સિનેમા અધ્યયનના પિતામહ તરીકે ઓળખાતા ફાધર ગાસ્તોં રોબેર્જ(GASTON ROBERGE)નો જન્મ કેનેડાનાં મોન્ટ્રીઅલ નામનાં શહેરમાં થયો હતો. ભારતીય સિનેમા (ખાસ કરીને સત્યજીત રાયનું સિનેમા) તેમ જ ભારતીય કળા અને સંસ્કૃિતથી પ્રભાવિત થઈને તેઓ કેનેડાથી ભારતમાં આવીને વસ્યા. સત્યજીત રાયની ફિલ્મ પાથેર પાંચાલીનો તેમના પર જબરદસ્ત પ્રભાવ પડ્યો અને બાદમાં તેમણે કલકત્તામાં ચિત્રાબાની નામની એક ફિલ્મ ઇન્સ્ટિટ્યુટ પણ શરૂ કરી. ફાધર ગાસ્તોં રોબેર્જનું ચોક્કસપણે એવું માનવું છે કે ફિલ્મ્સમાં શૈક્ષણિક મૂલ્યો હોવાં ખૂબ જ જરૂરી છે, કારણ કે ફિલ્મ એ એક એવું માધ્યમ છે કે જેનાં થકી સમાજ પ્રભાવિત થાય છે. વર્ષ ૧૯૯૮માં ૪૬માં રાષ્ટ્રીય પુરસ્કાર અંતર્ગત ગાસ્તોં રોબેર્જને તેમનાં પુસ્તક COMMUNICATION CINEMA DEVELOPMENT માટેનો સિનેમા આધારિત શ્રેષ્ઠ પુસ્તકનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
વર્ષ ૧૯૩૫માં કેનેડાનાં એક ફ્રેન્ચ-કેનેડિયન કુટુંબમાં જન્મેલા અને પાદરી રહી ચૂકેલા ફાધર ગાસ્તોં રોબેર્જ વર્ષ ૧૯૬૧માં કલકત્તામાં આવીને વસ્યા. તેઓ જ્યારે કેનેડાથી ભારત આવવા નીકળ્યા હતા, ત્યારે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં તેમણે સૌ પ્રથમ ભારતીય ફિલ્મ એવી સત્યજીત રાયની અપૂ ત્રયી નિહાળી હતી. વર્ષ ૧૯૯૯થી કલકત્તાની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં માસ કમ્યુિનકેશન અને ફિલ્મ અધ્યયનના પ્રાધ્યાપક તરીકે તેઓ સતત અત્યાર સુધી કાર્યરત રહ્યા છે. ઘણા જાણીતા ફિલ્મમેકર્સ, ફિલ્મ સ્કોલર્સ અને ફિલ્મ વિવેચકો ગાસ્તોં રોબેર્જના વિદ્યાર્થી રહી ચૂક્યા છે.

દેશનાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર કે.જી. દાસ દ્વારા ફાધર ગાસ્તોં રોબેર્જના જીવન અને કાર્ય આધારિત એક ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે કે જેનું નામ છે Master Preacher of Film Theory એટલે કે ફિલ્મ સિદ્ધાંતના પારંગત ઉપદેશક. ફાધર ગાસ્તોં રોબેર્જ અત્યાર સુધીમાં સિનેમા વિષય આધારિત કુલ ૧૫ કરતાં પણ વધારે પુસ્તકો લખી ચૂક્યા છે. કલકત્તામાં તેમનાં પ્રયાસથી શરૂ કરવામાં આવેલી ચિત્રાબાની નામની ફિલ્મ સંસ્થા એ માત્ર ફિલ્મ અધ્યયન પૂરતી સીમિત નહિ રહેતાં દેશ-વિદેશની ફિલ્મ્સ અને ફિલ્મ્સ આધારિત પુસ્તકોની આર્કાઈવ પણ છે.
