Opinion Magazine
Number of visits: 9449449
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉત્તરાખંડની આફતઃ સલામતી અને વિકાસની માનવીય ભૂખ સામે કુદરતનો પ્રકોપ બળૂકો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|14 February 2021

એક સાંધો ને તેર તૂટે જેવા સંજોગોમાં આપણે નવા ઉકેલો શોધવાને બદલે જરા પોરો ખાઇએ તો જ કદાચ બહેતર રહેશે

આપત્તિઓ અટકવાનું નામ નથી લઇ રહી. વાઇરસ ક્યારે કેડો મૂકશે એ આપણને ખબર નથી અને હવે તેને કારણે ટપોટપ મરનારાઓનાં આંકડા ગણવાનું પણ આપણે બંધ કરી દીધું છે.  વેક્સિનના વધામણાં આવ્યા એટલે વાઇરસ ગયો જ સમજો એવું માનીને આપણે થોડું ઘણું જીવી પણ લઇએ છીએ અને પછી ફરી સતર્ક થઇ જઇએ છીએ. આ માઠા સમાચારની આદત પડી હોવા છતાં ય ઉત્તરાખંડમાં ગ્લેશિયરનું તૂટી પડવું બહુ આઘાતજનક રહ્યું. આ હોનારતમાં મૃત્યુ આંક ૩૨થી વધુ અને ખોવાયેલાઓનો આંકડો ૧૭૫ની આસપાસ છે. ચમોલી ગામ નજીક બનેલી આ ઘટનામાં આસપાસના પ્રદેશોમાં પણ બહુ જ નુકસાન થયું છે. રેસ્ક્યુ કામગીરી પણ મોટે પાયે કરાઇ અને ટનલમાં ફસાયેલાઓને બહાર કાઢી લેવાયા.

હા, હવે તો નાનું છોકરું ય કહી દેશે કે આ બધું ગ્લોબલ વોર્મિંગને કારણે થાય છે પણ એનાથી ફેર શું પડે છે? આપણને આ બધું જ ખબર હોવા છતાં પણ આપણે ગ્લોબલ વોર્મિંગ અટકાવવાની વાતને ખરેખર કેટલી ગંભીરતાથી લઇએ છીએ? પરંતુ આ ગ્લેસિયર આ રીતે તૂટવું બહુ સામાન્ય ઘટના નથી. અહીં જે વિસ્તારોમાં તારાજી થઇ છે ત્યાં કોઇ ગ્લેશિયર નજીકમાં નથી પણ ગ્લેશિયરની અંદર રહેલા વૉટર પૉકેટ્સના ઉભરાવાને કારણે આ થયું હોવાની પણ શક્યતાઓ છે.

જે પ્રદેશ ભૌગોલિક દ્રષ્ટિએ નાજુક હોય તેને જરા ય હળવાશથી લેવો ન જોઇએ. ગ્લેશિયર તો તૂટ્યું જ પણ સાથે ભેખડો પણ ધસી પડી અને પછી જે થયું તે આપણે જાણીએ છીએ. ગ્લોબલ વોર્મિંગ તો તેની જગ્યાએ છે જ અને થઇ રહ્યું છે પણ આપણે ઉત્તરાખંડના સંજોગો પર જ ધ્યાન આપીએ તો એક સમયે ચિપકો આંદોલન માટે પ્રખ્યાત એવા આ પ્રદેશના ભૌગોલિક સંજોગોને કારણે અહીં અનેક બંધ બાંધવામાં આવ્યા છે અને ઘણા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ પણ કરાયા છે. આ બધું ય ભૂકંપની શક્યતાઓની પરવા કર્યા વિના. આ પહેલાં પણ ૧૯૯૧માં તેહરી બંધ છે એ વિસ્તારમાં ભૂકંપ આવ્યો છે અને ૨૦૧૩માં કેદારનાથમાં તે તારાજી ફેલાઇ તેની પાછળ પણ ભૂકંપની તલવાર તોળાતી હતી તો બંધ, ભેખડોનું ધસવું અને જાતભાતનાં કારણોને કારણે આવતાં નાના મોટા પૂર તો ખરાં જ!

ભારતમાં આમ પણ બંધ અને હાઇડ્રોપાવર પર મોટે પાયે રોકાણ થયેલું છે અને તે પણ ખાસ કરીને હિમાલયના વિસ્તારોમાં. આ બંધ બાંધવા પાછળનું એક કારણ છે કાર્બન ઉત્સર્જન ઘટાડવાનું. રાષ્ટ્રીય યોજનાઓની વાત કરીએ તો ૨૮ એવા નદી ખીણના પ્રદેશો છે આ ડુંગરાળ પ્રદેશોમાં જ્યાં બંધ બાંધવાના છે. જો આ યોજના પાર પડે તો હિમાલય જ્યાં પણ પથરાયેલો છે ત્યાં દર ૩૨ કિલોમીટરે એક બંધ હશે અને તે વિશ્વમાં સૌથી ગીચ રીતે બંધાયેલા બંધ હશે. સંશોધકોનું માનવું છે કે આ અનેક કારણોસર એક ખોટી ગણતરી સાબિત થઇ શકે છે કારણ કે આ તમામ પર ભૂકંપ આવે ત્યારે પસ્તાળ પડશે અને વરસાદને કારણે ખડાં થનારા વિક્ષેપો તો હજી છે જ અને આવું કંઇ પણ થશે તો કેદારનાથ જેવી તારાજી ફરી થઇ જ શકે છે. જો એ દુર્ઘટનાનું પુનરાવર્તન થાય તો આસપાસ રહેતા લોકોના સમુદાયો અને પ્રાણીજીવનને બહુ નુકસાન થશે જે એક તબક્કા પછી પુનઃ સ્થાપિત કરી શકાય તેવું નહીં રહે. વળી બંધના ટકી જવાને મામલે પણ જે વાતો થાય છે તે હંમેશાં સાચી નથી હોતી અને આસપાસ થનારા કાદવને કારણે પણ બંધની મજબુતાઇ ઘટે છે. જેમ કે ભાખરા નાંગલ બંધમાં સિલ્ટેશન એટલે કે કાદવની જેટલી ગણતરી રાખી હતી તે કરતાં તે ૧૪૦ ગણું વધારે થયું.

