવવાનું નક્કી કર્યું. કારણ એ હતું કે સાંપ્રત અને ભાવિ વિશ્વની શાંતિ, સમૃદ્ધિ અને સલામતી, મહાત્મા ગાંધીના વિચારોમાં પડેલી છે. Man of milleniumનું બિરુદ પામેલા મહામાનવ મહાત્મા ગાંધી વિચારપુરુષ હતા. તેમના ક્રાંતિકારી વિચારો અને સિદ્ધાંતો આજે પણ માત્ર આપણીજ નહિ પણ … સમગ્ર વિશ્વની સમસ્યાઓમાં માર્ગદર્શક બનીને આપણને દોરે છે. એમનું જીવન જ આપણે માટે સંદેશરૂપ છે. ગાંધીજીનું સાહિત્ય, એમનો અક્ષરદેહ વાંચીએ તો આપણને ચોક્કસ કોઈક રસ્તો તો મળે જ મળે. ગાંધી વિચાર જ આપણી સમસ્યાઓનું સમાધાન છે. એક શાયરના શબ્દોમાં કહીએ તો –
'ફૂર્સત મીલે તો મુજે પઢના જરૂર,
મૈ તુમ્હારી હર ઉલ્ઝન કા મુકમ્મલ જવાબ હું'
પરંતુ આપણે …. આપણે તો હજુ આજે ય એક પ્રજા તરીકે ગાંધીજીની પ્રસ્તુતતા – અપ્રસ્તુતતાની ચર્ચામાં રચ્યા પચ્યા રહીએ છીએ. ગાંધીજી વિશેની વ્યાપક ગેરસમજોનો ભોગ બની એમના વિચારો પ્રત્યે દુર્લક્ષ સેવીએ છીએ, આજે દરેક શહેરમાં ગાંધીમાર્ગ છે પણ …. એ માર્ગે ચાલનારા કેટલા ? એ પ્રશ્ન છે.
વિષયને સંદર્ભે વાત કરીએ તો દરેક મોટા વિચારકની બાબતમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે એમના વિચારો જે તે દેશ અને કાળની પરિસ્થિતિ જોઇને, સમય સંજોગો અનુસાર તે સમસ્યાઓના ઉકેલ માટે તેમણે રજૂ કર્યા હોય છે. આમ છતાં કેટલાક મહાન તત્ત્વચિંતકો, વિચારકો કે મહાપુરુષોના વિચારો અને ઉપદેશમાં એવાં સર્વકાલીન, સનાતન તત્ત્વો હોય છે જે દેશ પ્રદેશ કે સમયની સીમાઓ અતિક્રમીને સઘળી માનવજાત માટે પથદર્શક બને છે. ગાંધીવિચાર એક આવો વિચાર છે. સત્ય, અહિંસા, અપરિગ્રહ, સ્વાવલંબન, સ્વદેશી, સ્વાર્થત્યાગ અને સર્વધર્મ સમભાવ જેવા જેવા અગિયાર ગાંધીવ્રતોમાં વિશ્વની સઘળી સમસ્યાઓનો ઉત્તર પડેલો છે. સ્વાર્થ અને સંકીર્ણતા બાજુ પર મૂકી દેશવાસીઓ ગાંધીના અગિયાર વ્રતોનું પાલન પોતાના જીવનમાં કરે તો મોટા ભાગની સમસ્યાઓનો અંત આવી જાય. ભારત જેવા વિશાળ દેશમાં ગરીબી, બેકારી, ભ્રષ્ટાચાર, જાતિવાદ, કોમવાદ, અસ્પૃશ્યતા, નકસલવાદ અને આતંકવાદ જેવી અનેક સમસ્યાઓ છે. જે પૈકીની મોટા ભાગની સમસ્યાઓનું મૂળ સત્ય અને નૈતિકતાના અભાવમાં પડેલું છે.
યુદ્ધ અને અણુશાસ્ત્રોના બળે શાંતિ સ્થાપવા મથનાર દુનિયાની મહાસત્તાઓ હારી થાકીને ગાંધીને શરણે આવી ચૂકી છે. સત્ય, અહિંસા અને સત્યાગ્રહનું ગાંધીદર્શન જ વિશ્વશાંતિનું આર્ષ-દર્શન છે. એક ભારતીય તરીકે આપણે જાણે કસ્તૂરીની શોધમાં ભટકતા મૃગ જેવા છીએ !! ગાંધીજી સમસ્યાને પોતાનાં ચશ્માંના બે કાચ ૧, માઈક્રોસ્કોપિક અને ૨, ટેલિસ્કોપિક રીતે જુએ છે અને પછી તેનું સૂક્ષ્મતાપૂર્વકનું ઝીણવટભર્યું અવલોકન કરે છે એટલું જ નહિ પરંતુ તેની દૂરગામી અસરો તપાસી સમસ્યાનો ઈલાજ કરે છે. 'હિન્દ સ્વરાજ' જેવી નાનકડી પુસ્તિકામાં એમનું દર્શન જોઈ શકાય છે. હિન્દુસ્તાનની સમૃદ્ધિ અને સલામતીનો રોડ મેપ છે 'હિન્દ સ્વરાજ'. ભારતની સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને જાતીય સમસ્યાઓનું નિદાન અને નિરાકરણ એક નિષ્ણાત વૈધની અદાથી મહાત્માએ દેશની નાડી તપાસ દ્વારા કર્યું છે. વાંચો આ પુસ્તિકાને, શું તેમાં મારી તમારી, આ દેશની સમસ્યાનું નિરાકરણ પડ્યું નથી ? પણ આપણે તો અંધની જેમ અંધારે ફાંફા અને ફાંકા મારીએ છીએ ! આપણી સમસ્યાઓનો ઉકેલ છે આ ગાંધી વિચાર.
