Opinion Magazine
Number of visits: 9446882
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી સામે ગુજરાતી વૈચારિક સામયિકોએ સંગીન લડત આપી હતી

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|17 March 2018

બાવીસ માર્ચ ૧૯૭૭ના દિવસે દમનકારી કટોકટીનો અંત આવ્યો હતો

બાવીસ માર્ચ આઝાદ ભારતના ઇતિહાસમાં યાદગાર દિવસ છે. એટલા માટે કે આપણા લોકશાહી દેશ પર સરમુખત્યારશાહી રીતે લાદવામાં આવેલી કટોકટીનો ૧૯૭૭ના આ દિવસે અંત આવ્યો હતો.

વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ ૨૫ જૂન ૧૯૭૫ના રોજ કટોકટી લાદી. બંધારણની કલમ ૩૫૨ અન્વયે લેવામાં આવેલાં આ પગલાં મુજબ નાગરિકના મૂળભૂત અધિકારો અને વ્યક્તિસ્વાતંત્ર્ય મોકૂફ બની ગયાં. વડાં પ્રધાને દેશની એકતા માટે જોખમકારક કોમી ઉશ્કેરણી અને વડાં પ્રધાનનાં પદ સામે ઘાતક રાજકીય પ્રયાસો ચાલી રહ્યાં હોવાને બહાને કટોકટી જાહેર કરી. અલબત્ત હકીકતો અલગ હતી. શ્રીમતી ગાંધી માર્ચ ૧૯૭૧માં રાયબરેલીથી જે ચૂંટણી લડ્યાં હતાં, તેને જૂન ૧૯૭૫માં અલ્લાહબાદની  અદાલતે ચૂંટણીના કામમાં  સરકારી કર્મચારીની મદદ લેવા સબબ રદ કરાવી હતી. તદુપરાંત જયપ્રકાશ નારાયણનું સંપૂર્ણ ક્રાન્તિ આંદોલન જોર પકડી રહ્યું હતું, જેમાંથી બિનકૉન્ગ્રેસી પક્ષોને બળ મળી રહ્યું હતું. વળી, ગુજરાતમાં બિનકૉન્ગ્રેસી જનતા મોરચાની સરકાર રચાઈ હતી. આ પરિબળો વડાં પ્રધાનના વ્યક્તિગત સત્તાવાદ અને મનસ્વી શાસનમાં અવરોધરૂપ હતાં.

કટોકટીને કારણે લોકશાહી પર જોખમ આવ્યું એટલે નાગરિક સ્વાતંત્ર્યના પ્રહરીઓએ આખા દેશમાં તેનો વિરોધ કર્યો. તેમાં ગુજરાત મોખરે હતું. લોકસભાના ચૂંટાયેલા સભ્ય પુરુષોત્તમ માવળંકર (૧૯૨૮-૨૦૦૨) અને રાજ્યસભાના નિયુક્ત સભ્ય ઉમાશંકર જોશી(૧૯૧૧-૮૮)એ પોતપોતાનાં ગૃહમાં કટોકટી વિરુદ્ધ પ્રખર વક્તવ્યો આપ્યાં. માવળંકર સાહેબે કટોકટી સામે સંસદમાં કરેલાં અંગ્રેજી ભાષણોનું ગુજરાતી પુસ્તક ‘ભગવાન માફ નહીં કરે’ (૧૯૭૯) નામે પ્રસિદ્ધ થયું છે. તદુપરાંત જાહેર જીવનનાં અનેક અગ્રણીઓ, બૌદ્ધિકો તેમ જ નિસબત ધરાવતાં નાગરિકોએ વ્યક્તિગત અને સામૂહિક રીતે અવાજ ઊઠાવ્યો હતો.

ગુજરાતનાં વિચારપત્રો કહેતાં ગંભીર ચોપાનિયાં અથવા લિટલ મૅગેઝિનોનો અવાજ બુલંદ  હતો. સામયિકો માટે ગાળિયો પ્રિસેન્સરશીપનો હતો. પ્રિસેન્સરશીપ એટલે સરકારી નિયામકની મંજૂરી વિના લખાણ છાપી ન શકાય એવો કાયદો. ‘વાંધાજનક’ લખાણ પ્રગટ ન કરી શકાય,  અને ‘વાંધાજનક’ શું તે સરકાર પોતે નક્કી કરે. પ્રેસ કાઉન્સિલ રદ કરી નાખવામાં આવી હતી. સંસદ અને વિધાનસભામાં શું બોલાય છે તે પ્રગટ કરવાની આઝાદી પર પાબંદી આવી. વર્તમાનપત્રોનાં મોંએ ડૂચા લાગી ગયા. ઉમાશંકરે તેમના ‘સંસ્કૃિત’ માસિક(૧૯૪૭-૧૯૮૪)ના જૂન ૧૯૭૫ના અંકનું પહેલું પાનું કટોકટીના મથાળા સાથે કોરું રાખ્યું હતું અને બીજા પાને એક કાવ્ય મૂકીને પ્રકાશન બંધ કરવાની જાહેરાત કરી. ત્યાર પછી બાવીસમી જુલાઈ ૧૯૭૫માં આ લોકધર્મી સારસ્વતે રાજયસભાના કટોકટીસત્રમાં તેજસ્વી પ્રવચન કર્યું. તેમણે કહ્યું: ‘ભારતમાં ક્યારે ય પ્રિ-સેન્સરશીપ ઠોકી બેસાડવામાં નથી આવી, અંગ્રેજોના જમાનામાં પણ નહીં. પણ આપણે સત્યથી બીએ છીએ. દેશ આખાને આવરી લેતો ભય આતંકનો આ કાળમુખો પડછાયો આવે છે ક્યાંથી ? …’  ચોથી ફેબ્રુઆરી ૧૯૭૬ના દિવસે રાજ્યસભામાંના છેલ્લા પ્રવચનમાં તેમણે ‘કટોકટી અંગેના સામૂહિક આનંદગાન’ની ટીકા કરી. વળી સેન્સરશીપની જાળ વિસ્તારતા અને સર્જકતા સાથે સંકળાયેલા તમામને તેમાં આવરી લેતા ખરડાનો પણ તેમણે દાખલા દલીલો સાથે વિરોધ કર્યો.

ઉમાશંકર પાક્ષિક વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રીમંડળમાં તેના પ્રારંભથી જ હતા. મનહર મોદીના તંત્રીપદે ચાલતાં ‘નિરીક્ષકે’ પણ સેન્સર પાસે જવાનો ઇન્કાર કર્યો. પરિણામે ‘નિરીક્ષક’ બંધ કરવું પડ્યું. એની પાસે પોતાનું પ્રેસ ન હતું. થોડા સમય  પછી ‘ડાયનૅમિક પ્રેસે’ તેને  છાપવાની હિંમત દાખવી. સરકારી નોટિસો આવતી ગઈ એને ન ગણકારી. છેવટે જુલાઈના અંકમાં ઉમાશંકરના અગ્રલેખ ‘બંધારણ સુધારા લોકમત વગર ?’ માટે સખત નોટિસ બજાવવામાં આવી. એ અંક જપ્ત કરવામાં આવ્યો. ‘નિરીક્ષક’ બીજી વાર બંધ થયું. તે પછી તેનું રજિસ્ટ્રેશન પણ બંધ થયું. પહેલી મે ૧૯૭૭ના રોજ એ ફરીથી શરૂ થયું. આ બધાંમાં પ્રેસ, લેખકો, તંત્રી એમ બધાએ જોખમ ઊઠાવીને ‘પ્રજા હૃદયનો ધબકાર પ્રગટ કરવાનું’ ચાલુ રાખ્યું હતું. 

કટોકટીનો વિરોધ કરતી સામગ્રી મોટા પાયે પ્રસિદ્ધ કરવામાં ચુનીભાઈ વૈદ્ય (૧૯૧૭-૨૦૧૪) અને કાન્તિભાઈ શાહ(૧૯૩૩-૧૯૧૨)ના તંત્રી પદે ચાલતું સર્વોદય વિચારધારાને વરેલું ‘ભૂમિપુત્ર’ પાક્ષિક પણ મોખરે હતું. તેના પ્રેસને સરકારે ત્રણ વાર સીલ કર્યું. સેન્સર અધિકારીએ નારાયણ  દેસાઈનો એક લેખ છાપવા બદલ પ્રકાશક પાસે એક હજાર રૂપિયાની સિક્યુરિટી માગી. એ બે વાચક-ચાહકોએ ભરી દીધી. છાપકામની વ્યવસ્થા માટે અખબારી સ્વાતંત્ર્યના ચાહકોએ હજારો રૂપિયાનો લોકફાળો થયો. સરકારે કરેલા કેસમાં વડી અદાલતનો ચૂકાદો ‘ભૂમિપુત્ર’ની તરફેણમાં આવ્યો. એ જ દિવસે સાંજે સરકારે ખેલ પાડીને ચુનીભાઈ વૈદ્ય અને કેસ લડનાર માનવ અધિકારવાદી ધારાશાસ્ત્રી ચન્દ્રકાન્ત દરૂ (૧૯૧૬-૧૯૭૯) બંનેને ‘મીસા’ કહેતાં મેઇન્ટેનન્સ ઑફ ઇન્ટર્નલ સિક્યુરિટી અ‍ૅક્ટ હેઠળ જેલમાં પૂરી દીધા.

