આ દેશમાં ખેડૂતોના હિતનું આયોજન ખેડૂતો નથી કરતા, પણ ખેડૂતો વતી સરકાર કે સરકારી એજન્સીઓ કરે છે. આંતરરાષ્ટ્રીય નાણા નિધિ અને વિશ્વબેંક જેવી વૈશ્વિક સંસ્થાઓ કરે છે. ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર, એસ્સોચેમ, ફિક્કી જેવી ઉદ્યોગપતિઓની સંસ્થાઓ કરે છે. કૃષિ ઉત્પાદનનું પ્રોસેસીંગ કરીને તેલ, સાકર વગેરેનું ઉત્પાદન કરનારા ઉદ્યોગપતિઓ કરે છે. આ સિવાય કેટલીક થીંક ટેંક તરીકે ઓળખાતી પોલીસીન રિસર્ચ કરનારી સંસ્થાઓ કરે છે. આમાંના કોઈનો ગ્રામીણ ભારત સાથે સંબંધ નથી અને ખેડૂતને તો કોઈ પૂછતું જ નથી. અત્યારે ભારત સરકારે જે કાયદા ઘડ્યા છે એ ખેડૂતોના હિતમાં છે એમ સરકાર કહે છે. ખેડૂતો કહે છે કે તેમાં તેમનું કોઈ હિત નથી, તેમને નુકસાન પહોંચવાનું છે તો પણ સરકાર કહે છે કે તેમના હિતમાં છે. આમ ખેડૂતોનું હિત બીજા નક્કી કરે છે અને એમાં ખેડૂતને પૂછવામાં તો આવતું જ નથી, પણ વિરોધ કરે તો પણ. પહેલી પેઢીના શાસકો એટલી તો માણસાઈ ધરાવતા હતા કે તેમણે રાષ્ટ્રયજ્ઞમાં ખેડૂતોને વિશ્વાસમાં લઈને ભાગીદાર બનાવ્યા હતા, બાકી ખેડૂત વતી કૃષિઉદ્યોગનું આયોજન તો સરકારે જ કર્યું હતું.
પણ કુબેરપતિઓ? તેઓ તેમનું આયોજન પોતે કરે છે. ૧૯૪૪માં બંગાળમાં ફેમીનના કારણે શરૂ થયેલા ભૂખમરાનો હજુ તો અંત પણ નહોતો આવ્યો અને બીજું વિશ્વયુદ્ધ હજુ ચાલુ હતું ત્યારે આઝાદ ભારતમાં ઉદ્યોગોનું સ્વરૂપ કેવું હોવું જોઈએ, ઔદ્યોગીકરણની પ્રક્રિયા કેવી હોવી જોઈએ, કૃષિઉદ્યોગ કેવો હોવો જોઈએ અને એમાં આઝાદ ભારતની સરકારે શું ભૂમિકા ભજવવી જોઈએ એની રૂપરેખા ભારતના ઉદ્યોગપતિઓએ તૈયાર કરી નાખી હતી જે ‘બોમ્બે પ્લાન’ તરીકે ઓળખાય છે. આઝાદીને હજુ ત્રણ વરસની વાર હતી, પણ એ પહેલાં ઉદ્યોગપતિઓ આયોજન સાથે તૈયાર હતા. બોમ્બે પ્લાન જે.આર.ડી. તાતા, ઘનશ્યામદાસ બિરલા, કસ્તૂરભાઈ લાલભાઈ, એ.ડી. શ્રોફ, અર્દેશીર દલાલ, લાલા શ્રીરામ અને સર પુરુષોત્તમદાસ ઠાકુરદાસે મળીને તૈયાર કર્યો હતો.