આ લાંબા ગાળાના અભ્યાસ છે પણ તાજેતરમાં જ ગ્લેશિયર તૂટ્યું તેના થોડા વખત પહેલાથી જ એ વિસ્તારમાં માછલાં ઝરણાંની વચ્ચે નહીં પણ કોરે તરતાં હતાં અને મધ્યે રહેવાને બદલે કિનારા પાસે તરી રહ્યાં હતાં. પાણીનાં વહેણમાં આવતા બદલાવને માછલીઓની સેન્સર સિસ્ટમ તત્કાલ જાણી લે છે. બે વર્ષ પહેલાં ઉત્તરાખંડ હાઇકોર્ટમાં કેટલાંક ગામડાંઓના લોકોએ પી.આઇ.એલ. કરીને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ અટકાવવા અપીલ કરી હતી. ગ્લેસિયલ સરોવરો બહુ જોખમી હોય છે. ઇતિહાસમાં આવા ફાટી નિકળ્યા હોય તેવા પૂર પહેલાં ય આવ્યાં છે. ૧૯૨૯માં સિંધુ નદીના ૫૦૦ માઇલમાં પહાડોમાં આવેલા પૂરને કારણે બધું રફેદફે થઇ ગયું હતું.

વિદેશમાં પેરુના એન્ડિઝમાં ગ્લેસિયરને કારણે આવલા અનેક પૂરમાં ૧૯૪૦થી માંડી અત્યાર સુધીમાં ૩૦ હજાર લોકોનો જાન ગયો છે. સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશોમાં એન્જિનિયર્સે ઉભરાતા તળાવોનું પાણી વહી જાય તે માટે નિક બનાવી છે. પણ આવી અગમચેતી ગણ્યાગાંઠ્યા કેસિઝમાં જ છે. દુનિયા આખીમાં ઠેર ઠેર પહાડો, ખડકો અને પથ્થરોની સ્થિરતા હચમચી ગઇ છે. હિમાચ્છાદિત પહાડોના બરફમાં જામેલા પથ્થરો ઝડપથી તેનાથી છૂટા પડવા માંડ્યા છે અને તે કારણે થતી તારાજી નાનીસૂની નથી હોતી.

માણસની જાતને બચાવવાની અને પોતાની માંગ પૂરી કરવાની નવી તકનીકો સામે કુદરતનો પ્રકોપ બમણા જોરથી પ્રગટ થઇ રહ્યો છે. એક સાંધોને તેર તૂટે જેવા સંજોગોમાં આપણે નવા ઉકેલો શોધવાને બદલે જરા પોરો ખાઇએ તો જ કદાચ બહેતર રહેશે તેવું લાગે છે.

બાય ધી વેઃ

આટલાં બધાં પિષ્ટપેષણ પછી સમજવાનું એ કે આપણી જરૂરિયાતો અટકી નથી રહી. આપણે સતત કંઇક નવું કર્યા કરીએ છીએ, પર્યાવરણની પરવા કર્યા વિના અને જો પરવા કરીએ તો એક સમસ્યા માટે તૈયાર થઇએ ત્યાં નવા પ્રકારની આફત સામે આવીને ખડી થઇ જાય છે. દુનિયા આખી શરદીને જીવલેણ સાબિત કરનારા આ વાઇરસ સામે બાથ ભિડવા માટે અક્ષમ હતી. એ બાયોલૉજિકલ વૉર ફેર હોય, ચામાચીડિયું હોય કે જે પણ હોય વાસ્તવિક્તા એ છે કે જિંદગીઓ દફન થઇ ગઇ, રાખ થઇ ગઇ અને આપણને માસ્ક નોર્મલ લાગવા માંડ્યા છે. આપણે નક્કી કરવું પડશે કે આપણે ક્યાં અટકવું છે. પ્રશ્નો અને સમસ્યાઓ પણ કોળીભાઇના કૂબાની જેમ ખડાં થાય છે, એક નહીંને બીજો ઊભો!

અને હા, હેપ્પી વેલેન્ટાઇન્સ ડે, કુદરતને પણ એટલું જ ચાહો જેટલું તમે ઇન્સ્ટાગ્રામ પોસ્ટની તસવીરોમાં પ્રકૃતિના ફોટોઝમાં દેખાડો છો.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  14 ફેબ્રુઆરી 2021 

Loading

14 February 2021 admin
← ભક્ત લક્ષણ
પન્નાને કરોના કાળનું સોનેટ, વેલન્ટાઈન ડે નિમિત્તે, ફેબ્રુઆરી 14, 2021 →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved