રશિયા-યુક્રેન યુદ્ધને પરિણામે જગતમાં જે પરિસ્થિતિ આકાર લઈ રહી છે, એ ગંભીર છે અને એમાં ભારતની વિદેશનીતિમાં જોવા મળતી અનિશ્ચિતતા ચિંતા ઉપજાવે છે. એક બાજુએ ચીનના નેતાને હીંચકે બેસાડીને ઢોકળા ખવડાવો, અને બીજી બાજુ ચીન સામે ચીન વિરોધી દેશોને ભેગા કરીને ઘેરાબંધી કરો અથવા ચીનવિરોધી છાવણીના સભ્ય બનો, એમ બે દિશાની વિરુદ્ધ નીતિ લાંબો સમય ન ચાલે. ઓછામાં પૂરું, ચૂંટણી જીતવા સારુ બહુમતી હિંદુ પ્રજાને હિંદુ રાષ્ટ્રવાદ નજરે પડતો રહે એ માટે પાડોશી દેશો સાથે ખાસ પ્રકારના બળુકાપણાનું પ્રદર્શન કરવાની નીતિ અપનાવી, જેને પરિણામે પાડોશી દેશો સાથે સંબંધ બગાડ્યા છે. ડાહ્યા માણસો બધા મોરચા એક સાથે નથી ખોલતા. અત્યાર સુધીના શાસકો ઝૂકતું માપ આપીને પાડોશી દેશો સાથે સંબંધ સાચવતા હતા કે જેથી તેઓ ચીન અને પાકિસ્તાનની નજીક ન જાય. તેમને હિંદુ ખુમારીના પ્રદર્શનની જરૂર નહોતી તે એ સમયે ભારતની વિદેશનીતિની મોટી તાકાત હતી. આજે સ્થિતિ એવી છે કે જ્યાં હિંદુઓની વસ્તી મોટા પ્રમાણમાં છે એ નેપાલ પણ ભારતથી દૂર થયું છે અને ભૂતાન અંતર રાખતું થયું છે.
ચીનની બાબતમાં ભારત બે વિરુદ્ધ દિશાની નીતિ અપનાવીને સમય પસાર કરતું રહ્યું અને કોઈ ટકાઉ ઉપાય શોધી રહ્યું હતું, ત્યારે એક વાત ધ્યાનમાં લેવી જોઈએ કે ચીનની ભારત સાથેની નીતિ એક જ દિશાની છે. ચીન જગતનો સૌથી શક્તિશાળી દેશ છે, વર્તમાન અને હવે પછી એકાદ સદી ચીનની છે, ભારતે આ હકીકતનો સ્વીકાર કરવો જોઈએ, ભારતે હવે ચીનની બરોબરી કરવાના ફાંફા નહીં મારવા જોઈએ, નવી વાસ્તવિકતા સ્વીકારીને ભારતે ચીન સાથે સંબંધો વિકસાવવા જોઈએ, નિ:શંક બનીને ચીનના ભાગીદાર બનવામાં ભારતનું હિત છે, અમેરિકાનો યુગ પૂરો થઈ ગયો છે, વગેરે વગેરે. ચીનના શાસકો અલગ અલગ રીતે ભારતને આ કહી રહ્યા છે અને સાથે સાથે લદાખ, ડોકલામ અને અરુણાચલમાં છાશવારે પ્રવેશીને પોતાની તાકાત અને ભારતની નિર્બળતાનું પ્રદર્શન કરે છે.
