આજે સર્જક, પત્રકાર ભગવતીકુમાર શર્માની વર્ષગાંઠ છે એમની સ્મૃતિમાં સાદર
1.
હો ભલેને ક્ષણજીવી, આંખે તો ચડવું જોઈએ,
હોય ઝાકળ તો ફૂલો પર એ ટપકવું જોઈએ.
કાગદી ફૂલોય અત્તરથી મહેકતાં હોય ત્યાં,
જે ખીલે છે ડાળ પર, એણે પમરવું જોઈએ.
આભ હો કે આંખ, ભીનાં હોય કે ના હોય પણ,
બેઉ કોરાં હો છતાં સ્નેહે વરસવું જોઈએ.
તેજ દીવાએ કે હૈયાએ પ્રગટ કરવાં બધે,
બેઉએ અંધારમાં ચૂપચાપ બળવું જોઈએ.
માત્ર હૈયાથી હમેશાં જીવવું બનતું નથી,
એક હૈયાએ બીજે હૈયે ધબકવું જોઈએ.
ગર્વનું એવું ગમે ત્યારે એ માથું ઊંચકે,
હો ભલેને સૂર્ય એ, એણેય ઢળવું જોઈએ.
હો દિશાઓ ભીંત, ઘરની, કોઈને વાંધો નથી,
પણ હવા આવે તો બારીએ ખખડવું જોઈએ.
કે સ્મરણ ના હોત તો માણસ મરણ ના પામતે,
જિંદગીમાંથી સ્મરણને દૂર કરવું જોઈએ.
0 0 0
2.
ઈચ્છા હું તારી એમ કૈં હસ્તક નહીં કરું,
તારા ઉપર હું કોઈ હવે હક નહીં કરું.
આંસુ નથી જે આંખમાં એમાં ડૂબી ગયો,
બચવા જરાય કોશિશ નાહક નહીં કરું.
તાળાંકૂંચીમાં વિશ્વને મૂકી દીધું હો ત્યાં,
એને હવે જરાય વિનાશક નહીં કરું.
વિશ્વાસનો આ દોર થયો માંડ હો શરુ,
તેને હવે હું બંધ અચાનક નહીં કરું.
મારા વગર હું જીવી શકું એકલો અગર,
તો પાસ તું હો, એમ હું નાટક નહીં કરું.
શોધે છતાં હું લોકને જડતો નથી હવે,
ઈશ્વર ગણી લે કોઈ તો રકઝક નહીં કરું.
સામે હું હોઉં ને એ તને જો બતાવી દે,
દર્પણ ઉપર હું તેથી કદી શક નહીં કરું.
એકલપણાથી આમ ઠસોઠસ થવામાં હો,
ત્યાં ખાલીખાલી હું તને ભરચક નહીં કરું.
૦
e.mail : ravindra21111946@gmail.com