ગુજરાત ભારતમાં સૌથી વધુ કોમવાદી અને જ્ઞાતિવાદી રાજ્ય તરીકે કુખ્યાત છે એનું કારણ શાકાહારીઓની ગુરુતાગ્રંથિ છે. તેઓ પોતાને દેવના દીધેલા લાડકા સમજે છે અને માંસાહારીઓને તુચ્છતાથી જુએ છે. તેમનો માંસાહારી શિકાર ક્યારેક મુસ્લિમ હોય છે અને ક્યારેક દલિત કે અવર્ણ હિન્દુ હોય છે
બર્બરતા : ગોરક્ષકોએ મુસ્લિમો અને દલિતોને પાઠ ભણાવવા ઊનાની ઘટનાનો વિડિયો ઉતારેલો.
સિલેક્ટિવ ડિમેન્શિયા એક બીમારીનું નામ છે. આ એવી બીમારી છે જે કુદરતી કારણે નથી થતી કે નથી કોઈનો ચેપ લાગવાથી થાય છે. આ બીમારી વ્યક્તિ પોતે કેળવે છે અને અપનાવે છે. ડિમેન્શિયાનો અર્થ થાય છે સ્મૃિતનાશ એટલે કે બધું ભૂલી જવું. સિલેક્ટિવ ડિમેન્શિયાની બીમારી કેળવનારા લોકો માત્ર એ જ ભૂલી જાય છે જે યાદ રાખવું, જોવું કે સાંભળવું તેમને ગમતું નથી અને પરવડતું નથી. પરવડે એમ હોય ત્યારે યાદ કરી કરીને ઇતિહાસ ઉલેચવામાં આવે અને જ્યારે ઇતિહાસ અને વર્તમાન પરવડે એમ ન હોય અને ભૂંડા દેખાતા હોઈએ ત્યારે મોઢું ફેરવી લઈને ચૂપ થઈ જવાનું.
ઊનાની ઘટના ૧૧ જુલાઈએ બની હતી. કાશ્મીરમાં બુરહાન વાનીની હત્યાની ઘટના બની એ પછી ત્રીજા દિવસે. ભક્તોને કાશ્મીરની ખીણમાં મુસલમાનોના પક્ષે અન્યાય, અત્યાચાર, માનવતાનું હનન, બર્બરતા, દેશદ્રોહ વગેરે બધું જ નજરે પડતું હતું; પરંતુ ઊનાના મામલે ચુપકીદી સેવવામાં આવતી હતી. જાણે કે શરમાવા જેવું કે કલંકિત કાંઈ બન્યું જ ન હોય. કલંકિત કૃત્ય ઇસ્લામ ધર્મ પાળનારા મુસલમાન કરે, મહાન હિન્દુ ધર્મ પાળનારા હિન્દુ ઓછા કરે? પાળીતા પત્રકારો અને મીડિયા ચૂપ હતાં. જેમને દર મહિને નક્કી કરેલા દરે કોઈક સ્થળેથી પૈસા મળે છે એવા પત્રકારો અને ઍન્કરો વાનીને ત્રાસવાદી કહેતા હતા, વાનીની હત્યા શા માટે કરી એવો પ્રશ્ન ઉઠાવનારાઓને દેશદ્રોહી કહેતા હતા, કાશ્મીરી મુસલમાનો સાથે વાતચીત કરવી જોઈએ એમ કહેનારાઓને સ્યુડો સેક્યુલરિસ્ટ કહેતા હતા. તેમની પાસે લેબલોનો ભંડાર છે જેનો ઉપયોગ તેઓ સભ્ય લોકો સામે અસભ્ય બનીને કરતા રહે છે. આ તેમને સોંપવામાં આવેલું કામ છે અને તેઓ એ કામ પૂરી વફાદારી સાથે કરે છે. આવા ઍન્કરો અને પત્રકારોને જોઈને પૂંછડી હલાવતા લાળઝરતા શ્વાનની યાદ આવે છે.
ઊનાની ઘટના સામે ભક્તોની સાથે શ્વાનોએ પણ આંખ આડા કાન કર્યા હતા. ભગવાન (જો હોય તો)નો પાડ કે જેમનો અંતરાત્મા સાબૂત છે એવા ઘણા લોકો આ દેશમાં છે અને મીડિયા અને સોશ્યલ મીડિયા તેમને પણ વાપરતા આવડે છે. ઊનામાં મરેલી ગાયની ખાલ ઉતારનારા દલિતોને ગોરક્ષકોએ મોંઘા ભાવની ગાડી સાથે બાંધીને ઢોરમાર માર્યો એનો કોઈકે વીડિયો ઉતારી લીધો હતો અને એ વાઇરલ કર્યો હતો. એમ પણ કહેવાય છે કે ગોરક્ષકોએ જ મુસલમાનો અને દલિતોને સબક શીખવાડવા માટે વીડિયો ઉતાર્યો હતો અને તેમણે પોતે જ વાઇરલ કર્યો હતો. તેમની બૌદ્ધિક ક્ષમતા જોતાં આ પણ શક્ય છે. હિન્દુત્વવાદીઓની બુદ્ધિદરિદ્રતા તો જગજાહેર છે.
વીડિયો જ્યારે વાઈરલ થયો અને ગીતાના મહાન સ્થિતપ્રજ્ઞ ભક્તોના સોશ્યલ મીડિયામાં (ન ઇચ્છવા છતાં) ઠલવાવા લાગ્યો ત્યારે ભક્તો મૂંઝાયા હતા. પહેલાં તો કહેવામાં આવ્યું કે વીડિયો નકલી છે, મૉફ્ડર્ છે. એ પછી દલિતો જ્યારે રસ્તા પર ઊતર્યા અને પોલીસે નાછૂટકે કારવાઈ કરવી પડી ત્યારે તેમણે કૉન્ગ્રેસના રાજમાં દલિતો સાથે અત્યાચારની કેટલી ઘટનાઓ બની હતી એ ગણવાનું શરૂ કરી દીધું હતું. દિલસોજી કે ખેદનો તો એક શબ્દ પણ નહીં. શું ફરક છે તમારામાં અને પાકિસ્તાની ત્રાસવાદી હાફિઝ સઈદમાં? એ પણ સિલેક્ટિવ ડિમેન્શિયાથી પીડાય છે, એ પણ એ જ સાંભળે છે જે તેને સાંભળવું છે, એ જ જુએ છે જે તેને જોવું છે, એ જ બોલે છે જે તેને બોલવું છે. ન ગમતી જમાતના લોકો મરે છે ત્યારે રંજ તેને પણ નથી થતો અને તમને પણ નથી થતો. ફરક હોય તો માત્ર એટલો જ છે કે તે ન ગમતા લોકોને મારી શકે છે જ્યારે તમે ત્યાં સુધી નથી પહોંચતા. આને જો મહાન હિન્દુ સંસ્કાર અને સહિષ્ણુતા કહેવાતી હોય તો તેમને બે હાથે નમસ્કાર!
નવ દિવસ પછી સંસદમાં હોબાળો મચ્યો, નવ દિવસ પછી ગુજરાતનાં મુખ્ય પ્રધાનને લાગ્યું કે ઊના જવું જોઈએ, નવ દિવસ પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને યાદ આવી કે મહાન હિન્દુ ધર્મ કેવો હોય, નવ દિવસ પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ઊનાની ઘટના કલંકિત લાગી. નવ દિવસ પછી પાળેલા શ્વાનોએ ઊનાને પ્રાઇમ ટાઇમમાં સ્થાન આપવું પડ્યું. અંદરના ઘટને જગાડવા માટે ચૈત્ર અને અશ્વિન મહિનામાં નવરાત્રનું જાગરણ કરવામાં આવે છે એમ પૂરા નવ દિવસે ઘટ જાગ્યો હતો. ભક્તો તો હજી પણ કૉન્ગ્રેસના યુગમાં દલિતો સામે કેટલા વધુ અત્યાચારો થયા હતા એ ગણવામાં વ્યસ્ત છે. ખબર નહીં, તેમનો ઘટ ક્યારે જાગશે!
