બ્રિટિશ આમની સભામાં ભારતને આઝાદ કરવાનો ખરડો પસાર થયો એ પછી ભારત સરકારે રિયાસતોને ભારતમાં ભેળવવા માટેનો એક વિભાગ શરૂ કર્યો હતો.
સરદાર પટેલ એનો હવાલો સંભાળતા હતા અને સનદી અધિકારી વી. પી. મેનન એમાં તેમને મદદ કરતા હતા. ૧૫ ઑગસ્ટે ભારતને આઝાદી મળી ત્યાં સુધીમાં ભારતમાંનાં કુલ ૫૬૫ રજવાડાંઓમાંથી ૫૬૨ ભારતમાં ભળવાને લગતા કરાર પર સહી કરી ચૂક્યાં હતાં. બાકી ત્રણ રહ્યાં હતાં જૂનાગઢ, હૈદરાબાદ અને જમ્મુ અને કાશ્મીર. જૂનાગઢના નવાબને પાકિસ્તાનમાં જોડાવું હતું અને હૈદરાબાદ તેમ જ જમ્મુ અને કાશ્મીરના રાજવીઓ નિર્ણય નહોતા લેતા.
રિયાસતોને ભારતમાં વિલીન કરવા માટેના બે કરારો હતા. એક ભારતમાં જોડાવાની ઇચ્છા દર્શાવતો કરાર (ઇન્સ્ટ્રુમેન્ટ ઑફ એક્સેસન) અને બીજો વિલીનીકરણ સંપૂર્ણ અને બંધારણીય સ્વરૂપ ન પામે ત્યાં સુધી છે એ સ્થિતિ જાળવી રાખવાને લગતો (સ્ટૅન્ડસ્ટીલ ઍગ્રીમેન્ટ) ઠરાવ. પહેલા કરાર હેઠળ રાજવીઓએ તેમની રિયાસતોના સંરક્ષણની, વિદેશવ્યવહારની અને સંદેશવ્યવહારની જવાબદારી ભારત સરકારને સોંપવાની હતી. આ કરાર વહેલી તકે એટલા માટે કરવામાં આવતો હતો કે જો કોઈ રિયાસત પર એને આંચકી લેવાના ઇરાદાથી પાકિસ્તાન આક્રમણ કરે કે રાજ્યની અંદર રાજવીના નિર્ણય સામે બળવો થાય તો ભારત સરકાર લશ્કર મોકલવા સુધીની દરમ્યાનગીરી કરી શકે.
જમ્મુ અને કાશ્મીરના મહારાજા ભારત કે પાકિસ્તાન સાથે જોડાવાની ઇચ્છા દર્શાવતા કરાર પર સહી કરતા નહોતા અને એની જગ્યાએ તેમણે પાકિસ્તાન સાથે સ્ટૅન્ડસ્ટીલ ઍગ્રીમેન્ટ કરી લીધું હતું. પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર પાકિસ્તાનમાં જોડાય એવો આગ્રહ રાખ્યો નહોતો. ઊલટું મોહમ્મદઅલી જિન્નાહે જમ્મુ અને કાશ્મીરની આઝાદીને બહાલ રાખી હતી. એની પાછળનાં બે કારણો હતાં. એક તો તેમને ખાતરી હતી કે જમ્મુ અને કાશ્મીરનો હિન્દુ મહારાજા તેમની રિયાસતને પાકિસ્તાનમાં ભેળવવાનો નથી અને બીજું એનાથી પણ મોટું કારણ એ હતું કે કાશ્મીરની ખીણના મુસલમાનોના નેતા શેખ અબદુલ્લા પાકિસ્તાનવિરોધી છે. જો પાકિસ્તાન સરકાર જમ્મુ અને કાશ્મીર પાકિસ્તાનમાં જોડાય એવો આગ્રહ રાખશે તો મહારાજા વહેલી તકે ભારતમાં જોડાવાનો નિર્ણય લેશે અને શેખ અબદુલ્લા એમાં મહારાજા પર દબાવ લાવશે. આના કરતાં આઝાદીનું વચન આપવામાં આવે તો બન્નેના મોઢામાં પાણી આવશે અને ભારત સાથે જોડાવાનો કરાર નહીં કરે. દરમ્યાન અનિશ્ચિતતાની સ્થિતિનો લાભ લઈને પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરને ગળી જશે.
૧૯૪૭ના ઑક્ટોબર સુધી પાકિસ્તાનની ગણતરી મુજબ જ બધું થઈ રહ્યું હતું. મહારાજા સ્વતંત્ર કાશ્મીરનાં સપનાં જોતા હતા જે એશિયાનું સ્વિટ્ઝરલૅન્ડ બને. તેઓ ભારતમાં જોડાવાની સંધિ કરતા નહોતા એટલે ભારત સરકાર જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા માટે લશ્કર મોકલી શકે એમ હતી નહીં. મોકો જોઈને પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર પર હુમલો કર્યો. પાકિસ્તાની લશ્કર શ્રીનગરથી માત્ર બાર કિલોમીટર દૂર હતું ત્યારે મહારાજાએ સંધિ પર સહી કરી હતી અને એ પછી ભારત સરકાર લશ્કર મોકલી શકી હતી. જાગતિક દબાણ હેઠળ ભારતે યુદ્ધવિરામ જાહેર કરવો પડ્યો અને જમ્મુ અને કાશ્મીરનો ૪૦ ટકા હિસ્સો પાકિસ્તાનના કબજામાં રહી ગયો. આ બાજુ હજી તો ભારત વિધિવત યુનોમાં જાય એ પહેલાં જ ડિસેમ્બર મહિનામાં યુનોનું પ્રતિનિધિમંડળ શાંતિપ્રયાસો માટે ભારત આવ્યું હતું અને એણે લોકમત લેવાની ભલામણ કરી હતી.
