અર્થતંત્રના એક્સપર્ટ્સ એવી આશા સેવી રહ્યા છે કે વૈશ્વિક સ્તરે ફુગાવો ટોચે પહોંચશે, વ્યાજના દર જરા હળવા થશે અને રોકાણકારો વિશ્વના ઝડપથી આગળ વધી રહેલા અર્થતંત્ર તરફ મોટી સંખ્યામાં ધસી આવશે
આ દુનિયામાં બે ઘટનાઓ એવી ઘટી જેણે માનવજાતિ પર બહુ ઘેરો પ્રભાવ પાડ્યો. સારો ઓછો, નરસો વધારે. પહેલી ઘટના હતી બીજું વિશ્વ યુદ્ધ અને બીજી ઘટના એટલે કે કોરોનાવાઇરસ રોગચાળો. થંભી ગયેલી દુનિયા, મૃત્યુના આંકડા, બેવડ વળી ગયેલા અર્થતંત્રને બેઠા કરવા માટે થતી જહેમત જેવું કેટલું ય આ બન્ને ઘટનાને પગલે દુનિયાએ જોયું. યુદ્ધ થંભે અને દુનિયાના રાજકારણના સમીકરણો બદલાઇ જાય. રોગચાળાની અસરો પણ એટલી જ વ્યાપક રહી – વેક્સિન ડિપ્લોમસીથી માંડીને વાઇરસ એક શસ્ત્ર છે જે ચીનની લેબમાં બન્યું છે જેવી થિયરીઓને પગલે રાજકારણના સમીકરણો બદલાય તે સ્વાભાવિક છે. વળી કોવિડ-19ના પેન્ડેમિકે કંઇ પાછી પાની નથી કરી, તેના તિખારા, તણખા અને ભડકા ક્યાંક ક્યાંક ગમે ત્યારે દેખાઇ જાય છે. બીજા વિશ્વ યુદ્ધ પછી જે રીતે સરકારની તિજોરીનાં તળિયાં દેખાઇ ગયાં અને અર્થતંત્રનું મિટર સડસડાટ નીચે ઉતરી ગયું અને જી.ડી.પી. પર અસર થઇ. આવી જ અસરો રોગચાળા પછી પણ થઇ છે. કોરોના વાઇરસ રોગચાળાને યુદ્ધ સાથે પહેલાં પણ સરખાવાઇ ચૂક્યો છે – ખાસ કરીને રાષ્ટ્રોના પ્રમુખોએ પોતાના નાગરિકોને સંબોધતા ઘણીવાર યુદ્ધ સાથે રોગચાળાની સરખામણી કરી છે.
બન્નેમાં મૃત્યુ આંક બહુ મોટો હતો, રોજે રોજના આંકડા નોંધવામાં આવ્યા છે, રોજિંદી જિંદગીમાં આવેલા અવરોધો, અમુક સેવાઓનું બંધ થવું વગેરે બન્ને ઘટનાઓની સામાન્ય બાબતો છે. ફ્રાંસ અને જર્મની જેવા યુરોપિયન દેશોમાં હવે જે મંદીના ડંકા વાગી રહ્યા છે તેની સરખામણી બીજા વિશ્વ યુદ્ધ પછીના સંજોગો સાથે જ કરવી પડે એમ છે. જો કે આ બન્નેમાં ભેદ પણ છે – એ ભેદ એ કે યુદ્ધમાં સામાવાળાનો ખાત્મો બોલાવવો, સ્થળાંતર થવા, ઉત્પાદન ક્ષમતાને નીચે લાવવી વગેરે પર ધ્યાન અપાતું પણ હવે રોગચાળા પછી જે જરૂરી નથી તે બંધ કરવું, સ્થળાંતર ટાળવા, આત્મનિર્ભરતા પર ધ્યાન આપવામાં આવે છે. બીજા વિશ્વ યુદ્ધમાં 60 મિલિયન લોકોનાં મોત થયા અને રોગચાળાએ 6,00,000થી વધુ લોકોના જીવ લીધા છે – એ સરખાણીની દૃષ્ટિએ બન્નેમાં તફાવત છે. વળી કમનસીબે રોગચાળાની પીડા સાથે આપણા માથે રશિયા અને યુક્રેનનો સંઘર્ષ પણ ઝિંકાયો છે. આ સંઘર્ષને કારણે ખાધા-ખોરાકીની કિંમતો, ઇંધણની કિંમતો, ફુગાવો, સપ્લાય ચેઇન્સ અને કનેક્ટિવિટી બધા પર અસર પડી છે.
