બાંગ્લાદેશ અને પાકિસ્તાન તો ભારતનો જ હિસ્સો હતા, પણ બન્ને સાથેના સંબંધોમાં આસમાન જમીનનો ફેર છે. શ્રીલંકા જે ભારતને સાથી માને છે તે અરાજકતામાંથી હમણાં જ બેઠો થયો છે અને ચીન સાથે તો ભારતના સંબંધો બહુ જટિલ છે
ભારતની વિદેશ નીતિ છેલ્લાં કેટલાંક વર્ષોથી (ખાસ કરીને ભા.જ.પ. કેન્દ્રમાં સત્તા પર આવ્યા પછી) વૈશ્વિક રાજકારણમાં એ નિર્ણયાત્મક રાષ્ટ્ર તરીકે ભારતની ગણતરી થાય એ દિશામાં આગળ વધી છે. આ કેન્દ્ર સરકારનો જ દાવો છે અને તેમના મતે છેલ્લાં નવ વર્ષમાં આ રીતે કામ થતું આવ્યું છે. ભા.જ.પ.નો બહુમત મજબૂત હોવાથી વિદેશી નીતિ ઘડવામાં મોદી સરકારનું વજન પહેલાંની ગઠબંધનની સરકાર કરતાં પણ વધુ હોય તે સ્વાભાવિક છે.
ભારત યુ.એસ.એ. કે યુરોપ સાથેનાં સમીકરણોમાં જે પગલાં લે તેનો પ્રભાવ તો ખરો જ પણ ભારતના પાડોશી દેશો સાથે જે વહેવાર કે વાટાઘાટો ચાલે તેની અસરોની ગણતરી કરવી પણ જરૂરી. ભારતની સરહદો તો સાત દેશો જોડે જોડાયેલી છે, પણ બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા અને ચીન – આ ચાર દેશોમાં જે પણ થાય અથવા તો આ ચાર દેશ જે પણ પગલાં લે તે અંગે ભારતે સતર્કતા સાથે પ્રતિભાવ આપવાની તૈયારી પણ રાખવી જ પડે કારણ કે તેનો આધાર વિશ્વના બીજા શક્તિશાળી રાષ્ટ્રો સાથેના સંબંધો અને રાજકીય-ભૌગોલિક પર પડવાનો જ છે.
બાંગ્લાદેશ અને પાકિસ્તાનની વાત કરીએ તો આ બન્ને દેશો એક સમયે ભારતનો જ હિસ્સો હતા. એમાંથી એકને ભારત સાથે સતત હુંસાતુંસી રહે છે તો બીજાએ 52 વર્ષથી ભારત સાથેના રાજદ્વારી-વ્યાપારી સંબંધોને બહેતર બનાવવાની કોશિશ કરી છે. 1971માં જ્યારે બાંગ્લાદેશે સ્વતંત્રતા માટે યુદ્ધ છેડ્યું ત્યારે ભારતે તેને સૌથી વધુ સહકાર આપ્યો. 1975 પછી ભારત સાથે બાંગ્લાદેશના સંબંધ બગડ્યા કારણ કે ત્યાં વિદેશનીતિ બદલવામાં આવી પણ જ્યારે 2008માં બાંગ્લાદેશમાં પ્રમુખ તરીકે શેખ હસીના ચૂંટાયાં 2015માં ભૂમિ સીમા સમજૂતિ કરારને પગલે બન્ને દેશો વચ્ચેના સંબંધો સંબંધો બહેતર થવા લાગ્યા. આજે ભારતની દક્ષિણ એશિયા માટેની ‘નેબરહૂડ ફર્સ્ટ પૉલિસી’માં પણ તે સૌથી મોટો વ્યાપારી ભાગીદાર દેશ બાંગ્લાદેશ છે. બાંગ્લાદેશ ત્રણ તરફથી ભારતની સરહદ સાથે જોડાયેલો હોવાથી રાજકીય દૃષ્ટિએ બાંગ્લાદેશમાં કોની સત્તા આવે છે તેમાં ભારતને હંમેશાં રસ હોય. વળી ભારતે બાંગ્લાદેશ ઉપરાંત મૉલદિવ્ઝ, મ્યાનમાર, નેપાળ અને શ્રીલંકા જેવા દેશો માટે કૂલ એનર્જી અને ઇન્ફ્ર્રા સ્ટ્રક્ચર માટે 37 ક્રેડિટ લાઇન્સ આપી છે. સલામતી અને આતંકવાદ આ બે મામલે ભારતને બાંગ્લાદેશ તરફથી ચિંતા તો રહે જ છે અને માટે જ ત્યાં સત્તા પર બેઠેલાઓ સાથે સારાસારી રાખવી અનિવાર્ય થઇ પડે છે. બાંગ્લાદેશમાં