ભારતે જમ્મુ અને કાશ્મીરમાં જનમત લેવો પડે એમ પણ હતું. જૂનાગઢમાં જનમત લેવામાં આવ્યો હતો એ જોતાં કાશ્મીરમાં જનમત ટાળી શકાય એમ હતો નહીં. બીજું, શેખ અબદુલ્લા ભારતમાં જોડાવાના મતના હતા એટલે ભારતને જનમત હારવાનો બહુ ડર નહોતો. ભારતે જમ્મુ અને કાશ્મીરમાં જનમત લેવામાં આવશે એવી જાહેરાત તો કરી, પરંતુ એ પહેલાં આખો મામલો મોડું થવાને કારણે ચેરાઈ ગયો. મારું એવું માનવું છે કે જો મહારાજાએ સમયસર ભારતમાં જોડાવાનો નિર્ણય લીધો હોત તો ભારતે જમ્મુ અને કાશ્મીરનો ૪૦ ટકા પ્રદેશ ગુમાવ્યો ન હોત. મોટા ભાગે લોકમત ભારતની તરફેણમાં આવ્યો હોત. ઉત્તરે ગિલગિટ અને બાલ્તિસ્તાનમાં લોકમત ભારતની વિરુદ્ધ ગયો હોત તો એટલો પ્રદેશ પાકિસ્તાનને આપીને પ્રશ્ન ઉકેલાઈ શક્યો હોત.
સંજોગવશાત જમ્મુ અને કાશ્મીરનો મામલો ગૂંચવાયો એટલે રિયાસતોના ભારતમાં વિલીનીકરણની બાકીની જે પ્રક્રિયા કરવામાં આવતી હતી એ જમ્મુ અને કાશ્મીરમાં થઈ શકી નહીં. અહીં એક ઇતિહાસસિદ્ધ હકીકત નોંધી લો કે જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ સંપૂર્ણપણે નથી થયું. એ સમયે ભારતની બંધારણસભા બંધારણ ઘડવાનું કામ કરતી હતી. જો બધું સમુંસૂતરું પાર પડ્યું હોત તો જેમ જૂનાગઢ અને હૈદરાબાદમાં લોકમત લઈને વિલીનીકરણની પ્રક્રિયા પૂરી કરવામાં આવી હતી અને બંધારણમાં એ બે રિયાસતોની ભૂમિ પર ભારતનું સાર્વભૌમત્વ સ્થાપિત કરવામાં આવ્યું હતું એમ જમ્મુ અને કાશ્મીર પર પણ સાર્વભૌમત્વ સ્થાપિત થઈ શક્યું હોત. આવું બન્યું નહીં એટલે અધૂરા વિલીન થયેલા જમ્મુ અને કાશ્મીરને ભારતીય સંઘનો બંધારણીય હિસ્સો કઈ રીતે બનાવવાં એ પ્રશ્ન ઉપસ્થિતિ થયો હતો. બંધારણનો આર્ટિકલ ૩૭૦ આનો ઉપાય છે. એ આર્ટિકલ બંધારણ ઘડાઈ રહ્યા પછી ઉમેરવામાં આવ્યો હતો.
તો આનો અર્થ એ થયો કે જમ્મુ અને કાશ્મીર ભારતનું બંધારણીય અંગ છે, ભારતીય રાષ્ટ્રનું અભિન્ન અંગ નથી. અભિન્ન અંગ તો હજી બનાવવાનું બાકી છે. ગઈ કાલે કહ્યું હતું એમ પરણેતરને પત્ની અને એ પછી પરિવારનું અભિન્ન અંગ બનાવવા માટે જે પ્રયન્નો કરવા ઘટે એ જમ્મુ અને કાશ્મીરમાં કરવા પડે એમ છે. બીજું, ભારતને જમ્મુ અને કાશ્મીર સાથે જોડી રાખનારી નાળ આર્ટિકલ ૩૭૦ છે. એના કારણે જમ્મુ અને કાશ્મીર ભારતનું બંધારણીય અંગ છે અને એના આધારે ભારત પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર પર દાવો કરી શકે છે. આર્ટિકલ ૩૭૦ વિશે સંઘપરિવારે એવા ભ્રમ પેદા કર્યા છે કે જાણે એ કોઈ ભસ્માસુર હોય. આ આર્ટિકલ ૩૭૦ શું છે એની વાત હવે પછી.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે” 02 નવેમ્બર 2017