બોમ્બે પ્લાનમાં ઉદ્યોગપતિઓએ માગણી કરી હતી કે ધીમી ગતિએ વિકસતા ભારતીય ઉદ્યોગને ભારત સરકાર મદદ કરે. જો સરકાર મદદ કરશે તો ઔદ્યોગિક વિકાસની ગતી વધશે જેની દેશને જરૂર છે. કઈ રીતે સરકાર મદદ કરી શકે? એક તો સંરક્ષણ આપીને. જે ચીજ ભારતમાં બનતી હોય અથવા ભારતીય ઉદ્યોગો બનાવવા સક્ષમ હોય તો એ ચીજની આયાત ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે. ઉદ્યોગો માટેની મશીનરી અને જરૂરી કાચા માલની આયાત કરવી પડે તો એના પરની કસ્ટમ ડ્યુટીમાં રાહત આપવામાં આવે. આબકારી જકાતમાં રાહત આપવામાં આવે કે જેથી ભારતીય ઉદ્યોગને બહોળું માર્કેટ મળે. ઉદ્યોગો સ્થાપવામાં જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં સરકાર સબસિડી આપે અને અમુક વરસ કરવેરામાં રાહત આપે. સરકાર કારખાનાં સ્થાપવા માટે જમીન પ્રાપ્ત કરી આપે. અને સૌથી મોટી વાત; રોડ, રેલવે, અન્ય ટ્રાન્સપોર્ટ સુવિધા, પોર્ટ, જેવી માળખાકીય સુવિધાઓ અને ખૂબ રોકાણ માગી લેતા ઉદ્યોગો સ્થાપવાની જવાબદારી સરકારની. એ સમયના ઉદ્યોગપતિઓને જાણ હતી તેઓ રેલવે ચલાવવા જેટલી કે રિફાઇનરી ચલાવવા જેટલી કે પોલાદનું ઉત્પાદન કરવા જેટલી નાણાકીય ક્ષમતા નથી ધરાવતા.
ટૂંકમાં સરકાર આગળ જતાં દોડી શકાય એવું અનુકૂળ મેદાન બનાવી આપે, સરકાર હાથ પકડે, સરકાર પ્રતિસ્પર્ધીઓ સામે રક્ષણ આપે, સરકાર ઉત્પાદનમાં મદદ કરે, સરકાર અનુકૂળ માર્કેટ ઉપલબ્ધ કરાવીને વેચાણમાં મદદ કરે અને નફા ઉપરના કરવેરામાં રાહત આપે, વગેરે. ખેડૂતોએ તો આવી કોઈ માગણી કરી નહોતી. તેમણે દેશના હિતનાં નામે પોતાનાં હિતનું આયોજન કરતો કોઈ પ્લાન બનાવ્યો નહોતો. ગરીબ અશિક્ષિત ખેડૂતને એવી કોઈ સમજ પણ નહોતી અને શક્તિ પણ નહોતી. તેમને તો કહેવામાં આવ્યું હતું કે તમને ટેકારૂપ ભાવ આપીને મરવા દેવામાં નહીં આવે, પણ સામે તમારે ભૂખનો મોરચો સંભાળવાનો છે. ભારતના ખેડૂતે ટેકાના ભાવના આધારે ટકી રહીને ભૂખનો મોરચો સંભાળ્યો હતો. તેમણે ક્યારે ય ખુલ્લા માર્કેટ(ઓપન માર્કેટ, જેમાં માણસ પોતાનો માલ કોઈને પણ પોતાના ભાવે વેચી શકે અને જેમાં સરકારની કોઈ દખલગીરી ન હોય.)ના અધિકારની માગણી નહોતી કરી. તેમણે ક્યારે ય શું વાવવું એના સ્વાતંત્ર્યની અને ક્યારે કોને વેચવું એના અધિકારની માગણી નહોતી કરી. અમુક પ્રમાણમાં રોકડિયો પાક, અમુક પ્રમાણમાં ધાન અને અમુક પ્રમાણમાં કઠોળ વાવવાનું કહેવામાં આવતું હતું જેને ખેડૂત માનતો હતો.
બોમ્બે પ્લાન ઘડનારા ઉદ્યોગપતિઓ ધૂર્ત હતા એમ કહેવાનો ઈરાદો નથી. મુદ્દો માત્ર એટલો જ છે કે તેમને તેમના હિતની અને તેમના ભવિષ્યની જાણ હતી. તેમણે તેમના ભવિષ્ય સાથે દેશનું ભવિષ્ય સાંકળ્યું હતું અને એ રીતની ભાષામાં પોતાના સ્વાર્થને વાચા આપતા હતા. ખેડૂતોને આવી કોઈ જાણ નહોતી એટલે શાસકો દેશના ભવિષ્ય સાથે ખેડૂતોના ભવિષ્યને સાંકળતા હતા અને એ રીતની ભાષામાં બોલતા હતા. ભારતીય ઉદ્યોગ અને ઉદ્યોગપતિઓ સરકારના ખભા ઉપર હતા અને ઔદ્યોગીકરણ, ઉદ્યોગપતિઓ અને સરકાર ખુદ એમ ત્રણેય ખેડૂતના ખભા ઉપર હતા.
આઝાદ ભારતના વિકાસની આ યાત્રા છે. સાવ સત્ય કથન છે. તમારી આસપાસ કોઈ સમજદાર માણસ હોય તો પૂછીને ખાતરી કરી શકો છો, બાકી સરખેસરખા હોય તો આપો ગાળો!
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 ફેબ્રુઆરી 2021