
રવીન્દ્ર પારેખ
એવું ક્યાંક વાંચ્યાનો ખ્યાલ છે કે વિદ્યાસહાયક યોજના નિષ્ફળ ગઈ છે, પણ એમાં તો ભરતીઓ ચાલુ જ છે ને આ વખતે 11,000થી વધુ ભરતી થવાની છે. એ સાથે જ 700 જેટલી જગ્યાઓ અનામત પણ રાખવામાં આવી છે. 11,000ની ભરતીની વાત તો જૂની છે, તે 2026 સુધી આવી છે. કદાચ આવતે વર્ષે પણ એ 11,000નો આંકડો ફરી દેખાય તો નવાઈ નહીં. પાછળથી એવી હકીકત પણ બહાર આવી છે કે પ્રવાસી શિક્ષક યોજના નિષ્ફળ ગઈ છે ને તેને બદલે જ્ઞાન સહાયક અને ખેલ સહાયક યોજના શરૂ કરવામાં આવી છે. યોજનાઓ ઘડ્યા કરવામાં શિક્ષણ વિભાગનો જોટો નથી. 2015 – ‘16માં શરૂ થયેલી પ્રવાસી શિક્ષક યોજના બંધ એટલે થઈ કે એમાં પગાર ઓછો આપવામાં આવતો હતો. એ યોજના 2023માં જ્ઞાન સહાયકમાં બદલાતાં પગાર બમણો થઈ ગયો છે, પણ આશ્ચર્ય એ છે કે 2016માં શરૂ થયેલી પ્રવાસી શિક્ષક યોજના 2023 સુધી પણ માંડ ચાલી, તો એવી તઘલખી યોજનાઓ બનાવવાનો મતલબ શું છે? આજની તારીખમાં પણ યોજના માટે ઉમેદવારો મળતા નથી, એટલે જ્ઞાન સહાયક યોજના કેટલું ટકશે તે પણ જોવાનું રહે. આ યોજના મુજબ પ્રાથમિકમાં 21 હજાર, માધ્યમિકમાં 24,000 અને ઉચ્ચતર માધ્યમિકમાં 26,00૦નું ઉચ્ચક માનદ્દ વેતન સ્વીકારાયું છે. એ પણ છે કે ભરતીની જાહેરાત થતી રહે છે, એટલી ભરતી થતી નથી.
તાજેતરમાં કાનૂની વિવાદ છતાં વિદ્યાસહાયકોની ભરતી કરવાનો હાઈકોર્ટે આદેશ આપ્યો છે. એ હિસાબે 11,000 વિદ્યાસહાયકોની ભરતીની વાત ફરી એક વાર સામે આવી છે. જો કે ટેટ-1 પરીક્ષાને આધારે વિદ્યાસહાયકોની ભરતીને પડકારતી અરજી સંદર્ભે 700 સીટ અનામત રાખવાનો પણ આદેશ છે. ગુજરાતમાં ટેટ-1 પરીક્ષાને આધારે ભરતીની પ્રક્રિયા શરૂ થઇ હતી, પણ કેટલાક ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવતા ને ભરતીના નિયમો સામે વાંધા ઉઠાવતી ઢગલો રિટ અરજીઓ થતાં સમગ્ર ભરતી પ્રક્રિયા અટવાઈ પડી હતી. એમાં અન્યાય, લાયક ઉમેદવારોને થતો હોવાથી હાઈકોર્ટે ભરતી પ્રક્રિયાને મંજૂરી આપી છે. છેલ્લા ઘણા મહિનાઓથી વિદ્યાસહાયકોની ભરતીનો ઉદ્દેશ, ભરતી પ્રક્રિયાને સરકાર દ્વારા આગળ ધપાવવાનો લાગે છે. સરકારી વકીલ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે વિવાદી 700 સીટને અલગ રાખીને બાકીની દસેક હજાર જગ્યાઓ પર ભરતીની મંજૂરી હાઈકોર્ટ આપે. સરકાર તરફથી અદાલતનું એ મુદ્દે ધ્યાન ખેંચવામાં આવ્યું હતું કે જે મુદ્દે અરજીઓ કરવામાં આવી છે, તેનાં હિતોનું રક્ષણ પણ કરવામાં આવશે.
તે ઉપરાંત શિક્ષણ વિભાગ દ્વારા 2027 સુધીમાં બીજી પાંચેક હજાર ભરતીઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આમ થતાં જેમણે હાલ અરજી કરી છે તેમને પણ ભરતીનો પૂરતો લાભ મળશે. હાઈકોર્ટે તમામ પક્ષકારોને સાંભળ્યા પછી ભરતીનો આદેશ આપ્યો છે, પરિણામે ભરતીની મોકળાશ વધી છે.
એક તરફ વિદ્યાસહાયકોની ને અન્ય પદોની ભરતી માટે સરકાર કરકસર કરે છે ને બીજી તરફ ભ્રષ્ટાચારે માઝા મૂકી હોય એવી સ્થિતિ પણ છે. આ સ્થિતિ સ્કૂલ, કોલેજ સંદર્ભે જ નથી, યુનિવર્સિટી કક્ષાએ પણ ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર હોય એવી સ્થિતિ છે. બધી જ શરમ બાજુ પર મૂકીને કુલપતિ લેવલની વ્યક્તિ આટલી ભ્રષ્ટ હોય એ આઘાત આપનારી બાબત છે. યુનિવર્સિટીઓ આજકાલ રાજકીય પ્રવૃત્તિઓનો અખાડો બની ગઈ છે ને કુલપતિ કક્ષાની વ્યક્તિઓ એમાંથી બાકાત નથી. યુનિવર્સિટીમાં કુલપતિની નિમણૂક જ રાજકીય વગની મહોતાજ છે. કુલપતિના પદ પર એકેડેમિશિયનની અપેક્ષા લગભગ રહી નથી, પણ રાજકીય વગ કઈ હદની છે, તે વાત વધારે મહત્ત્વની છે. શિક્ષણ નહીં, પણ રાજકારણ એ કુલપતિની વધારાની લાયકાત છે. હવે ખાનગી કે જાહેર યુનિવર્સિટીમાં કુલપતિનો એવો પ્રભાવ રહ્યો નથી કે એક વિશાળ સમૂહને આકર્ષી શકે ને એવા વિદ્યાર્થીઓ પણ નથી કે તે કોઈ રાજકીય પક્ષનો હાથો બન્યા વગર સક્રિય હોય. વિદ્યાર્થીઓ રાજકારણ શીખે એનો તો શો વાંધો હોય, પણ રાજકારણ કરે ત્યારે વિચારવાનું રહે.

નીરજા ગુપ્તા
ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની પહેલી યુનિવર્સિટી છે, પણ તેની જે પ્રતિષ્ઠા હતી, તે હવે રહી નથી, તે એટલે પણ કે કુલપતિઓને રાજકીય સંસ્પર્શ વગરનું જીવન હવે માફક જ આવતું નથી. એ યુનિવર્સિટીનું એટલે જ એવું કૌભાંડ બહાર આવ્યું છે, જે ગુજરાતમાં બેજોડ છે. ગુજરાત યુનિવર્રસિટીના ને ગુજરાતની યુનિવર્સિટીઓમાં આવો કાંડ ઇતિહાસમાં પહેલી વાર થયો છે ને તે યુનિવર્સિટીના પૂરા દસ માનનીય સભ્યોને સસ્પેન્ડ કરવાનો –
પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાની રહેમ નજરથી 10 સભ્યોને અઢી લાખથી 5 લાખનાં માસિક પગારની લ્હાણી, ત્રણ વર્ષ સુધી કરવામાં આવી હતી. સરકારની ઢીલાશ અને નિયમો બાજુ પર મૂકીને રાષ્ટ્રપતિ કક્ષાનો પગાર ચૂકવાયો ને એવું કોઈ ખાસ કામ યુનિવર્સિટીનું થયું નથી. તેમાં એક સભ્ય તો બબ્બે જગ્યાએથી પગાર લેતા હતા. નીરજા ગુપ્તા તો નિવૃત્ત થઇ ચૂક્યાં છે અને હાલના ઇન્ચાર્જ કુલપતિ જગદીશ જોશીએ ત્રણ સભ્યોની એક કમિટી નીમી છે ને નિષ્પક્ષ તપાસ થઈ શકે એ માટે આ દસેય સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીને કોઈ કુલપતિ નિરાંતે લૂંટાવા દે તેવો આ પહેલો કિસ્સો છે. વારુ, આ સભ્યો કોઈક વિષયના નિષ્ણાત હોય અને તેમના દ્વારા યુનિવર્સિટી અદ્દભુત વિકાસ સાધી શકી હોય, તો આટલો ધુમાડો કૈંકે લેખે લાગે, પણ એવી વાત પણ આ સભ્યોમાં ન હતી. તો, એ સવાલ થાય કે આ દસ સભ્યો પાછળ આટલાં નાણાં વેડફવાની જરૂર કેમ પડી?
તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આ દસમાંના બે સભ્યો તો મેડમના પીએચ.ડી.ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા. એ જ રીતે બીજા સભ્યો પણ કોઈને કોઈ કારણે પરિચયમાં હતા. નીરજા ગુપ્તાનો પગાર કેટલો હતો એ નથી ખબર, પણ તે 5 લાખ નહીં હોય એમ બને. તો, તેમના કર્મચારીઓને અઢીથી પાંચ લાખ પગાર ચૂકવવાનું શું કારણ હતું તે નથી સમજાતું.
મોટે ભાગે નિવૃત્તોને ફરી નોકરીએ રખાય તો તેને મૂળ પગારથી ઓછો પગાર જ ચૂકવાય છે. આમાંના કોઈને પાંચ લાખનો પગાર પૂર્વ નોકરીમાં ન હતો, તો અઢીથી પાંચ લાખ કેમ ચૂકવાયા તે તપાસ સમિતિ શોધી લાવે તો ખબર પડે. આ અગાઉ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તરફથી ગેરકાયદે નિમણૂકો રદ્દ કરવાની લેખિત રજૂઆત થઇ હતી. સાત ઓગસ્ટે યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં નકલી નોટો ઉછાળવામાં આવી હતી. આમ તો ભા.જ.પ. સાથેની સાંઠગાંઠ એ.બી.વી.પી.ની છે જ, છતાં તેની જ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તે સૂચક છે.
જીયુસેકમાં કોઈ પણ પ્રકારની પ્રક્રિયા વગર પાંચ લાખનો પગાર મેળવતા અધિકારીને ત્રણ વર્ષમાં પોણા બે કરોડ જેટલો પગાર ચૂકવાયો હતો. કોઈ પણ નિવૃત્ત અધિકારીને ફરી નોકરીમાં લેવાય તો દેખીતી રીતે જ પાંચ લાખનો પગાર હોય નહીં, છતાં કુલપતિ તરીકે નિયુક્ત થયેલ નીરજા ગુપ્તાએ તેમના પરિચિતોને હંગામી ગણાતી મહત્ત્વની જગ્યાઓ પર નિમણૂકો આપી હતી. આ અધિકારીઓ બેંક, ઓ.એન.જી.સી.ના નિવૃત્ત અધિકારીઓ હતા. આ નિયુક્તિ સામે પણ વિવાદ થયેલો, તો પણ તેમને હટાવવામાં આવ્યા ન હતા કે ન તો પગાર ધોરણ ઘટાડવામાં આવ્યું હતું. વિવાદ થવાનું સીધું કારણ આ અધિકારીઓને ચૂકવાતા અઢી લાખથી પાંચ લાખ સુધીનું તોતિંગ પગાર ધોરણ હતું. વિવાદનું બીજું કારણ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા વગર અપાયેલી સીધી નિમણૂકો પણ હતું. ત્રણ વર્ષથી તોતિંગ પગાર ખાતાં નિવૃત્તોને કારણે યુનિવર્સિટીનો ખર્ચ આસમાને પહોંચ્યો હતો. અત્યારે હલ્લા બોલ અને ભારે આક્રોશ ઠાલવતાં વિદ્યાર્થી સંગઠનો પર એવો આરોપ પણ છે કે તેઓ અત્યારે જાગ્યા તો એ જાગરણ શરૂઆતમાં જ થઇ શક્યું હોત.
એ દુખદ છે કે કુલપતિ કક્ષાની વ્યક્તિ જવાબદારીનાં ભાન વગર વર્તી શકે છે ને યુનિવર્સિટીને ખોટના ધંધામાં ઉતારી શકે છે. એક તરફ વિદ્યાસહાયકોને 26 હજાર પગાર ચૂકવવામાં ટાઢ ચડતી હોય ને બીજી તરફ પાંચ લાખનો પગાર જરા પણ તપાસ વગર લુટાવી દેવાય એ શરમજનક છે. આ સંતુલન ગુજરાત શિક્ષણનો મૃત્યુઘંટ વગાડે તેમાં નવાઈ નથી. ગુજરાત પછી છેલ્લેથી વધુ છેલ્લે ધકેલાય નહીં તો થાય શું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 ઑગસ્ટ 2026
![]()


ક્રિસ હેજ્જિસ : ઍજ્જે ટમૅલકુરાન લિખિત બે પુસ્તકો વાંચવાની હું સખત ભલામણ કરું છું —How to Lose a Country: The Seven Steps from Democracy to Fascism અને Nation of Strangers: Rebuilding Home in the 21st Century. આપણે બન્ને પુસ્તકોની ચર્ચા અહીં કરીશું. ભારતથી લઈને યુનાઈટેડ સ્ટેટ્સ સુધીના દેશોના વિવિધ કિસ્સાઓમાં તે સાત વૈશ્વિક ભાતનું વિવરણ કરે છે જેનું પુનરાવર્તન થયા કરે છે અને જેને ઓળખી શકાય છે. સમાજને બે ભાગમાં વિભાજીત કરવાની ચળવળથી આ ભાતના મંડાણ થાય છે. સાચા લોકો વિરુદ્ધ ભ્રષ્ટ ભદ્ર વર્ગ અને એવો નેતા જે ભારપૂર્વક એમને સાચા લોકો કહે છે. સત્યનું વિસર્જન કરવું અને શિષ્ટાચારને બદલે વફાદારીને અગ્રતા આપવી, એ બીજુ પગલું છે. ત્યારબાદ શરમને ઉખેળવામાં આવે છે. લાંબા ગાળાના રાજકીય અને નૈતિક સર્વસંમતિને અભૂતપૂર્વ નિર્દયતાથી તોડી નંખાય છે. જેટલા વધારે એ સત્તામાં રહે છે તેટલું શું સ્વીકાર્ય છે એની સીમાઓ વિસ્તરતી જાય છે. જે પહેલા વિચારવું શક્ય નહોતું અથવા ઘૃણાસ્પદ ગણાતું એ હવે ક્રમશ: સામાન્ય બનતું જાય છે. જેમ લોકશાહીને જાળવી રાખતી સંસ્થાઓને ગુપચુપ રીતે ખોખલી કરી દેવામાં આવે છે અને લોકશાહીની વ્યાખ્યાનું બહુમતિના રાજ તરીકે પુન:લેખન કરવામાં આવે છે.
