Opinion Magazine
Number of visits: 9482307
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કહેવાતા ગોરક્ષકો ગોરક્ષકો નથી, પરંતુ હિન્દુ કોમવાદનો એક ચહેરો છે

રમેશ ઓઝા
, રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|22 July 2016

ગુજરાત ભારતમાં સૌથી વધુ કોમવાદી અને જ્ઞાતિવાદી રાજ્ય તરીકે કુખ્યાત છે એનું કારણ શાકાહારીઓની ગુરુતાગ્રંથિ છે. તેઓ પોતાને દેવના દીધેલા લાડકા સમજે છે અને માંસાહારીઓને તુચ્છતાથી જુએ છે. તેમનો માંસાહારી શિકાર ક્યારેક મુસ્લિમ હોય છે અને ક્યારેક દલિત કે અવર્ણ હિન્દુ હોય છે

બર્બરતા : ગોરક્ષકોએ મુસ્લિમો અને દલિતોને પાઠ ભણાવવા ઊનાની ઘટનાનો વિડિયો ઉતારેલો.

સિલેક્ટિવ ડિમેન્શિયા એક બીમારીનું નામ છે. આ એવી બીમારી છે જે કુદરતી કારણે નથી થતી કે નથી કોઈનો ચેપ લાગવાથી થાય છે. આ બીમારી વ્યક્તિ પોતે કેળવે છે અને અપનાવે છે. ડિમેન્શિયાનો અર્થ થાય છે સ્મૃિતનાશ એટલે કે બધું ભૂલી જવું. સિલેક્ટિવ ડિમેન્શિયાની બીમારી કેળવનારા લોકો માત્ર એ જ ભૂલી જાય છે જે યાદ રાખવું, જોવું કે સાંભળવું તેમને ગમતું નથી અને પરવડતું નથી. પરવડે એમ હોય ત્યારે યાદ કરી કરીને ઇતિહાસ ઉલેચવામાં આવે અને જ્યારે ઇતિહાસ અને વર્તમાન પરવડે એમ ન હોય અને ભૂંડા દેખાતા હોઈએ ત્યારે મોઢું ફેરવી લઈને ચૂપ થઈ જવાનું.

ઊનાની ઘટના ૧૧ જુલાઈએ બની હતી. કાશ્મીરમાં બુરહાન વાનીની હત્યાની ઘટના બની એ પછી ત્રીજા દિવસે. ભક્તોને કાશ્મીરની ખીણમાં મુસલમાનોના પક્ષે અન્યાય, અત્યાચાર, માનવતાનું હનન, બર્બરતા, દેશદ્રોહ વગેરે બધું જ નજરે પડતું હતું; પરંતુ ઊનાના મામલે ચુપકીદી સેવવામાં આવતી હતી. જાણે કે શરમાવા જેવું કે કલંકિત કાંઈ બન્યું જ ન હોય. કલંકિત કૃત્ય ઇસ્લામ ધર્મ પાળનારા મુસલમાન કરે, મહાન હિન્દુ ધર્મ પાળનારા હિન્દુ ઓછા કરે? પાળીતા પત્રકારો અને મીડિયા ચૂપ હતાં. જેમને દર મહિને નક્કી કરેલા દરે કોઈક સ્થળેથી પૈસા મળે છે એવા પત્રકારો અને ઍન્કરો વાનીને ત્રાસવાદી કહેતા હતા, વાનીની હત્યા શા માટે કરી એવો પ્રશ્ન ઉઠાવનારાઓને દેશદ્રોહી કહેતા હતા, કાશ્મીરી મુસલમાનો સાથે વાતચીત કરવી જોઈએ એમ કહેનારાઓને સ્યુડો સેક્યુલરિસ્ટ કહેતા હતા. તેમની પાસે લેબલોનો ભંડાર છે જેનો ઉપયોગ તેઓ સભ્ય લોકો સામે અસભ્ય બનીને કરતા રહે છે. આ તેમને સોંપવામાં આવેલું કામ છે અને તેઓ એ કામ પૂરી વફાદારી સાથે કરે છે. આવા ઍન્કરો અને પત્રકારોને જોઈને પૂંછડી હલાવતા લાળઝરતા શ્વાનની યાદ આવે છે.

ઊનાની ઘટના સામે ભક્તોની સાથે શ્વાનોએ પણ આંખ આડા કાન કર્યા હતા. ભગવાન (જો હોય તો)નો પાડ કે જેમનો અંતરાત્મા સાબૂત છે એવા ઘણા લોકો આ દેશમાં છે અને મીડિયા અને સોશ્યલ મીડિયા તેમને પણ વાપરતા આવડે છે. ઊનામાં મરેલી ગાયની ખાલ ઉતારનારા દલિતોને ગોરક્ષકોએ મોંઘા ભાવની ગાડી સાથે બાંધીને ઢોરમાર માર્યો એનો કોઈકે વીડિયો ઉતારી લીધો હતો અને એ વાઇરલ કર્યો હતો. એમ પણ કહેવાય છે કે ગોરક્ષકોએ જ મુસલમાનો અને દલિતોને સબક શીખવાડવા માટે વીડિયો ઉતાર્યો હતો અને તેમણે પોતે જ વાઇરલ કર્યો હતો. તેમની બૌદ્ધિક ક્ષમતા જોતાં આ પણ શક્ય છે. હિન્દુત્વવાદીઓની બુદ્ધિદરિદ્રતા તો જગજાહેર છે.

વીડિયો જ્યારે વાઈરલ થયો અને ગીતાના મહાન સ્થિતપ્રજ્ઞ ભક્તોના સોશ્યલ મીડિયામાં (ન ઇચ્છવા છતાં) ઠલવાવા લાગ્યો ત્યારે ભક્તો મૂંઝાયા હતા. પહેલાં તો કહેવામાં આવ્યું કે વીડિયો નકલી છે, મૉફ્ડર્‍ છે. એ પછી દલિતો જ્યારે રસ્તા પર ઊતર્યા અને પોલીસે નાછૂટકે કારવાઈ કરવી પડી ત્યારે તેમણે કૉન્ગ્રેસના રાજમાં દલિતો સાથે અત્યાચારની કેટલી ઘટનાઓ બની હતી એ ગણવાનું શરૂ કરી દીધું હતું. દિલસોજી કે ખેદનો તો એક શબ્દ પણ નહીં. શું ફરક છે તમારામાં અને પાકિસ્તાની ત્રાસવાદી હાફિઝ સઈદમાં? એ પણ સિલેક્ટિવ ડિમેન્શિયાથી પીડાય છે, એ પણ એ જ સાંભળે છે જે તેને સાંભળવું છે, એ જ જુએ છે જે તેને જોવું છે, એ જ બોલે છે જે તેને બોલવું છે. ન ગમતી જમાતના લોકો મરે છે ત્યારે રંજ તેને પણ નથી થતો અને તમને પણ નથી થતો. ફરક હોય તો માત્ર એટલો જ છે કે તે ન ગમતા લોકોને મારી શકે છે જ્યારે તમે ત્યાં સુધી નથી પહોંચતા. આને જો મહાન હિન્દુ સંસ્કાર અને સહિષ્ણુતા કહેવાતી હોય તો તેમને બે હાથે નમસ્કાર!

નવ દિવસ પછી સંસદમાં હોબાળો મચ્યો, નવ દિવસ પછી ગુજરાતનાં મુખ્ય પ્રધાનને લાગ્યું કે ઊના જવું જોઈએ, નવ દિવસ પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને યાદ આવી કે મહાન હિન્દુ ધર્મ કેવો હોય, નવ દિવસ પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ઊનાની ઘટના કલંકિત લાગી. નવ દિવસ પછી પાળેલા શ્વાનોએ ઊનાને પ્રાઇમ ટાઇમમાં સ્થાન આપવું પડ્યું. અંદરના ઘટને જગાડવા માટે ચૈત્ર અને અશ્વિન મહિનામાં નવરાત્રનું જાગરણ કરવામાં આવે છે એમ પૂરા નવ દિવસે ઘટ જાગ્યો હતો. ભક્તો તો હજી પણ કૉન્ગ્રેસના યુગમાં દલિતો સામે કેટલા વધુ અત્યાચારો થયા હતા એ ગણવામાં વ્યસ્ત છે. ખબર નહીં, તેમનો ઘટ ક્યારે જાગશે!

ગુજરાતી તરીકે આપણા માટે આ શરમાવા જેવી ઘટના છે. ભારતમાં દલિતો સામે સૌથી વધુ અત્યાચારો જે રાજ્યોમાં થાય છે એમાં ગુજરાત અગ્રેસર છે. દલિતોને આપવામાં આવેલી અનામતની જોગવાઈ પાછી ખેંચવી જોઈએ એવી માગણી સાથે કેવળ ગુજરાતમાં પાંચ વરસમાં બે વખત (૧૯૮૦ અને ૧૯૮૫) હિંસક આંદોલનો થયાં હતાં. ભારતમાં બીજે ક્યાંક ગુજરાત જેવાં જ્ઞાતિવાદી હિંસક આંદોલનો નથી થયાં. ગુજરાત ભારતમાં સૌથી વધુ કોમવાદી અને જ્ઞાતિવાદી રાજ્ય તરીકે કુખ્યાત છે એનું કારણ શાકાહારીઓની ગુરુતાગ્રંથિ છે. તેઓ પોતાને દેવના દીધેલા લાડકા સમજે છે અને માંસાહારીઓને તુચ્છતાથી જુએ છે. તેમનો માંસાહારી શિકાર ક્યારેક મુસલમાન હોય છે અને ક્યારેક દલિત કે અવર્ણ હિન્દુ હોય છે. તમે જો શાકાહારી હો તો અંતરમાં એક ડોકિયું કરીને જોઈ જુઓ કે તમે માંસાહારી માટે કેટલો અણગમો ધરાવો છો.

છેલ્લી વાત ગાયની. કહેવાતા ગોરક્ષકો ખરેખર રક્ષક છે ખરા? ગાયની રક્ષા કરવી હોય તો એને અર્થકારણનું એક અંગ બનાવવી પડશે જે એક સમયે હતી. ગોસેવા તો ગોગ્રાસ આપીને ગાયનું પૂછડું આંખે લગાડવા માટે હોય છે, બાકી ગાયને ચારો ખવડાવીને ખીલે બાંધવી આજે ખેડૂતોને પરવડતી નથી. ધનપતિઓના પૈસે ચાલતી પાંજરાપોળોને ગાય રાખવી નથી પરવડતી ત્યાં ખેડૂતને એ ક્યાં પરવડવાની હતી? છોડી મૂકવામાં આવેલી ગાયને પ્લાસ્ટિકની થેલી ખાતી તમે જોઈ હશે. જો કોઈ ગાયને ખીલે બાંધે છે તો એ વધારે દૂધ માટે ઇન્જેક્શન આપીને ગાયના હાડને કઈ રીતે નિચોવી લે છે એ તમે ક્યાં નથી જાણતા! ક્યાં છે રક્ષા? બીજાને મારીને ગાયને જીવતી રાખવી એ રક્ષા કહેવાય કે ગાયને અર્થતંત્રની જરૂરિયાત બનાવીને માનવ-પશુ પરિવારનું અંગ બનાવવી એ રક્ષા કહેવાય? કહેવાતા ગોરક્ષકો ગોરક્ષકો નથી, પરંતુ હિન્દુ કોમવાદનો એક ચહેરો છે. તેઓ ગાયની સેવા નથી કરતા પણ ગાયને રાજકીય રીતે વાપરીને કુસેવા કરે છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 22 જુલાઈ 2016

http://www.gujaratimidday.com/features/columns/gau-raksha-turned-hindu-communalism-2

Loading

22 July 2016 admin
← વચલો રસ્તો
દલિતોની વેદના અને તેમનો વિદ્રોહ સમજીએ સાહિત્યકૃતિઓ થકી →

Search by

Opinion

  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)
  • અર્થપૂર્ણ જીવનનું દર્શન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved