છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીમાં ૧૮ બેઠકો માટે થયેલા પહેલા તબક્કાના મતદાને સુખદ આશ્ચર્ય પેદા કર્યું છે. સરેરાશ ૭૬.૨૮ ટકા મતદાન થયું છે જે ૨૦૧૩ની વિધાનસભાની ચૂંટણીમાં થયેલા મતદાનની સરેરાશ જેટલું જ છે અને કેટલાક મતદારક્ષેત્રોમાં તો તેનાથી પણ વધુ છે. ખાસ નોંધવા લાયક વાત એ છે કે આ વખતે નકસલવાદીઓએ મતદાનનો બહિષ્કાર કરવાના આપેલા કોલની આદિવાસીઓએ અવગણના કરી હતી અને મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું. સાધારણપણે એવું માનવામાં આવે છે કે જ્યારે મતદાન મોટા પ્રમાણમાં થતું હોય છે, ત્યારે રાજકીય આશ્ચર્યો સર્જાતાં હોય છે. આ વખતની ચૂંટણીમાં છત્તીસગઢમાં થયેલું ભારે મતદાન કઈ રીતનાં આશ્ચર્યો સર્જશે એ ૧૧મી ડિસેમ્બરે પરિણામો આવશે ત્યારે સ્પષ્ટ થઈ જશે. બીજું, હજુ બીજા મતદારક્ષેત્રમાં મતદાન થવાનું બાકી છે. ત્યાં પણ આટલી સરેરાશ જળવાઈ રહે છે કે કેમ એ હવે પછી ખબર પડશે. જો દરેક જગ્યાએ બહોળા પ્રમાણમાં મતદાન થશે તો આ વખતે આશ્ચર્ય સર્જાઈ શકે છે.
ચર્ચાનો વિષય મતદાનનું પ્રમાણ અને પરિણામ નથી, પરંતુ નક્સલવાદીઓના પ્રભાવનો છે. સાધરણ રીતે નકસલવાદીઓ ચૂંટણીની પ્રક્રિયામાં વચ્ચે આવતા નથી. તેઓ ચૂંટણી લડતા નથી અને કોઈને ચૂંટણી લડતા રોકતા પણ નથી. ચૂંટણીનો બહિષ્કાર કરવાનો કોલ ઘણું કરીને તેમણે પહેલી વાર આપ્યો છે. આનો અર્થ એવો નથી કે તેઓ લોકતંત્રમાં વિશ્વાસ ધરાવે છે. આના બીજા જે અર્થ થાય છે એ અહીં સમજવા જેવા છે.
બસ્તરમાં, ઝારખંડમાં, તેલંગણામાં, ગડચિરોલીમા જ્યાં પણ નકસલવાદીઓનો પ્રભાવ છે ત્યાં પંચાયતથી લઈને લોકસભા સુધીની ચૂંટણી નિર્વિઘ્ને થાય છે અને તેમાં નકસલવાદીઓ કોઈ અવરોધ પેદા કરતા નથી. કોઈક પ્રકારની રાજકીય સમજૂતી નક્સલીપ્રભાવ ક્ષેત્રોમાં જોવા મળે છે. રાજકીય પક્ષો નક્સલી પ્રભાવક્ષેત્રમાં સક્રિય છે, લોકોની વચ્ચે જાય છે, રાજકીય કામ કરે છે અને ચૂંટણી પણ લડે છે. જો લોકતંત્ર ક્રાંતિ વિરોધી બુર્ઝવા સંસ્થા છે તો તેની સામે નકસલવાદીઓ આદીવાદીઓને પ્રશિક્ષિત કેમ નથી કરતા અને લોકતાંત્રિક પ્રક્રિયાથી દૂર રહેવાની સલાહ કેમ નથી આપતા? આદિવાસી ક્ષેત્રોમાં ચૂંટણી લડનારા ઉમેદવારો મોટાભાગે આદિવાસીઓ જ હોય છે. તેઓ આદિવાસીઓની વચ્ચે રાજકીય પ્રચાર કરે છે અને મત મેળવે છે. આ વખતે પહેલીવાર તેમણે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો કોલ આપ્યો છે.
આનો અર્થ એટલો જ થાય કે આદિવાસી ક્ષેત્રોમાં બુર્ઝ્રવા લોકતંત્ર કાયમ રહે અને આદિવાસીઓ લોકતાંત્રિક પ્રક્રિયામાં રાજકારણી તરીકે કે મતદાર તરીકે ભાગ લે તેની સામે તેમને વાંધો નથી. શા માટે? એક શક્યતા એવી છે કે તેમને ચૂંટણીમાં વિઘ્નો પેદા નહીં કરવા માટે પૈસા મળતાં હશે અને બીજી શક્યતા એવી છે કે તેઓ જેટલો દાવો કરે છે એટલો તેમનો આદિવાસીઓમાં પ્રભાવ નથી. કાયદો હાથમાં લઈને હિંસા કરવી એ જુદી વાત છે અને લોકોની વચ્ચે જઇને લોકમાન્યતા મેળવવી એ જુદી વાત છે. હિંસા કરવા માટે હિંસક માનસથી વિશેષ કોઈ ચીજની જરૂર પડતી નથી, જ્યારે લોકોનો વિશ્વાસ સંપાદન કરવા માટે ઘણા પાપડ વણવા પડતા હોય છે.
કોઈ પણ પ્રકારની મોટી વ્યાપક હિંસક ક્રાંતિ કર્યા વિના પાંચ દાયકાથી નક્સલવાદી આંદોલન ભારતમાં ચાલી રહ્યું અને તેમાં ઓટ આવતી નથી એ એક રહસ્ય છે. પ્રત્યક્ષ પરિણામ વિના કોઈ અંદોલન દાયકાઓ સુધી ચાલતું નથી. નિષ્ફળતા પછી કેડર મળતી નથી. નેતાઓ અને કાર્યકરો આંદોલનનું પરીક્ષણ (રિવ્યુ) કરવા લાગે છે અને તેમાંથી મતભેદ પેદા થઈને આંદોલન વિભાજીત થઈને ખતમ થઈ જાય છે. આવું બધું નક્સલવાદીઓમાં પણ બન્યું છે, પરંતુ એ શરૂઆતનાં વર્ષોમાં. છેલ્લા બે દાયકાથી નક્સલવાદી આંદોલન મૂળ નક્સલવાદી આંદોલનના અવશેષ તરીકે ટકી રહ્યું છે અને તેમાં ભરતી-ઓટ આવ્યા વિના સમયાંતરે હિંસાની ખબર આવ્યા કરે છે. જ્યારે પણ હિંસક ઘટના બને ત્યારે આપણા કેટલાક રાજકીય સમીક્ષકો શોષણ કરનારી મૂડીવાદ વ્યવસ્થાને નક્સલવાદીઓના અસ્તિત્વ પાછળનું કારણ ગણાવીને વિવેચન કરે છે.
આમાં ક્યાંક ભૂલ થાય છે. જો નકસલવાદીઓનો આદિવાસીઓમાં તેઓ દાવો કરે છે એટલો પ્રભાવ હોત અથવા તો શોષણમુક્ત સામ્યવાદ માટે તેઓ દાવો કરે છે એટલા પ્રામાણિક હોત તો તેઓ જંગલમાં; લોકતંત્રને, મૂડીવાદને અને શોષણ કરનારી વ્યવસ્થાના એજન્ટ અર્થાત ઠેકેદારોને પ્રવેશતા રોક્યા હોય. આખું જગત જાણે છે કે શાસક, શેઠ અને દલાલની ધરી છે અને એ ધરી મળીને ભાગીદારીમાં શોષણ કરે છે, એ પછી જંગલ હોય કે શહેરો હોય. નક્સલીપ્રભાવ ક્ષેત્રોમાં કાગળ બનાવવાનાં કારખાનાં છે. ખનીજ ધાતુ, બીડી પત્તા, બાંબુ એમ જંગલમાં મળતી ચીજ બહાર વેચાણ માટે જાય છે. ક્યારે ય કોઈ ચીજને જંગલની બહાર જતી નક્સલવાદીઓએ રોકી નથી. ક્યારે ય કોઈ કારખાનાને નક્સલવાદીઓને નુકસાન પહોંચાડ્યું નથી. તેઓ તો સામ્યવાદી હોવાનો દાવો કરે છે તો શું તેમને શોષણના અને લૂંટના સ્વરૂપની જાણ નથી? મારો તો એવો સ્પષ્ટ મત છે કે નક્સલી આંદોલન એ પરિવર્તન માટેનું, ગરીબો તરફી, ન્યાય માટેનું આંદોલન નથી; પરંતુ ગુનેગારી છે. શાસક, શેઠ અને દલાલ પછીનો માફિયાગીરીનો ચોથો ખૂણો છે. શોષણની ધરી ત્રણની નથી, ચારની છે.
આ વખતે બસ્તરમાં નકસલવાદીઓએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો કોલ આપ્યો હતો. આદિવાસીઓએ મોટા પ્રમાણમાં મતદાન કરીને બતાવી આપ્યું છે કે તેઓ નક્સલવાદીઓના પ્રભાવમાં નથી. આદિવાસીઓ નક્સલવાદીઓનો સાચો ચહેરો જાણે છે એ પણ આમાંથી ફલિત થાય છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 16 નવેમ્બર 2018