વૈશ્વિક મૂલ્યો, માનવ ગૌરવ અને કાયદાના રાજને બદલે ઉગ્ર રાષ્ટ્રવાદ, પીડિત હોવાનું ગૌરવ અને ઇતિહાસના પુન:લેખનને સ્થાન આપવામાં આવે છે. ક્રૂરતા અને નિર્દયતાને રાજકારણના ઊંચા સ્તરે જ નહીં પરંતુ રોજીંદા જીવનના સ્તરે પણ ન્યાયી માનવામાં આવે છે. ‘આપણે’માં ગણાતા લોકોનું વર્તુળ નાનું થતું જાય છે અને લાખો સહનાગરિકોને કાયમી શંકાસ્પદો તરીકે બીબાંમાં પુન: ઢાળવામાં આવે છે. ઍજ્જે નોંધે છે કે આ પથ પર ચાલેલા અન્ય રાષ્ટ્રોના લોકોની માફક સંસ્થાઓ દ્વારા ચીંધેલા આભાસી માર્ગ પર ચાલીને અમૅરિકનો પોતાના ડરને શાંત પાડે છે. એમના ભાવિ દેશને ઓળખવાની એમનામાં હિમ્મત હોતી નથી. ટ્રમ્પના અમૅરિકાના નવા નિયમોનું જો એ લોકો પાલન નહીં કરે તો ટૂંક સમયમાં એમને નાગરિક તરીકે સ્વીકારવામાં આવશે નહીં. એ તો ઠીક છે પણ ઍજ્જે લખે છે કે જો ડોનલ્ડ ટ્રમ્પ, રૅજૅપ ટાઇપ ઍડોવાન, નરેન્દ્ર મોદી, વ્લાદિમીર પુતિન અથવા નાઈજલ ફૅરાજ અદૃશ્ય થઈ જાય તો એમના દ્વારા જોશ ભરેલા કરોડો લોકો હાજર જ હશે અને એવા જ બીજા વ્યક્તિના આદેશોનું પાલન કરવા એટલા જ તત્પર હશે. કમનસીબે અમે જે તુર્કિયેમાં ખૂબ વિનાશક રીતે અનુભવ્યું, તમે રાજકારણની દુનિયાથી દૂર રહેવા મક્કમ હોવ તો પણ બગલિયા તમને શોધી કાઢશે, તમારા અંગત સ્થળમાં, એમનાં મૂલ્યોથી સજ્જ અને એમના જેવા નહીં હોય એમને પાડી દેવા તત્પર રહેશે.
ઍજ્જે : બિલકુલ સાચું. આ બહુ ડરામણું છે. મને ખ્યાલ નથી કેટલા લોકોને ખબર છે, લોકો એટલે સક્રિય રાજકારણમાં પડેલા લોકો, કે આપણે અંત સમયને પહોંચવા આવી ગયા છીએ અને આના ઘણાં કારણો છે. એટલે આ સમય બહાદુર બનવાનો છે, બીજો કોઈ વિકલ્પ નથી. આપણે અમુક નિષેધોને દૂર કરવા પડશે કારણ કે ડૅમોક્રૅટ્સ, ખાસ કરીને યુનાઈટેડ સ્ટેટ્સમાં, અને યુરોપમાં પણ, હજુ શીત યુદ્ધના પ્રચારના પીંજરામાં પુરાયેલા છે. જો આપણે સામાજિક ન્યાયની વાત કરીશું તો એ આપણને સામ્યવાદી કહેશે, સામાજિક અસમાનતાની વાત કરીશું તો સામ્યવાદી જેવા લાગીશું. આ પ્રચાર આપણા રાજકારણમાં, વૈશ્વિક રાજકારણમાં એટલો અગ્ર છે, એટલો પ્રભાવશાળી છે કે ડૅમોક્રૅટ્સ એ લકવામાંથી ઉગરી શક્યા નથી. એટલું હું કહું છું કે શીત યુદ્ધના ભયને ઝાટકી નાખવાની, બહાદુર બનવાની અને ખરા પ્રશ્નોની વાત કરવાની જરૂર છે. ખરો