પણ ચીન ઉપર ભરોસો કરી શકાય? લાખ રૂપિયાનો સવાલ આ છે. મૂંઝવણ ભારતની છે, ચીનની નથી. ચીન ઉપર ભરોસો ન કરાય એમ જો નરેન્દ્ર મોદીને અને તેમના વિદેશ પ્રધાનને લાગતું હોય તો તેમનું અનુમાન ખોટું નથી. ચીન ઉપર ભરોસો કરીને આપણે દાઝેલા છીએ. બીજો લાખ રૂપિયાનો સવાલ એ છે કે ચીનની બરાબરી કરવાનાં સપનાં જોવાનું ભારતે બંધ કરવું જોઈએ અને ચીન ક્યારે ય આંબી ન શકાય એટલું આગળ નીકળી ગયું છે એ વાત શું એક નરી વાસ્તવિકતા છે જે ભારતે સ્વીકારી લેવી જોઈએ? આ બન્ને પ્રશ્નોના ઉત્તર ભારતે શોધવા પડશે અને શોધેલા માર્ગે ચાલવું પડશે. નિ:શંક બનીને કોઈ એક માર્ગ અપનાવવામાં જોખમ તો છે જ, પણ જોખમ તો નિર્ણયના અભાવમાં વચ્ચે ઊભા રહીને સમય વેડફવામાં પણ છે, જેનો અનુભવ ભારતને થઈ રહ્યો છે.
મારો ઉત્તર એ છે કે ચીન ભારત કરતાં ક્યાં ય આગળ નીકળી ગયું છે એ એક વાસ્તવિકતા છે, પરંતુ એનો અર્થ એવો નથી કે ચીનની બરાબરી કરવાનાં સપનાં જોવાનું ભારતે બંધ કરવું જોઈએ. પણ પહેલો સવાલ તો હજુ અનુત્તરીત જ છે કે ચીનની બરાબરી ચીનના ભાઈબંધ બનીને કરવી જોઈએ કે પછી ચીનવિરોધી ધરીનો ભાગ બનીને? ચીનવિરોધી ધરીનું નેતૃત્વ અમેરિકા કરે છે અને અમેરિકાનો ભરોસો કરી શકાય? અમેરિકા જરા ય ભરોસાપાત્ર મિત્ર નથી એનો અનુભવ પણ આપણને થયો છે. અમેરિકા જગતનો સૌથી ઓછો ભરોસામંદ દેશ છે. અત્યંત મૂંઝવણભરી સ્થિતિ છે નહીં? નથી અમેરિકા ભરોસાપાત્ર કે નથી ચીન ભરોસાપાત્ર. તો પછી કરવું શું?
ઉત્તર છે પોતાની જાત ઉપર, દેશની પ્રજા ઉપર ભરોસો કરીને વિકાસના માર્ગે પોતાની જગ્યા બનાવવાનો. માર્ગ મહેનતવાળો છે, ધીરજની કસોટી કરનારો છે, પણ છે ટકાઉ. ઉછીની તાકાત અને પોતાની તાકાતની વચ્ચે કોઈ તુલના જ ન થઈ શકે. પણ આ ૩૬૫ દિવસ અને ચોવીસે કલાક ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને હિંદુ-મુસ્લિમ વિખવાદ પેદા કરીને ન થઈ શકે. ચીન માથાભારે દેશ છે, પણ તેનું માથાભારેપણું રાષ્ટ્રીય છે, પ્રજાકીય નથી. ચીનની એક પ્રજા બીજી પ્રજા સાથે માથાભારે બનીને નથી વર્તતી. પ્રજાકીય ઉર્જા રચનાત્મક માર્ગે વાળવામાં આવે તો જ દેશ આગળ વધે. આ તો સનાતન સત્ય છે, જગતનો ઇતિહાસ તપાસી જાવ. બીજી બાજુ પ્રજાને (અને એ પણ બહુમતી પ્રજાને) રડાવવામાં આવે, ડરાવવામાં આવે, ખોટી તાકાતનો અહેસાસ કરાવીને પોરસાવામાં આવે તો એવો દેશ ક્યારે ય બે પાંદડે ન થાય. આ પણ સનાતન સત્ય છે. જગતનો ઇતિહાસ તપાસી જાવ.
૨૦૧૪ની સાલમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી અને આપણી નજર સામે આઠ વરસ વેડફાઈ ગયાં. આઠ વરસથી રસ્તાની વચ્ચે ઊભા રહીને ક્યારેક જમણે ક્યારેક ડાબે એમ ચીન સાથેની બે વિરુદ્ધ દિશાની નીતિ અપનાવી રહ્યા છીએ. હિંદુઓને હિંદુ રાષ્ટ્રવાદનું બળુકાપણું બતાવવામાં પાડોશી દેશો સાથેના સંબંધો બગાડી નાખ્યા છે. આઠ વર્ષથી વર્તમાન શાસકો માત્ર ચૂંટણી લડી રહ્યા છે અને ચૂંટણી જીતવા પ્રજાકીય ઉર્જાને હિંદુ-મુસ્લિમ વિખવાદમાં વેડફી રહ્યા છે. આઠ મૂલ્યવાન વર્ષ આમાં ખર્ચી નાખ્યાં અને હવે અચાનક રશિયા-યુક્રેન યુદ્ધે જગતને બે છાવણીમાં વહેંચી નાખ્યું. વચ્ચે ઊભા રહેવાનો અને ચીન સાથે બે વિરુદ્ધ દિશાની નીતિ અપનાવવાનો વિકલ્પ હાથમાંથી સરકી રહ્યો છે. અચાનક આવી કોઈ ઘટના બનશે એની કોઈએ કલ્પના નહોતી કરી. ચીન અને રશિયાની ધરી રચાઈ છે. એક પાસે સોવિયેત યુગની સૈનિકી તાકાત છે અને બીજા પાસે આર્થિક અને સૈનિકી એમ બન્ને તાકાત છે. બન્ને માથાભારે છે, બેશરમ છે અને પૃથ્વીના ગોળાની આ બાજુએ પ્રશાંત મહાસાગરથી લઈને એટલાન્ટીક મહાસાગર સુધી ફેલાયેલા છે.
ભારતે રશિયાને રાજી રાખવા માટે અને રશિયા ચીનની પાંખમાં જતું ન રહે એટલા માટે રશિયા પાસેથી ક્રુડ તેલનો મામૂલી જથ્થો ખરીદ્યો અને તરત જ બે પ્રતિક્રિયા આવી પડી. અમેરિકાના પ્રમુખ બાયદને (વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ નહીં, ખુદ પ્રમુખે) જે કહ્યું એના સૂચિતાર્થો સમજવા જેવા છે. પહેલાં તો તેમણે ભારતને અમેરિકાના નેતૃત્વ હેઠળ રચાયેલી રશિયા-ચીન વિરોધી છાવણીનું સભ્ય જાહેર કર્યું. પોતાની મેળે જ, મનસ્વીપણે. ૯/૧૧ પછી ત્રાસવાદ સામેની લડત માટે જે ધરી રચાઈ હતી તેમાં ભારત ભાગીદાર બને એ માટે ભારતનું મન જાણવા અને મંજૂરી મેળવવા અમેરિકન વિદેશ પ્રધાન કોલીન પોવેલ ભારત આવ્યા હતા. આ વખતની લડાઈ એનાં કરતાં પણ મોટી છે, પણ અમેરિકન પ્રમુખને એવી જરૂર ન લાગી કે કોઈને દિલ્હી મોકલવામાં આવે. તેમણે બારોબાર જાહેરાત કરી દીધી કે ભારત ચીન-રશિયા વિરોધી છાવણીનો ઘટક દેશ છે. એ પછી તેમણે ભારતની ટીકા પણ કરી કે ભારતની ભૂમિકા ડાબે-જમણે ડગમગનારી છે. કોઈ બારોબાર હાથ પકડીને પરાણે હોજમાં ખેંચી લે અને પછી કહે કે પાણીમાં સ્થિર ઊભા રહેતા નથી આવડતું એના જેવી આ વાત થઈ. ભારતે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા નથી આપી. ‘નમસ્તે ટ્રમ્પ’ અને ‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’નું પણ આ પરિણામ છે. જો અમેરિકન ચૂંટણીમાં ભારતે માથું ન માર્યું હોત તો કમ સે કમ ભારતના નેતાઓ સાથે વાતચીત કરવા વિદેશ પ્રધાનને દિલ્હી મોકલવા જેટલું સૌજન્ય બાયદને બતાવ્યું હોત જે રીતે ૨૦૦૧માં ૯/૧૧ પછી તે વેળાના અમેરિકન પ્રમુખ જ્યોર્જ બુશે બતાવ્યું હતું.
