તમને જાણ તો હશે જ કે ભારતની વિવિધ અદાલતોમાં ત્રણ કરોડ કરતાં વધુ ખટલા ચુકાદાની રાહ જોતા પડ્યા છે. તમારી પહેલી પ્રતિક્રિયા હોવાની કે આનું કારણ અદાલતોની અને જજોની અછત હોવું જોઈએ. આવડો મોટો દેશ છે, વસ્તી વિસ્ફોટ થયો છે, માનવીય વ્યવહાર પહેલા કરતાં સંકુલ બન્યો છે, પહેલા સમાજના વડીલો કે મહાજનો લવાદી કરીને ઝઘડાનો અંત લાવતું એ યુગ પૂરો થયો છે અને લોકોએ અદાલતોમાં જવું પડે છે, એ બધું જોતાં ભારતની અદાલતોમાં કેસોનો ભરાવો થઈ રહ્યો હોય એ સ્વાભાવિક છે. એ પછી તમે સૂચવશો કે લોકોને ઝડપથી ન્યાય મળે એ સારુ ન્યાયતંત્રનું માળખું હજુ વધારે વિકસાવવું જોઈએ, અદાલતનોની અને જજોની સંખ્યા વધારવી જોઈએ, વગેરે.
તમારી આ ધારણા અને ઈલાજ બંને સાચા છે, પણ સાવ સાચા નથી. અદાલતોમાં કેસોનો ભરાવો થઈ રહ્યો છે એનાં બીજાં પણ કારણો છે અને તેમાં શાસકોનાં, શ્રીમંતોનાં અથવા સમર્થોનાં, વકીલોનાં અને જજોનાં સ્થાપિત હિતો છે. કઈ રીતે એ જોઈએ.
ભારતની વિવિધ અદાલતોમાં જેટલા કેસ દાખલ થાય છે, એમાંથી ૭૦ ટકા કેસમાં સરકાર કાં વાદી હોય છે અથવા પ્રતિવાદી. કેસ રસ્તા ઉપર સિગ્નલ તોડવાથી લઈને વોડાફોન પાસેથી વસૂલ કરવાના અબજો કરોડ રૂપિયા સુધીના હોય છે. સિગ્નલ તોડવાનો મામૂલી કેસ પણ ચાલતો રહે એમાં સરકારી વકીલને રસ હોય છે. કરવાનું કાંઈ હોતું નથી, કોઈને કોઈ બહાને તારીખ માગી લેવાની અને સરકારને બીલ મોકલી આપવાનું. રહી વાત સમર્થોની તો સમર્થોના સરકાર સાથેના ઝઘડા જટિલ હોય છે.
માની લો કે કોઈ એક કંપની સામે સરકારે ગેરરીતિ કરવાનો દાવો કરીને અમુક કરોડ રૂપિયાનો દંડ કર્યો અથવા આબકારી જકાત વધારીને વસૂલ કરી. કંપની સરકારના નિર્ણયને અદાલતમાં કે ટ્રીબ્યુનલમાં પડકારશે. હવે સંબંધિત સરકારી વિભાગ પહેલું કામ તો ફાઈલ લીગલ ડિપાર્ટમેન્ટમાં મોકલી આપશે. લીગલ ડિપાર્ટમેન્ટ સરકારી પેનલ પર કામ કરતા વકીલને મોકલી આપશે. કેસ ગમે એટલો ખેંચાય સંબંધિત સરકારી વિભાગના અધિકારીઓને ખિસ્સામાંથી પૈસા આપવાના નથી એટલે એને કોઈ ફરક પડતો નથી.
એ દરમિયાન માની લો કે સરકારી અધિકારીને ખબર છે કે સરકારનો દાવો લૂલો છે અથવા વકીલ સલાહ આપે કે સરકારનો દાવો નબળો છે (જો કે આવું ભાગ્યે જ બને છે) તો પણ પેલો અધિકારી ફાઈલ બંધ નહીં કરે. સરકારી અધિકારી સરકારનો દાવો જતો કરવાનો નિર્ણય લે અને કોઈ ભ્રષ્ટાચારનો આરોપ કરે તો? ફલાણા અધિકારીએ ફલાણી કંપની પાસેથી પૈસા ખાઈને પાણીના ભાવમાં સેટલમેન્ટ કરીને ભ્રષ્ટાચાર કર્યો એવો આરોપ કરવામાં આવે તો? એ અધિકારીના પડખે કોણ ઊભું રહેવાનું? માટે જેટલા કેસમાં સરકાર વાદી કે પ્રતિવાદી છે એવા કેસમાં સરકારી અધિકારીઓ બને ત્યાં સુધી નિર્ણય કરવાનું ટાળે છે. કોણ જોખમ ઉઠાવે? એના કરતાં અદાલતમાં કેસ ચાલવા દો. તો એક સમસ્યા તો એ છે કે જે કેસમાં કોઈ દમ નથી એવા ખટલા પણ સરકારી અધિકારીઓ આટોપતા નથી.
આ બાજુ પ્રતિવાદી કંપનીને એમ લાગે કે એનો કેસ મજબૂત છે અને સરકાર પાસેથી વળતર મેળવી શકાય એમ છે તો એ કોઈ વગદાર મોંઘા વકીલને રોકીને ગયા સપ્તાહના લેખમાં કહ્યું હતું એમ વચ્ચેની અદાલતોને કુદાવીને સીધો સર્વોચ્ચ અદાલતમાં સ્પેશિયલ લીવ પિટીશનનું છીંડું પાડીને પહોંચી જશે. એને ખબર છે કે પૈસા મળવાના છે. સર્વોચ્ચ અદાલત તેમના કેસો ખાસ છૂટ આપીને (સ્પેશિયલ લીવ) દાખલ કરે છે, સાંભળે છે અને બને એટલી ત્વરાએ ચુકાદા આપે છે. આ બધું શું એમનેમ થતું હશે એમ તમે માનો છો? આપણી સર્વોચ્ચ અદાલત તેનો ૯૦ ટકા કરતાં વધુ સમય માલદાર લોકોની સ્પેશિયલ લીવ પિટીશન સાંભળવા પાછળ ખર્ચે છે.
પણ માની લો કે પ્રતિવાદી કંપનીનો કેસ નબળો છે, સરકારનો પક્ષ મજબૂત છે અને કંપનીએ પૈસા આપવા પડે એમ છે તો? તો નીચેની અદાલતમાં બને ત્યાં સુધી કેસ ચાલવા નહીં દેવાનો. તારીખો માગીને, બીજા અનેક વાંધા-વચકા કાઢીને, કાનૂની મુદ્દાઓ ઉપસ્થિતિ કરીને, લાંબીલચક દલીલો કરીને વર્ષોનાં વર્ષો ખેંચી કાઢવાના. પ્રતિવાદી કંપનીને પૈસા નથી આપવા માટે એ કેસ ખેંચે છે અને વાદી સરકારી અધિકારીને પૈસા મળે કે ન મળે તેને અંગત કોઈ ફરક પડતો નથી. સરકારી વકીલને તો લાભ જ લાભ છે એ પણ કેસ ઝડપથી ચાલે એ માટે કોઈ પ્રયત્ન કરતો નથી. એ પછી પણ એક દિવસ ચુકાદો આવે અને કંપની હારી જાય તો ઉપલી અદાલતમાં જવાનું, ત્યાં હારી જવાય તો હજુ ઉપલી અદાલતમાં પણ સ્પેશિયલ લીવ પિટીશન કરીને સર્વોચ્ચ અદાલતમાં નહીં જાય. જો સરકાર પાસેથી લેવાના હોય તો નિસરણીનાં પગથિયાં કુદાવવાના અને આપવાના હોય તો એક એક પગથિયે પાંચ-સાત વરસ કાઢવાના. શું સરકારને આની જાણ નથી? શું અદાલતના જજોને આની જાણ નથી?
તો શા માટે આમ કરવામાં આવે છે? અદાલતો ઉપરનું ભારણ ઓછુ કરવું હોય તો સરકારે પોતાનું જે ભારણ છે એ ઘટાડવું જોઈએ. આગળ કહ્યું એમ ૭૦ ટકા ભારણ સરકારનું પોતાનું છે. સરકાર (તાલુકા પંચાયતથી લઈને કેન્દ્ર સરકાર) પોતાનો બોજો હળવો કરતી નથી. જો બોજો ઘટાડે તો ન્યાયતંત્ર હળવું ફૂલ થઈ જાય અને વખતે આપણને જેલમાં પણ મોકલે. આ બાજુ જજોએ પણ પરિસ્થિતિ સાથે સમાધાન કરી લીધું છે અને તેઓ પણ તેમનો સ્વાર્થ જુએ છે. માટે ઊહાપોહ તો કરવો જ રહ્યો. ભલે જેલમાં જવું પડે!
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 સપ્ટેમ્બર 2020