‘મંદિર વહીં બનાયેન્ગે’ આ શબ્દો હતા રથયાત્રાના સારથિ લાલકૃષ્ણ અડવાણીના. આજે જે રામમંદિર અયોધ્યામાં સાકાર થયું છે, એનાં મૂળમાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી છે. એ અડવાણી અને જોશીને એક તબક્કે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત ન રહેવાની સૂચના રામમંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે, તેમની અવસ્થા જોઈને આપી હતી. જો કે, એ બંને મહાનુભાવો તબિયતને કારણે ઉપસ્થિત રહ્યા ન હતા. પછી તો પ્રાણપ્રતિષ્ઠા થઈ ને બધું રંગેચંગે પાર પડ્યું ને આજે એ વાતને ચૌદ દિવસ થયા છે. રામને ચૌદ વર્ષનો વનવાસ થયો ને (લાલ)કૃષ્ણને ‘ભારત રત્ન’થી નવાજવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ X પર વધામણી ખાધી. વડા પ્રધાન મોદીએ બહુ પ્રસન્નતાપૂર્વક દેશના સર્વોચ્ચ સન્માન ‘ભારત રત્ન’ અંગે અડવાણી સાથે વાત કરી અને આ સન્માન મેળવવા બદલ અભિનંદનો પણ પાઠવ્યાં. 97 વર્ષે આ સન્માન અડવાણીને મળે એથી સ્વાભાવિક જ આનંદ થાય. તેમણે દિલ્હીનાં તેમનાં નિવાસ સ્થાને, હાથ જોડીને સૌનું અભિવાદન કર્યું. એમાં તેમની દીકરી પ્રતિભા અડવાણી પણ જોડાઈ. આ સન્માનથી એમનો આખો પરિવાર પ્રસન્ન છે. અટલ બિહારી વાજપેયી પછી અડવાણી ભા.જ.પ.ના બીજા નેતા છે, જેમને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળી રહ્યું છે. 2015માં તેમને બીજા નંબરનું નાગરિક સન્માન પદ્મવિભૂષણ, તે વખતના રાષ્ટ્રપતિ પ્રણવ મુકરજીને હસ્તે અપાયું હતું.
‘ભારત રત્ન’ કોઈ પણ ક્ષેત્રમાં ઉત્તમ માનવસેવા પ્રદાન કરવા બદલ આપવામાં આવે છે. ભારતના પહેલા રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા 2 જાન્યુઆરી, 1954માં આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી. આ પુરસ્કારની ભલામણ, વડા પ્રધાન, મંજૂરીની અપેક્ષાએ રાષ્ટ્રપતિને કરે છે. સન્માન મેળવનાર મહાનુભાવને રોકડ પુરસ્કાર અપાતો નથી, પણ જે તે વ્યક્તિનું સ્થાન ભારતના શિષ્ટાચારની યાદીમાં સાતમા ક્રમનું હોય છે. વધારામાં રાષ્ટ્રપતિના હસ્તાક્ષરવાળું પ્રશસ્તિપત્ર અપાય છે અને પીપળાનાં પાનનાં આકારવાળું સન્માન પ્રતીક આપવામાં આવે છે, જેના પર સૂર્ય હોય છે ને દેવનાગરી લિપિમાં ‘ભારત રત્ન’ લખેલું હોય છે. આ સન્માન મરણોપરાંત અપાતું ન હતું, પણ 1955માં સુધારો કરવામાં આવ્યો અને 1966માં પહેલું મરણોત્તર સન્માન વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને આપવામાં આવ્યું. સૌથી ઓછી ઉંમરની વ્યક્તિ તરીકે ‘ભારત રત્ન’ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરને 40ની ઉંમરે મળ્યો, તો સૌથી વધુ ઉંમરની વ્યક્તિ તરીકે આ સન્માન 100ની ઉંમરે જાણીતા સમાજ સેવક ધોન્ડો કેશવ કર્વેને મળ્યું હતું. છેલ્લે આ સન્માન ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુકરજીને 2019માં મળ્યું ને 2024માં 50મો ‘ભારત રત્ન’ પુરસ્કાર લાલકૃષ્ણ અડવાણીને જાહેર થયો છે.
