આજે 14 જુલાઇ, 2022. આચાર્યશ્રી કે.સી. મહેતા સાહેબનો 100મો જન્મદિન ! એમની સ્મૃતિને કોટિ કોટિ વંદન.
શતાબ્દી વર્ષ દરમિયાન મહેતા સાહેબને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમો, ડો. બી.એ. પરીખની અધ્યક્ષતામાં રચાયેલી ‘આચાર્યશ્રી કે.સી. મહેતા શતાબ્દીપર્વ સમિતિ’ દ્વારા થવાના છે. આ સમિતિની રચના સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને એમ.ટી.બી. આર્ટ્સ કોલેજના નેજા હેઠળ કરવામાં આવી છે. આ સમિતિના મંત્રીઓ નરેશ કાપડીઆ અને આસીમ બક્ષી છે, જ્યારે કાર્યક્રમ સમિતિ, નાણાં સમિતિ, ગ્રંથ સંપાદન સમિતિના કન્વીનર અનુક્રમે કપિલદેવ શુક્લ, રાજન ભટ્ટ તથા રવીન્દ્ર પારેખ છે.
આજના પર્વે એમ.ટી.બી. આર્ટ્સ કોલેજના કે.સી. મહેતા સેમિનાર હોલમાં સાંજે 5.30 કલાકે ‘મહેતા સાહેબ અને હું’ નામક કાર્યક્રમ ડો. બી.એ. પરીખ(દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને એમ.ટી.બી. આર્ટ્સ કોલેજના પૂર્વ આચાર્ય)ની અધ્યક્ષતામાં અને સોસાયટીના પ્રમુખ રાજેશ દેસાઇના અતિથિવિશેષ પદે થશે, જેમાં ડો. વિજય શાસ્ત્રી, ડો. હિમાંશી શેલત, ડો. શરીફા વીજળીવાળા, કશ્યપ મહેતા, ભાનુભાઇ જોશી, જયપ્રકાશ મહેતા સંસ્મરણો પ્રસ્તુત કરશે. વર્ષ દરમિયાન મહેતા સાહેબનું જે ક્ષેત્રોમાં પ્રદાન છે તે સંદર્ભે પણ કાર્યક્રમો થશે અને વર્ષને અંતે સાહેબ સાથેનાં સંસ્મરણોનું એક સંપાદન પણ પ્રગટ થશે.
આજના ઝડપી સમયમાં માણસ બહુ સહેલાઈથી ભુલાઈ જતું હોય ત્યારે મહેતા સાહેબ 100 વર્ષે પણ યાદ રહે એવી એમની સહજ પ્રતિભા હતી. એમને ઘરમાં અને કોલેજમાં કામ કરતા જોયા છે, સમારંભોમાં અધ્યક્ષ સ્થાનેથી વક્તવ્ય આપતા જોયા છે, એમ અનેક રીતે ને રૂપે સાહેબને પામવાનું બન્યું છે. 1939થી 1945 એ એમ.ટી.બી.ના વિદ્યાર્થી રહ્યા. જો કે, એમનો વિદ્યાર્થી કાળ બહુ ખબર નથી. હા, એમના માતા એમને બચુ કહેતાં ને, ’બચુ આવ્યો નહીં’ જેવું કહીને નવસારીના ઘરમાં રાહ જોતાં એ ખબર છે. સાહેબ, 1946થી 1969 સુધી અધ્યાપક અને 1969થી 1983 સુધી આચાર્ય એમ.ટી.બી.માં જ રહ્યા. એ ઉપરાંત છેવટ સુધી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને ચુનીલાલ ગાંધી વિદ્યાભવનનું સફળ સંચાલન પણ કર્યું ને એના જ પરિપાક રૂપે સોસાયટી આજે યુનિવર્સિટીનો સ્વતંત્ર દરજ્જો પ્રાપ્ત કરી શકી છે.
સાહેબે પોતાની ભક્તિ કરાવી નથી, પણ એ ગુરુભક્તિ ચૂક્યા નથી. સાક્ષરવર્ય ડો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના એ પરમ અને પ્રિય શિષ્ય. વિષ્ણુભાઈ માટે તેમણે છેલ્લા પુસ્તક ‘સાહિત્યકુંજ’માં બે લેખ લખીને ગુરુભક્તિ પ્રગટ પણ કરી છે. આચાર્ય ડો. યશવંત શુક્લ પણ ત્રિવેદી સાહેબના વિદ્યાર્થી. આ ત્રણેયને 1983માં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન ભરાયું ત્યારે એક જ મંચ પર એકત્રિત કરવાનું નિમિત હું બનેલો તેનું ગૌરવ છે. વાત એમ હતી કે નર્મદનું એ સાર્ધ શતાબ્દી વર્ષ હતું. મને વિચાર આવ્યો કે સુરતમાં સાહિત્ય પરિષદનું અધિવેશન થવું જોઈએ. આ વાત મેં મિત્ર રાજન ભટ્ટને કરી. તેણે વાત વહેતી કરી ને તેનાં પરિણામ સ્વરૂપ અધિવેશન નક્કી થયું. એની સમિતિ રચાઇ. તેના અધ્યક્ષ ઉદ્યોગપતિ રણછોડદાસ પોપાવાળા બન્યા ને કાર્યકારી અધ્યક્ષ થયા મહેતા સાહેબ. એના ઉદ્ઘાટન સમારંભના અધ્યક્ષ હતા ડૉ. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને પરિષદના પ્રમુખ હતા આચાર્ય ડો. યશવંત શુક્લ. આ ત્રણેયને એક મંચ પરથી સાંભળવાનો પણ લહાવો હતો.
1965થી હું છપાતો થયેલો. વહેતી વાર્તાનો એક કાર્યક્રમ હતો. એમાં એક પ્રકરણ રજૂ કરવાનું આમંત્રણ મને પણ હતું. સાહેબ એ કાર્યક્રમના અધ્યક્ષ. એમને કદાચ ત્યારે જ જોવાનું બનેલું. અધ્યક્ષ સ્થાનેથી એમણે કથાને વેગ આપવા બદલ મને બિરદાવેલો, પણ પ્રકરણમાં બબ્બે વાર અકસ્માતનો આશરો લેવો પડ્યો તે બદલ મારી ટીકા પણ કરેલી. એ જ સાહેબ મન મૂકીને વખાણતા પણ ખરા. ‘ગુજરાતમિત્ર’માં ત્યારે સાહેબની ‘શિક્ષણ અને સંસ્કારની સમસ્યાઓ’ ચાલતી. એ કૉલમ એક પણ હપ્તો પાડયા વગર તેમણે સતત 33 વર્ષ એવી ચલાવી કે એમના મૃત્યુ પછી પણ ત્રણેક હપ્તા સુધી એ ચાલુ રહેલી. સોંસરું ને સ્પષ્ટ લખે. ઘણાંને ગમે, ઘણાંને ન પણ ગમે. એ કૉલમ ચાલુ હતી ને મેં એ જ ‘ગુજરાતમિત્ર’માં શિક્ષણ વિષયક એક લેખમાળા શરૂ કરી. એક કાર્યક્રમમાં સાહેબ અધ્યક્ષ. એમણે મારા લેખોની પ્રશંસા કરી. કાર્યક્રમ પૂરો થયા પછી સાહેબ મને શોધતા આવ્યા ને મને થપથપાવતા કહે – શિક્ષણમાં તમારો રસ જોઈને આનંદ થાય છે. હું શું કહું? આભારવશ.