ગુજરાતના લોકોત્તર વાચન પ્રસારક મહેન્દ્ર મેઘાણી ‘મિલાપ’ નામનું અનોખું સંકલન સામયિક બહાર પાડતા હતા. પહેલા પ્રજાસત્તાક દિને શરૂ થયેલા આ માસિકનો હેતુ હતો: ‘ચોપાસની દુનિયા વિશેનું જ્ઞાન વધારનારું, સામાન્ય સમજના વાચકને રુચે, સરળ લાગે અને ઉપયોગી નીવડે તેવું વાચન પૂરું પાડવું.’ ડિસેમ્બર ૧૯૭૮માં ‘મિલાપ’ ‘ખાસ કોઈ કારણ’  વિના બંધ થયું. કટોકટી લદાઈ ત્યારે ‘મિલાપ’ તેની વિરુદ્ધ ન હતું. પણ સંપાદકે તેના એક વર્ષ પછીના અંકમાં જયપ્રકાશ નારાયણનું કટોકટી વિરોધી લખાણ છાપ્યું. તેને પરિણામે તેની પર તવાઈ આવી. તંત્રી પર ખટલો ચાલ્યો, પ્રેસ અને અંકો પર જપ્તી આવી, નવ મહિના સુધી અંકો ન આપી શકાયા.

હિન્દુત્વવાદી ઝુકાવ ધરાવતા ‘રાષ્ટ્રીયતાના ઉદઘોષક’ એવા ‘સાધના’ સાપ્તાહિકે કટોકટીના કરેલા વિરોધની વિગતો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કટોકટી સામેની લડતનું આલેખન કરવા માટે લખેલા ‘સંઘર્ષમાં ગુજરાત’(૧૯૭૮) પુસ્તકમાં મળે છે. મોદી લખે છે: ‘…. ‘સાધના’નો સંઘર્ષ તો બે મોરચાનો હતો. સરકારના કાનૂન ‘સાધના’ને સાણસામાં ફસાવવા મથતા હતા. બીજી તરફ ‘સાધના’ સાથે દંડાશાહીનું વલણ પણ અખત્યાર કરવામાં આવ્યું.’ સાપ્તાહિકની કાનૂની જીત, ‘લોકશાહી વિશેષાંક’, ’રાજદ્રોહી લખાણોથી ભરપૂર સામગ્રી’, તંત્રી વિષ્ણુ પંડ્યાની ધરપકડ, પ્રેસ પર ઊતરી પડેલાં સરકારી ધાડાં જેવી અનેક બાબતો લેખકે નોંધી છે. પ્રકરણને અંતે તે લખે છે : ‘નાનકડા ‘સાધના’એ પરિવર્તનના ઇતિહાસમાં મુક્ત શબ્દના સંઘર્ષની અમીટ પ્રેરણા મૂકી દીધી !!’ મોદીના પુસ્તકમાં કટોકટી સામે લડનારા નાનાં અખબારો અને સંખ્યાબંધ કાર્યકરોનો, કૉલમિસ્ટો અને સાહિત્યકારોનાં પ્રતીકાત્મક જેશ્ચર્સનો યથોચિત ઉલ્લેખ છે. પણ એમાં ઉમાશંકરની ભૂમિકાની છણાવટ સહિત કેટલીક બાબતોનું ઠીક બાકાતીકરણ પણ જોવા મળે છે. એ પણ નોંધવું જોઈએ કે વિષ્ણુ પંડ્યાનું ‘મીસાવાસ્યમ’ (૧૯૭૯) પુસ્તક  કટોકટી સામેની લડતને પ્રથમ વ્યક્તિ એકવચન પદ્ધતિએ આલેખે છે.

અત્યારે આપણા દેશમાં બંધારણીય કટોકટી નથી. ગુજરાતમાં લોકહિતના અને વિરોધના અવાજને ગળે જુદી જુદી રીતે ટૂંપો દેવાય છે. જેમ કે હમણાં સોમવારે ગાંધીનગરમાં ‘ખેડૂત સમાજ’ના નેજા હેઠળ ધરણાં પર કરનાર ખેડૂતોની અટકાયત કરવામાં આવી. કટોકટી જેવા મહોલના આવા અણસાર મળતા રહે છે. કટોકટી સામેના સંઘર્ષ વિશે વિચારતાં ‘જાહેર જીવનના કવિ’ ઉમાશંકરની – આપણા મોટા ભાગના સાહિત્યકારોથી ભૂલાઈ ગયેલી – પંક્તિ યાદ આવે છે : ‘કાલે હતો તે તડકો ક્યાં છે ?’

++++++

૧૫ માર્ચ ૨૦૧૮

સૌજન્ય : ’ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 16 માર્ચ 2018 

Loading

17 March 2018 admin
← ત્રણ કાવ્યો
બર્થ ઑફ નૉન-બીજેપીઝમ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved