Opinion Magazine
Number of visits: 9504256
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પુસ્તક સાથે મૈત્રી

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|26 February 2024

અ‍ૅનિમલ ફાર્મ, લેખક : જ્યૉર્જ ઑરવેલ, અનુવાદ – શરીફા વીજળીવાળા, પાનાં 136, ગૂર્જર પ્રકાશન, 200/-  

એક વાડી પરનાં પ્રાણીઓ ક્રાન્તિના માર્ગે માલિકની સત્તાને ઉથલાવીને પોતાનું રાજ્ય સ્થાપે છે. સમાનતાના સિદ્ધાંત પર સ્થપાયેલું આ રાજ્ય અંતે આપખુદશાહીમાં ફેરવાઈ જાય છે.

આ વસ્તુ ગજબના કસબથી અને વ્યથાકારક રીતે પ્રાણીકથા તરીકે રજૂ થયું છે. દેખિતી રીતે, રશિયામાં 1917માં થયેલી સામ્યવાદી ક્રાન્તિની આ રૂપકકથા(1945)ની પ્રસ્તુતતા સર્વકાલીન છે.

અનુવાદકે તેમના બધા અનુવાદોની જેમ અહીં પણ મહેનતથી તૈયાર કરેલી પૂરક વાચન સામગ્રી મૂકી છે. તેમાં એરિક હ્યુજ બ્લેર (1903-50) મૂળ નામધારી બ્રિટિશ લેખક વિશેની ટૂંકી નોંધ ઉપરાંત નવલકથા માટેની ઐતિહાસિક-રાજકીય પાર્શ્વભૂમિ પૂરી પાડતી માહિતી અને ભૂમિકા-લેખ મૂક્યાં છે.

વિખ્યાત ગુજરાતી લેખક-અનુવાદક જયંતિ દલાલે આ નવલકથાનો ‘પશુરાજ્ય’ (1947) નામે અનુવાદ કર્યો છે. વિશ્વસાહિત્યની કેટલીક ઉત્તમ કૃતિઓ સમાયાંતરે એક કરતાં વધુ સમર્થ અનુવાદકોના હાથે ગુજરાતી ભાષામાં તે આપણી ભાષાની ઉપલબ્ધિ છે. હવે ઑર્વેલની બીજી મહાન નવલકથા ‘નાઇન્ટીન એઇટી ફોર’ની પ્રતીક્ષા છે.

•

મીઠા જળનો લોટો, લેખક – ઇજ્જતકુમાર ત્રિવેદી, સંપાદક – સુનીતા ઇજ્જતકુમાર, પાનાં 528, પ્રવીણ પ્રકાશન, 750/- 

ભાવનગરમાં ઇતિહાસના અધ્યાપક ઇજ્જતકુમાર ત્રિવેદી(1935-2012)ના આ ‘સમગ્ર લઘુકથા સંચય’નું સંપાદન તેમનાં સુપુત્રીએ તર્પણભાવે કર્યું છે.

પુસ્તકની 206 લઘુકથાઓ લેખકના આઠ સંગ્રહોનો એક સાથે મૂકે છે. સંપાદકે તેમાંથી દરેક સંગ્રહ વિશે જાણીતા વિવેચકોએ લખેલા રસદર્શન લેખોને સમાવ્યા છે.

તદુપરાંત, ગુજરાતીમાં લઘુકથાના સમૃદ્ધ સ્વરૂપના પહેલા તબક્કાથી સક્રિય એવા લેખકનો આ સાહિત્યપ્રકાર વિશેનો ખુદનો લેખ પણ અહીં વાંચવા મળે છે. ‘નરસિંહ મહેતાનું પુનરાગમન’,‘લિંકનનાં આંસુ’, ‘વિલિયમ ટેલ’, ‘આર્કિમિડીઝ’, ’રાણો સંગ’, ‘હ્યુ-એન-સંગ’, ‘સિકંદર’,‘શિંખડી’ જેવાં પાત્રોના ઉપયોગથી લખાયેલી કૃતિઓ વિશેષ ધ્યાન ખેંચે છે. લઘુકથાને  વિષય બનાવતી હોય તેવી બે વાર્તાઓ અહીં છે.

વાર્તાકાર માય ડિયર જયુએ ‘ઇજ્જ્તકુમાર એટલે લઘુકથા’ એમ નોંધ્યું છે. 

•

સ્મૃતિસંપદા, સંપાદક – રેખા સિંધલ, પાનાં 416, ગુજરાત વિશ્વકોશ ટ્ર્સ્ટ અને અમેરિકામાં  ગુર્જરી પબ્લિકેશન, 300/-  

‘અમેરિકા નિવાસી ગુજરાતીઓની જીવનગાથા’માં પંદર આત્મકથ્યો છે. તેના લખનારા વિજ્ઞાન, ટેક્નોલૉજિ, વ્યાપારવાણિજ્ય, કૉર્પોરેટ, અધ્યાપન, મેડિસિન, વિશ્વપ્રવાસ જેવાં ક્ષેત્રોનાં છે.

તેમણે અહીં પોતાની જીવનયાત્રાની લાંબી લેખણે દિલ ખોલીને વાત માંડી છે. સંપાદકને પ્રચલિત ડાયાસ્પોરા માટે ‘દ્વિદેશી સાહિત્ય’ સમર્પક શબ્દ લાગે છે. કિશોર દેસાઈએ પુસ્તકના સારરૂપ દીર્ઘ પ્રસ્તાવના લખી છે.    

સ્વકથનોનાં લેખકો છે : પ્રીતિ શાહ-સેનગુપ્તા, નટવર ગાંધી, ડૉ. જયંત મહેતા, ડૉ. કમલેશ લુલ્લા, દેવિકા રાહુલ ધ્રુવ, બાબુ સુથાર, ડૉ. દિનેશ ઓ.શાહ, અશોક વિદ્વાંસ, સરયૂ દિલીપ પરીખ, રેખા સિંધલ, ડૉ. ઇન્દુ રમેશ શાહ, મનસુખ વાઘેલા, સપના વિજાપુરા, જગદીશ પટેલ અને અરવિંદ સી. થેકડી. આ ઘણું વાચનીય અને સમાજશાસ્ત્રીય મહત્ત્વ ધરાવતું પુસ્તક છે.

•

વાતવિસામો, લેખક – અનિલ જોશી, પાનાં 228, Zen Opus, 450/- 

વિખ્યાત કવિ અનિલ જોશીના, અમદાવાદ તેમ જ મુંબઈની અખબારી કૉલમોમાં પ્રસિદ્ધ થઈ ચૂકેલા ઢગલાબંધ લેખોમાંથી ચૂંટેલા 101 લેખો અહીં વાંચવા મળે છે. 

આ પ્રકારનાં લખાણ માટે જરૂરી વૈવિધ્ય અને કૌશલ્ય અહીં બધે જ જોવા મળે છે. લેખકના રસરુચિ અને મૂલ્યો માટેની સભાનતાની ઝાંકી પણ આ પુસ્તક આપે છે.

•

યોગી અરવિંદ, લેખક – રાજેન્દ્રમોહન ભટનાગર, અનુવાદક – કાશ્યપી મહા, પાનાં 416, ગૂર્જર પ્રકાશન, 600/-  

આ હિન્દી ચરિત્રનવલના આરંભે લેખકે તેના સર્જન પૂર્વે અને દરમિયાન તેમને થયેલી ચૈતસિક અનુભૂતિઓનું બયાન આપતો લેખ મૂક્યો છે.   

જીવનચરિત્રાત્મક નવલકથાની ખાસિયતો પર લેખકની હથોટી જણાઈ આવે છે. તેમણે મહારાણા પ્રતાપ, વિવેકાનંદ, ગાંધી, આંબેડકર, ઉપરાંત મીરાં, સૂરદાસ અને રૈદાસ પર પણ આ પ્રકારની નવલકથાઓ લખી છે. 

પ્રાપ્તિસ્થાન : ‘ગ્રંથવિહાર’, 9898762263

[હવેથી મારી  કૉલમ પુસ્તકો વિશેની મિતાક્ષરી નોંધ સ્વરૂપે આવશે. લેખકો / પ્રકાશકોને વિનંતી કે કૉલમ માટેના પુસ્તકો માત્ર અખબાર પર જ મોકલે. સરનામું : ‘ભાસ્કર હાઉસ’, મકરબા, ટોયોટા શો રૂમની બાજુમાં, એસ.જી.  હાઇવે, અમદાવાદ]

25 ફેબ્રુઆરી 2024
[25 ફેબ્રુઆરી 2024ના ‘દિવ્ય ભાસ્કર’માં આવેલી મારી કૉલમ, પ્રકાશકોનાં નામના ઉમેરણ સાથે]
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

26 February 2024 Vipool Kalyani
← આ પાઘડીના માપનું માથું કોઈએ કરવું નહીં …
આત્મહત્યા પરીક્ષામાં નાપાસ થવાની નહીં, તે સમાજની નજરોમાં ના-લાયક હોવાની નિશાની છે →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved