મને ખાતરી છે કે મારી આ કોલમના ૯૦ ટકા વાચકોએ પ્રતાપ ભાનુ મહેતાનું નામ નહીં સાંભળ્યું હોય. તેઓ ભારતના અવ્વલ દરજ્જાના રાજકીય વિચારક છે અને જગતમાં એ રીતની પ્રતિષ્ઠા ધરાવે છે એ છતાં ય. આનું કારણ એ છે કે તેઓ અંગ્રેજીમાં લખે છે અને એ પણ સામાન્ય વાચક માટે થોડું અઘરું પડે એ રીતનું લખે છે. પ્રતાપ ભાનુ મહેતા ટી.વી.ની રીડિયારમણ કરનારી ડિબેટોમાં ભાગ લેવા નથી જતા એટલે કેટલાક વાચકોને તો તેમનું નામ સાંભળીને તેમનો ચહેરો પણ નજર સમક્ષ નહીં આવતો હોય. પ્રતાપ ભાનુ મહેતા અરુણ શૌરી કે યોગેન્દ્ર યાદવની માફક વિદ્વાન હોવા છતાં જાહેરજીવનમાં સક્રિય પણ નથી. તેઓ પુસ્તકો, યુનિવર્સિટીના કેમ્પસ અને વિદ્યાર્થીઓની વચ્ચે જીવનારા માણસ છે. ટૂંકમાં તેઓ એકેડેમિક દુનિયાના માણસ છે.
આ માણસને પહેલા તો દેશની કદાચ સૌથી પ્રતિષ્ઠિત ગણાતી ખાનગી યુનિવર્સિટી અશોકા યુનિવર્સિટીના ઉપ-કુલપતિપદેથી હટાવવામાં આવ્યા. દેશમાં થોડીઘણી ચર્ચા થઈ અને વાત ભુલાઈ ગઈ. હમણાં કહ્યું એમ તેઓ રઘુરામ રાજન કે અમર્ત્ય સેન જેવા જાણીતા માણસ તો છે નહીં કે બહુ મોટો ઊહાપોહ થાય! બીજું ઊહાપોહ કરનારાઓ પણ કેટલા ઓછા છે! દેશમાં જે થોડાક ઉદારમતવાદી સેક્યુલર પત્રકારો બચ્યા છે, એમણે ઊહાપોહ કર્યો હતો જે લોકો સુધી પહોંચ્યો પણ નહોતો. ત્રીજું ઊહાપોહને લોકો સુધી પહોંચાડવા માટે તેમની પાસે સાધન પણ ક્યાં છે? મોટા ભાગના મીડિયા વેચાઈ ગયેલા છે અથવા ડરેલા છે. એટલે ઊહાપોહ કરનારાઓનો ઊહાપોહ પણ લોકો સુધી પહોંચતો નથી. આને કારણે સમાજવિજ્ઞાનના વિશ્વપ્રસિદ્ધ વિચારકને પ્રતિષ્ઠિત અશોકા યુનિવર્સિટીના ઉપ-કુલપતિપદેથી હટાવવામાં આવ્યા એ ઘટના લોકો સુધી પહોંચી પણ નથી.
ખુલ્લા સમાજ ઉપર કુઠારાઘાત કરનારી ઘટના હતી તો બહુ મોટી, પણ દેશમાં ઘોંઘાટ પેદા કરીને અવાજોને લોકોના કાને નહીં પડવા દેવાની વ્યવસ્થા એટલી જડબેસલાક છે કે દેશમાં પાંદડું પણ હાલ્યું નહીં અને પ્રતાપ ભાનુ મહેતાને તગેડી મુકવાની ઘટના ઘોંઘાટમાં ખોવાઈ ગઈ. હવે પ્રતાપ ભાનુ મહેતાને અશોકા યુનીવર્સીટીના પ્રાધ્યાપકના પદેથી પણ હટાવવામાં આવ્યા છે. તેઓ યુનિવર્સિટીનું નેતૃત્વ તો નહીં કરે, પરંતુ વિદ્યાર્થીઓને ભણાવી પણ નહીં શકે. શા માટે તેમને હટાવવામાં આવ્યા?
પહેલી ઘટના કરતાં આ બીજી ઘટના વધારે મોટી છે. પ્રતાપ ભાનુ મહેતા અને લિબરલ સોસાયટી માટે નહીં, પણ જેઓ અવાજોને દબાવી દઈને હિંદુ રાષ્ટ્ર સ્થાપવા માગે છે તેમને માટે આ મોટી ઘટના છે. જેને કોઈ ઓળખતું નથી, જે સામાન્ય નાગરિકની ભાષામાં અને સામાન્ય નાગરિક સમજી શકે એવી ભાષામાં લખતો નથી, જેની પીપૂડી લોકો સુધી પહોંચતી નથી, જેની પાછળ સમર્થકોનાં ટોળાં નથી એનો એવો તે કેવો ડર કે એ વિદ્યાર્થીઓને ભણાવી પણ ન શકે!
જરૂર એ ઋજુ અવાજમાં એવું કશુંક છે જેને સમર્થકોનાં ટોળાંઓ અને ઘોંઘાટો ઢબૂરી શકવાના નથી, ઢબૂરી શકતા નથી. શું છે એ? એ છે સત્ય. પ્રતાપ ભાનુ મહેતા અને તેમના જેવા બીજાઓ નિરક્ષીર વિવેક કરી આપે છે. તમે જેને ખીર સમજો છો એ હકીકતમાં પાણી છે એ તર્ક શુદ્ધ દલીલો સાથે સમજાવે છે. શાસકોને આ વાતનો ડર લાગે છે. પ્રચંડ શક્તિશાળીઓ શક્તિશાળી હોવાનો દેખાવ અને દાવો કરતા હોવા છતાં એક પ્રોફેસરથી ડરે છે. નહીં તો કોણ છે પ્રતાપ ભાનુ મહેતા? કોણ ઓળખે છે એમને? સત્યના એ સાત્ત્વિક ઋજુ અવાજની પોતાની એક તાકાત છે જે શાસકોને સતાવે છે. માટે મેં કહ્યું છે કે આ ઘટના બહુ મોટી છે. લિબરલ સોસાયટી માટે નહીં પણ જેઓ હિંદુ રાષ્ટ્ર સ્થાપવા માંગે છે તેમને માટે આ મોટી ઘટના છે. સાત્ત્વિક સત્ય તેમને સતાવે છે. શક્તિશાળીઓને સતાવે છે.
ગ્રીસમાં સોક્રેટિસે પોતાને ઢોરને વળગતી બગાઈ સાથે સરખાવ્યો હતો. બગાઈ ઢોરને પરેશાન કરી મૂકે પણ છોડે નહીં એમ સોક્રેટિસે એથેન્સના શાસકોને કહ્યું હતું કે તે સવાલ કરતો રહેવાનો છે. લોકો વિચારે, શંકા કરે, સવાલ પૂછે અને પોતાની બુદ્ધિથી વિવેક કરે એ હું શીખવાડવાનો છું. એથેન્સના શાસકોએ સોક્રેટિસને ઝેર આપીને મારી નાખ્યો હતો, પણ દુનિયા ત્યારથી લઈને આજ સુધી સોક્રેટિસ વિનાની થઈ નથી. થતી જ નથી. દરેક યુગમાં અને દરેક સમાજમાં સોક્રેટિસ પેદા થઈ જ રહ્યા છે. અનેક અવાજોની હત્યા કરાઈ, ઘોંઘાટ દ્વારા ઢબૂરી દેવાના પ્રયાસ થયા પણ સાત્ત્વિક ઋજુ અવાજ કાન સુધી પહોંચી જ જાય છે.
કદાચ શાસકો શાપિત હોવા જોઈએ!
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 માર્ચ 2021