નેવું નાબાદ જ્ઞાનપીઠ પ્રતિભા વાસુદેવન્ નાયર તાજેતરમાં કેરળ લિટફેસ્ટમાં જે બોલ્યા તે વાંચતાં હું એક સાથે ફેબ્રુઆરી 2024 અને ફેબ્રુઆરી 1974માં સમાંતરપણે વિહરવા લાગ્યો હતો : એમની ચિંતા કેમ જાણે અત્યારની એવી જ ત્યારનીયે ન હોય …
હમણાં કેરળ લિટફેસ્ટમાં નેવું નાબાદ સર્જક એમ.ટી. વાસુદેવન્ નાયરનું ભાષણ વાંચતે વાંચતે થયેલો વિલક્ષણ અનુભવ એક સાથે જાણે કે બે સમયમાં શ્વસતો હોઉં એવો હતો : એ 2024માં બોલી રહ્યા હતા અને હું એને સમાંતરપણે 1974માં ચાલી ગયો હતો. જ્ઞાનપીઠથી માંડી પદ્મભૂષણ લગીની ઓળખ, અલબત્ત સ્વતંત્ર પ્રતિભાની અક્ષત જાળવણી સાથેની એમની રહી છે.
સામ્યવાદની પ્રતિષ્ઠા સારુ સુપ્રતિષ્ઠ લોકશાહી કેરળમાં લિટફેસ્ટ અવસરે મુખ્ય મંત્રી વિજયનની ઉપસ્થિતિમાં બોલી રહેલા વાસુદેવન નાયરે સ્તાલિનના વારામાં થયું હતું તેમ કોઈ એક વ્યક્તિના બેછૂટ મહિમામંડન અને ડેમોક્રેટિક સેન્ટ્રલિઝમના રૂપાળા ઝભલા તળે ધરાર સરમુખત્યારી બાબતે સખત નાપસંદગી દર્શાવી હતી.
આ સંદર્ભમાં એમણે લોકશાહી રાહે ચૂંટાઈને કેરળમાં શાસનનાં સૂત્રો સાહનાર પ્રથમ મુખ્ય મંત્રી ઈ.એમ.એસ. નાંબુદ્રીપાદને સરસ સંભાર્યા હતા. એમણે કહ્યું કે નાંબુદ્રીપાદ સત્તાને સમાજ પરિવર્તનના સાધન તરીકે જોતા હતા. મતદારોની વિશાળ બહુમતી તો આપણી સાથે આવી, પણ જનવિરાટને એક જવાબદાર સમાજમાં આપણે તબદીલ કરી શકીએ તે ખરો પડકાર છે એમ ઈ.એમ.એસ.નું કહેવું હતું. નહીં તો, વાસુદેવન નાયરે કહ્યું, આપણે ડેમોક્રેટિક સેન્ટ્રલિઝમ સારુ તૈયાર રહેવાનું છે.
એક સમર્થ સર્જકની આ બેબાક ટિપ્પણી વાંચતે વાંચતે મને તોલ્સતોયના મર્મભેદી ઉદ્દગારોનું સ્મરણ થઈ આવ્યું હતું કે ક્રાંતિકારો સત્તા પર આવ્યા પછી બધું જ કરે છે, સિવાય કે પોતે જેમના પર બેઠા છે એ લોકના ખભા પરથી ઊતરવાનું!
શરૂમાં જ મેં કહ્યું કે આ ભાષણ વાંચતાં હું જેટલો આપણા સમયમાં હતો એટલો જ પચાસ વરસ પાછળ ચાલ્યો ગયો હતો. મારો સ્મૃતિસંદર્ભ નવનિર્માણ આંદોલનની પચાસીનો હતો. 1974માં ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં જયપ્રકાશ અમદાવાદ આવ્યા હતા અને જેમ તીખી તરુણાઈ, રચનાત્મક કાર્યકરો તેમ બૌદ્ધિકો ને નાગરિકો સાથે સોક્રેટિક સંવાદની રાહે ખાસી વૈચારિક આપ-લે કરી હતી.
અવિશ્રાન્ત રચનાકાર્યના લાંબા દોર પછી એમને પોતાની વ્યક્તિગત સત્તાના અર્થમાં નહીં પણ વ્યાપક સંદર્ભમાં સીધો રાજકીય હસ્તક્ષેપ કરવાની જરૂરત વરતાવા લાગી હતી. જૂના જોગંદર, માર્ક્સથી ગાંધી બધે ઉઘાડી આંખે ફરી વળેલા, મહેનત-મજદૂરીનું જીવન જીવી જાણનારા, સન બયાલીસના આ વીરનાયકે ઘેરાતાં વાદળો વચ્ચે ડિસેમ્બર 1973માં આવાહન કર્યું હતું – યૂથ ફોર ડેમોક્રસી : હવે જોવનાઈ જનતંત્ર સારુ. (એટલે સ્તો નવનિર્માણના આરંભ દિવસોનું એક પ્રિય સૂત્ર હતું કે જયપ્રકાશને હાઈજેક કરી લાવો!)