૧. વ્યક્તિગત સમસ્યાઓ –
'સીને મેં જલન, આંખોમે તુફાન સા ક્યું હૈ
ઇસ શહરમેં હર શખ્શ પરેશાન સા કયું હૈ'
સાંપ્રત સમયમાં જીવતો આજનો કહેવાતો આધુનિક માણસ તાણ, તણાવ, હતાશા, નિરાશા અને ડિપ્રેશનનો ભોગ બની રહ્યો છે. દિશાવિહીન અને ઉદ્દેશવિહીન જીવન જીવતા લોકોને ગાંધીજીનો પ્રાર્થનાનો વિચાર, ઉપવાસનો વિચાર શાતા આપી શકે. વિશ્વના દરેક માનવી માટે ઉપરોક્ત સમસ્યામાંથી મુક્ત થઇ આત્મસાક્ષાત્કાર કરવાનો ઉપાય પ્રાર્થના અને ઉપવાસ છે. અસમંજસ અને અશાંતિની આંધી સામે પ્રાર્થના માણસનું આત્મિક ઓજાર છે. આજના સમયથી ત્રસ્ત માણસ માટે ગાંધીજી પોતે ઉદાહરણ બને છે. તેઓ ગીતામાંથી આ પાઠ શીખ્યા છે. માણસના અંતરમનમાં સદ્દ અને અસદ્દ વચ્ચે હંમેશાં યુદ્ધ ચાલ્યા કરે છે. જ્યાં સુધી કુરુક્ષેત્ર હૃદયસ્થ ન બને ત્યાં સુધી તે ધર્મક્ષેત્ર બનતું નથી. ગીતાના સ્થિતપ્રજ્ઞને પોતાનો આદર્શ પુરુષ માની ગાંધીજી તે પ્રમાણે પોતાને ઢાળવાની સાધના કરે છે. આપણે જો આ કરી શકીએ તો આજની મૂંઝાતી, અકળાતી, ક્લેશ પામતી વ્યક્તિને જરૂર આ સમસ્યામાંથી મુક્તિ મળે. પ્રકૃતિને ખોળે ઉત્પાદક પરિશ્રમ કરવાથી વ્યક્તિને નવી ઊર્જા પ્રાપ્ત થાય. 'નઈ તાલીમ'નું એમનું સ્વપ્ન વ્યક્તિને શારીરિક, માનસિક અને સાંવેગિક રીતે વિકાસ સાધવામાં ઉપયોગી નીવડે.
૨. સામાજિક સમસ્યાઓ –
મનુષ્યનાં સામાજિક જીવનને લક્ષમાં લઇ જેટલી સૂક્ષ્મતાથી, ઊંડાણથી અને વ્યાપક રીતે મહાત્મા ગાંધીએ વિચાર કર્યો હતો એટલો તે પહેલાંના બીજા કોઈ માણસે ભાગ્યે જ કર્યો હશે. એમની સૂક્ષ્મ અવલોકન શક્તિએ અનેક પ્રકારનાં સામાજિક દૂષણો, ભેદભાવો અને દૃઢ માન્યતાઓને પારખવામાં ખૂબ મદદ કરી હતી અને એ બધા સામે તેઓ આત્મબળથી ઝૂઝ્યા હતા. કોઈ પણ વિષય એવો નહોતો રહ્યો કે જે એમના ધ્યાન બહાર ગયો હોય.
દેશ અને દુનિયામાં સામાજિક ક્ષેત્રે પ્રવર્તતી જાતિ, જ્ઞાતિ ભેદ, સંપ્રદાય, વર્ગ અને વર્ણભેદ જેવી સમસ્યાઓ અને તેમાંથી ઉત્પન્ન થતી અસમાનતા, અસ્પૃશ્યતા, અન્યાય, અત્યાચાર અને શોષણ તથા ધાર્મિક કટ્ટરતા જેવી વિકરાળ સમસ્યાઓ સામે ગાંધીજીના સમત્વ, બંધુત્વ અને સ્વતંત્રતા જેવા સિદ્ધાંતોમાંથી પ્રગટતો સર્વધર્મ સમભાવ, અસ્પૃશ્યતા નિવારણ, અહિંસા અને વિશ્વકુટુંબનો વિચાર આ સઘળી સમસ્યાઓનો ઉપાય છે. મહાત્મા ગાંધી એ માત્ર ઉપદેશક નથી પરંતુ પોતાના જીવનમાં એનો પ્રયોગ કરનાર કર્મવીર પણ છે. ગાંધીજીએ પોતે દેશના ગરીબ સમાજ સાથે તાદાત્મ્ય અને સમભાવ સાધવા તેમને દરિદ્રનારાયણ કહી, એમનામાં ભગવાનના દર્શન કર્યા. દેશના ગરીબવર્ગ સાથેની નિસ્બતને કારણે તેઓ શરીરે માત્ર પોતડી ધારણ કરે છે. દેશની ગરીબાઈ અને આબોહવાને અનુકૂળ સાદા, સરળ, સસ્તા અને સ્વચ્છ પોશાકની હિમાયત કરી. લગ્ન, વૈધવ્ય, બાળવિવાહ, પડદાપ્રથા, દેવદાસી અને સ્ત્રી શિક્ષણ જેવા પ્રશ્નો વિશે ગંભીરતાથી કામ કર્યું. બાળલગ્નને તેઓ વ્યભિચાર કરતાં વધુ દોષિત ગણે છે. નીતિવાદના આગ્રહી મહાત્માએ બ્રહ્મચર્ય, સંતતિ નિયમન, નૈતિક અધ:પતન વિશે સામાજિક દ્રષ્ટિકોણથી વિચાર્યું.
ગાંધીજીએ આપણા સમાજો અને દેશના રાજ્યોમાં રહેલી માળખાગત હિંસા વિશે રાતી આંખ કરેલી, એટલુંજ નહિ એકથી વધારે વાર એનો મુકાબલો કરવા પોતાનું જીવન હોમી દેવાની તૈયારી પણ દેખાડેલી. બસ, આટલી સમર્પણની ભાવના સાથે આપણે સૌ પ્રયત્ન કરીએ તો આવી સામાજિક સમસ્યાઓનું સમાધાન હાથવેંતમાં હશે. સંકીર્ણ રાષ્ટ્રવાદની સામે તેમણે 'वसुधैव वसुधैव कुटुंबकम'ની ઉદ્દાત ભાવનાનો આદર્શ રાખ્યો. ઉમાશંકર જોશી ગાંધીવિચારનો પડઘો 'વિશ્વશાંતિ' કાવ્યમાં આ રીતે પાડે છે. – 'વ્યક્તિ મટીને બનું વિશ્વ માનવી' આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તતી યુદ્ધ અને યુદ્ધની પરિસ્થિતિઓનું નિવારણ ગાંધીની આ આર્યભાવનામાં છે. સંયુક્ત રાષ્ટ્રસંઘને મોડે મોડે આ વાત સમજાઈ એ આનંદની વાત છે.
૩. પ્રકૃતિ, પર્યાવરણ અને આરોગ્ય સંબંધી સમસ્યાઓ –
દેશ અને દુનિયા પર આજે સૌથી વધુ ખતરો પર્યાવરણનાં પ્રદૂષણનો છે. જમીન, હવા, પાણી, અવાજ અને અવકાશ જેવા પ્રકૃતિના તત્ત્વોનું પ્રદૂષણ પૃથ્વી માટે વિનાશક ખતરો બનીને તોળાઈ રહ્યું છે. પૃથ્વી ગ્લોબલ વોર્મિંગને કારણે ઉકળતો આગનો ગોળો બની ચૂકી છે. તેવા સમયે મહાત્મા ગાંધીના વિચારો અને આર્ષદર્શનમાં આ સમસ્યાનો ઉકેલ દેખાઈ રહ્યો છે. આર્ષદૃષ્ટા ગાંધીજીએ પોતાના આશ્રમો અને વિદ્યાપીઠો પ્રકૃતિની ગોદમાં શરૂ કર્યા. પર્યાવરણ અંગે તેઓ હંમેશાં ચિંતિત હતા. એક વાર યરવડા જેલમાં કાકાસાહેબ, ગાંધીજી માટે દાતણ લાવવા લીમડાની એક આખી ડાળખી તોડી લાવ્યા ત્યારે ગાંધીજીએ એમને ટકોર કરી કે – 'એક વેંતના દાતણ કરતાં વધારે મોટી ડાળખી તોડવાનો આપણને કોણે અધિકાર આપ્યો ?' રસ્કિનનું પુસ્તક વાંચી ફિનિક્સના વગડામાં વસાહત કરનાર ગાંધીએ હાથમાં કોદાળી લઇ ખેતી કરવા માંડી ત્યારથી તેઓ – माता भूमि:पुत्रोऽहंम पृथिव्यां :' (માતા ભૂમિ અને હું પૃથ્વીનો પુત્ર) એ સમજતા જ નહિ માણતા થયા. આધુનિક સમયમાં પર્યાવરણના પ્રશ્નો વકરવાનું કારણ પૃથ્વીને માતા તરીકે ન જોતાં શોષણના સાધન તરીકે જોનાર આપણી સ્વાર્થી વૃત્તિ છે. વહી જતી નદીમાંથી જરૂર પૂરતું જળ (માત્ર લોટી જ) વાપરતા અને કહેતા કે નદી એમના એકલા માટે નથી માછલી અને કાચબાઓ માટે પણ છે. આજની દુનિયાનો બીજો એક મોટો પ્રશ્ન કુદરતી સંપતિના બેફામ ઉપયોગ અને બગાડનો છે. ગાંધીજી કાંતતી વખતે સૂતરના ડૂચાનો પણ બગાડ ન કરતા, તેનાથી ફાટેલાં કપડાંને થીંગડા મારતા કે રફુ કરતા. કુદરતી સંપત્તિનો કરકસરપૂર્વકનો ઉપયોગ કે ઓછામાં ઓછો બગાડ પણ પર્યાવરણનું સંવર્ધન જ છે.
છેલ્લાં સો વર્ષોમાં ઉદ્યોગો અને ટેકનોલોજીના વિકાસે પૃથ્વીનું જે છેદન કર્યું છે, એના પેટાળમાંથી લાખો વર્ષનાં દટાયેલા, કોલસા, પેટ્રોલિયમ જેવાં ખનીજતત્ત્વોનું જેટલી ઝડપથી દોહન કર્યું છે, તેટલી ઝડપથી અગાઉનાં હજારો વર્ષોમાં નથી થયું. ગાંધીજી આ વિશે ચિંતિત હતા; તેઓ કહેતા કે આ જથ્થો ખૂટી જશે ત્યારે ?
મોટા શહેરોની વસતી અને સ્વચ્છતાના પ્રશ્નો આજે પણ સમસ્યા બનીને ઊભા છે ત્યારે, તેમની સ્વયં શિસ્ત અને સ્વયં સફાઈ આપણે માટે સંદેશ છે. ગાંધીજીની જન્મ જયંતીના દોઢસોમાં વર્ષે ૨૦૧૯માં પણ 'સ્વચ્છતા અભિયાન' ચલાવવું પડે એ ગાંધીના દેશની કમનસીબી છે. વ્યક્તિ પોતાની અને પોતાનાં પર્યાવરણની સ્વચ્છતા જાળવે તોયે કઈંક અંશે સ્વચ્છતા જળવાય. ગાંધીજીએ પોતાના જીવનકર્મ દ્વારા આપણને આ પાઠ ભણાવ્યો અને કહ્યું કે – 'મારું જીવન એ જ મારો સંદેશ'.
– આરોગ્ય વિષયક વિચારો –
આરોગ્ય અને આહાર વિશે ગાંધીજીનો અભ્યાસ ઘણો ઊંડો હતો. શરીરશાસ્ત્ર અને આરોગ્ય વિષયક અનેક પુસ્તકો વાંચીને આ અંગે તેમણે સૂક્ષ્મજ્ઞાન મેળવ્યું હતું. રોગનાં મૂળને દૂર કરવા અને કુદરતી જીવન જીવવા પર ગાંધીજીએ ભાર મુક્યો હતો. આજના ગ્લોબલ વોર્મિંગ અને જળ વાયુ પરિવર્તનના પ્રદૂષિત યુગને સંદર્ભે જોઈએ તો ગાંધી કેટલા સાચા જણાય છે. તેઓ શુદ્ધ હવાને સ્વાસ્થ્ય સાથે જોડી સેંકડે નવ્વાણું ટકાથી વધુ માંદગીનું કારણ ખરાબ હવાને ગણે છે. પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની સલાહ ગાંધીજીએ વર્ષો પહેલાં આપી હતી. નરમ (soft) અને કઠણ (Hard) પાણીના ભેદ દર્શાવી, પાણીનું પ્રદૂષણ રોકવાની હિમાયત કરી. ખોરાક સંદર્ભે મહાત્મા ગાંધી કહે છે કે, લાખમાંથી નવાણું હજાર નવસો નવાણું માણસો તો સ્વાદને ખાતર ખાય છે, પછી તેઓ માંદા પડે કે સાજા રહે તેની દરકાર તેઓ કરતા નથી. (પૃ. ૪૧) માનવ શરીરની રચના જોતાં કુદરતે માણસને વનસ્પતિ ખાનારો બનાવ્યો છે. શાકાહાર માણસને સંપૂર્ણ પોષણ પૂરું પાડી શકે એમ છે. ચા-કોફીના દોષ અને દારૂ, તમાકુ, ભાંગ જેવા વ્યાસનોથી થતી આરોગ્ય હાનિ વિશે પણ તેમને લોકોને ચેતવ્યા છે.
‘સાધક શાકાહારી,સાદું જીવન જીવનાર, ખુલ્લા હવા – ઉજાસવાળી અને કુદરતના ઘનિષ્ટ સાંનિધ્યવાળી જગ્યામાં રહેનારો તથા શરીરના પોષણ માટે સૂર્ય દ્વારા પાકેલાં વનફળ ખાનારો, રખળપાટ કરનારો, તારાજડિત આકાશનું દર્શન કરનારો, પ્રાણવાન હવાના ભારે વિદ્યુતપ્રવાહોનું સેવન કરનારો તથા કુદરતી, ખરબચડી, ઘાસવાળી જમીન પર ખુલ્લે પગે ફરી એનો સીધો સંપર્ક કરનારો તથા પોતાના પગ ધોઈ સ્વચ્છ રાખનારો અને નિર્ભય તથા ઈશ્વર સિવાય બીજા કશાની આસક્તિ ન રાખનારો હોવો જોઈએ. એનામાં પૂરેપૂરી ગરીબાઈ અપનાવવાની અને પવિત્ર જીવન જીવવાની હિંમત હોવી જોઈએ. વળી અપરિગ્રહ, પ્રાર્થના, ધ્યાન, સંયમ, નિર્ભયતા અને સ્વૈચ્છિક ગરીબાઈના વ્રતથી બંધાઈને સાધકે જીવન પર પૂર્ણ વિજય મેળવે ત્યાં સુધી પ્રયત્નશીલ રહેવું જોઈએ. પૃ. ૨૫
૪. આર્થિક ક્ષેત્રે –
ગાંધીજી જગતના મહાન આર્થિક સુધારક છે. તેમણે કદી રાજનીતિ, સમાજશાસ્ત્ર કે અર્થશાસ્ત્રનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો નહોતો. મિલ, માર્શલ કે એડમ સ્મિથ જેવા કોઈ અર્થશાસ્ત્રીને તેમણે વાંચ્યા નહોતા. હા રસ્કિનના અર્થશાસ્ત્રના વિચારોથી તેઓ પ્રભાવિત હતા. ગાંધીજીને મન નીતિ, પ્રામાણિકતા અને સ્વદેશીતા ભારતીય અર્થશાસ્ત્રને માટે પ્રાણરૂપ છે. તેઓ કહે છે કે, ‘મારે કબૂલ કરવું જોઈએ કે અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર વચ્ચે હું ભેદ પાડતો નથી, જે અર્થશાસ્ત્ર વ્યક્તિ અથવા પ્રજાના હિતને ઈજા કરે તે નીતિવિરુદ્ધ હોઈ પાપ છે, તેથી એક દેશને હાથે બીજા દેશને કચડવા સારું અર્થશાસ્ત્રનો પ્રયોગ થાય તેને હું અનીતિ ગણું છું.’ (‘નવજીવન’ ૨૧/૧૦/૧૯૨૧)
સાદું કુદરતી જીવન જીવવાની ગાંધીજીની ભાવના પાછળ માનવમાત્રને સુખી કરવાની ઝંખના હતી. યંત્રોનો પ્રારંભમાં એ કારણે જ એમણે તીવ્ર વિરોધ કરેલો કારણ કે, એનાથી પ્રજાનો એક વર્ગ સમૃદ્ધ બનતો હતો અને સામે છેડે લોકો દારુણ ગરીબીનો ભોગ બનતા હતા. જુઓ, ‘નવજીવન’ ૨ નવેમ્બર ૧૯૨૪ના અંકમાં તેઓ લખે છે કે, – ‘મારો ઝઘડો યંત્રોની ઘેલછા સામે છે, યંત્રો સામે નથી …. …. યંત્રોને પરિણામે લાખોની પીઠ ઉપર ખોબા જેટલા લોકો સવાર થઈને બેઠા છે ને તેમને રગડે છે.’ યંત્રોએ માણસને પ્રમાદી અને આળસુ બનાવી દીધો છે. માણસ પોતાના હાથને હાથ તરીકે વાપરવાનું ભૂલી ગયો છે.’ મહાત્મા ગાંધી શ્રમના ભારે આગ્રહી હતા પોતાના આશ્રમોમાં તેમણે શારીરિક શ્રમને વિશેષ પ્રાધાન્ય આપ્યું, આજે એમની વાત કેટલી યથાર્થ જણાય છે. – ‘ફૂરસદ અમુક હદ સુધી જ સારી ને આવશ્યક છે. ‘માણસે ઈશ્વરને મફતમાં ખાવા જન્મ નથીં આપ્યો, તેણે પોતાની રોટલી શ્રમ કરીને જ પેદા કરવી જોઈએ. ભૌતિક આબાદી માટે આજે એક દેશ, બીજા દેશને ગુલામ બનાવવા મથી રહ્યો છે. એક પ્રશ્નનો જવાબ આપતાં એક અમેરિકન ડૉ. ડૉડને ગાંધીજીએ કહેલું કે, – ‘જ્યાં કરોડો માણસો કામ વિનાનાં પડ્યા ત્યાં મોટા પાયા પર ચાલતાં યંત્રો કે કારખાનાને સ્થાન જ નથી.’ (‘હરિજનબંધુ’ ૧૬/૯/૧૯૩૪)
આર્થિક અસમાનતાની સમસ્યા અને વાલીપણું – માલિક અને મજૂર વચ્ચેનું અંતર મીટાવવાનો અહિંસક ઉપાય એટલે – વાલીપણું. કાયદાના પુસ્તક્માંથી લીધેલા આ શબ્દ પાછળ ગીતાનું અધ્યયન અને દક્ષિણ આફ્રિકામાં અપરિગ્રહી જીવન જીવવાનો અનુભવ છે. ગાંધીજી માનતા કે મનુષ્યે પોતાની શક્તિઓ કે મિલકતોનો પોતે તેનો ટ્રસ્ટી હોય તેમ ઉપયોગ કરવો જોઈએ, એ બધાનો માલિક ઈશ્વર છે. જમનાલાલ બજાજ આ સિદ્ધાંતના આચરણનું મોટું ઉદાહરણ છે. આર્થિકક્ષેત્રે મનુષ્યે બુદ્ધિનો એટલો બધો દુરઉપયોગ કર્યો છે કે, મનુષ્ય મનુષ્ય વચ્ચેના પ્રેમસંબંધને એ જાળવી શક્યો નથી. કેટલાંયે ભીષણ પાપો અર્થશુદ્ધિ ન જાળવવાને કારણે જ માનવે કર્યા છે. કોરોના કાળમાં ભૂખેતરસે રઝળપાટ કરતાં, બેરોજગાર અને લાચાર બની ગયેલા લાખો શ્રમિકોની સમસ્યા પાછળ કોણ જવાબદાર છે ? વિચારો વાલીપણાની ભાવના કેળવીએ તો ? સાંપ્રત સમયમાં થયેલા લાખો કરોડોના બેંક કૌભાંડો અને નાણાંકીય ભ્રષ્ટાચાર આ જ કારણે થતા રહે છે. ગાંધીજીએ માનવહિતની વિચારણા કરીને નવું અર્થશાસ્ત્ર આપ્યું છે. પણ … આપણે તો ગાંધીજીને એવી રીતે ભૂલી ગયા કે –
'ગાંધી પાછળ ગાંધી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી અને જગા પુરાઈ ગઈ'.
ગાંધીજીનો વાલીપણાનો સિદ્ધાંત (Trusteeship) આર્થિક અસમાનતાને દૂર કરવામાં મદદરૂપ બની શકે એમ છે. આ સિદ્ધાંત પોતાની સંપત્તિ બચાવવા માટે નહિ પણ, આખા સમાજને પોષક બનવા અને સમાજહિતમાં સહાયકારી થવા માટે છે. સાંપ્રત વિશ્વને સ્પર્શતો એક વિકરાળ પ્રશ્ન છે આર્થિક અસમાનતાનો. આ વિષમતાને હલ કરવા ઘણા લોકો ગાંધીને શરણે આવ્યા છે. તો શું આપણે ગાંધીવિચારની મદદ ન લઇ શકીએ ? ભારતમાં જમીનદારો અને ગરીબ ખેતમજૂરો વચ્ચેની અસમાનતા દૂર કરવા, ગાંધીજીના આધ્યાત્મિક વારસ વિનોબા ભાવેએ આખા ભારતમાં પગપાળા પ્રવાસ કરી નોંધપાત્ર પરિણામ મેળવ્યું. તેમના ભૂમિદાન અને ગ્રામદાન અભિયાને ગાંધીની ગ્રામ સ્વરાજની કલ્પનાને કેટલેક અંશે મૂર્ત કરી. ઈંગ્લેંડના વિખ્યાત અર્થશાસ્ત્રી સુમાકરે – 'Small is Beautiful'નું સૂત્ર આપી ગાંધીજીના વિકેન્દ્રીકરણના વિચારને ટેકો આપ્યો. Act localy think globalyનું સૂત્ર વિનોબાના 'જય ગ્રામદાન, જય જગત’ સાથે કેટલું સમય ધરાવે છે.
વિષમતા માત્ર આર્થિકક્ષેત્રે જ નહિ પણ અન્ય અનેક ક્ષેત્રોમાં પ્રવર્તે છે. જે જગતની શાંતિને જોખમમાં મૂકી શકે એમ છે. ભારત, અમેરિકા અને બીજા દેશોમાં આર્થિક અને સામાજિક અસમાનતા છે. ભારતમાં અસ્પૃશ્યતા, ઊંચનીચના ભેદભાવ, અમેરિકામાં કાળા લોકો પ્રત્યેની તિરસ્કારની ભાવના પ્રવર્તે છે. આખી દુનિયામાં સ્ત્રીઓ સાથે ભેદભાવભર્યો વ્યવહાર થાય છે ત્યારે આ સમસ્યાઓ માટે ગાંધીજીએ કરેલાં કાર્યો અને તેને માટે ચલાવેલી પ્રવૃત્તિઓ તરફ એક નજર નાખીએ તો પણ આ સમસ્યાનું સમાધાન શોધી શકાય. અલબત્ત બધી જ સમસ્યાઓનું નિરાકરણ ગાંધી માર્ગે જ થાય એવું તો ન કહી શકાય … પણ એ દિશામાં જાગૃતિ તો જરૂરથી લાવી શકાય જ.
અને એટલે જ આજનો સમાજ અને આજની દુનિયા જે કેટલાક પ્રાણપ્રશ્નો અને પડકારો સામે ઝઝૂમી રહી છે, તેનો વિચાર કરીએ તો સમજાશે કે મહાત્મા ગાંધી સાંપ્રત સમય, વર્તમાનકાળને અને ભવિષ્યકાળને કેટલા ઉપયોગી નીવડે એમ છે. તેમના વિચારો, તેમનાં જીવન મૂલ્યો અને તેમની કાર્યપદ્ધતિ આજે અને ભવિષ્ય માટે પણ પ્રસ્તુત અને પ્રાસંગિક છે.
દેશ અને દુનિયા સંઘર્ષના સમયમાંથી પસાર થઇ રહ્યાં છે. ત્યારે વિશ્વશાંતિ માટે મથતા અનેક સંગઠનો જેવા કે યુ.નો. અને પીસ રીસર્ચ એન્ડ કોન્ફ્લિક્ટ રેઝોલ્યુશન ઉપાય તરીકે ગાંધી વિચારને સ્વીકારે છે. શાંતિનું ગાંધીવિજ્ઞાન દુનિયામાં વ્યાપક બનતું જાય છે.
૫. રાજનીતિ ક્ષેત્રે –
દક્ષિણ આફ્રિકા ગાંધીના અનેક વિચારો અને આચારોની પ્રયોગભૂમિ છે. અહીં જ ગાંધીજીએ હિન્દીઓને થતા અન્યાય વિરુદ્ધ અહિંસક આંદોલનનો પ્રયોગ કર્યો. ગાંધીજી માનતા કે – ‘જે સત્યાગ્રહી પોતાના આગ્રહને છોડતો નથી, તેને હરાવનાર આ જગતમાં કોઈ છે જ નહિ. ગાંધીજીએ રાજનીતિમાં સત્યાગ્રહ અને અહિંસાના શસ્ત્રનો સફળ પ્રયોગ કર્યો. સ્વાતંત્ર્યસિદ્ધિ માટે આત્મભોગ અને અહિંસાને અનિવાર્ય બનાવ્યાં. ભારતીય રાજનીતિમાં કોમી એખલાસ, સહિષ્ણુતા અને સમભાવને કેન્દ્રમાં રાખી સાધનશુદ્ધિનો આગ્રહ સેવ્યો પણ …
દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર નજર નાખીએ તો મૂલ્યહીનતાનું વરવું ચિત્ર આપણને દેખાય છે. સ્વાર્થી અને તકસાધુ લોકો ગાંધીનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે શેખાદમ આબુવાલા જરૂર યાદ આવે –
'વેચી રહ્યા છે ગાંધીને આજે બજારમાં, અફસોસની વાત છે કે તે પણ ઉધારમાં
ગાંધીનું નામ લે છે ને શરમાતા પણ નથી, મૂંગી સમાધિ પર જે ઊભા છે કતારમાં'
સાંપ્રત રાજનીતિનું સ્તર એટલી હદે નીચલી પાયરી પર ઊતરી ગયું છે કે હવે રાજકારણને લોકો ગંદું ગણવા માંડ્યા છે. આજનું ચિત્ર કૈંક આવું દેખાય છે.
'ભ્રષ્ટ હુઈ રાજનીતિ, ચૌપટ હુઆ સમાજ
યહાં હર વાનર કો ચાહિએ કિષ્કિન્ધા કા રાજ'
ગાંધી જેવા મહામાનવને લોકોએ ખુરશી સુધી પહોંચવાનો રસ્તો બનાવી દીધો છે. રાજનીતિનાં ગાંધીમૂલ્યોનો દિનપ્રતિદિન હ્રાસ થઇ રહ્યો છે. મહાત્મા ગાંધીએ જીવનના દરેક ક્ષેત્રમાં સાધનશુદ્ધિનો આગ્રહ રાખ્યો હતો. કેવળ સાધ્ય સારું હોય એ પૂરતું નથી, એ સિદ્ધ કરવા તાગતાં સાધનો અથવા પદ્ધતિ પણ એટલાં જ શુદ્ધ અને ઉન્નત હોવાં જોઈએ. આજે સાધનશુદ્ધિની વાતનો તો છેદ ઊડી ગયેલો જણાય છે. રાજનીતિમાં દરેક સાથીને પ્રતિસ્પર્ધી કે શત્રુ સમજવાને બદલે મિત્ર સમજવાનો આગ્રહ ગાંધીજી રાખે છે. આજના ભૌતિકતાવાદી યુગની, શામ, દામ, દંડ, ભેદની રાજનીતિ અને મૂલ્યહ્રાસના સમયમાં રાજનેતાઓ માત્ર પરિણામલક્ષી બની ગયા છે. કટોકટીના આવા કાળમાં ગાંધીજીનો સાધનશુદ્ધિનો વિચાર રાજનીતિના શુદ્ધિકરણ માટે ખૂબ મહત્ત્વનો પુરવાર થાય એમ છે. તેમનો સ્પષ્ટ સંદેશ છે કે – 'તમે બીજા પાસેથી જેવા વર્તાવની અપેક્ષા રાખો છો, તેવી જ રીતે બીજાની સાથે તમે વર્તો'. વિવિધ સંગઠનો અને રાજકીય પાર્ટીઓ દ્વારા છાશવારે થતા આંદોલનો, એમાં થતી હિંસા અને હુલ્લડોને 'ગાંધી ચિંધ્યા માર્ગ'નું નામ આપી આપણે ગાંધીને અપમાનિત કરી રહ્યા છીએ.
અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને અસહિષ્ણુતાના પ્રશ્નોનો ઉકેલ પણ બાપુએ આપણી સામે મૂક્યો છે. તેઓ કહે છે કે – 'સ્વતંત્ર વિચારશક્તિને મારી નાખવાની કોઈને છૂટ આપવી જોઈએ નહિ'. લોકશાહીના પાયાના સિદ્ધાંત સમાનતા, સ્વતંત્રતા અને બંધુતા જ એક સમૃદ્ધ અને સમર્થ રાષ્ટ્રનું સર્જન કરી શકે. દરેક નાગરિકને પોતાનો વિચાર અભિવ્યક્ત કરવાની પૂરતી સ્વતંત્રતા હોવી જોઈએ. તો વળી સામા માણસની વાતને શાંતિથી સાંભળવી તેના સ્વતંત્ર વિચારને સન્માન આપવું એ સહિષ્ણુતા છે. આજના ભારતમાં સત્તાને જોરે બૌદ્ધિકોના અને નાગરિકોના સ્વતંત્ર વિચાર અને અભિવ્યક્તિને દબાવવાની કોશિશ થઇ રહી છે. ભારત અને વિશ્વની આ સમસ્યાનો ઉકેલ પણ ગાંધીદર્શન આપે છે. રઘુવીર ચૌધરી 'સંસ્કૃતિ સંદર્ભ' નામના ગ્રંથમાં નોંધે છે કે – ‘… પોતાની સાથે અસંમત થનારાઓના વિચાર સ્વાતંત્ર્યનું રક્ષણ કરવાની આ સહિષ્ણુતા એ ભારતીય સંત સંસ્કૃતિનો વારસો છે.’ માત્ર મનુષ્ય જ નહિ પણ જીવંત પ્રાણીઓ પ્રત્યે આદરભાવ ગાંધી વિચારમાં દેખાય છે. ગાંધીજીએ આ વિચાર આપણા ભવ્ય આર્યવારસા માંથી મેળવ્યો છે. –
सर्वेभवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुखःमाप्नुयात
અપાર વૈવિધ્ય હોવા છતાં હજારો વર્ષોથી ભારત સહઅસ્તિત્વની એક ઉજ્જવળ પરંપરા સાચવીને બેઠું છે. 'सहनौभुनक्तुની સંસ્કૃતિને અર્વાચીન સમયમાં પ્રેરનાર બાપુ જ છે.
આજના મોબાઈલક્રાંતિના યુગમાં ભારત જેવા દેશમાં ઔદ્યોગિકરણ અને યાંત્રિકરણના પ્રભુત્વને કારણે અમાનવીયકરણની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. દેશ ગરીબી, બેકારી અને ભ્રષ્ટાચારની નાગચૂડમાં ફસાઈ ગયો છે ત્યારે ગાંધીજીની યંત્રોના ઔચિત્યપૂર્ણ ઉપયોગની વાત આજે યથાર્થ લાગે છે. માનવશક્તિથી ભરપૂર દેશમાં યંત્રોનો અમર્યાદ ઉપયોગ માણસને બેકાર અને બેરોજગાર બનાવી રહ્યો છે. દેશના વર્તમાન વ્યવસ્થાતંત્રને ભ્રષ્ટાચારમુક્ત બનાવવાનો એક માત્ર માર્ગ એ, ગાંધીનો નૈતિકતા અને સાધનશુદ્ધિનો સિદ્ધાંત છે. સત્યના માર્ગે ચાલીને આ સમસ્યાનું હલ જરૂર મેળવી શકાય. તેઓ પોતાની આત્મકથામાં કહે છે કે – 'ભલે મારા જેવા અનેકોનો ક્ષય થાઓ પણ સત્યનો જાય થાઓ'. દરેક વ્યક્તિમાં આવી પ્રતિબદ્ધતા આવે તો જ સમસ્યાઓનું સમાધાન થાય.
ધાર્મિકક્ષેત્રે – સર્વધર્મ સમભાવના આગ્રહી મહાત્મા ગાંધીએ ધર્મોનું તુલનાત્મક અધ્યયન કર્યું હતું. તેમના અભ્યાસ પરથી આ બાબતનો ખયાલ આવશે – ગાંધીજીએ નર્મદનું ‘ધર્મવિચાર’ ધ્યાનપૂર્વક વાંચ્યું. આ પુસ્તકે તેમની ધર્મભાવના દ્રઢ કરવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. ધર્મ વિશે ગાંધીજીનો અભ્યાસ વ્યાપક અને વિશાળ હતો. થિયોસોફિકલ સોસાયટીએ પ્રગટ કરેલું ઉપનિષદોનું ભાષાંતર, મેક્સમૂલરનું India what can it teach us ? (હિન્દુસ્તાન શું શીખવે છે ?), વોશિંગ્ટન અર્વિંગનું Life of Mohmed (મહમદનું ચરિત્ર), કાર્લાઇલનું ‘મહમદ સ્તુતિ’ અને Saying of Zorostra (જરથુસ્તના વચનો), રાજયોગ, પાતંજલ યોગદર્શન આ ઉપરાંત મહત્ત્વના ધર્મગ્રંથોના અધ્યયન પછી મહાત્મા ગાંધીમાં સર્વધર્મ સમભાવનું બીજ નંખાયું.
ગાંધીજી ધર્મ પ્રત્યે શ્રદ્ધા – ભક્તિથી વળ્યા છે અને એમનું વાચન જેમ જેમ ઊંડું અને વ્યાપક બનતું ગયું તેમ તેમ તેઓ સમન્વયાત્મક દ્રષ્ટિકોણ કેળવતા થયા, દક્ષિણ આફ્રિકામાં 1893માં ગાંધીજીએ ઘણાં ધાર્મિક પુસ્તકોનું અધ્યયન કર્યું અને નીરક્ષીર વિવેક દાખવી જે યોગ્ય લાગે તે ગ્રહણ કરતા. દરેક ધર્મને તેમણે ‘શાંતિના ધર્મ’ કહ્યા, ગીતા અને ગિરિપ્રવચનમાં સામ્ય જોનાર મહાત્મા ગાંધી કહે છે કે, ધર્મ વ્યવાર્તક બને એટલે સંપ્રદાયનું સંકીર્ણરૂપ ધારણ કરે અને એમાંથી અધર્મ પેદા થાય. મનુષ્યને મનુષ્યથી અલગ કરનાર ધર્મને તેઓ અધર્મ માને છે.
પોતાને સનાતની હિંદુ તરીકે ઓળખાવતા ગાંધીજી કહે છે કે, – ‘….. જેણે અહિંસા, સત્ય અને બ્રહ્મચર્યમાં પૂર્ણતા પ્રાપ્ત નથી કરી અને જેણે સર્વ પ્રકારની માલિકી અને ધન વૈભવનો ત્યાગ નથી કર્યો, તેવો કોઈ પણ મનુષ્ય શાસ્ત્રોને ખરેખરાં સમજી ન શકે એ ધર્મસૂત્રમાં મારી સંપૂર્ણ શ્રદ્ધા છે’ (પૃ. 9 થી 11) શાસ્ત્ર વચનને બુદ્ધિથી પ્રમાણનાર ગાંધીજી ધર્મશાસ્ત્રના પ્રમાણ માટે ‘સ્વયં’ને ગણાવે છે.
ઈશ્વરની ચોક્કસ વ્યાખ્યા બાંધવાની મથામણને અંતે ગાંધીજી પ્રથમ એ નિર્ણય પર આવ્યા કે, ઈશ્વર સત્ય છે. પરંતુ પછી એથીયે આગળ વધીને તેમણે કહ્યું કે, સત્ય એ જ ઈશ્વર છે. મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન પણ મહાત્મા ગાંધીના વિચારોનું સમર્થન કરતાં કહે છે કે, – ‘ .. .દેવળોમાં, મંદિરોમાં અને ગુરુદ્વારાઓમાં જે ભગવાન રહે છે, તે ભગવાનમાં મને નિષ્ઠા નથી, મારી શ્રદ્ધા નથી, પણ પેલા ગાંધીએ જે સત્ય અને ભગવાનની ઉપાસન કરી તે વૈજ્ઞાનિક છે તેમાં મારી શ્રદ્ધાયે છે અને નિષ્ઠાયે છે.’ (પૃ. ૩૫૯. વિચારક્રાંતિ – દાદા ધર્માધિકારી) ‘ગાંધીજી મુખ્યત્વે કર્મના માણસ હતા, શબ્દના નહિ. એમનું ચાલે તો શબ્દ વગર જ ચલાવે, પછીથી અઠવાડિયે એક દિવસ મૌનનો એમણે રાખ્યો હતો.' – (ઉમાશંકર જોશી) પ્રવચન કરતાં પ્રવૃત્તિ અને આચરણ વધે એમ તેઓ માનતા. શું આજે આપણે ગાંધીના આ ધર્મને અનુસરીએ છીએ ખરા ? કે આપણા પોતાના ભગવાનો, આપણાં પોતાના સંપ્રદાયો, એક જ ધર્મ પણ સંપ્રદાય અનેક, હરીફાઈ અને હોડ, ચડસાચડસી … કોણ ચઢે ? વિશ્વ આ કારણે આજે જેહાદ કે ધર્મયુદ્ધનો ભોગ બની રહ્યું છે.
સાંસ્કૃતિક ક્ષેત્રે
– ભારતીય સંસ્કૃતિને ગાંધીજી ‘ત્યાગ’ની સંસ્કૃતિ કહે છે. ભારતીય સંસ્કૃતિની વિશેષતા નોધતાં ગાંધીજી કહે છે કે, ભારતીય પ્રજાએ ક્યારે ય કોઈના પર આક્રમણ કર્યું નથી. સૌને સમાવી લેતી, સમન્વયવાદી સંસ્કૃતિના ત્યાગના લક્ષણનો તેઓ મહિમા કરે છે. પશ્ચિમની સંસ્કૃતિને તેઓ સંસ્કૃતિ નથી કહેતા પણ સભ્યતા કહે છે. સભ્યતા અને સંસ્કૃતિ વચ્ચે ભેદ છે. સભ્યતામાં ભૌતિક સમૃદ્ધિને સ્થાન છે, સંસ્કૃતિમાં આત્મવિકાસને.
ભારતના ભાવિ વિશે તેઓ કહે છે કે, સતત પ્રગતિ કરતું હિન્દુસ્તાન મેં મારી કલ્પના સમક્ષ રાખેલું છે. પ્રકૃતિમાંથી સંસ્કૃતિ તરફ આગળ વધતાં સાવધાની, સહિષ્ણુતા અને સામાનાં દ્રષ્ટિબિંદુને લક્ષમાં લઇ વિચારવાની ઉદારતા જે પ્રજા નથી કેળવી શકતી, તે ખચિત વિકૃતિ તરફ ઘસડાય છે. હિન્દુસ્તાનમાં પણ હિંદુ અને ઇસ્લામ ધર્મના કેટલાક અનુયાયીઓએ પોતાની સરસાઈ સાબિત કરવા એકબીજાના ચાંદા શોધી પરસ્પર વિરોધી તત્ત્વો અને સિદ્ધાંતો રજૂ કર્યા. ગાંધીજી તો સર્વ સંસ્કૃતિના સમન્વયમાં માનતા હતા અને દરેકમાંથી ઉત્તમાંશો શોધી એક માનવસંસ્કૃતિ નિર્માણ કરવા સતત પ્રયત્નશીલ રહેતા. 16 જૂન 1921ના અંકમાં તેઓ લખે છે કે, – ‘મારા ઘરની આસપાસ દેશ દેશાંતરની સંસ્કૃતિનો પવન સૂસવતો રહે એમ જ હું પણ ઈચ્છું છું, પણ તે પવનથી મારી ધરતી ઉપરથી મારા પગ ફગી જાય અને હું ઉથલી પડું એ હું નથી ઈચ્છતો.’ કિશોરલાલ મશરૂવાળાએ ગાંધીજીને માનવસંસ્કૃતિની સંતશાખાના હિન્દુસ્તાની લેબાસ પહેરેલા પ્રતિનિધિ કહ્યા હતા. (સંસ્કૃતિ માર્ચ 1948 પૃ. 85)
'મરતાં પહેલાં ગાંધી આપણને એવું આશ્વાસન આપી ગયા છે કે મરીને પણ ચૂપ બેસી નહિ રહે, કબરમાંથી પણ સળવળશે અને આપણને સળવળાવશે. ગાંધીજી વિચારપુરુષ હતા, માણસની હત્યા થઇ શકે પણ વિચારની હત્યા થઇ શકાતી નથી. તેઓ ક્રાંતિકારી વિચારના પ્રવર્તક હતા. આજે પણ એમનો વિચાર વિશ્વમાં ગુંજારવ કરી રહ્યો છે. વિનોબા ભાવેએ એક સ્થળે 'યુગપ્રવર્તક'ની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે યુગપ્રવર્તક ભૂતકાળના ફળ ચાખે છે અને ભવિષ્યકાળનાં બીજ વાવે છે'. ગાંધીજીએ આપણી પ્રાચીન સંસ્કૃતિમાંથી અનેક વિચાર ઝીલ્યા એટલું જ નહિ પણ વિશ્વના દરેક સારા વિચારને સ્વીકારી પોતાના જીવનમાં કાર્યશીલ બનાવ્યા. આવા પ્રગતિશીલ વ્યક્તિત્વને કારણે તેઓનું જીવન ભવિષ્યની પેઢી માટે આદર્શરૂપ બન્યું. બાપુએ બતાવેલા માર્ગે ચાલીને આપણે આપણા પ્રશ્નોનું, સમસ્યાઓનું સમાધાન શોધી શકીએ, એ અર્થમાં વિશ્વના તત્કાલીન અને સર્વકાલીન સમયને પ્રભાવિત કરનાર મહાત્મા ગાંધી યુગપ્રવર્તક વિચાર પુરુષ છે.
સી.યુ. શાહ આર્ટસ કોલેજ, અમદાવાદ — 380 001