રાજકીય સ્વાર્થ વચ્ચે ન આવે તો ભાગ્યે જ કોઈ ભારતીય નેતાને અડવાણીને જાહેર થયેલ ‘ભારત રત્ન’નો વિરોધ હશે, પણ રાજકીય સ્વાર્થ ન હોય એવો નેતા જડવો પણ જોઈએને ! એટલે ભા.જ.પ. તો આ સન્માનથી રાજી થાય જ, પણ શરદ પવાર જેવા નેતાએ મતભેદ હોવા છતાં, અડવાણીનાં આ સન્માન બદલ રાજીપો વ્યક્ત કર્યો ને તેમનાં યોગદાન બદલ અભિનંદનો પણ આપ્યાં. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મોદી સરકાર આ બધું વોટ બેન્ક સાચવવા કરી રહી છે તેવું કહ્યું. એ સાચું હોય તો પણ એમાં શાસક પક્ષના વડીલ નેતાની અવમાનના કે ઉપેક્ષા થાય એ બરાબર નથી. ભા.જ.પ. મત માટે આ કરતો હોય તો, અખિલેશ યાદવની આ ટીકા રાજકીય હેતુ કે સ્વાર્થ વગરની છે, એવું કહી શકાશે? કાઁગ્રેસી સાંસદ પ્રમોદ તિવારીએ કટાક્ષ કરતાં કહ્યું કે અડવાણી દેશના સર્વોચ્ચ પદ માટે લાયક હતા, પણ મોદીએ વધારે નહીં તો ‘ભારત રત્ન’ તો આપ્યો ! આમ કહીને એમણે અડવાણીની પાત્રતા આથી ય વધુ હતી એ સૂચવી દીધું. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા, ગુજરાતનાં પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને અન્ય મહાનુભાવોએ પણ અડવાણીને મળેલ આ સન્માન બદલ રાજીપો વ્યક્ત કર્યો છે.
એ તો જેને જે ઠીક લાગે તે અભિપ્રાયો આપે, પણ એટલું છે કે અડવાણીએ પાયાના સ્તરે કામ શરૂ કર્યું અને નાયબ વડા પ્રધાન પદ સુધી પહોંચ્યા. તેઓ ગૃહ મંત્રી, માહિતી અને પ્રસારણ મંત્રી પણ રહી ચૂક્યા છે ને તેઓ તેમની અખંડિતતા અને પારદર્શિતા માટે પણ જાણીતા છે. વડા પ્રધાન તેમની પાસેથી રાજનીતિનાં ઘણા પાઠ શીખ્યા છે એની તો તેઓ પણ ના પાડી શકે એમ નથી.