કોઈ વાર યશવંતભાઈ પણ હોય ને ત્રિવેદી સાહેબને ત્યાં અમે ભેગા થતા. ડો. રતન માર્શલ, કવિ વિવેચક ને મારા અધ્યાપક ડો. જયંત પાઠક, મહેતા સાહેબ, ભગવતીકુમાર શર્મા, મનહરલાલ ચોક્સી એમ પાંચ સાત લેખકો નૂતન વર્ષની સવારે ભેગા મળતા ને એમ અમારું નવું વર્ષ શરૂ થતું. ત્રિવેદી સાહેબ હતા ત્યાં સુધી આ ક્રમ જળવાયેલો, પછી તો મહેતા સાહેબે પણ 30 જાન્યુઆરી, 1994 ને રોજ અણધારી વિદાય લીધી. આખું સુરત આઘાતથી સ્તબ્ધ થઈ ગયું. ડો. જયંત પાઠકની અધ્યક્ષતામાં નર્મદના મકાનમાં મહેતા સાહેબની શોકસભા થઈ. એ દિવસે અંજલિ આપતા પાઠક સાહેબની આંખો મેં ઝળઝળિયાતી જોયેલી. એ આખો દિવસ હું એ વિચારતો રહેલો કે મૃત્યુ માણસનું બગાડે છે શું? એ બીજું કૈં કરતું નથી, માત્ર ભવિષ્ય પર ચોકડી મારે છે. એક વ્યક્તિ હોત અને એણે જે કર્યું હોત, તે શક્યતાનો જ મૃત્યુ છેદ ઉડાડે છે.
મહેતા સાહેબ એટલે ગરજ વગરની મદદ !
એમણે એટલા બધાંની મદદ કરી છે કે ઘણાંને આગળ વધવાના માર્ગો ખૂલી ગયા હોય તો નવાઈ નહીં. વિદ્યાર્થીને ત્યાં સારેમાઠે પ્રસંગે સાહેબ જાતે પહોંચતા ને એમની હાજરી જ આશ્વસ્ત કરનારી નીવડતી. 1977માં મેં બી.એ.ની પરીક્ષા આપી. તેનું એક પેપર સાહેબ પાસે હતું. મારું પેપર વાંચીને સાહેબે નવયુગના સૂરતી સાહેબને ફોન કર્યો. પૂછ્યું – આ નંબરનો વિદ્યાર્થી કોણ છે? સાહેબે કહ્યું – એ અમારો વિદ્યાર્થી છે ને લખે છે. મહેતા સાહેબે કહ્યું – એમને મને મળવાનું કહો. હું ભગવતીકુમાર શર્માની સાથે એમને મળ્યો. સાહેબ કહે – એમ. એ. કરો. બી.એ.માં યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યા છો, તો એમ.એ.માં પણ આવશો. મેં કહ્યું – સાહેબ, હું તો બેંકમાં નોકરી કરું છું. કોલેજ નહીં આવી શકું. એમણે કહ્યું – જ્યારે અનુકૂળતા હોય ત્યારે આવજો ને મેં રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે એમ.એ. કર્યું. એ દરમિયાન મારી બાનું અવસાન થયું. હું ભાંગી પડ્યો હતો. બાના સમાચાર જાણીને સાહેબ ઘરે આવ્યા. હું ત્યારે ઘરે ન મળ્યો. બીજે દિવસે સાહેબનો આભાર માનવા ઓફિસે પહોંચ્યો. એમણે પૂછ્યું – તમે પરીક્ષા આપવા નથી માંગતા? એવું ન કરો. પરીક્ષા આપી દો. એમનું માનીને મેં પરીક્ષા આપી અને એમ.એ.માં પણ હું યુનિવર્સિટીનો ગોલ્ડ મેડલ પામ્યો.
સાહેબનો વર્ગમાં કડપ ભારે. માત્ર દૃષ્ટિ ફેરવીને એ વર્ગને શાંત રાખી શકતા. એક વખત સાહેબે વર્ગમાં વાત છેડી. વિશ્વ સામે ધરી શકાય એવા ગુજરાતી સર્જકો કેટલા? ઉમાશંકર ને નિરંજન ભગત. મેં બેઠા બેઠા જ નકારમાં ડોકું ધૂણાવ્યું. સાહેબે પૂછ્યું – મારી વાત બરાબર નથી? મેં કહ્યું – એમાં સુરેશ જોશી ઉમેરવા જોઈએ. સાહેબે મને સોંસરો જોયો અને બોલ્યા – હા, વિશ્વ સામે ધરી શકાય એવા સર્જકો ત્રણ, ઉમાશંકર, નિરંજન અને સુરેશ જોશી. સાહેબે એમનો મત ન સ્વીકારવા બદલ મને ઠપકાર્યો હોત, પણ એમણે એવું ન કર્યું. એમણે સૌની સામે મારો મત સ્વીકાર્યો. આ ખેલદિલી આજે વર્તાતી નથી.
‘સાહિત્યકુંજ’, ’અનુબોધ’, ‘સાહિત્યરંગ’ જેવાં અગિયારેક પુસ્તકો સાહેબને નામે છે. એમણે વાર્તા, નાટક જેવા સાહિત્યપ્રકારો ઉપરાંત વિવેચનમાં પણ રસ લીધો. એમ લાગે છે કે અધ્યાપન અને વહીવટી કામોમાં એ એટલા ઓતપ્રોત રહ્યા કે સાહિત્ય સર્જન અને વિવેચનને વેઠવાનું આવ્યું. એ ન થયું હોત તો એમનું સ્પષ્ટ અને સત્ય વક્તૃત્વ જેમ શિક્ષણ અને સંસ્કારને ફળ્યું એમ જ સાહિત્યને પણ ફળ્યું હોત ! એ લોકપ્રિય હતા, પણ લોકપ્રિય રહેવા એમણે કોઈ સમાધાન સ્વીકાર્યું નથી. એકવાર કોલેજમાં વિદ્યાર્થીઓ આંદોલન કરશે એ ભયે પોલીસ કેમ્પસમાં પ્રવેશવા તૈયાર થઈ, તો એમણે પોતાના જોર પર તેને રોકી. તેમને વિદ્યાર્થીઓ પર ભરોસો હતો. સોસાયટીએ સાહેબને સમજાવ્યા કે પોલીસને આવવા દો. સાહેબે રાજીનામું ધરવાની વાત કરી ને પોલીસને કેમ્પસમાં પ્રવેશતી રોકી. આ સ્વસ્થ ખુમારીને લીધે જ નવનિર્માણના વિદ્યાર્થીઓ પણ સાહેબના કાબૂમાં રહ્યા. સાહેબને કોઇની શરમ નડી નથી, પણ તેમણે શરમ છોડી હોય એવો અપવાદ પણ નથી. યુનિવર્સિટી તો પછી આવી, પણ સાહેબની કુલપતિ કક્ષાની સજ્જતા તો તે પહેલાંની હતી. સાહેબ કુલપતિ થઈ શક્યા હોત, પણ તે માટેની ખુશામતનો તેમનામાં અભાવ હતો, એટલે એ તો એ પદની કલ્પના ય કેમ કરે?
નવસારીમાં 14 જુલાઇ, 1923ને રોજ કુંજવિહારી મહેતાનો જન્મ. તલાટી પિતા ચુનીલાલ ગુલાબદાસ મહેતા અને માતા કપિલાબહેનનું એ પ્રથમ સંતાન. તે પછી એક બહેન ઉષાદેવી અને એક ભાઈ કૃષ્ણકાંત મહેતા. કૃષ્ણકાંતભાઈ તો દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ચીફ એકાઉન્ટન્ટ હતા. નવસારીમાં મહેતા સાહેબનું ઘર પંડયા ખડકીમાં. સાહેબ 19 વર્ષનાં હતા ત્યારે પિતાની છાયા ગુમાવી દીધી. ઘરનો ભાર કુંજવિહારી પર આવ્યો. સાધારણ રીતે સાહસ કરનાર સ્વસ્થ ન રહે, પણ સાહેબ સ્વસ્થ સાહસિક હતા. 1950માં તપોધન કન્યા લીલાબહેન રાવલ સાથે એમણે પ્રેમ લગ્ન કર્યાં. લગ્નનો વિરોધ થયો, પણ સાહેબે મચક ન આપી અને એ લગ્ન છેવટ સુધી ટક્યું. કુટુંબ સુરત આવીને વસ્યું એટલે નવસારીનું ઘર ખાલી પડ્યું. વર્ષો પછી એ ઘર કપાતમાં જતું હતું. બીજું કોઈ હોત તો વળતરની અપેક્ષાએ કુટુંબીજનો વાંધો લઈ શક્યાં હોત, પણ મહેતા સાહેબના દીકરા કશ્યપ અને દીકરી સ્વાતિએ રસ્તો પહોળો થતો હતો એટલે લોકહિતમાં અવેજ લીધા વિના સુધરાઈને સંમતિ આપી ને સુધરાઇએ પણ એ માર્ગને કુંજવિહારી મહેતા નામ આપીને સાહેબની સ્મૃતિ સજીવ રાખી.
સાહેબ વિષે વિચારું છું ત્યારે એક સવાલ થયા કરે છે કે માણસ મૃત્યુ પછી પણ જીવતો રહે છે તે કયાં કારણે? મહેતા સાહેબ, હજી લોકહૃદયમાં વસે છે. કેમ? એ અધ્યાપક હતા એટલે? આચાર્ય હતા એટલે? સોસાયટીના મંત્રી, સંચાલક હતા એટલે? કોલમો લખી, પુસ્તકો લખ્યાં એટલે? આવું તો ઘણાં કરે છે, પણ સ્પષ્ટ, સત્ય ને સોંસરું કહો તો અપ્રિય થવાની શક્યતાઓ વધે. મહેતા સાહેબ એમાં અપવાદ હતા. એમણે કશા સ્વાર્થ વગર સમગ્ર શિક્ષણ અને સંસ્કાર જગતને મદદ કરી છે. એ વાત સાહેબને બીજી વ્યક્તિઓથી અલગ તારવે છે. એવી વ્યક્તિ લોકપ્રિય ન થાય તો કોણ થાય?
છેલ્લે એક પ્રાર્થના સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીને. મહેતા સાહેબ અનેક સ્વરૂપે અને રીતે 1939થી 1994 સુધી એમ.ટી.બી.આર્ટ્સ કોલેજ અને સોસાયટી સાથે જોડાયેલા રહ્યા. એમના દીકરા કશ્યપ મહેતાએ પણ સોસાયટીનું અધ્યક્ષપદ સંભાળ્યું. એમની દીકરી સ્વાતિ મહેતા પણ કે.પી. કોમર્સમાં અધ્યાપક રહી ચૂકી છે. ટૂંકમાં, મહેતા સાહેબ અને તેમનો પરિવાર સોસાયટી સાથે પચાસથી પણ વધુ વર્ષથી સઘન સંપર્કમાં છે, તો સાર્વજનિક યુનિવર્સિટીની સાથે મહેતા સાહેબનું નામ જોડવું જોઈએ એમ લાગે છે. સોસાયટી જ્યારે મહેતા સાહેબની શતાબ્દી ઉજવતી હોય તો એમની સ્મૃતિ આમ કાયમી થાય એથી વિશેષ અંજલિ બીજી કઇ હોઈ શકે? આશા છે, એમ.ટી.બી., સોસાયટી અને આચાર્ય કે. સી. મહેતા શતાબ્દીપર્વ સમિતિ આ અંગે ગંભીરતાથી વિચારશે. આભાર.
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 જુલાઈ 2022