ગુજરાતી તરીકે આપણા માટે આ શરમાવા જેવી ઘટના છે. ભારતમાં દલિતો સામે સૌથી વધુ અત્યાચારો જે રાજ્યોમાં થાય છે એમાં ગુજરાત અગ્રેસર છે. દલિતોને આપવામાં આવેલી અનામતની જોગવાઈ પાછી ખેંચવી જોઈએ એવી માગણી સાથે કેવળ ગુજરાતમાં પાંચ વરસમાં બે વખત (૧૯૮૦ અને ૧૯૮૫) હિંસક આંદોલનો થયાં હતાં. ભારતમાં બીજે ક્યાંક ગુજરાત જેવાં જ્ઞાતિવાદી હિંસક આંદોલનો નથી થયાં. ગુજરાત ભારતમાં સૌથી વધુ કોમવાદી અને જ્ઞાતિવાદી રાજ્ય તરીકે કુખ્યાત છે એનું કારણ શાકાહારીઓની ગુરુતાગ્રંથિ છે. તેઓ પોતાને દેવના દીધેલા લાડકા સમજે છે અને માંસાહારીઓને તુચ્છતાથી જુએ છે. તેમનો માંસાહારી શિકાર ક્યારેક મુસલમાન હોય છે અને ક્યારેક દલિત કે અવર્ણ હિન્દુ હોય છે. તમે જો શાકાહારી હો તો અંતરમાં એક ડોકિયું કરીને જોઈ જુઓ કે તમે માંસાહારી માટે કેટલો અણગમો ધરાવો છો.
છેલ્લી વાત ગાયની. કહેવાતા ગોરક્ષકો ખરેખર રક્ષક છે ખરા? ગાયની રક્ષા કરવી હોય તો એને અર્થકારણનું એક અંગ બનાવવી પડશે જે એક સમયે હતી. ગોસેવા તો ગોગ્રાસ આપીને ગાયનું પૂછડું આંખે લગાડવા માટે હોય છે, બાકી ગાયને ચારો ખવડાવીને ખીલે બાંધવી આજે ખેડૂતોને પરવડતી નથી. ધનપતિઓના પૈસે ચાલતી પાંજરાપોળોને ગાય રાખવી નથી પરવડતી ત્યાં ખેડૂતને એ ક્યાં પરવડવાની હતી? છોડી મૂકવામાં આવેલી ગાયને પ્લાસ્ટિકની થેલી ખાતી તમે જોઈ હશે. જો કોઈ ગાયને ખીલે બાંધે છે તો એ વધારે દૂધ માટે ઇન્જેક્શન આપીને ગાયના હાડને કઈ રીતે નિચોવી લે છે એ તમે ક્યાં નથી જાણતા! ક્યાં છે રક્ષા? બીજાને મારીને ગાયને જીવતી રાખવી એ રક્ષા કહેવાય કે ગાયને અર્થતંત્રની જરૂરિયાત બનાવીને માનવ-પશુ પરિવારનું અંગ બનાવવી એ રક્ષા કહેવાય? કહેવાતા ગોરક્ષકો ગોરક્ષકો નથી, પરંતુ હિન્દુ કોમવાદનો એક ચહેરો છે. તેઓ ગાયની સેવા નથી કરતા પણ ગાયને રાજકીય રીતે વાપરીને કુસેવા કરે છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 22 જુલાઈ 2016
http://www.gujaratimidday.com/features/columns/gau-raksha-turned-hindu-communalism-2