8 નવેમ્બર, 1927ને રોજ કરાચીમાં જન્મેલા અડવાણી 14 વર્ષની ઉંમરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા ને કરાંચી, લાહોરમાં સંઘની શાખાઓ સ્થાપી. કરાચીમાં વિસ્ફોટ થતાં 1947ની 12મી સપ્ટેમ્બરે તેઓ ભારત આવ્યા. 26 જૂન, 1975ને રોજ દેશમાં કટોકટી લદાઈ એ પછી કાઁગ્રેસની ઇન્દિરા સરકાર સામે ભા.જ.પ.નું મુહૂર્ત નીકળ્યું. 1951માં શ્યામાપ્રસાદ મુખરજીએ સ્થાપેલ જનસંઘનું પણ એમાં વિલીનીકરણ થયું. 1977માં જનતા પાર્ટીએ જીત તો મેળવી, પણ પછી એમાં ઘણા વિખવાદો થતાં, લાલકૃષ્ણ અડવાણીએ અટલ બિહારી વાજપેયી સાથે મળીને ભારતીય જનતા પક્ષની સ્થાપના કરી. ભા.જ.પ.ને લોકસભા ચૂંટણીનો પહેલીવાર સામનો કરવાનો આવ્યો, 1984માં. એ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યાનું વર્ષ પણ હતું, એટલે લોકોની સહાનુભૂતિ કાઁગ્રેસ તરફ હતી ને તેની એકતરફી જીત થઈ. ભા.જ.પ.ને ત્યારે બે જ સીટ મળી. વાજપેયીએ પાર્ટી અધ્યક્ષનું પદ છોડતાં અડવાણી નવા અધ્યક્ષ થયા. આમ તો વિશ્વ હિન્દુ પરિષદે બાબરીની જગ્યાએ રામમંદિર બનાવવાનું આંદોલન શરૂ કર્યું જ હતું, તેમાં અડવાણીનાં નેતૃત્વમાં ભા.જ.પે. પણ ઘોષણાપત્રમાં રામમંદિરનો મુદ્દો ઉમેર્યો. બાકી, હતું તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ 26 ઓગસ્ટ, 1990ને રોજ બોલાવેલી બેઠકમાં, અયોધ્યા રામમંદિર પર ભાર મૂક્યો. બીજી તરફ ભા.જ.પ.નો સાથ હતો એટલે હિન્દુત્વનો મુદ્દો વધુ વ્યાપક બન્યો. વધારામાં અડવાણીએ સોમનાથથી રામમંદિરની રથયાત્રાનું એલાન કર્યું ને 25 સપ્ટેમ્બર, 1990ને રોજ રથયાત્રાનો પ્રારંભ થયો. યાત્રાના પ્રારંભ પહેલાં અડવાણીએ પ્રવચનને અંતે કહ્યું – મંદિર વહીં બનાયેન્ગે. રથયાત્રાનું સઘળે સ્વાગત થયું ને તે સફળ રહી. એ સફળતામાં નરેન્દ્ર મોદીનો પણ મહત્તમ ફાળો હતો. મોદી, અડવાણીને ગુરુ ગણે છે ને ગુરુએ શિષ્યને ગોધરાકાંડ વખતે રાજીનામું આપવામાંથી ઉગારી લીધો હતો. બનેલું એવું કે 2002માં ગુજરાતમાં રમખાણો ફાટી નીકળેલાં એથી તે વખતનાં વડા પ્રધાન વાજપેયી મોદીથી બહુ નારાજ હતા ને મોદીએ રાજીનામું આપવું જોઈએ એવું ઇચ્છતા હતા, એ વખતે ગુરુ અડવાણી શિષ્ય મોદીને પડખે રહ્યા.
30 ઓકટોબર, 1992ને રોજ વિશ્વ હિન્દુપરિષદે બાબરીની બાજુમાં રામમંદિર નિર્માણની જાહેરાત કરી ને કાર સેવકો 6 ડિસેમ્બરે ત્યાં પહોંચ્યા. લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી પણ હાજર હતા, એ દરમિયાન કેટલાક લોકો મસ્જિદના ગુંબજ પર ચડીને તેને ધ્વસ્ત કરતા જણાયા. અડવાણીએ માઇક પરથી એ સૌને રોકવાની કોશિશ કરી, પણ લગભગ બે વાગે ગુંબજ ધ્વસ્ત થઈને રહ્યો, પરિણામે, આખા દેશમાં રમખાણો ફાટી નીકળ્યાં. ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી ક્લ્યાણસિંહે રાજીનામું આપ્યું. અડવાણીએ લોકસભામાં વિપક્ષના નેતા તરીકે રાજીનામું આપ્યું. ભા.જ.પ.ની સરકારો જે રાજ્યમાં હતી, તેને બરતરફ કરવામાં આવી. આર.એસ.એસ. અને વી.એચ.પી. પર પ્રતિબંધ મુકાયો. ત્રણ દાયકા કાનૂની લડાઈ ચાલી ને અડવાણીને વિશેષ CBI કોર્ટે 2020માં તમામ આરોપોમાંથી મુક્ત કરતા ઉમેર્યું કે અડવાણી, બાબરી ધ્વંસ વખતે લોકોને રોકવાનો પ્રયત્ન કરતા હતા ને આમાંનું કશું પણ પૂર્વ નિયોજિત ન હતું.