થનારી ચૂંટણીમાં ભારતની સક્રિયતા પર ઘણી ચર્ચા થઈ ચૂકી છે, અને એવું માનવામાં આવે છે કે ભારતે અવામી લીગની સરકારને એકતરફી ટેકો આપ્યો હોવાથી 2014 અને 2018ની ચૂંટણીમાં બાંગ્લાદેશમાં તેની જ સત્તા આવી હતી. અત્યારે બાંગ્લાદેશમાં થનારી ચૂંટણીઓ અંગે અમેરિકા અને રશિયા વચ્ચે પણ વિરોધી અભિપ્રાય છતા થઈ ચૂક્યા છે પણ આ બન્ને રાષ્ટ્રોને ભારત સાથે બને છે. ચીનની દાદાગીરી સામે ભારત અને અમેરિકા ભેગા છે ખરા પણ બાંગ્લાદેશને મામલે બન્ને દેશો એક મત પર નથી. અમેરિકાએ બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારને અસ્થિર કરવાનાં પગલાં લીધાં છે જેને કારણે ભારતની જ નહીં પણ આખા દક્ષિણ એશિયાની સલામતી પર જોખમ છે. જો બાંગ્લાદેશમાં અસ્થિરતા થાય, કટ્ટરવાદીઓની (જમાત-એ-ઇસ્લામીઓ જેને અમેરિકા રક્ષણ પુરું પાડે તો) સત્તા આવે તો તેનો સીધો પ્રભાવ ભારતની સુરક્ષા પર પડે તે નક્કી છે અને પછી બાંગ્લાદેશમાં ચીનનો પ્રભાવ પણ ખાસ્સો વધી જશે, એ તો અમેરિકાને પણ પોસાય એમ નથી. ભારત બાંગ્લાદેશના આંતરિક પ્રશ્નોમાં માથું ન મારે એવુ કહેનારા રાષ્ટ્રો પણ છે. હવે આ સાથે જ ભારતના બીજા પાડોશી દેશ એટલે કે પાકિસ્તાનની વાત પણ છેડવી પડે કારણકે ભારતનું માનવું છે કે જમાત-એ-ઇસ્લામીની પાછળ પાકિસ્તાનનો હાથ છે.
પાકિસ્તાન અને ભારતના રાજદ્વારી, આર્થિક, સાંસ્કૃતિક બધા જ સંબંધોમાં નકરો તણાવ જ છે. એમાં પાછું કેનેડા અને ભારત ખાલિસ્તાનને મામલે સબંધો વણસ્યા છે ત્યારે એવી વાતો બહાર આવી કે આવું થાય એમાં પાકિસ્તાનને પૂરો રસ હતો અને પાકિસ્તાની જાસૂસી એજન્સી ISIએ નિજ્જરની હત્યા કરાવી. ISI જ કેનેડામાં ખાલિસ્તાની આતંકીઓને ફંડ પૂરું પાડે છે એવું એક યા બીજી રીતે જાહેર થયું છે. બીજી તરફ કાશ્મીરને મામલે ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતા સંઘર્ષનો કોઇ અંત નથી. આને સમાંતર એક બીજી વાસ્તવિકતા એ છે કે રાજકીય અને આર્થિક સ્તરે પાકિસ્તાનની હાલત ખરાબ છે અને ભારત આ મામલે ચૂપકીદી સેવી છે જે બહુ મુત્સદ્દી ભર્યું પગલું છે. જો ભારત કંઇ કહે તો પાકિસ્તાન એનો ય મુદ્દો બનાવીને ઉછાળે અને કેન્દ્ર સરકારને ખ્યાલ છે કે ભારત પ્રત્યે પાકિસ્તાનનું વલણ બદલાવાનું નથી અને જ્યાં સુધી સરહદ પાર કરીને ત્યાંના કંકાસની અસર અહીં ન વર્તાવા માંડે ત્યાં સુધી ચૂપ રહેવામાં જ સાર છે. વળી દિલ્હી બેઠી સરકારનું પૂરું ધ્યાન ચીન અને ઇન્ડિયન ઓશ્યન રિજ્યન પર હોવાથી પાકિસ્તાનને મામલે સરહદ પર કોઇ તણાવ ન થાય અને ‘જૈસે થે’ની સ્થિતિ રહે એ વધારે ફાયદાકારક છે. ભારત કંઇ કહે અને વગર કારણ પાકિસ્તાન આર્મી એ વાત ઝડપી લઈને સુરક્ષાને મામલે કાંકરી ચાળા કરે એ પોસાય તેમ નથી.
ચીનની વાત કરીએ તો તાજેતરમાં જ વિદેશ મંત્રી જયશંકરે નિવેદન આપ્યું કે ચીન સાથે ભારતના સંબંધો ક્યારે ય સરળ નથી રહ્યા. અક્સાઈ ચીન અને અરુણાચલ પ્રદેશને પોતાના નકશામા ગણાવીને ચીને ભારતનો વધુ રોષ વહોર્યો. ચીન અને ભારત બન્ને વૈશ્વિક સ્તરે આર્થિક અને રાજકીય સત્તાને મામલે રેસમાં છે. ઉત્પાદન ક્ષમતા અને વસ્તીને મામલે બન્ને પોતાનું જોર બતાડવામાં ક્યાં ય પાછા નથી પડતા. ચીને સરહદ પર ગલવાન ઘાટીમાં જે કર્યું તે પછી ભારત અને ચીન વચ્ચે કંઇ બરાબર નથી. ચીને હાંગઝોઉ એશિયન ગેમ્સ માટે ભારતીય ખેલાડીઓને વીઝા આપવાની પણ ના પાડી દીધી હતી. G-20 માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપંગ ભારત ન આવ્યા. ચીન અને ભારત વચ્ચેની રસાકસીમાં એશિયામાં જે બીજા નાના રાષ્ટ્રો છે જ્યાં અરાજકતા નથી તેમણે પોતાના લાભ માટે કોને ટેકો આપવો એ પ્રશ્ન પણ રહેવાનો જ છે. ચીને શ્રલંકાના હમ્બનટોટા બંદર અને પોર્ટ સિટી કોલંબો, ટ્રાન્સ હિમાલયન કોરિડોર અને ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરને ભંડોળ પૂરું પાડ્યું છે તો અફઘાનિસ્તાન સાથે ઑઇલ એક્સ્ટ્રેક્શનનો સોદો કરીને મેલ સાથે ફ્રી ટ્રેડનો કરાર કર્યો છે. બેઇજિંગે ભારત અને ચીન વચ્ચેની – એક્ચુઅલ લાઇન ઑફ કન્ટ્રોલ પર ગામડાં અને હાઇવે વિકસાવ્યાં છે. આ કારણે ભારતે પણ આ વિસ્તારમાં પોતાના માળખાંકીય પ્રોજેક્ટ્સને વેગ આપવો પડ્યો છે.
હવે દક્ષિણે આવેલા પાડોશી દેશ શ્રીલંકાની વાત પણ છેડવી રહી. શ્રીલંકાની સરકાર અને ત્યાંના લોકો ચીને તાઇવાન પર જે દબાણ કરે છે તે જુએ છે અને ભારત ચાહે તો આવું કંઇપણ કરી શકત. પરંતુ કટોકટીના સમયે ભારતની મદદ મળી હોવથી શ્રીલંકા ઉપકાર હેઠળ જ રહેવાનો છે. શ્રીલંકાએ તો ચીનને જણાવી પણ દીધું છે કે પોતાને માટે ભારત વધુ અગત્યનો પાડોશી દેશ છે. કેનેડાને મામલે પણ શ્રીલંકાએ ભારતને પોતાનો ટેકો આપ્યો છે અને કેનેડાને વખોડ્યો છે. વળી શ્રીલંકાએ ચીનના નેવીના જહાજને પોતાના બંદરે નાંગરવાની પરવાનગી ન આપીને પોતાની ભારત સાથેની દોસ્તીનો પુરાવો આપી દીધો છે.
ભારત દક્ષિણ એશિયામાં સૌથી મોટો અને મહત્ત્વનો દેશ છે. સાત દેશો સાથે જમીની સરહદ અને દરિયાઈ સરહદ શ્રીલંકા સાથે વહેંચનારા ભારત સંતુલનનો ખેલ બરાબર જાળવવો પડે એમ છે. પોતાનો અભિગમ, વળી પોતાના વલણ પ્રત્યે અન્ય રાષ્ટ્રોનો અભિગમ બધું જ ગણતરીમાં લેવું પડે તેમ છે.
બાય ધી વેઃ
બાંગ્લાદેશ અને પાકિસ્તાન તો ભારતનો જ હિસ્સો હતા, પણ બન્ને સાથેના સંબંધોમાં આસમાન જમીનનો ફેર છે. શ્રીલંકા જે ભારતને સાથી માને છે તે અરાજકતામાંથી હમણાં જ બેઠો થયો છે અને ચીન સાથે તો ભારતના સંબંધો બહુ જટિલ છે. આવામાં અમેરિકાને વાકું ન પડે અને જે નવા સાથીઓની સાથે હાથ મેળવ્યો છે તે પકડ ઢીલી ન પડે એ રીતે કામ કરવા સિવાય ભારતને કોઈ છૂટકો નથી. પાકિસ્તાન અને ચીનના કાંકરીચાળામાં હવે કેનેડાની આડોડાઈ ઉમેરાઈ છે ત્યારે ત્રણની લડાઈમાં ચોથો ફાવે વાળું ન થાય અને અમેરિકા પોતાની રીતે પાકિસ્તાન, ચીન સાથે ગોઠવણ કરીને ભારતની વિટંબણાઓનો લાભ ન ખાટી જાય તે જોવું રહ્યું.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 ઑક્ટોબર 2023