= = = = લૉકડાઉન અને છૂટછાટોની વિરોધાભાસી સ્વતન્ત્રતા છે. માર્ગમાં પરાક્રમો અને મુકાબલાઓની કઠિનાઇઓ છે, અવનવું પામ્યાનાં સુખસંતોષ છે. પણ ખાસ તો એમાં અફળાતી-કૂટાતી જિન્દગીઓ છે. ત્યારે સવાલ સતાવે છે કે નાવિક કોણ છે, પતવાર કોણ છે, લંગર ક્યાં લાંગર્યું છે = = = =
વરસી ગયેલા વરસાદનાં પાણી ફળિયાની નાની નીકોમાં વહેતાં હોય ત્યારે કાગળની હોડીને વહેતી કરીને એકીટશે જોવાની મજા કોણે ન લીધી હોય? મેં તો ઘણી લીધેલી. ઓટલે બેસતો ને તાક્યા કરતો …
પણ હોડી હાલકડોલક કરતી ક્યાંક તો બેસી પડે. નસીબનો વાંક દેખાય. કેમ કે એ ઉમ્મરે ‘જીવનનાવ’ શબ્દ થોડો સાંભળ્યો હોય?
એટલે કે કેમ, પણ વર્ષાના દિવસોમાં મને ફ્રૅન્ચ કવિ આર્થર રામ્બોનું Drunken Boat કાવ્ય ખાસ યાદ આવે …
આજે જૂન બેઠો છે. આવકાર્ય વર્ષા હજી શરૂ નથી થઈ. કમોસમી ભાસે છે. પણ કાવ્ય મને આ કોરોનાકાળે જુદી જ રીતે અડી ગયું છે.
કાવ્યના શીર્ષક અનુસાર વિચારીએ તો કંઈક આવું કહી શકાશે :
માણસ ડ્રન્કન હોય, પીધેલ, લથડિયાં ખાતો જતો હોય, પણ બોટ? પીધેલ બોટનું કાવ્ય કેવુંક હોય? સાંભળો : કાવ્યમાં એક એવી નાવની કથા છે જે પોતાના બધા અંકુશ ગુમાવી બેઠી છે; દિશાહીન છે અને અફળાતી-કૂટાતી સાગર ભણી ફંગોળાતી જાય છે. નથી કોઇ નાવિક, નથી પતવાર, કે નથી લંગર. અબાધ સ્વતન્ત્રતા છે, સાગરને પામવાની ગાંડીતૂર ઘેલછા છે. માર્ગમાં પરાક્રમો અને મુકાબલાઓની કઠિનાઇઓ છે, અવનવું પામ્યાનાં સુખસંતોષ છે. પણ જીવનના એ સંમિશ્ર અનુભવથી થાકીહારીને નાવ છેલ્લે છૂટકારો ઇચ્છે છે …
રામ્બોના કાવ્યનું એવું ભાવવિશ્વ મને પ્રવર્તમાન કોરોના અને એથી ભટકી ગયેલા માનવજીવન જેવું ઘણું અનુભવાય છે. લૉકડાઉન અને છૂછાટોની વિરોધાભાસી સ્વતન્ત્રતા છે. માર્ગમાં પરાક્રમો અને મુકાબલાઓની કઠિનાઇઓ છે, અવનવું પામ્યાનાં સુખસંતોષ છે. પણ ખાસ તો એમાં અફળાતી-કૂટાતી જિન્દગીઓ છે. ત્યારે સવાલ સતાવે છે કે નાવિક કોણ છે, પતવાર કોણ છે, લંગર ક્યાં લાંગર્યું છે. રોજે રોજ વધતા જતા કેસિસ અને થતાં રહેતાં સૅંકડો મૃત્યુનો સિલસિલો એમ સૂચવે છે કે કોઈક તત્ત્વ તો છે આની પાછળ, સંતાયેલું બેઠું છે; અને તે પીધેલ છે, વિવેકહીન છે, બેફામ છે, ક્રૂર છે.
કાવ્યની યાદે મને આ પ્રકારે વ્યથિત કરી મૂક્યો છે …
૨૫ રૂબાઈમાં વ્હૅંચાયેલી ૧૦૦ પંક્તિનું આ છન્દોબન્ધ કાવ્ય, મુક્તિ ઝંખતા લબરમૂછિયા તરુણની, એટલે કે રામ્બોની ખુદની, લાગણીઓ અને વિચારોનું એક સ-રસ ભાવસંકુલ છે.
રામ્બોનો જીવનસમય છે, 1854-1891. આ કાવ્ય એણે ૧૬ વર્ષની ઉમ્મરે લખેલું અને એવા સિદ્ધ-પ્રસિદ્ધ કવિઓ સમક્ષ રજૂ કરેલું જેઓને પોતે ૧૮૭૧માં પૅરીસમાં મળવાનો હતો. વયનાં ૧૬થી ૨૧ લગીનાં પાંચ વર્ષ કાવ્યસર્ન્જન પરત્વે ખૂબ ફળદાયી નીવડેલાં.
માત્ર ૩૭ વર્ષનું આયુષ્ય ! પરન્તુ રામ્બો આધુનિક સાહિત્યકલાનો અકાટ્ય અગ્રયાયી કવિ છે. ફ્રૅન્ચ પ્રતીકવાદી કવિતાનો અનોખો બળુકો અવાજ છે.
આ કાવ્યનો અનુવાદ રામ્બોથી વયમાં ૩૩ વર્ષ મોટા વિખ્યાત કવિ બૉદ્લેરે કરેલો ! નીવડેલા કવિએ નવ્ય કવિને આપેલી કેવી તો રૂડી ભાવાંજલિ !
= = =
(June 1, 2020 : Ahmedabad)