પ્રશ્ન ટ્રમ્પ કે ઍડૉવાન નથી, ખરો પ્રશ્ન છે આપણે સાચા લોકતંત્ર માટે, સાચા સામાજિક ન્યાય માટે વૈશ્વિક હિતસંબંધ કઈ રીતે સ્થાપી શકીએ. આ સૌથી વધુ અંધકારનો સમય છે; પરંતુ ભવિષ્ય માટે એક દર્શન રચવાનો પણ આ સમય છે. આપણે ત્યાં ઘણાં લાંબા સમયથી સુખાવતીઓનો અભાવ રહ્યો છે, આ પ્રકારની વાતચીતનો અભાવ રહ્યો છે. How to lose a Country લખવા પાછળનું આ એક કારણ છે અને Nation of Strangers લખવા પાછળનું પણ આ જ કારણ છે. આપણે કંઈક ગુમાવી રહ્યાં છીએ, ફક્ત રાજકીય, તાત્ત્વિક કે અસ્તિત્ત્વવાદી સ્તરે જ નહીં. હું માનું છું કે ભયથી પોતાને મુક્ત કરવાનો સમય પાકી ગયો છે. અંત સમય, લોકોને આ શબ્દો અંધકારમય લાગે છે પરંતુ એ મુક્તિદાયક પણ છે કારણ કે જે તમામ સંકટો તમે અને મેં જોયા એમાંથી આપણે જાણ્યું છે કે બાબતોને તદ્દન સ્પષ્ટ કરી આપવાની સંકટની આદત છે. તે નરસાને સ્પષ્ટ દેખાડે છે અને સારાને પણ સ્પષ્ટ દેખાડે છે. યુદ્ધો, સંકટો, આ બધાં સ્થળોએ લોકો પોતાને વીર તરીકે દેખાવાની અનુમતિ આપતા હોય છે. આપણે એ સમયમાં હજુ પ્રવેશ્યા જ છે અને હું આશા કરું છું કે લોકોને એ મુકિતનો અનુભવ થાય જેથી એ વીર તરીકે વર્તી શકે. સમજાય એવું છે ને?
હૅજ્જિસ : આવી અભિવ્યક્તિને નિર્દયતાથી કચડી નાખવામાં આવી છે અને હું સવિશેષ એ બહાદુર વિદ્યાર્થીઓને યાદ કરી રહ્યો છું જે માનવસંહારના વિરોધમાં ખડા થઈ ગયા. પડાવો બંધ કરી દેવાયા, અને અમૅરિકાની યુનિવર્સિટીઓમાં માનવસંહાર વિરુદ્ધ અભિવ્યક્તિની સ્વતંત્રતાને જાકારો આપી દેવાયો છે, ઘણાં બધાં વિદ્યાર્થીઓને નિલંબિત કરવામાં આવ્યા, કાઢી મૂકવામાં આવ્યા, કોલંબિયા જેવા કેમ્પસોમાં પોલિસ બોલાવવામાં આવી, બર્બરતાથી એમને કાર્ય કરવા દેવામાં આવ્યા. તમે જર્મનીમાં રહો છો, જર્મનો અભિવ્યક્તિની સ્વતંત્રતાને હણી લેવા કેટલી અતિ કઠોર હદે ગયા છે એની તમને જાણ છે. ત્યારબાદ ટ્રમ્પ છે જે આમૂલ ડાબેરીનું જીવવાનું હરામ કરવાની પેરવીમાં છે. એમણે ઈમીગ્રેશન ઍન્ડ કસ્ટમ્સ ઍનફોર્સમૅન્ટ (ICE) જેવો પોતાનો પૅરા-મિલિટરી ફોર્સ તૈયાર કર્યો છે જેણે હ્યુસ્ટનમાં એક નિ:શસ્ત્ર અમૅરિકન નાગરિકને ગોળીએ ઠાર માર્યો. એટલે જેમ સભાનતા વધી છે તેમ તમે તુર્કિયેમાં જોયું છે એમ દમનના વધુ ને વધુ કઠોર સ્વરૂપો ઊભા થયા છે.