“ભારત પણ અમારી સાથે રશિયા-ચીન વિરોધી છાવણીનું સભ્ય છે” એવી બારોબાર જાહેરાત અમેરિકન પ્રમુખે કરી ન કરી અને ચીનના વિદેશ પ્રધાને નિવેદન કર્યું કે અમેરિકા જેમ રશિયા સામે યુક્રેનનો ઉપયોગ કરે છે, એમ ચીન સામે ભારતનો ઉપયોગ કરે છે. આ બન્ને નિવેદનો ગંભીર છે અને ચીનના વિદેશ પ્રધાનનું નિવેદન વધારે ગંભીર છે. અમેરિકા ચીન-રશિયા સામેની છાવણીમાં ભારતને પરાણે ઊભું રાખે છે અને નહીં ડગમગવાની ચેતવણી આપે છે તો ચીન એક ડગલું આગળ વધીને ભારતને ચીન વિરોધી છાવણીનો નહીં ડગમગનારો સ્થિર દેશ જાહેર કરે છે. બન્ને નિવેદનો બારોબાર, ભારતની ભૂમિકાની તમા રાખ્યા વિના, પોતાને અનુકૂળ આવે એ રીતે કરવામાં આવ્યાં છે. ભારતે ચીની નિવેદન વિષે પણ આ લખાય છે ત્યાં સુધીમાં કોઈ પ્રતિક્રિયા આપી નથી.
ચીન એક ડગલું હજુ આગળ વધ્યું છે. પાકિસ્તાનમાં ‘ઓર્ગેનાઈઝેશન ઑફ ઇસ્લામિક કોઓપરેશન’ની બેઠકમાં ભાગ લેવા ગયેલા ચીનના વિદેશ પ્રધાને ભારત દ્વારા પ્રતાડિત કાશ્મીરી મુસલમાનો માટે ચીન સહાનુભૂતિ ધરાવે છે, એવું નિવેદન કર્યું. ભારતે આ વિષે પ્રતિક્રિયા આપી છે, પણ ભારતની યુક્રેન સાથેની સરખામણી વિષે એમાં કહેવામાં આવ્યું નથી. જે અભિપ્રાય પુતિનનો યુક્રેન વિષે છે એ જ અભિપ્રાય ચીનનો ભારત વિષે છે. જે અભિપ્રાય અમેરિકાનો યુક્રેન વિષે છે એ જ અભિપ્રાય અમેરિકાનો ભારત વિષે છે. જે ઘટનાઓ બની રહી છે એ ડરાવનારી છે અને ભારતના નેતાઓ સાદી સ્પષ્ટતા પણ કરવાની સ્થિતિમાં નથી. આમ પણ આપણા નેતાઓ સંકટ સમયે મોઢું ફેરવી લેવામાં મહારત ધરાવે છે.
બે વિરુદ્ધ દિશાની નીતિ અપનાવીને રસ્તાની વચ્ચે ઊભા રહો, મૂલ્યવાન સમય વેડફો અને પૂરી તાકાત ચૂંટણીઓ લડવામાં અને પ્રજાકીય વિખવાદ પેદા કરવામાં ખર્ચો તો આવું થાય.
જુઓ, આગળ આગળ શું થાય છે!
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 માર્ચ 2022