વડોદરા વીસમી સદીમાં કોસ્મોપોલિટન શહેર ગણાતું. હું ૧૯૮૦માં અહીં સ્થાયી થયો એ પછી કોમી બહિષ્કારની બે ઘટનાઓ જોઈને અને ઘણા દાયકાઓ પહેલાં ઘટેલી ત્રીજી વિશે વાંચીને જરા વિચલિત થયો. પહેલાંના સમયમાં બનેલી એ ત્રીજી ઘટના બાબાસાહેબ આંબેડકરને લગતી હતી. કોલમ્બિયા યુનિવર્સિટીમાં તેમનો અભ્યાસ પૂરો કરીને તેઓ વડોદરા આવ્યા ત્યારે તેમણે એક પારસીના ઘરમાં આશ્રય લેવો પડ્યો હતો, કારણ કે ભલે તેમને બરોડાના મહારાજાના બરોડા સ્ટેટના કાનૂન અધિકારી તરીકે નિમ્યા હોય, પણ તેમને કોઈ હિન્દુ પરિવાર ઘર ભાડે આપવા તૈયાર નહોતો. આ અભિગમથી વ્યથિત થઈને આંબેડકરે બે અઠવાડિયાંમાં આ શહેર છોડવાનો ર્નિણય કર્યો.
મેં જે બે પ્રસંગ નજીકથી જોયા તેમાંના એકમાં ખ્યાતનામ નાટ્યકાર હબીબ તન્વીરને હાલાકી ભોગવવી પડેલી. ૧૯૮૫માં તેઓ વડોદરા આવેલા અને એક વર્ષ રહીને એક નવું નાટક તૈયાર કરવાના હતા. આંબેડકરની જેમ તન્વીરને પણ થોડા જ સમયમાં શહેર છોડવું પડેલું. હિન્દુઓ એક મુસ્લિમને ઘર આપવા તૈયાર નહોતા, અને મુસ્લિમો એક વામપંથીને પોતાની નજીક આવવા દેવા તૈયાર નહોતા. એંસીના દાયકામાં આર.એસ.એસ.એ ગુજરાતને પોતાની પ્રયોગશાળા બનાવવાનું કામ શરૂ કરી લીધું હતું. તેનાં પરિણામો પછીથી દેશ–દુનિયાની સામે આવવાનાં હતાં.
સામાજિક બહિષ્કારનું જે ત્રીજું પ્રકરણ હું જાણું છે તે છે જે.એસ. બંદૂકવાલાનો અનુભવ. ન્યુક્લિયર ફિઝિક્સનું ભણતર પૂરું કરીને તેઓ સિત્તેરના દાયકાની શરૂઆતમાં મ.સ. યુનિવર્સિટીમાં ભણાવવા આવ્યા હતા. તેમને તેમની જ કોમે અળગા કર્યા – તે શું હતા તે કારણે નહિ પણ તેમના વિચારોના કારણે. અજાઝ અશરફ સાથેની એક મુલાકાતમાં તેમણે કહેલું, “અમેરિકામાં મારો અભ્યાસ પૂરો કર્યા પછી હું ૧૯૭૨માં ભારત પાછો આવ્યો. એક વાર વડોદરામાં મેં (મુસ્લિમોના બોહરા સમુદાયના આધ્યાત્મિક નેતા) બોહરા સૈયદનાને જોયા. તેઓ એક બગીચામાં નમાઝ પઢી રહ્યા હતા. મને થયું કે હું એમને મળીને જઉં અને મેં તેમના પરિવારની બે વ્યક્તિઓ સાથે વાત કરી. મેં તો પેન્ટ–શર્ટ પહેર્યાં હતાં. તેમને જ્યારે ખબર પડી કે હું પણ બોહરા છું, ત્યારે તેમણે ઊંચા અવાજે મને કહ્યું કે મેં સૈયદનાને આવા લિબાસમાં મળવાનું કેવી રીતે વિચાર્યું. કોઈ બોહરા જ્યારે સૈયદના સાહેબને મળે ત્યારે તેણે બોહરા સમુદાયનો પરંપરાગત પોષાક પહેરવાનો હોય છે, અને અમુક રીતે જ ઊભા રહીને અમુક રીતે જ તેમની સમક્ષ જવાનું હોય છે. એ લોકોએ મને કહ્યું કે, તમારે તો ‘અબ્દે સૈયદના’ (એટલે કે સૈયદનાના ગુલામ) તરીકે વર્તવું જોઈએ. મેં કહ્યું કે અલ્લાહ સિવાય કોઈના પણ ગુલામ થવું મારે માટે અશક્ય છે. તેમણે મારા પર દબાણ લાવવાનો પ્રયત્ન કર્યો, પણ હું કોઈ સમાધાન કરવા તૈયાર નહોતો.”
એંસીના દાયકામાં હું મ.સ. યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાં ભણાવતો હતો, બંદૂકવાલા ભૌતિકશાસ્ત્ર વિભાગમાં; અને મને એમની ઓળખાણ કરવાનું મન થાય તે સ્વાભાવિક હતું. મેં ત્યારથી અત્યાર સુધીની એમની સંઘર્ષયાત્રા નજીકથી જોઈ છે, તેમની હિમ્મત અને જાન લેવા ધમકીઓ સામે પણ ર્નિભયપણે પોતાની વાત કહેવાની તેમની ક્ષમતાથી હું પ્રભાવિત પણ થયો છું અને પ્રેરિત પણ. અડધી સદીથી, છેક ૨૯મી જાન્યુઆરીએ તેમના અવસાન સુધી, તેમણે સત્તાધીશો સામે સત્ય બોલવાનું – સ્પીકિંગ ટ્રુથ ટુ પાવર – છોડ્યું નહિ, અને એ માટે ભારે કિંમત પણ ચૂકવી.
યુવાનીમાં જ્યારે તેઓ લેક્ચરર હતા અને યુનિવર્સિટી કેમ્પસમાં એક હોસ્ટેલના વોર્ડન હતા, ત્યારે અમુક વિદ્યાર્થીઓએ તેમના ઘરમાં ઘૂસીને બધું વેરણછેરણ કરી નાંખેલું. તેમણે જ્યારે ચૂંટણી લડવાનું નક્કી કર્યું ત્યારે યુનિવર્સિટીના સત્તાવાળાઓએ તેમની રજા અરજી મંજૂર કરવાની ના પાડી. યુનિવર્સિટીના ઇતિહાસમાં એક અપવાદ સર્જીને તેમણે કેમ્પસમાંના તેમના કામ માટે વેતન લેવાની ના પાડી. તેમણે ગરીબ પરિવારોનાં બાળકોને કોઈ ફી લીધા વિના ભણાવવાનું શરૂ કર્યું. સાથે પોતાનું ઘર ચલાવવા તે સમૃદ્ધ પરિવારોનાં પણ થોડાંક બાળકોને ભણાવતા. લેક્ચરર તરીકે તેમને જે નાનો ફ્લેટ મળેલો તેના પર ગુંડાઓએ હુમલો કર્યો તે પછી યુનિવર્સિટીએ તેમને પ્રોફેસરો માટેના મોટા ફ્લેટમાંથી એક આપેલો, ત્યાં થોડો સમય રહ્યા પછી તેઓ સમા વિસ્તારમાં બનાવેલા એક બંગલામાં રહેવા જતા રહ્યા. ૨૦૦૨નાં રમખાણો વખતે એ ઘર પર પણ ટોળાએ હુમલો કરેલો. મિત્રોની મદદથી તેઓ ભાગી નીકળી શક્યા, નહિતર એ દિવસે તેમને જાનનું જોખમ હતું. પણ હુમલાખોરોએ પરિવારની જૂની તસવીરો અને જૂના પત્રો જેવી તેમની સૌથી વધુ અમૂલ્ય ચીજવસ્તુઓ તેમની નજર સામે સળગાવી નાખી હતી, એ વાત તેમણે મને કહેલી.
રમખાણો પછી તેમણે તેમનાં સંતાનોને વડોદરાથી છેટે મોકલી દીધાં, અને પત્નીના અવસાન પછી તેઓ એકાકી જીવન ગાળી રહ્યા હતા. એ દરમિયાન પણ તેમણે સમાજ માટે કામ કરવાનું ચાલુ રાખ્યું, અસંખ્ય બાળકોના ભણતર માટે નાણાકીય મદદ કરી, સામાજિક સંવાદિતાને સ્પર્શતા મુદ્દાઓ પર લખવાનું આગળ વધાર્યું, અને સૌથી મહત્ત્વનું એ કે ર્નિભયતાનો સદ્દગુણ પકડી રાખ્યો. જીવનભર તેમણે મુસ્લિમ મુલ્લાઓના ફતવા અને ઝનૂની હિન્દુઓની ધમકીઓ અને સતામણીનો સામનો કર્યો.
તેમની ઓળખ અને વિચારોના કારણે તેઓ વડોદરાનાં ભારે ભૌતિકવાદી અને કંઈક અંશે બોહેમિયન વર્તુળોથી વિખૂટા જ રહ્યા. મોટા ભાગનો સમય તો વડોદરાના મહાનુભાવો એમ જ વર્તતા કે બંદૂકવાલા અહીં પ્રતાપગંજમાં એક નાના ફ્લેટમાં હજુ રહે છે એ વાત જાણે તેઓ સૌ ભૂલી જ ગયા હોય. જો કે, દુનિયાના ખૂણેખૂણેથી અગ્રણી વિચારકો અને સામાજિક નેતાઓ જ્યારે બંદૂકવાલાને મળવા આવતા ત્યારે તે સૌને તેમની હયાતીની નોંધ લેવાની ફરજ પડતી.
એક અંતરાત્માનો અવાજ (કોન્શ્યન્સ કીપર), જેને પોતાના શહેરમાં અવગણના અને વિશ્વભરમાં નામના મળી; એક પ્રેરણાદાયી મિત્ર, અને માનવસમ્માન અને સમાનતા માટેના જુઝારુ લડવૈયા એવા જે.એસ.બી.એ આ દુનિયામાંથી વિદાય લીધી છે. વડોદરાના નૈતિક માળખામાં એક મોટી ગેરહાજરી અને કોમી વિખવાદમાં ફસાયેલા આપણા દેશની સામૂહિક સ્મૃતિમાં એક મોટી છાપ તેમણે છોડી છે.
અનુવાદ : આશિષ મહેતા
(મૂળ લખાણ અંગ્રેજીમાં, ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં ૩૧મી જાન્યુઆરીએ પ્રકાશિત થયેલું, અનુવાદ સૌજન્યથી.)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2022; પૃ. 08