ટેક જાયન્ટ્સ હવે વૈશ્વિક સ્તરે માથે તોળાઇ રહેલી મંદીની વાત કરી ચૂક્યા છે. વૈશ્વિક મંદીની અસર ભારત પર નહીં જ પડે એવું માની લેવું ખોટાં ફીફાં ખાંડવાં જેવું છે. હા, પણ ભારત પર વૈશ્વિક મંદીની એટલી ઘેરી અસર નહીં હોય જેટલી બીજા દેશો પર હશે. આપણે ત્યાં તો ડોમેસ્ટિક માર્કેટની માંગ જ એટલી મોટી છે કે એ જ આપણા જી.ડી.પી.નો આધાર બને છે. અર્થતંત્રના એક્સપર્ટ્સ એવી આશા સેવી રહ્યા છે કે વૈશ્વિક સ્તરે ફુગાવો ટોચે પહોંચશે, વ્યાજના દર જરા હળવા થશે અને રોકાણકારો વિશ્વના ઝડપથી આગળ વધી રહેલા અર્થતંત્ર તરફ મોટી સંખ્યામાં ધસી આવશે. પરંતુ ટેક જાયન્ટ્સ જે રીતે છટણી કરી રહ્યા છે તેની અસરો હવે દેખાવાની શરૂ થશે – આર્થિક હતાશાની અસર ઉપભોક્તાવાદ પર પણ પડે અને પડી રહી છે. 2022નું વર્ષ હવે પતવા આવ્યું અને આગામી ફાનિન્શિયલ યરનું જે બજેટ હશે તેની પર અત્યારના વૈશ્વિક સંજોગોની સીધી અસર પડશે. ખાસ કરીને યુ.એસ.ની મંદીની અસર આપણા બજેટ પર વર્તાશે. આ પહેલાંની મંદીઓમાં દેખાયેલા ટ્રેન્ડ અનુસાર ઑટો, એન્સિલરીઝ, ધાતુ, ટેક્સ્ટાઇલ વગેરે પર અસર થઇ પરંતુ જેમ્સ – જ્વેલરી, કેમિકલ્સ, ફાર્માસ્યૂટિકલ્સ પર અસર નહોતી પડી અને તે ધંધો ધીકતો જ રહ્યો. ઓછી નિકાસ અને મજબૂત ડૉમેસ્ટિક ગ્રોથ – જેમાં વધુ આયાતનો પણ સમાવેશ કરાય તે આખા અર્થતંત્રનું ઓવરઓલ બેલેન્સ ખોરવી નાખે એમ બને. નિકાસને કારણે આપણો જી.ડી.પી. – રોગચાળા પહેલાંની સ્થિતિએ પહોંચ્યો છે. કોમોડિટીના ભાવમાં જે કડાકો આવશે તેનાથી ભારતને ફાયદો થઇ શકે છે. માંગ ઘટવાને કારણે ભાવ ઘટશે અને આ આખી ત્રિરાશી મંદીનું પરિણામ હશે. વૈશ્વિક મંદીની અસર કોમોડિટીના ભાવ પર પડે જ. બીજી તરફ નિકાસ ઘટશે તો ઉત્પાદન વિકાસ પર અસર પડશે, નિકાસ પર આધાર ઓછો હશે તો વિદેશી ભંડોળ માટે ભારત અન્ય રાષ્ટ્રોની પસંદગી બને તે પણ સ્વભાવિક છે.
ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના વડા ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ એવી ચેતવણી આપી છે કે વૈશ્વિક અર્થતંત્ર સાપેક્ષ અનુમાનોની દુનિયામાંથી એક મોટી અનિશ્ચિતતાઓ તરફ આગળ વધી રહ્યું છે. યુરોપિયન અને અમેરિકન અર્થતંત્રમાં જે થોડોઘણો વિકાસ છે તે એટલે છે કે સરકાર એનર્જી સબસિડીઝ અને નીતિઓમાં પૈસા ખર્ચી રહી છે – પરંતુ આવું ક્યાં સુધી સંભાળી શકાશે એ પણ એક પ્રશ્ન છે. એક સારી બાબત એ છે કે આંતરરાષ્ટ્રીય આર્થિક વિશેષજ્ઞોના મતે એશિયાના મોટા અર્થતંત્રો પર વૈશ્વિક વિકાસનો આધાર છે.
આગામી ફાઇનાન્શિયલ વર્ષ 2023-24માં ભારતીય અર્થતંત્ર જો છથી સાત ટકા વિકાસ કરીને તે આંકડો જાળવી શકે તો ભારત વૈશ્વિક મંદીનો ભાર ખમી શકે. થોડા વખત પહેલાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું કે યુ.એસ.એ., યુરોપ, જાપાન અને ચીનમાં એક ચોક્કસ રિધમમાં ડાઉન ટર્ન થઇ રહ્યું છે જે વૈશ્વિક મંદીનું કારણ બનશે. તેમના મતે ભારતમાં કોઇ સ્લોડાઉનના એંધાણ નથી.
બાય ધી વેઃ
સંજોગો વધુ બગડી શકે તેમ છે પણ ભારતીય અર્થતંત્રના વિભાગીય લક્ષણોને કારણે ગ્લોબલ સપ્લાય ચેનમાં જે અવરોધો આવ્યા તેમાં આપણે સલામત રહી શક્યા છીએ. આજે પણ ભારતીય અર્થતંત્રમાં સર્વિસ સેક્ટરનો હિસ્સો મોટો છે. ભારત ઓઇલ શોક્સને મામલે સંવેદનશીલ અર્થતંત્ર છે કારણ કે આપણે આપણી ઉર્જાની જરૂરિયાત માટે ત્રણ ચતુર્થાંશ જેટલી આયાત કરીએ છીએ પણ રશિયા સાથેના જોડાણથી એ મોરચો અત્યારે સચવાયેલો છે. અત્યારે ભારત ખુશ થઇ શકે છે કે એક રીતે આપણા સ્થાનિક સંજોગો આપણને વૈશ્વિક મંદીથી દૂર રાખે છે અને અર્થતંત્ર ડોમેસ્ટિક એલિમેન્ટ્સ પર ટકી જાય છે પણ જ્યારે વૈશ્વિક તેજી આવશે ત્યારે આ માત્ર સ્થાનિક બજારને મજબૂત રાખવાનું વલણ આપણને પાછા પાડી શકે છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 નવેમ્બર 2022