તમે હર્ક્યુંલિસ સાઇકલનું નામ સાંભળ્યું છે? 2010માં, બર્મિંગહામ – ઇંગ્લેન્ડમાં શરૂ થયેલી હર્ક્યુંલિસ સાઇકલ એન્ડ મોટર કંપની એક જમાનામાં વર્ષે 30 લાખ સાઈકલો બનાવતી હતી. 1949માં આ કંપનીને ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ ઓફ ઇન્ડિયા લિમિટેડ નામની કંપનીને વેચી દેવામાં આવી હતી, અને ભારતમાં આજે પણ દસ ટોચની સાઇકલ બ્રાન્ડ્સમાં હર્ક્યુંલિસ મોખરે છે. આ સાઇકલનું નામ ગ્રીક હિરો હેરાક્લીસ પરથી પાડવામાં આવ્યું હતું. બાકી દુનિયામાં હર્ક્યુંલિસ નામથી લોકપ્રિય થયેલો હેરાક્લિસ તેની અવિશ્વનીય તાકાત માટે જાણીતો છે. તે પરંપરાગત બીમારીઓ અને વૃદ્ધત્વથી મુક્ત હતો. તે ઊભા-ઊભા 100 ફૂટનો ઊંચો કૂદકો ભરી શકતો હતો.
ગ્રીક દંતકથા મુજબ, હર્ક્યુંલિસે ગુસ્સામાં આવીને તેની પત્ની મેગારાની હત્યા કરી નાખી હતી. તેના પ્રાયશ્ચિત રૂપે તેને બાર પરિશ્રમ આપવામાં આવે છે. હર્ક્યુંલિસ બાર વર્ષ સુધી બધે ફરીને અસંભવ લાગતાં બાર કામ પૂરાં કરે છે. તેની આ તાકાતના કારણે અંગ્રેજી ભાષામાં ‘હર્ક્યુલીન ટાસ્ક’ એવો શબ્દ પ્રચલિત બન્યો છે. કોઈ કામ અત્યંત કઠિન હોય અથવા જેમાં વિશાળ તાકાતની જરૂર પડે તેને હર્ક્યુલીન ટાસ્ક કહે છે.
આ હર્ક્યુંલિસે અથવા હેરાક્લીસ સાથે શ્રીકૃષ્ણની દંતકથાનો દિલચસ્પ સંબંધ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે પૌરાણિક ગ્રીસમાં શ્રીકૃષ્ણને હેરાક્લીસ માનવામાં આવતા હતા. એટલું જ નહીં. કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં, ગ્રીક રાક્ષસ નેમીન લાયન સાથે લડતા હેરાક્લીસની એક પ્રતિમા પણ મળી આવી હતી, જેને ‘મથુરા હેરાક્લીસ’ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રતિમા હાલ કોલકત્તાના ઇન્ડિયન મ્યુઝિયમમાં છે. 19મી સદીમાં, બ્રિટિશ આર્મી એન્જિનિયર મેજર જનરલ સર એલેકઝાન્ડર કનિંઘમે આ પ્રતિમા શોધી હતી. તેમાં તૂટેલા માથાવાળા એક પુરુષે સિંહને ઊભો કરીને પકડી રાખ્યો છે. એલેકઝાન્ડરે એવું અર્થઘટન કર્યું હતું કે મથુરા આવેલા ગ્રીક કલાકારોએ આ પ્રતિમા બનાવી હતી. ગ્રીક દેવતા લીસિયન એપોલોની આવી જ એક પ્રતિમા ગ્રીસમાં છે.
શ્રીકૃષ્ણની દંતકથાને ગ્રીક ભાષામાં લઇ જવાનું માન તત્કાલીન ભારતમાં ગ્રીક રાજદૂત મેગસ્થનીજ(ઇ.સ. પૂર્વે 304-299)ને જાય છે. ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યનું સામ્રાજ્ય હતું, ત્યારે ગ્રીક સામંત સિલ્યૂકસે તેના રાજ્ય વિસ્તાર માટે. ઇ.સ. પૂર્વે 305માં ભારત પર આક્રમણ કર્યું હતું, પરંતુ તેમાં તેને સફળતા મળી ન હતી અને સંધિ કરવી પડી હતી. તે સંધિના ભાગરૂપે મેગસ્થનીજ રાજદૂત બનીને મૌર્ય દરબારમાં આવ્યો હતો.
તે ઘણાં વર્ષો સુધી ભારતમાં રહ્યો હતો. તેણે ભારતમાં જે કંઈ જોયું હતું, તેના આધારે “ઇન્ડિકા” નામનું એક પુસ્તક લખ્યું હતું. તેમાં તેણે લખ્યું હતું કે ભારતનું સૌથી મોટું નગર પાટલીપુત્ર છે, તે ગંગા અને સોનના સંગમ પર વસેલું છે, તેની લંબાઈ સાડા નવ માઈલ અને પહોળાઈ પોણા બે માઈલ છે, નગરની ચારે તરફ દીવાલ છે, જેમાં 64 દરવાજા અને 570 દુર્ગ છે, નગરનાં મકાન મોટા ભાગે લાકડાંનાં બનેલાં છે.
મેગસ્થનીજે “ઇન્ડિકા”માં ભારતની ભૌગોલિકતા, ઇતિહાસ, વન્ય જીવન, અર્થવ્યવસ્થા, ખાવા-પહેરવાની રીત-રસમ, ચિંતન પરંપરા, વહીવટ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થાનું વર્ણન કર્યું હતું (મેગસ્થનીજે ભારતમાં સાત વર્ણના લોકો હોવાનું લખ્યું છે). મેગસ્થનીજ પશ્ચિમનો પહેલો માણસ હતો, જેણે ભારત પર લેખિતમાં વિવરણ છોડ્યું હતું. બદનસીબે, “ઇન્ડિકા”ની મૂળ આવૃત્તિ નષ્ટ થઇ ગઈ છે, પણ તેનાં લખાણના ટુકડાઓ ગ્રીક ઇતિહાસકારોનાં પુસ્તકોમાં ઉપલબ્ધ છે, જેને સંદર્ભ તરીકે ઉપયોગમાં લેવાય છે.
મેગસ્થનીજે એ પુસ્તકમાં ભારતના બ્રાહ્મણો પર ઘણું લખ્યું હતું. મેગસ્થનીજ ભારત આવનારો પહેલો પ્રવાસી હતો, એટલે તેણે ભારતને ‘ગ્રીક આંખ’થી જોયું હતું અને લખ્યું હતું કે ભારતના લોકો ગ્રીક દેવતા ડિયોનિસિયસ અને હેરાક્લીસની પૂજા કરે છે. મેગસ્થનીજનું તાત્પર્ય શિવ અને કૃષ્ણની પૂજાનું હતું. મેગસ્થનીજે શ્રીકૃષ્ણની પૂજામાં ગ્રીક દેવતા હેરાક્લીસનું દર્શન કર્યું તે દિલચસ્પ છે. દેખીતી રીતે જ, તેને બંને દેવતાઓમાં ઘણું સામ્ય દેખાયું હતું અને તેણે માની લીધું કે ભારતના લોકો હેરાક્લીસને અનુસરે છે (આ સાંસ્કૃતિક ગુરુતાગ્રંથિનું ઉદાહરણ છે).
મેગસ્થનીજ લખે છે કે આ ભૂમિ પર બે શહેર છે; મેથોરા અને ક્લીસોબોરા અને ત્યાં જોમનસ નામની નદી વહે છે. મેથોરા એટલે મથુરા, ક્લીસોબોરા એટલે કૃષ્ણપુરા અને જોમનસ એટલે યમુના. “ઇન્ડિકા” અનુસાર, સૌરસેનાઈ (શૂરસેના) રાજ્યની રાજધાની મેથોરા અને ક્લીસોબોરાના નિવાસીઓ હેરાક્લીસની આરાધના કરે છે. એલેકઝાન્ડરના સમકાલીન ગ્રીક ઇતિહાસકારો જણાવે છે કે પોરસની સાથે યુદ્ધ લડતી વખતે પણ તે કૃષ્ણ એટલે કે હેરાક્લીસની મૂર્તિ સાથે રાખતો હતો. થોડાં વર્ષો પહેલાં, ઇ.સ. પૂર્વેની ગ્રીક સભ્યતાના અમુક સિક્કા મળ્યા હતા, જેની પર એક દેવતાને કૃષ્ણની જેમ સુદર્શન ચક્ર ધારણ કરેલો અને તેમના ભાઈ બલરામને ગદા તેમ જ હળ ઊંચકેલા બતાવ્યા હતા.
ગ્રીક લોકો કદાચ ગોકુલને ક્લીસોબોરા કહેતા હતા. મથુરા અને ગોકુલ યમુનાની સામ-સામે છે. ગોકુલનું ક્લીસોબોરા કેવી રીતે થયું તેની સ્પષ્ટતા નથી. અમુક ઇતિહાસકારો અનુસાર ક્લીસોબોરાનું સંસ્કૃત રૂપાંતરણ ‘કૃષ્ણપુર’ હોવું જોઈએ. કદાચ તે વખતના ગોકુલમાં સામાન્ય લોકોએ આ નામ આપ્યું હશે. જનરલ એલેકઝાન્ડર કનિંઘમ ભારતની ભૂગોળ લખતી વખતે માન્યું હતું કે ક્લીસોબોરા નામ વૃંદાવન માટે છે. “ઇન્ડિકા”ની એક પ્રાચીન પ્રતમાં ‘કાઈરિસોબોર્ક’નો પાઠ મળે છે, જેનો સંબંધ કાલી નાગના વૃંદાવન નિવાસના કારણે તેના પ્રચલિત થયેલા બીજા નામ ‘કાલિકાવર્ત’ સાથે છે.
મેગસ્થનીજ શ્રીકૃષ્ણ અને હેરાક્લીસના જન્મમાં પણ સામ્ય જુએ છે. જ્યારે હેરાક્લીસનો જન્મ થયો, ત્યારે તેની સાવકી માતા હેરાને એ ગમ્યું નહોતું. તે ઈચ્છતી હતી કે હેરાક્લીસ જીવતો ન રહે અને તેને મારવા માટે તેણે બે સાપ છોડી મુક્યા હતા, પરંતુ હેરાક્લીસ સાપ સાથે રમવા લાગ્યો હતો. શ્રીકૃષ્ણને મારવા માટે મામા કંસે રાક્ષસો મોકલ્યા હતા, જેમાં પૂતનાએ જીવ ગુમાવ્યો હતો.
હેરાએ હેરાક્લીસને મૂઠ મારી હતી અને તેના ગાંડપણમાં આવીને તેણે તેની પત્ની મેગારાની હત્યા કરી હતી. તેના તેના પ્રાયશ્ચિત રૂપે હેરાક્લીસને જે બાર પરિશ્રમ કરવા પડ્યા હતા, તેમાં એક તેના પિતા અને ગ્રીક દેવતા ઝેયસના બગીચામાંથી સોનાનાં સફરજન તોડી લાવવાનું હતું. આ બગીચાની રક્ષા સો ફેણવાળો નાગ કરતો હતો. હેરાક્લીસે તેના માટે એટલાસ નામના દેવતાની મદદ લીધી હતી. ઝેયસે આ એટલાસને પૃથ્વી ઊંચકી રાખવાનું કામ સોંપીને ગુલામ બનાવ્યો હતો. હેરાક્લીસે એટલાસને કહ્યું હતું કે તે થોડીવાર માટે પૃથ્વી ઊંચકી રાખશે અને તું સફરજન તોડી લાવ. એટલાસે એ કામ કરી આપ્યું હતું. હેરાક્લીસેની જેમ જ શ્રીકૃષ્ણએ પણ તેમની ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો.
પુરાણકથાઓના લેખક દેવદત્ત પટ્ટનાયક તો એવો પણ દાવો કરે છે કે હર્ક્યુંલિસના નામમાં જ શ્રીકૃષ્ણનો સંદર્ભ છે. તેઓ તર્ક કરે છે કે હર્ક્યુંલિસ એટલે ‘હરિ-કુલ-એશા’ છે; હરિ વંશનો ઈશ્વર.
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 27 નવેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર