પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કબુલ્યું છે કે પાકિસ્તાનમાં ૪૦ જેટલા ત્રાસવાદી જૂથો અને ૬૦ હજાર જેટલા ત્રાસવાદીઓ સક્રિય છે. આટલા ત્રાસવાદીઓ પૂરતા છે અને પાકિસ્તાન ધીરે ધીરે તેમને ખતમ કરી રહ્યું છે એમ પણ તેમણે કહ્યું હતું. જો અત્યારે ૪૦ જૂથો અને ૬૦ હજાર ત્રાસવાદીઓ હોય, તો ન્યુ યોર્કના ટ્વીન ટાવર પરના ત્રાસવાદી હુમલા પહેલાં વીતેલી સદીના છેલ્લા દાયકા દરમ્યાન કેટલા હશે તેની તમે કલ્પના કરી શકો છો. પાકિસ્તાન પ્રચંડ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, એટલે અમેરિકાની મદદની તેને જરૂર છે. ઘણીવાર કબૂલાતો કરવાથી કેરેક્ટર સર્ટિફિકેટ મેળવી શકાતું હોય છે એના જેવો આ ઘાટ છે. ઈસાઈ ધર્મમાં આમ પણ કન્ફેશનનું મોટું મહત્ત્વ છે એટલે પશ્ચિમને પ્રભાવિત કરવા માટે ઇમરાન ખાને આ માર્ગ અપનાવ્યો હશે.
આજની ચર્ચાનો મુદ્દો એ છે કે શું ત્રાસવાદીઓ પેદા કરવા માટે પાકિસ્તાનની રચના કરવામાં આવી હતી? કે પછી જવું હતું ક્યાંક અને પહોંચી ગયા બીજે એના જેવું થયું છે? આવું ક્યાંક ભારતમાં તો નથી બની રહ્યું? ખૂબ તટસ્થતાથી આ પ્રશ્ન તપાસવો જોઈએ, કારણ કે એમાં ભારતનું અને ભારતની ભાવિ પેઢીનું હિત છે.
અવિભક્ત ભારતમાં ત્રણ પ્રકારના મુસલમાન હતા. મૂળભૂતવાદી મુસલમાનો એમ માનતા હતા કે જગતની તમામ પ્રજાને મુસલમાન બનાવવાનું ખુદાનું ફરમાન છે, કારણ કે તેમાં તેમનું કલ્યાણ છે. દેખીતી રીતે તેમની પાસે બે વિકલ્પ હતા. એક વિકલ્પ એ કે જ્યાં તેઓ રહેતા હોય ત્યાંના વિધર્મીઓને મુસલમાન બનાવવામાં આવે અને એ રીતે ગેર ઇસ્લામિક ભૂમિને પવિત્ર ઇસ્લામિક (દારૂલ ઈસ્લામ) બનાવવામાં આવે અને જો એ શક્ય ન હોય અને શાસક ઇસ્લામનો શત્રુ હોય (દારૂલ હર્બ) તો કાં શાસક સામે લડી લેવામાં આવે અને એ જો શક્ય ન હોય તો એ ભૂમિ છોડીને હિજરત કરવામાં આવે. હવે ભારતને લાગેવળગે છે ત્યાં સુધી સુજ્ઞ વાચકને એટલું જ તો સમજાઈ જ ગયું હશે કે આવું વલણ ધરાવનારા મુસલમાનો ભારતના વિભાજનની વિરુદ્ધ હતા. જો ભારતને ઇસ્લામની ભૂમિ બનાવવી હોય તો ભારતમાં રહેવું જરૂરી છે.
મુસલમાનોનું બીજા પ્રકારનું નેતૃત્વ ભણેલા ગણેલાઓનું હતું. તેમને દારૂલ ઇસ્લામમાં રસ નહોતો, કારણ કે ભારત માટે એ શક્ય નહોતું. સેંકડો વરસ સુધી ભારતમાં રાજ કર્યા પછી પણ ભારતમાં મોટી સંખ્યામાં હિંદુઓનું ધર્માન્તરણ ન થયું અને મુસલમાનોની બહુમતી ન થઈ શકી, ત્યાં આધુનિક યુગમાં ભારતમાં દારૂલ ઇસ્લામનાં સપનાં જોવાં એ મૂર્ખાઈ છે. તેઓ વ્યવહારવાદી હતા. તેમનો વ્યવહારવાદ તેમને એમ પણ કહેતો હતો કે એક દિવસ અંગ્રેજો ભારતમાંથી ઉચાળા ભરીને જવાના છે, ભારતમાં ભારતીયોનું રાજ આવવાનું છે અને રાજ્ય વ્યવસ્થા મોટા ભાગે લોકતાંત્રિક હશે. તેમનો વ્યવહારવાદ તેમને એમ પણ કહેતો હતો કે ભારતમાં હિંદુઓ બહુમતીમાં છે, વધારે ભણેલા છે, વધારે સજ્જ છે એટલે શાસનમાં તેમની સરસાઈ તો હશે જ પણ લાભો મેળવવામાં પણ તેઓ અગ્રેસર હશે. સામે પક્ષે મુસલમાનો લઘુમતીમાં છે અને ઓછા સજ્જ છે. આઝાદ ભારતની આ નક્કર વાસ્તવિકતા હશે એની તેમને ખાતરી હતી.
તો આ સ્થિતિમાં ભારતીય મુસલમાનોએ શું કરવું જોઈએ? દારૂલ ઇસ્લામના શેખચલ્લીનાં સપનાં જોવાનું છોડો. સ્વતંત્ર ભારતને દારૂલ હર્બ જાહેર કરીને ભારતમાંથી હિજરત કરવાનો માર્ગ અવ્યવહારુ છે, કારણ કે કોઈ મુસ્લિમ બહુમતી દેશ તમને આવકારવા બાથમાં લેવા તત્પર નથી. તો પછી શું કરવું જોઈએ? ઉત્તમ માર્ગ એ છે કે ભારતમાં બહુમતી હિંદુઓ સાથે પાકો લેખિત કરાર કરીને શાસનમાં ભાગીદારીની અને મુસલમાનોના હકના લાભોની સમજૂતી કરવામાં આવે. જ્યારે ભારત આઝાદ થાય ત્યારે એ સમજૂતીને બંધારણમાં આમેજ કરવામાં આવે. જો એવી સમજૂતી ન જ બને તો મુસલમાનોને ભારત અંતર્ગત સ્વાયત્તતા આપવામાં આવે. છેલ્લો વિકલ્પ વિભાજનનો હતો. આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને ભારતની આઝાદીના ઇતિહાસનો તેમ જ ભારતના વિભાજનના ઇતિહાસનો અભ્યાસ કરવો જોઈએ.