તરુણો જોગ આવી કોઈ અપીલમાં પોતાની જાતને જોગવવાનું એમને કેમ સૂઝ્યું હશે? 1966ના જાન્યુઆરીમાં તાશ્કંદમાં શાસ્ત્રીજીના અસામયિક નિધન પછી ઇન્દિરા ગાંધી વડાં પ્રધાન બન્યાં. 1967ની ચૂંટણી પછી થોડા સમય માટે દેશજનતાએ સ્વરાજના વીસે વરસે બિનકાઁગ્રેસવાદનો ટૂંકજીવી ચમકારો જોયો. થોડા મહિના પર જેમની શતાબ્દી ગઈ તે મધુ લિમયેએ ત્યારે ચિત્રાત્મક રીતે કહેલું કે અમૃતસરથી કલકત્તા (કોલકાતા) ચાલ્યા જાઓ, તમારે ક્યાં ય કાઁગ્રેસરાજમાંથી પસાર નહીં થવું પડે.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીએ સંજીવ રેડ્ડીના ઉમેદવારી પત્રમાં સહી કરી અને વી.વી. ગિરિનો પ્રચાર કર્યો! ગિરિની ફતેહ, કાઁગ્રેસના ભાગલા, ‘ગરીબી હટાઓ’નું આકર્ષક ઇન્દિરાઈ સૂત્ર એ આખી દાસ્તાંમાં નથી જતો, પણ 1971ની મધ્યસત્ર ચૂંટણીમાં અસાધારણ વિજય અને બાંગ્લાદેશની મુક્તિ સાથે ઇન્દિરાજીની કીર્તિનો સૂરજ સોળે કળાએ તપવા લાગ્યો હતો એટલું જરૂર સંભારી આપું.
જે.પી.ને લાગ્યું કે સ્વરાજ નિર્માણની આવી અસીમ સત્તા-શક્યતા વચ્ચે કેટલીક પાયાની બાબતો તરફ ‘ભાઈ જવાહરલાલ’ની બેટી ઈન્દુનું ધ્યાન દોરવું જોઈએ. 1966ના જુલાઈમાં મારા પ્રશ્નના ઉત્તરમાં એમણે બાંધે ભારે કહ્યું હતું કે ‘શી ઈઝ શેઈપિંગ વેલ.’ સાવ શરૂઆતનો ગાળો હતો એટલે લગરીક ઉદાર પણ હશે. પછી પક્ષપલટા અને રાષ્ટ્રપતિની ચૂંટણીનું જે રાજકારણ ચાલ્યું એથી એ ક્ષુબ્ધ ને સચિંત અલબત્ત હતા.
એમણે બેટી ઈન્દુને લખ્યું પણ ખરું કે તને ત્યારે કદાચ તે સિવાય રસ્તો નહીં હોય પણ હવે સત્તા ને સ્થિરતાની જે સ્થિતિ છે એમાં તું ધોરણો માટે કેમ આગ્રહ ન રાખી શકે? જે.પી. ગેરરીતિઓને સ્વીકારતા નહોતા પણ એક ગાળામાં એ કદાચ અનિવાર્ય લાગી હોય તો પણ હવે તો એ છોડવી લાજિમ છે એમ એમનું કહેવું હતું.
બીજી પાસ, ઇન્દિરાજીની લગભગ ખાલસા નીતિ જેવી જે રાજનીતિ ચાલી એ પછી એમની શાસનશૈલીમાંથી એમને એ બૂ આવવા લાગી જેની જિકર આજના સંદર્ભમાં વાસુદવેન્ નાયરે કરી છે – ‘ડેમોક્રેટિક સેન્ટ્રલિઝમ’ના રૂપાળા ઝભલા તળે દોમ દોમ ને રોમ રોમ સરમુખત્યારી. ઓગસ્ટ 1972ના ‘રેડિકલ હ્યુમેનિઝમ’માં એમણે આ આખી વાત વિશદપણે મૂકી પણ હતી અને સ્થાપિત પક્ષોથી ઉફરાટે કશીક નવી પહેલખોજ વાસ્તે એ ‘યૂથ ફોર ડેમોક્રસી’ના કોલ તરફ વળ્યા હતા – આવાહન પણ, આહ્વાન પણ!
આજે લહેરોમાં નિમંત્રણ વરતાય છે ત્યારે હું તીર પર રોકાઈ રહું શાનો, એ મતલબની હરિવંશરાય બચ્ચનની પંક્તિ ફેબ્રુઆરીના પહેલા પખવાડિયામાં એમણે સંભારી એનો સંદર્ભ આ સ્તો હતો.
ગુજરાતના જાહેર જીવનની ત્રણ શખ્સિયત આ ક્ષણે સહજ સાંભરે છે – ઉમાશંકર જોશી, ભોગીલાલ ગાંધી, પુરુષોત્તમ માવળંકર : ‘નવનિર્માણ’ એ નામ ત્યારના બિનપક્ષીય સાંસદ માવળંકરની જ ભેટ હતી. રાજ્યસભા સાંસદ ઉમાશંકર આંદોલનની સાથે હતા. આ બંને કરતાં ભોગીભાઈ એ રીતે જુદા પડતા હતા કે ઇન્દિરાઈન પરત્વે કોઈ મોહભંગની જરૂર એમને પડી નહોતી. કાઁગ્રેસના ભાગલા સાથે જ એમણે સરમુખત્યારશાહી ભાખી હતી.
તેમ છતાં, ખબર નથી, ત્યારના ગુજરાતને ડેમોક્રેટિક સેન્ટ્રલિઝમનો માયનો પૂરો પકડાયો હશે કે કેમ … અને અત્યારે પણ એ પાધરો પમાતો હશે કે કેમ.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 07 ફેબ્રુઆરી 2024