નરસિંહ રાવની સરકારમાં અડવાણી પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો, તો એમણે લોકસભામાંથી રાજીનામું આપતાં જાહેરાત કરી કે આરોપો ખોટા સાબિત ન થાય ત્યાં સુધી ચૂંટણી નહીં લડે. આરોપો પુરવાર ન જ થયા અને બે વર્ષે ચૂંટણી જીતીને ફરી લોકસભામાં પહોંચ્યા. વાજપેયીની સરકારમાં 2002-2004 સુધી 7માં નાયબ વડા પ્રધાન રહ્યા. તેમની રાજકીય કારકિર્દીનો પ્રારંભ 1942માં, સંઘના સ્વયંસેવક તરીકે થયો. ત્યારે ભા.જ.પ. ક્યાં ય ન હતો, પણ જનસંઘ હતો. અડવાણી જનસંઘના દિલ્હી એકમના અધ્યક્ષ, 1970-1972 દરમિયાન રહ્યા ને 1973-77 સુધી જનસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહ્યા. 1977-1979 સુધી મોરારજી દેસાઈની સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રી રહ્યા. ચાર વખત તો તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યા. 1986-1991, 1993-1998 અને 2004-2005 દરમિયાન ભા.જ.પ.ના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા. 1989માં તેઓ દિલ્હીથી 9મી લોકસભા ચૂંટણીમાં સાંસદ તરીકે ચૂંટાયા. લોકસભામાં 1989-1991 દરમિયાન વિપક્ષના નેતા રહ્યા. 6 વખત તો તેઓ ગાંધીનગરથી લોકસભા સાંસદ ચૂંટાયા છે.
રામ મંદિર અને પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે દેશ આખામાં અત્યારે રામ લહેર ઊઠી છે, એનાં મૂળમાં અડવાણી છે. એમણે રથયાત્રા યોજી ને એવી યાત્રાઓ જુદાં જુદાં કારણોસર વખતો વખત યોજી, તેનો દેશમાં ભારે પ્રભાવ પડ્યો. ઘણાં એને હિન્દુત્વની લહેર તરીકે જુએ છે, પણ સાચું એ છે કે એ બિનસામ્પ્રદાયિક્તાનો જે રીતે અનર્થ થઈ રહ્યો હતો એની સામેનો વિરોધ હતો. દેશમાં બહુમતીની અવગણનાનો અને લઘુમતીની સ્થાપનાનો અન્યાયકારી ઉપક્રમ યોજાયો હતો ને એનો તીવ્ર પ્રતિકાર થવો જોઈતો હતો, એમાં અડવાણીની રથયાત્રાનો ફાળો મોટો છે.
એક ટી.વી. કાર્યક્રમ ‘આપ કી અદાલત’માં તે વખતના ગુજરાતના સી.એમ. નરેન્દ્ર મોદીને, ભા.જ.પ.નો 2014માં ભવ્ય વિજય થયો એ સંદર્ભે, એક પ્રશ્ન રજત શર્માએ પૂછ્યો કે દેશના વડા પ્રધાન તમે થશો? એના જવાબમાં મોદીએ અડવાણીનું નામ આગળ કરેલું. મતલબ કે લાલકૃષ્ણ અડવાણીનું કદ વડા પ્રધાન બનવાનું હતું જ ! એ જુદી વાત છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી થયા ને આજે વૈશ્વિક નેતા તરીકે તેઓ પ્રતિષ્ઠિત થયા છે, એનું ઘડતર અડવાણીનું છે, એ વાત ખુદ વડા પ્રધાન પણ સ્વીકારે છે. ‘ભારત રત્ન’ એ કદાચ શિષ્યની ગુરુને અપાયેલી ઉત્તમ ગુરુ દક્ષિણા છે…
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 ફેબ્રુઆરી 2024