બીજા પ્રકારના વ્યવહારવાદી મુસલમાનોએ વિભાજન ટાળવા માટે જો કોઈ રસ્તો નીકળતો હોય તો તેને શોધવા ભરપૂર કોશિશ કરી હતી. એનું કારણ એ નહોતું કે તેઓ રાષ્ટ્રવાદી હતા, પણ એનું કારણ એ હતું કે તેમને જાણ હતી કે મુસલમાનો માટેનો અલગ દેશ એ વહેવારુ વિકલ્પ નથી. આમ બીજા પ્રકારના મુસલમાનો દરેક રીતે વ્યવહારવાદી હતા, પણ એક મુદ્દે તેઓ અવ્યવહારુ સાબિત થયા. તેમને એમ લાગતું હતું કે વધારે આકરી ભૂમિકા લેવાથી અથવા તો હાર્ડ બાર્ગેનિંગ કરવાથી તેમની યોજના સફળ થશે. તેમણે બીજી ભૂલ એ કરી કે જેને ભોજોભાઈ પણ પૂછતો નહોતો અને રાષ્ટ્રીય રાજકારણમાં જેમની કોડીની કિંમત નહોતી એવા હિંદુ કોમવાદીઓના કથનોને તેઓ ફેસ વેલ્યુ પર લઈને કારણ વગર મહત્ત્વ આપતા હતા. તેમને એમ લાગતું હતું કે બેવકૂફીભર્યા હિંદુ કોમવાદી કથનો કૉન્ગ્રેસ સાથે હાર્ડ બાર્ગેનિંગ કરવામાં કામ આવશે. ‘જુઓ આ લોકો શું કહે છે. અમે તમારા પર કેવી રીતે ભરોસો મૂકીએ’ વગેરે. સરવાળે એવું બન્યું કે ગણતરી વ્યવહારુ હોવા છતાં તેને માટેની રાજકીય રમત અવ્યવહારુ હોવાના કારણે પાકિસ્તાન તેમના ગળે પડી ગયું. જો હાર્ડ બાર્ગેનિંગની લાલચ છોડીને કૉન્ગ્રેસના નેતાઓ સાથે મસલત કરીને સમજૂતી કરી હોત તો ભારતીય મુસલમાનો ત્રણ દેશમાં ન વહેંચાયા હોત. તેમના માટે આ બેલ મુજે માર જેવું થયું હતું.
ત્રીજા પ્રકારના મુસલમાનો મુઠ્ઠીભર હતા જે એમ માનતા હતા કે હિંદુઓની બહુમતીની ચિંતા કરવાની જરૂર નથી. સેક્યુલર લોકતાંત્રિક રાજ્ય અને એવું બંધારણ મુસલમાનોનાં હિતોની રક્ષા કરશે.
મુખ્ય પરિબળો ઉપર કહ્યાં એ બે હતાં જેમાં આધુનિક વલણ ધરાવનારા ભણેલા ગણેલા વ્યવહારવાદી મુસલમાનોએ અવ્યવહારુ વલણ અપનાવીને પાકિસ્તાન મેળવ્યું હતું જે તેમને હકીકતમાં જોઈતું નહોતું. જ્યારે કૉન્ગ્રેસના નેતાઓને એમ લાગ્યું કે બીજા પ્રકારના મુસ્લિમ નેતાઓ માગણી કરવામાં વધુને વધુ આકરા થઈ રહ્યા છે ત્યારે તેમણે પાકિસ્તાન તેમના ગળામાં પહેરાવી દીધું હતું. જી હા, પાકિસ્તાન તેમના ગળામાં પહેરાવી દેવામાં આવ્યું હતું, જેને માટે તેઓ તૈયાર નહોતા. કૉન્ગ્રેસના નેતાઓને એમ લાગ્યું હતું કે રોજની ઝંઝટ કરતાં એક વાર ભલે આકરી પણ સર્જરી કરી નાખવી જોઈએ. જ્યારે ભારતના વિભાજનને સ્વીકારી લેવાનો કૉન્ગ્રેસે ઠરાવ કર્યો ત્યારે પહેલા પ્રકારના મુસ્લિમ નેતાઓ એટલા માટે રાજી નહોતા થયા, કારણ કે ભારતને દારૂલ ઇસ્લામ બનાવવાની તક કાયમ માટે જતી રહી હતી અને બીજા પ્રકારના મુસ્લિમ નેતાઓ એટલા માટે રાજી નહોતા થયા કે તેમને મુસલમાનો માટેના અલગ દેશ સામેના પડકારોની જાણ હતી.શું એ પડકારો હતા? શા માટે તેમને સ્વતંત્ર પાકિસ્તાન નહોતું જોઈતું? આની વધુ ચર્ચા આવતા સપ્તાહે.
01 ઑગસ્ટ 2019
સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 ઑગસ્ટ 2019