ગાસ્તોં રોબેર્જ એ સત્યજીત રાયની ફિલ્મ પાથેર પાંચાલી વિશે જણાવે છે કે આ ફિલ્મથી હું ઘણો જ પ્રભાવિત થયો હતો અને આ ફિલ્મમાં પણ એક ચોક્કસ દ્રશ્ય કે જેમાં બહેન દુર્ગા અને તેનો ભાઈ અપૂ છાનીછપની રીતે તેમની કઠોર સ્વભાવની માતાને ખાટું અથાણું ખવડાવે છે. આ દ્રશ્ય જોયાં બાદ મને લાગ્યું કે ફિલ્મના આ દ્રશ્યમાં જેટલો આનંદ આ બે બાળકોને આવે છે તેટલો જ આનંદ ફિલ્મ જોતી વેળાએ પ્રેક્ષકોને પણ આવે છે. ફિલ્મ પાથેર પાંચાલી જોયાં બાદ ગાસ્તોં રોબેર્જને ભારતીય સિનેમા પ્રત્યે એક પ્રકારનો આવેગ, પ્રેમ અને પ્રતિબદ્ધતા કેળવાઈ. તેઓ કહે છે કે સિનેમા એ એક એવો કાલ્પનિક અનુભવ છે કે જેમાં પડદા પર દ્રશ્ય, ધ્વનિ અને સંગીતનું મિશ્રણ જોવા મળે છે તેમ જ તેમાં દ્રશ્ય-શ્રાવ્યનું પ્રક્ષેપણ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે.
વર્ષ ૨૦૦૭માં પ્રકાશિત થયેલું ગાસ્તોં રોબેર્જનું પુસ્તક To View Movies The Indian Wayમાં ભારતીય સંસ્કૃિતના સંદર્ભમાં ભારતીય ફિલ્મ કેવી રીતે જોવી જોઈએ તે વાતનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમાં ગાસ્તોં રોબેર્જ લખે છે કે ભારતીય ફિલ્મ સમજવા માટે ભરતમુનિ અને તેમનાં નાટ્યશાસ્ત્રનો અભ્યાસ કરવો એ એક પૂર્વશરત છે. ગાસ્તોં રોબેર્જના અન્ય એક પુસ્તક Satyajit Ray Essays 1970-2005માં ફિલ્મમેકર સત્યજીત રાયના સમગ્ર કાર્યનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. સાથે એક વ્યક્તિ અને કલાકાર તરીકે પણ સત્યજીત રાયની મહાનતાનું વર્ણન કરવામાં આવ્યું છે. સત્યજીત રાય અને તેમની ફિલ્મ્સ વિશે ગાસ્તોં રોબેર્જ જણાવે છે કે સત્યજીત રાય પર જે આરોપ લગાવવામાં આવ્યા છે કે તેઓ ભારતીય ગરીબીને પશ્ચિમમાં વેચે છે તે તદ્દન પાયાવિહોણા છે. તેમની ફિલ્મ્સમાં જે ગરીબી જોવા મળે છે તે નહિ પણ તેમની ફિલ્મ્સના પાત્રોમાં જોવા મળતી આધ્યાત્મિક ધનાઢ્યતા અને માનવીયતા મને સ્પર્શી ગઈ છે.
ગાસ્તોં રોબેર્જ ભારતનાં સંદર્ભમાં જણાવે છે કે હું અહીં એક અલગ વિશ્વ જોવા માટે કેનેડાથી આવ્યો હતો, સાથે મારી જાતને જાણવા માટે આવ્યો હતો. હું અહીં રૂપાંતરિત થવા માટે નહોતો આવ્યો પણ હવે હું અહીં આવીને તદ્દન બદલાઈ ગયો છું. હું ભારત આવીને સૌ પ્રથમ સત્યજીત રાયને મળવા માંગતો હતો, પરંતુ આ મુલાકાત પૂર્વે મેં તેમનાં કાર્ય વિશે જાણ્યું અને તેમની મોટાભાગની ફિલ્મ્સ પણ જોઈ અને મારી જાતને એ રીતે તૈયાર કરી કે જો હું સત્યજીત રાયને મળું તો તેમની સાથે યોગ્ય રીતે સંવાદ કરી શકું. અને અમે બંને જ્યારે મળ્યા અને અમારી વચ્ચે જે મિત્રતા કેળવાઈ તે રાયના મૃત્યુ સુધી અઠંગ રહી. બંગાળમાં રવીન્દ્રનાથ ટાગોરની માફક સત્યજીત રાય પણ વિશાળકાય માનવપ્રતિમા છે.
આ એવી વાત છે કે જો સમગ્ર બંગાળ માણિકદા(સત્યજીત રાયને તેમનાં મિત્રો આ નામથી સંબોધતા હતા)માં હોય તો ધનવાન અને ગરીબ, શક્તિશાળી અને વિનમ્ર, ખેડૂત અને શહેરી યુવાનો, બાળકો, તરુણ, યુવાનો, વૃદ્ધો અને સ્ત્રીઓ આ તમામ ઘટના તમને સત્યજીત રાયનાં કાર્યમાં જોવા મળશે. સત્યજીત રાય સાથેની અંતિમ મુલાકાત વિશે ગાસ્તોં રોબેર્જ નોંધે છે કે અમે બંને મિત્રો જ્યારે છેલ્લી વખત હોસ્પિટલમાં મળ્યા હતા, ત્યારે રાય મરણપથારીએ હતા. તે દિવસે રવિવાર હતો અને હું સવારે નવ વાગ્યે તેમને મળવા માટે પહોચી ગયો હતો. તેમનું શરીર ખૂબ જ નંખાઈ ગયું હતું અને તેઓ એક બાળક જેવું વર્તન કરી રહ્યા હતા. હું ત્યાં વધારે રોકાઈ શક્યો નહિ અને જ્યારે હું ત્યાંથી જઈ રહ્યો હતો, ત્યારે રાયે મને કહ્યું કે ભાલો લાગ્લો (ખૂબ જ સુંદર લાગી રહ્યા છો) અને આ તેમના મારા માટેના છેલ્લાં શબ્દો હતા.
રવીન્દ્રનાથ ટાગોર અને સત્યજીત રાય વિશે વાત કરતાં ગાસ્તોં રોબેર્જ કહે છે કે બંગાળમાં ટાગોર ગયા અને રાય આવ્યા. ટાગોરનાં અંતિમ લખાણ પૈકીના એક એવા સંસ્કૃિતની કટોકટીમાં જે વાત રજૂ કરવામાં આવી છે, તે વાત સત્યજીત રાયની અંતિમ ત્રણ બંગાળી ફિલ્મમાં પણ જોવા મળે છે. ટાગોરે આ લેખ બીજા વિશ્વયુદ્ધના પ્રારંભમાં લખ્યો હતો અને તેમાં એ વાત જણાવવામાં આવી હતી કે અત્યારે જે કાંઈ પણ પાપ થઇ રહ્યું છે તેનાથી વ્યક્તિની અંદરનો વિશ્વાસ સમાપ્ત થઇ જશે. વર્ષ ૧૯૭૦માં જ્યારે ગાસ્તોં રોબેર્જ થકી કલકત્તામાં ચિત્રાબાની નામનું ફિલ્મ અધ્યયન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું, ત્યારે તેમને સત્યજીત રાયનો ભરપૂર સહયોગ મળ્યો હતો. આ કેન્દ્ર થકી કલકત્તા અને તેની આસપાસનાં સ્થાનિક લોકોને ફિલ્મ માધ્યમ વિશે ઘણું જાણવા મળ્યું. પોતાના લેખન વિશે ગાસ્તોં રોબેર્જ લખે છે કે મને એ વાતનો ખ્યાલ છે કે હું એ જ વિષય જાણું છું કે જે વિષયને હું શબ્દોમાં સમજાવી શકું છું. હું કશુંક શીખવા માટે લખી રહ્યો છું, અને મારું લખાણ માત્ર એટલા માટે પ્રકાશિત કરી રહ્યો છું કે તેના થકી લોકો પણ એ વાત શીખશે કે જે વાત હું સમજ્યો છું.
ગાસ્તોં રોબેર્જનું પ્રથમ પુસ્તક ચિત્રાબાની વર્ષ ૧૯૭૩માં પ્રકાશિત થયું હતું. ભારતીય ફિલ્મ અધ્યયનનાં સંદર્ભમાં આ પુસ્તક ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે. કારણ કે આ પુસ્તક પ્રકાશિત થયું તે સમયે સિનેમા માધ્યમને કેવી રીતે સમજવું તે વિષય પર આધારિત અન્ય ભારતીય પુસ્તકો બજારમાં ઉપલબ્ધ નહોતાં. અન્ય પુસ્તકો જે ઉપલબ્ધ હતાં તે વિદેશી ફિલ્મોનાં સંદર્ભમાં લખાયેલાં હતાં. ગાસ્તોં રોબેર્જ તેમનાં પુસ્તકમાં ભારતીય ફિલ્મ્સને ભારતીય સંસ્કૃિતનાં માધ્યમથી સમજાવવાનો પ્રયાસ કરે છે. સાથે જ ગાસ્તોં રોબેર્જ, સત્યજીત રાયની ફિલ્મ પાથેર પાંચાલીના સંદર્ભમાં જણાવે છે કે વિદેશી દર્શકોને પાથેર પાંચાલીની ધીમી ગતિ પસંદ છે. અને વિદેશી દર્શકો આ ફિલ્મમાં જીવનને સત્યજીત રાયનાં દ્રષ્ટિકોણથી નિહાળે છે.
અને અંતમાં ગાસ્તોં રોબેર્જના શબ્દોમાં હું માનું છું કે દરેક માનવી કશુંક શોધી રહ્યો છે. જ્યારે હું માનવી તરીકે આ વિશ્વને સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું. આ વિશ્વને વધારે યોગ્ય બનાવવા માટેનાં તમામ સાર્થક પ્રયાસ હું કરીશ. હું હંમેશાં લખતો રહીશ અને હંમેશાં શીખતો રહીશ.
e.mail : nbhavsarsafri@gmail.com
![]()


In a venue known for its liberal and secular ambience, the veteran columnist LK Sharma was bluntly told by a gentleman: ‘Go to Pakistan’.
૧૭ નવેમ્બરે ઇન્દિરા ગાંધીની જન્મશતાબ્દી આવી રહી છે, ત્યારે તેમનું રાજકરણ, રાજકીય શૈલી અને તેમના ભારતીય રાજકારણ પરના પ્રભાવ વિશે વિગતે વાત કરવાનો ઇરાદો છે. આવતા ત્રણ કે ચાર હપ્તામાં એ વિશે વાત કરવામાં આવશે. સ્વાભાવિક રીતે અહીં તેમનાં બાળપણ, લગ્ન અને શરૂઆતનાં વર્ષો વિશે વાત કરવામાં નહીં આવે. એ બધી વિગતો અહીં અપ્રસ્તુત છે.
જવાહરલાલ નેહરુની અંતિમ વિધિ પત્યા પછી કોને વડા પ્રધાન બનાવવા એનું રાજકારણ શરુ થાય છે. મોરારજી દેસાઈ તો રિંગમાં હતા જ. ૩૦મી મેએ લાલ બહાદુર શાસ્ત્રી ઇન્દિરા ગાંધીને મળવા તીન મૂર્તિ હાઉસ ખાતે જાય છે અને ઇન્દિરા ગાંધીને કહે છે: ‘અબ આપ મુલ્ક કો સંભાલ લીજીએ’. ઇન્દિરા ગાંધી વડા પ્રધાન બનવાની ના પાડે છે અને એ સાથે વિવેક પૂરો થાય છે. લાલ બહાદુર શાસ્ત્રીને પોતાને અને તેમને ટેકો આપનારા સિન્ડીકેટના નેતાઓને બે વાતની જાણ હતી. એક તો એ કે લાલ બહાદુર શાસ્ત્રીને જો વડા પ્રધાન બનાવવા હોય તો ઇન્દિરા ગાંધીના ટેકાની જરૂર છે. કોંગ્રેસના સંસદસભ્યોની નેહરુ માટેની શ્રદ્ધાનું ઇન્દિરા ગાંધી પ્રતિનિધિત્વ કરતાં હતાં. તેમને બીજી જાણ એ વાતની હતી કે મોરારજી દેસાઈ વિવેક પૂરતા કે રાજકીય રમતના ભાગરૂપે પણ ઇન્દિરા ગાંધીને વડા પ્રધાનપદની ઓફર કરવાના નથી. મોરારજીભાઈનું અભિમાન એમાં આડું આવતું હતું. દેખીતી રીતે ઇન્દિરા ગાંધીએ લાલ બહાદુર શાસ્ત્રીને ટેકો આપ્યો હતો.
ઇન્દિરા ગાંધીને કઠપૂતળીની જેમ નચાવી શકાશે એવી ધારણાથી દોરવાઈને કૉન્ગ્રેસના જમણેરી નેતાઓએ તેમને વડાં પ્રધાન બનાવ્યાં હતાં. ઇન્દિરા ગાંધી ગૂંગી ગુડિયા બની રહેશે અને એ સ્થિતિમાં વિરોધ પક્ષોને સત્તા સુધી પહોંચવાની તક મળશે એમ વિરોધ પક્ષો માનતા હતા. મોરારજી દેસાઈ તેમને નેહરુની છોકરી તરીકે ઓળખાવીને ઇન્દિરા ગાંધીની શક્તિને ઓછી આંકતા હતા. કોઈને એમ નહોતું લાગતું કે ઇન્દિરા ગાંધી જુદી માટીનાં છે અને તેઓ દરેકને ખૂણામાં ધકેલીને પોતાની જગ્યા બનાવી લેશે. મને એવો એક પણ રેફરન્સ નથી મળ્યો જેમાં કોઈએ કહ્યું હોય કે ઇન્દિરા ગાંધી સફળ અને કૃતનિશ્ચયી વડાં પ્રધાન સાબિત થશે.
મોરારજી દેસાઈને ત્યારે એમ લાગ્યું હતું કે કૉન્ગ્રેસની સંખ્યામાં થયેલો ઘટાડો ઇન્દિરા ગાંધીની અણઆવડત અને લોકોની નારાજગીનું પરિણામ છે એટલે વડા પ્રધાન બનવાનો અવસર તેમને મળી શકે એમ છે. બીજા દિગ્ગજો એમ નહોતા માનતા. તેમને સમજાઈ ગયું હતું કે કૉન્ગ્રેસની સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં ઇન્દિરા ગાંધીની લોકપ્રિયતામાં વધારો થયો છે, લોકસભાના સભ્યો તેમને સાથ આપવાના છે. મોરારજી દેસાઈએ વડા પ્રધાનપદ માટે ઉમેદવારી જાહેર કરી દીધી હતી. છેવટે સમાધાનના ભાગરૂપે મોરારજી દેસાઈએ નાયબ વડા પ્રધાનપદ અને ગૃહ ખાતાની માગણી કરી હતી અને ઇન્દિરા ગાંધીએ તેમને નાયબ વડા પ્રધાનપદ અને નાણાં ખાતું આપીને મનાવી લીધા હતા. કૉન્ગ્રેસના વિભાજનનું આ સાથે મંગલાચરણ થઈ ગયું હતું.
જ્યારે સમાજવાદી તખતો રચાઈ ગયો ત્યારે લાગ જોઇને ૧૯૭૧ના પ્રારંભમાં ઇન્દિરા ગાંધીએ લોકસભા બરખાસ્ત કરીને મધ્યસત્ર ચૂંટણી જાહેર કરી દીધી. આ પહેલાં કહ્યું હતું એમ કોંગ્રેસના વિભાજન પછી ઇન્દિરા ગાંધીની સરકાર લઘુમતી સરકાર હતી અને ભારતીય સામ્યવાદી પક્ષના સહારે ચાલતી હતી. એ પાંચમી લોકસભામાં ઇન્દિરા ગાંધીની કોંગ્રેસને ૫૨૦ બેઠકોમાંથી ૩૬૨ એટલે કે બે તૃતીયાંશ બેઠકો મળી હતી. કુલ ૫૫.૩ મતદાન થયું હતું અને ઇન્દિરા ગાંધીની કોંગ્રેસને ૪૩.૭ ટકા મત મળ્યા હતા. ઇન્દિરા ગાંધી સામે વિરોધ પક્ષોએ ગ્રેંડ એલાયન્સ કર્યું હતું જેને કુલ મળીને ૫૧ બેઠકો મળી હતી. કહેવાની જરૂર નથી કે ઇન્દિરા ગાંધીની કોંગ્રેસને મૂળ કોંગ્રેસની માન્યતા મળી ગઈ હતી. ત્યારે સંગઠીત વિરોધ પક્ષોના ઇન્દિરા હટાઓના નારાની સામે ઇન્દિરા ગાંધીના ગરીબી હટાઓના નારાનો ભવ્ય વિજય થયો હતો.